રાજા-રાણી/બીજો પ્રવેશ3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બીજો પ્રવેશ

ચોથો અંક


         સ્થળ : દેવદત્તની મઢૂલી. દેવદત્ત અને નારાયણી.

દેવદત્ત : પ્રિયે, ત્યારે હવે રજા આપો, સેવક જાય છે.
નારાયણી : તે જાઓ ને! મેં કાંઈ તમને બાંધી રાખ્યા છે?
દેવદત્ત : તારું દુઃખ જ આ છે ને! આ દુઃખે તો ક્યાંય જવાનું જ બનતું નથી. વિદાય લેવામાં પણ મજા ન મળે! જો સાંભળ, હું કહું તેમ કર. પ્રથમ તો આંહીં શરીરને પડતું મૂક. પછી બોલ, કે ‘હાય! હું હતભાગિની! હાય વિધિ! હા કામદેવ! શું કરું?’ બોલ.
નારાયણી : હવે ઠાલા બકો મા. મારા સમ, સાચું બોલો, ક્યાં જાવું છે?
દેવદત્ત : રાજાની પાસે.
નારાયણી : રાજા તો લડાઈમાં ગયા છે. તમે શું લડાઈમાં જશો? દ્રોણાચાર્ય બની ગયા કે શું?
દેવદત્ત : ના રે, તું બેઠી છો ત્યાં સુધી હું તે લડાઈ કરું? ઠીક, પણ આ વખતે તો મને રજા આપો, પ્રિયે!
નારાયણી : તે જાવને; કોણ તમને ગળાના સમ દઈને ઝાલી રાખે છે?
દેવદત્ત : હાય રે પ્રભુ મકરકેતન! આંહીં તમારાં ફૂલનાં બાણ નહીં કામ કરે. તમારું આખું ને આખું પાષાણ-શર નહીં છોડો, ત્યાં સુધી આ ગોરાણીનું કાળજું નથી વીંધાવાનું. આ તો ગોરાણીનું કાળજું! અરે, કહું છું કે શિખરદન્તી, પક્વબિમ્બાધરોષ્ઠી, આંખમાંથી જરાક જળજળિયાં નહીં નીકળે! ઝટપટ એક-બે ટીપાં તો પાડ, એટલે હું રસ્તો પકડું!
નારાયણી : કપાળ તમારું! મારે શું દુઃખ હોય તે હું આંસુડાં પાડું? પણ હેં! સાચું કહો તો, તમારા ગયા વિના શું રાજાની લડાઈ નહીં ચાલે? એવા મોટા લડવૈયા ક્યારે થઈ ગયા?
દેવદત્ત : અરે, મારા વિના લડાઈ બંધ જ નહીં પડે; મંત્રીજીના ઉપર કાગળ આવે છે કે રાજાજી તો ખુવાર થઈ જાય તોય કોઈ વાતે લડાઈ નથી છોડતા; બંડ તો આંહીં ક્યારનું બેસી ગયું તોયે —
નારાયણી : બંડ બેસી ગયું; ત્યારે રાજા લડાઈ કરે છે કોની સાથે?
દેવદત્ત : રાણીના ભાઈ કુમારસેન સાથે.
નારાયણી : અરે, એ શી વાત? પોતાના સાળાની સાથે લડાઈ? મને તો લાગે છે એકબીજા રાજા આ રીતે જ મશ્કરી કરતા હશે. આપણે હોઈએ તો ફક્ત કાન મરડી નાખીએ, એટલે પતી જાય; ખરું?
દેવદત્ત : ના, મશ્કરી તો નથી. મહારાણી કુમારસેનની મદદથી જયસેન અને યુધોજિતને યુદ્ધમાં કેદ પકડી રાજાજીની પાસે લઈ આવ્યાં; પણ મહારાજે એમને શિબિરમાં આવવા જ ન દીધાં.
નારાયણી : શું બોલો છો? ત્યારે તમે આટલા દિવસ સુધી ગયા કેમ નહીં? આ સમાચાર સાંભળ્યા પછી પણ બેઠા છો? જાઓ, હમણાં જ ઊપડો. રાણીજી જેવાં સતીનું અપમાન કર્યું? અરેરે! નક્કી રાજાની કાયામાં કળજુગ પેસી ગયો!
દેવદત્ત : જાણે વાત આમ બની; કેદ પકડાએલા બંડખોરોએ બાપુને કહ્યું કે “બાપુ, અમે તો તમારી જ રૈયત કહેવાઈએ. અપરાધ કર્યો હોય તો તમે પોતે જ સજા કરો. પણ એક પરદેશી આવીને અમારું અપમાન કરે, એ તો તમારું જ અપમાન કર્યા બરોબર કહેવાય. કેમ જાણે તમારા પોતાના રાજમાં રાજ ચલાવવાની તમારી શક્તિ જ ન હોય! આવા એક સાધારણ બળવામાં ઠેઠ કાશ્મીરથી લશ્કર આવે, એથી વધુ મશ્કરી બીજી કઈ હોઈ શકે?” આટલું સાંભળતાં જ મહારાજ સળગી ઊઠ્યા, અને કુમારસેનને બે-પાંચ આકરાં વેણ કહેવરાવી એક દૂત મોકલી દીધો. કુમારસેન તો ઉદ્ધત જુવાન, એટલે શી રીતે ખમી શકે? મને લાગે છે કે એ પણ દૂતની સાથે સામાં બે-ચાર વાંકાં વેણ કહેવરાવ્યા વિના નહીં રહ્યા હોય!
નારાયણી : એમાં શું? કુમારસેન તો રાજાના પોતાના કહેવાય — કાંઈ પારકા માણસ તો નથી ને? તો પછી ભલે ને સામસામી વાતો કર્યા જ કરે! તમે નહીં હો તો શું રાજાને બે-પાંચ વેણ બોલતાં પણ નહીં આવડે? વાતો બંધ કરીને વળી હથિયાર ચલાવવાની શી જરૂર? એમાં તો ઊલટું હારી જવાય!
દેવદત્ત : અસલ હકીકત તો લડાઈ કરવાનું એક બહાનું હતું. પણ હવે તો રાજાજી કહે કે ‘લડાઈ ન છોડું’, હવે તો અવનવાં બહાનાં કાઢ્યા જ કરે છે. અત્યારે હિંમત કરીને રાજાને એના હિતની બે વાતો કહે એવો કોઈ નથી રહ્યો. એટલે હવે તો મારાથી નથી રહેવાતું. હું તો આ ચાલ્યો.

નારાયણી : મરજી હોય તો ભલે જાવ, બાકી હું એકલી કાંઈ ઘરનો ઢસરડો નહીં કરી શકું એ વાત પહેલેથી જ કહી રાખું છું. આ પડ્યું તમારું ઘરબાર. હું તો જોગણ બનીને ચાલી નીકળીશ.

દેવદત્ત : હમણાં ખમી જા, હું આવું પછી જાજે. છતાં તું કહેતી હોય તો હું રોકાઈ જાઉં.
નારાયણી : ના, તમે તમારે જાવને! હું શું સાચેસાચ તમને રોકતી હતી? ના, ના, તમારા વિના કાંઈ મારી છાતી ફાટી નહીં જાય, ઉચાટ કરશો મા. મારું તો મજાનું ચાલ્યું જવાનું.
દેવદત્ત : એ હું ક્યાં નથી જાણતો? મનેય ખબર છે કે મલયાનિલ તારા પર કાંઈ અસર કરે તેમ નથી. વિરહ તો શું, વજ્રનો ઘા વાગે તોયે તને કાંઈ ન થાય.

[જવા તત્પર.]

નારાયણી : હે ઈશ્વર! રાજાજીને રૂડી મતિ દેજો, ભગવાન! વહેલા વહેલા પાછા એને ઘેર પહોંચાડજો!
દેવદત્ત : ઘર છોડીને કદી જ ક્યાંય ગયો નથી! હે ભગવાન! આ બધાંની રક્ષા કરજો.

[જાય છે.]