રા’ ગંગાજળિયો/૧. માંડળિકનું મનોરાજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. માંડળિકનું મનોરાજ્ય

ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી, આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ વૃદ્ધની રૂપેરી લાંબી દાઢીને પોતાના તેજમાં ઝબકોળતો હતો, અને આ જુવાનના કમર સુધીના અધખુલ્લા દેહની છાતી ઉપર ઝળહળતાં રત્નો સાથે કટારના ખેલ પણ કરતો હતો.

“કાંઈ અંદેશો તો નથીને, રા’?” બુઢ્ઢાએ દાઢી પર પંજો પસારીને હસતાં હસતાં પૂછ્યું.

“નહીં, સાંઈમૌલા,” જુવાને જવાબ દીધો, “મારામાં સત હશે ત્યાં સુધી હું અંદેશો શા સારુ રાખું? બાકી તો જમાનાનાં પૂર હું કેમ કરીને ખાળી શકીશ? તમે તમારે સુખેથી રહેઠાણ કરો. તમે તમારો ધર્મ પાળો, હું મારો પાળીશ.”

“ધરમ એક જ છે, રા’! ઇન્સાનિયત—ઇન્સાનની ચાકરી!”

“બસ, બસ, અમારા બ્રાહ્મણો ને સાધુઓ એ જ ધરમને ચૂક્યા છે. આજ સુધી આ કોઢિયાં અને પતિયાં સડેલાં શ્વાનોની માફક વાઘવરુને અને દરિયાનાં મગરમાછલાંને મોંએ ફેંકાઈ જતાં. તમે તેમની ખિદમત આદરી છે. તમારી પાસેથી ભલે અમારા હિંદુઓ એટલી માણસાઈ શીખતા.”

“આંહીં આવતા-જતા રહેશો ને?”

“આવીશ. મને તમારી ધર્મચર્ચા કરવાની સુલેહભરી રીત ગમે છે, દાતાર જમિયલશા!”

“ખમા, પધારજો!”

જુવાનના પગની મોજડી એ રાતની ખાડાટેકરાળી ધરતી પરથી ઠરેલાં પગલાં ભરતી ગઈ. એની ગરદન ઉપરથી ખભાની બેઉ બાજુ ઝૂલતા દુપટ્ટાના બેઉ છેડા એના ગોઠણનાં વારણાં લેતા ગયા. એની મોખરે મોટે કાકડે બળતી હેમની મશાલ ચોખ્ખા દિવેલ તેલની સોડમ ફેલાવતી હતી. એની પાછળ પાછળ હથિયારધારી લોકોનું એક ટોળું ચાલતું હતું. બુઢ્ઢા સાંઈની ઝૂંપડી ફરતા ફૂલબાગને જોતો જોતો એ પુરુષ બાગની બહાર આવીને ઘોડા પર છલાંગી બેઠો. એની બાજુમાં બીજો ઘોડેસવાર હતો. એની ઉંમર પિસ્તાળીસેકની હોવી જોઈએ. એનો લેબાસ બાલાબંધી લાંબા અંગરખાનો હતો, ને એના શિર ઉપર મધરાસી મોળિયું હતું.

જુવાને એ આધેડ સાથીને પૂછ્યું : “સાંઈ લાગે છે તો સુજાણ.”

“હોય જ ને, બાપુ. લાંબે પંથેથી આવેલ છે. પારકો પરદેશ ખેડવો એટલે સુજાણ તો થવું જ પડે ના!”

“ક્યાંથી આવે છે?”

“સિંધના નગરઠઠ્ઠાથી.”

“કેવો રગતપીતિયાંની ચાકરી કરી રહ્યો છે! આપણા હજારો જોગંદરો ગિરનારમાં પડ્યાપાથર્યા છે, પણ એ કોઈને કેમ આ પરદેશી સાંઈની જેમ કોઢપિત્તની ઔષધી ગોતવાનું ન સૂઝ્યું? આપણા બ્રાહ્મણોને દામા કુંડની દક્ષિણા ઉઘરાવતાં જ આવડ્યું કે બીજું કાંઈ?”

“પારકા પરદેશમાં પેસવાની વિદ્યા આવડવી જ જોઈએ, બાપુ!”

“એમ કેમ મર્મમાં બોલો છો, વીશળ કામદાર?”

“ના, સવળું જ બોલું છું, મહારાજ! આ ફકીર તો ઘેર ઘેર ઘોડિયાં બંધાવવામાંય પાવરધો છે.”

“આપણા જોગીજતિઓએ ને બ્રાહ્મણોએ જ લોકોને એ ચાળે ચડાવ્યા છે ને? મેં તો સાંભળ્યું છે કે તમારે ત્યાંથીય શેર માટીની ખોટ પુરાવવા સાંઈને મલીદો પહોંચ્યો હતો ચાર જ મહિના પર.”

વીશળ કામદાર તરીકે સંબોધાયેલો સાથી ચૂપ રહ્યો.

“કેમ, સાચુંને કામદાર?” એમ બોલતા યુવાન રાજવી થોડું હસ્યા.

“ઠીક છે, મહારાજ! એ બધી વાત તો જાવા દઈએ; બાકી આપણે પરદેશીઓથી સંભાળવું.”

“સંભાળવાનું કોને કહેશું? નથી બ્રાહ્મણોને કહેવાય તેવું, કે નથી ક્ષત્રિયો શબ્દ પણ સાંભળે તેવા રહ્યા. ઊના-દેલવાડાના રાજા હતા બ્રાહ્મણો, પણ રાજસત્તા ન જીરવી શકાઈ. વીજાજી વાજાનાં રાણી સૂરજમંદિરે જાત્રાએ આવ્યાં, તો દીઠી એની એબ. રથનો પરદો ઊંચો કરીને રાણીનાં રૂપ જોયાં બ્રાહ્મણોએ. હલકટ હાંસી કરી. વોળાવિયા આડા પડ્યા તો એને ધુત્કાર્યા. વાજા હવે કાંઈ બેઠા થોડા રહેશે?”

માંડળિક એ વાત કહે તેટલામાં જ એક ખેપિયો ઘોડેસવાર મારતે ઘોડે આવી ઊભો ને એણે ખબર આપ્યા : “ઊના-દેલવાડાનો રાજપલટો થયો. વીજાજી વાજાએ ગઢ કબજે કર્યો.”

“હેં!”

“હા અન્નદાતા! બરાબર પરમને દા’ડે. બળેવની જનોઈઓ બદલતા’તા બ્રાહ્મણ રાજા. તમામ બ્રાહ્મણો ભેગા હતા, હથિયારવિહોણા હતા. વાજાઓ તલવારો લઈને તૂટી પડ્યા, જનોઈને બદલે ઝાટકા પહેરીને બ્રાહ્મણો સૂતા. વીજાજીએ આપને મંડળેશ્વરને જુવાર કહેવરાવ્યા છે.”

“શો સ્વાદ છે એ જુવારમાં,” બોલીને રા’એ માથું નીચે ઢાળ્યું, વીશળ કામદારને કહ્યું, “લ્યો જુઓ, સુલતાનને તો જોતું’તું એ જ બહાનું જડી ગયું. પણ જોજો કામદાર, સુલતાન હમણાં કાંઈ નહીં બોલે. એ તો સમજી લેશે કે લોઢું લોઢાને કાપે છે! હૈયાવરાળ ફક્ત એક આપણે જ રહી. સોરઠને ને સુલતાનને બેઉને એક આપણે જ પંપાળી પટાવી વેગળા રાખવાના. હું કાંઈ અમથો આ સાંઈ-ફકીરોની બરદાસ્ત કરું છું? હું કરું શું બીજું? જરાક તણખો મૂકું તો ભડકો કરે તેવા છે.”

વાતો કરતાં કરતાં રાજદુર્ગ ઉપરકોટ આવી ગયો. વીશળ કામદારે વિદાય લેતાં લેતાં કહ્યું : “કાલ આપે ચાકર પર એક કૃપા કરવાની છે.”

“બોલો.”

“ઘેરે પગલાં કરવા જોશે.”

“શું, છે કાંઈ?”

“લગન છે.”

“કોનાં?”

“ચાકરનાં.” કહેતું કામદારનું મોં મલકી પડ્યું.

“શું વાત કરો છો? શેઠાણી તો બાર દિવસ પર જ મર્યાં; ફરીને વેશવાળ કરી ક્યારે નાખ્યું?”

“થઈ ગયું આપના પ્રતાપે.”

“પણ આ પચાસ વરસની ઉંમરે?”

“જીવ અભાગિયો છે ને, મહારાજ!”

“જીવ! અરે જીવ! ઠીક. બીજું શું? આવશું.”

કામદારની પીઠ તરફ રા’ ઝાઝી વાર સુધી તાકી રહ્યા. ખભાના હાડકાં બહાર નીકળ્યાં હતાં.

“સળેકડા જેવો આ વણિક! કોને માટે ફરી પરણતો હશે?” એટલું મનમાં બબડીને રા’ અંદર ચાલ્યા ગયા.

દામા કુંડમાંથી આણેલા પાણીનું માથાબોળ સ્નાન કરીને આ જુવાન જ્યારે રાણીવાસની અટારી ઉપર ચડવા લાગ્યો, ત્યારે નગારે દાંડી પડી, શંખ ફૂંકાયા, અને છડીદારે છડી પોકારી : “ઘણી ખમ્મા સોરઠના ધણી ગંગાજળિયા રા’ માંડળિકને!”

ઓરડા પછી ઓરડા ઓળંગતો એ ત્રિપુંડધારી જુવાન અંત:પુરમાં દાખલ થતો હતો ત્યારે એની બેય બાજુએ ઊભેલી વડારણોની હારમાંથી એને માથે ફૂલોના, ગુલાબજળના, અક્ષત અને ચંદનનાં છાંટણાંના મેહુલા વરસી રહ્યા. ઓવારણાં લઈ લઈને એ રમણીઓ નીચે ઊતરી ગઈ; ને રા’ માંડળિકને કાને રાણીવાસના છેલ્લા ખંડમાંથી ધીરી ધીરી તાળીઓના તાલે જડાયેલા શબ્દમય સૂર સંભળાયા :

તમસું લાલા! તમસું લાલા! તમસું લાગી તાળી રે!
નંદના કુંવર કાન મુંને તમસું લાગી તાળી રે!

ગાતી ગાતી, તાળીઓ પાડતી ને ગોળ કૂંડાળે એકલી રાસ ખેલતી, ઘેરદાર ઘાઘરાની દરિયા-લે’રે હીંચતી એ જુવાન રાજપૂતાણી પગરવ સાંભળીને રા’ તરફ ફરી. રા’એ પૂછ્યું : “કોણસું લાગી તાળી રે?” “તમસું લાગી, તમસું લાગી—હાથ ધરો—તમસું લાગી—” એમ ગાતે ગાતે એણે રા’ના ખુલ્લા પંજામાં સામી તાળીઓ દીધી. ને રા’ની કમરે જમણો હાથ કમરબંધની માફક લપેટી લીધો. પછી રા’ને પોતાની સાથે ફૂદડી ફેરવતી ફેરવતી ગાતી રહી :

કંકાવટીમાં કેસર ઘોળ્યાં, વીસરી ગઈ થાળી રે;
ખીચડીમાં તો ખાંડ નાખી, ને સેવ કીધી ખારી રે!
તમસું લાલા! તમસું લાલા! તમસું લાગી તાળી રે!
નંદના કુંવર કાન મુંને તમસું લાગી તાળી રે!

રા’એ એને તેડી લઈને અધ્ધર ઊંચકી પૂછ્યું : “ભાન ભૂલી ગયાં છો, કુંતાદે?”

“તમસું લાગી—” રાણી કુતંલદે ગાતી રહી.

“આવું ભાનભુલાવણ ગીત કોણ શીખવી ગયું?”

“ભાન વિનાનું અમારું સ્ત્રીપણું જ શીખવી ગયું.”

“ના, ના, કહો તો? આ તો ભારી મસ્ત ગીત છે.”

“તમારા માનીતા રાવણના શિવ-તાંડવના કરતાંય? શું ઓલ્યું બોલો છોને રોજ? ‘લટા, કટા, જટા, ફટા, ધગદ્ ધગદ્ ધગદ્ ધગદ્ વિલોલ વીચિ વલ્લરી!’ એના કરતાંય વધુ ભાનભુલાવણ?”

“એમ ન કહો, રુદ્રની એ સ્તુતિ સાથે તો કોઈ ગીતને ન સરખાવો.”

“તમારું એ રુદ્રનું, તો આ મારા મુરલીધરનું.”

“મુરલીધર પણ મારો તો વડવો છે ને?”

“બસ ત્યારે, આ ગીત પણ તમારા જ કંઠમાં આરોપું છું ને!” ફરી ગાતી ગાતી જાણે એ ગીતની ફૂલમાળા રા’ના ગળામાં આરોપતી ગઈ—

ચોળી પે’રી ચણિયો પે’ર્યો, ભૂલી ગઈ સાડી રે!
નાક કેરી નથડી મેં તો આંગળીએ વળગાડી રે!
તમસું લાલા! તમસું કાના! તમસું લાગી તાળી રે!

“પણ આ બતાવ્યું કોણે?”

ઉપરકોટની ઊંચી અટારી પરથી એણે નીચે ફળિયેફળિયું દેખાતા શહેર પર આંગળી ચીંધી—

“આજ અત્યાર લગી વાટ જોતી બેઠી હતી. તેવામાં, જો ત્યાં દૂર એક ખડકી દેખાય છે ને, ત્યાંથી આ સૂર આવ્યા. ગળું તો પુરુષનું લાગ્યું, પણ કોઈક ગાંડોતૂર થઈને ગાતો હતો. મશાલ બળતી હતી. તેને અજવાળે અમે બાઈઓ લઈએ તેવો રાસ પુરુષો લેતા હતા. ને એ કૂંડાળાની અંદર કડતાલ બજાવતો બજાવતો એક ત્રીસેક વર્ષનો જુવાન ગાતો હતો.”

રા’નું મુખ મલક્યું.

“ઓહો! નાગરનો છોકરો નરસૈંયો કે? એ છોકરો ગામ ગાંડું કરતો કરતો તમારા સુધી પણ આવી પહોંચ્યો ને શું? મારે તમારા પર ચોકી બેસારવી પડશે!”

બીજા ઓરડામાં ભોજનની થાળી લેવા જતી કુંતાદે ‘તમસું લાગી’ના તાન મારતી જતી હતી. થાળી લઈને પાછાં આવતાં પણ એનો દેહ એ તાલમાં થનગનતો હતો, ને એનો ચણિયો જમણે પડખે ઝોલે ચડી પાછો ડાબી બાજુ ફંગોળ ખાતો હતો.

થાળી મૂકીને એ બોલી : “શા માટે મારે માથે ચોકી?”

“એટલા માટે કે એ નાગરના ફૂલફૂલ જેવા છોકરાના નૃત્યગીતમાં ગામની નારીઓ પણ ખેંચાતી ચાલી છે.”

“તો કાં અમને નારીઓને ગાતી અટકાવી દીધી? અમારાં હૈયાં કાંઈ તમારા ‘લટા, કટા, જટા, ફટા, ને ધગદ્’થી ન સંતોષાય, અમારે તો ‘તમસું લાગી તાળી રે’…”

“આ તો મારે સાચોસાચ ચોકી બેસારવી જ પડશે!”

“બીજાને ભરોસે રહેવા કરતાં પોતે જ બેસો, પોતે.” એમ કહી કુંતાદેએ રા’નો કાન આમળ્યો.

“પછી ધિંગાણે કોણ જાશે?”

“ધિંગાણાં શીદ કરો છો?”

“સોરઠના ખંડિયાઓ તમારા નરસૈંયાના તાળોટાથી વશ થાય તેવા નથીને? એના તો ફાડવા જોઈએ બરડા—આ રુદ્રની કૃપાણને ઝાટકે ઝાટકે.”

બોલતે બોલતે એની જમણી ભુજા સોમનાથના સાગર-તીર તરફ લાંબી થઈ અને તેલના દીવાની જ્યોત એના કાંડાની ઊપસેલી નસો પર રમવા લાગી.

“એવી અક્કડ ભુજાઓ આંહીં મારા ઓરડામાં નહીં પોસાય,” એમ કહીને કુંતાદેએ એ લંબાયેલા હાથને પોતાના ગળા ફરતો વીંટી લીધો, ને પતિના મોંમાં ભોજનનો પહેલો કોળિયો મૂક્યો.

“ધરાઈને ધાન તો ખાવ, નીકર ભુજાઓ કૃપાણ પકડી કેમ શકશે?”

“તમને એક ખબર આપું?” રા’એ ગંભીર ચહેરો કરીને કહ્યું, “વળી પાછાં કહેશો કે પહેલેથી કીધુંય નહીં! તમારા પિયર હાથીલા નગરને માથે જ મારી કૃપાણનો કાળ ભમે છે.”

“શું છે તે?” રા’નાં રાણી કુંતાદે હાથીલાના ગોહિલ રાજકુળનાં દીકરી હતાં.

“તમારા કાકા દુદાજીની ફાટ્ય વધી છે. ઠેઠ અમદાવાદ સુધીની લૂંટો કરનાર એની રાજપૂતી હવે તો મારા ઉપર કાળી ટીલી બેસારવાની થઈ છે. સુલતાનનો સંદેશો આવેલ છે કે મારે એની ફાટ્ય ઠેકાણે આણવી.”

“તમારે શા માટે?”

“હું સોરઠનો મંડળેશ્વર મૂઓ છું ને? મારા ખંડિયાઓને કબજે ન રાખું, તો સુલતાનને તો બહાનું જ જોઈએ છે. ગઝનવીએ તોડ્યું સોમનાથ, તઘલખે તોડ્યું, ખીલજીએ તોડ્યું, હજી તોડવાનો લાગ જુએ છે સુલતાન એહમદશા. એને તોડવાં સહેલ છે, આપણે ફરી ફરી બંધાવવાં દોહ્યલાં છે. રાજાઓને તો લૂંટારા ને ડાકુ થઈ પોતપોતાનાં અમનચમન સાચવવાં છે; પણ હું ઠર્યો ગંગાજળિયો, હું એકલો આડા હાથ દઈને ક્યાં સુધી ઊભો રહું?”

નિ:શ્વાસ નાખતા રા’ના, તાજા સ્નાને ભીના ખંભાઢળક કેશમાંથી, મહેશને માથે જળાધારીમાંથી ટપકે તેવું, એક જળ-ટીપું ઝર્યું.

“હા! હા!” કુંતાદેએ ઊંડો નિસાસો નાખ્યો, “આજે એ એક હોત—તો એકે હજારાં થઈ રહેત.”

“કોણ?”

“મારા કાકા હમીરજી.”

“હમીરજી ગોહિલ તો શંભુના ગણ થઈ ગયા, દેવડી! એની શી વાત?” બોલીને રા’એ ફરી વાર પ્રભાસ પટ્ટણના ચંદ્રમૌલિ સોમૈયાજીની દિશામાં હાથ જોડી લલાટે અડાડ્યા. “કલૈયો હમીરજી! એને ને મારે વધુ નહીં, ફક્ત પચીસેક વર્ષોનું છેટું પડી ગયું. હું એટલો વહેલો કાં ન જન્મ્યો? એની વાત સાંભળી છે ને?”

“તૂટક તૂટક, ચોરીછૂપીથી, કોઈ કોઈ વાર. કારણ કે કાકાબાપુ હાથીલામાં કોઈને એ કથા કહેવા દેતા નથી.”

“ન જ દિયે તો! હમીરજીની પરાક્રમ-કથામાં દાદુજીની તો હીણપત ભરી છે ખરીને? એના પગની કેડી તો સાવજ-કેડી છે, કુંતા! એ મારગ સોરઠ ખાતે સદાને માટે ઉજ્જડ પડ્યો છે. અમે કોઈ એ પંથે પગલું દેનારા નથી રહ્યા. અમારું દૈવત આથમી ગયું.”

જમી કરીને રા’એ પોતાનો નાનકડો સતાર લીધો. “બેસ, કુંતલ! હમીરજીને બિરદાવીને પછી જ સૂવું છે આજ તો.”

એક પગ ઉપર બીજો ટેકવીને રા’એ સતાર પોતાના ખોળામાં ગોઠવ્યો. કુંતાદેએ રા’ની એક આંગળીમાં નખલી પહેરાવી.

ઉપરકોટની એ જ એ ગોખ-બારી, જ્યાં બેસીને એક રાતે માંડળિકના વડવા રા’ કવાટે બીન બજાવ્યું હતું; હરણાંનાં વૃંદેવૃંદ એના બીનને સૂરે ખેંચાઈ આવીને ગોખ ઉપર કૂદાકૂદ કરતાં હતાં; ને રા’ની હત્યા કરવા એ મહેલમાં છુપાયેલા મારાઓએ પ્રકટ થઈને તલવારો કવાટના ચરણોમાં નાખી દીધી હતી : એ જ આ બારીમાં વર્ષો વીત્યે ફરી સતારના ઝંકાર ઊઠ્યા.

ઝંકારે ઝંકારે માંડળિકના ગાલ ઉપર ટશરો ફૂટી. ઝંકારે ઝંકારે ગોહિલોની કુમારી કુંતાદેના હૈયાએ રસિયા, વીર અને ભક્તહૃદય રા’નાં છાનાં વારણાં લીધાં. ચણિયાનો ઘેર એના સોટાસમા દેહની આસપાસ પથરાઈ પડ્યો હતો. ચૂંદડીની કસુંબી એના દેહ ફરતી ફૂલવેલડી સમી વીંટળાઈ વળી હતી.

સતાર કોઈ કોઈ બજવૈયાના હાથમાં જીવતુંજાગતું માનવી બની જાય છે. હાજરાહજૂર હોંકારા દેતો સતાર રા’નાં ટેરવાંને રડું રડું કરાવી રહ્યો, ને રા’ના કંઠમાંથી શબ્દો રેલ્યા :

વે’લો… ઈ… આવે વીર! સખાતે સોમૈયા તણી :
 હિ… લો… ળવા… હમી…ર ભાલાંની અણીએ ભીમાઉત!

પછી સતારની ચાલુ સૂરાવળે એણે વાત કહેવા માંડી—

“ભીમજી ગોહિલ તારો ડાડો, દેવડી! ડાહ્યો ને સુજાણ રાજપૂત. ભડલીવાળા રા’ કાનની કુંવરીને પરણેલો.

“કુંવરી એક ફકીરની સાથે અવળપંથે પળેલી. મૂળ તો એ ફકીર નહીં પણ દિલ્હી બાજુનો અમીર હેબતખાન. ભડલીને પાદર નીકળ્યો હશે ને કુંવરીમાં લોભાઈ નદીને સામે કાંઠે દરવેશ બની ઝૂંપડી બાંધી બેસી ગયો હશે.

“કુંવરી રોજ રાતે ભોજનથાળ લઈને સામે કાંઠે જાતી’તી. વાત પ્રગટ હતી. તારો ડાડો એને નો’તો તેડતો. ગરમાં ડાહી ફૂઈ રાજપૂતાણી : એણે કહ્યું, બાપ! બહુ વરસ વીત્યાં. મનાવીને તેડી આવ.

“ભીમજી ગોહિલ તેડવા જાય છે. ત્યાં એને જુદું શયનગૃહ અપાય છે. એને સૂતો મેલીને કુંવરી કાળી મેઘલી મધરાતે થાળ લઈને ચાલી નીકળી છે. અણજંપ્યો ભીમજી તલવાર સંભાળે છે, પાછળ પાછળ લપાતો ચાલે છે. ઝૂંપડીએ પહોંચેલી કુંવરીને ફકીર ‘કેમ મોડી આવી?’ કહી સોટા ખેંચે છે, તોય પ્રેમમાં અંધી કુંવરી પાણી લેવા જાય છે.

“પાછળ ભીમજી ફકીરને ઝાટકે દ્યે છે. ફરી છુપાય છે. કુંવરી આવીને મૂઆ સાંઈને મોઢે પાણી મેલે છે કે, ‘તારા મારતલને મોત ભેળો કરી-કારવીને હું છાશ ફેરવીશ. તારા જીવને ગત કરજે.’

“ભયંકર! ભયંકર! ભયંકર નારી! હાથીલા પાછો વહ્યો આવનાર ભીમજી ફૂઈને આ ભયંકર કથા વર્ણવે છે. ત્યારે ફૂઈ કહે છે કે ‘બાપ, એના પેટના કેવા પાકે? કેવા સાવજ પાકે? જાતી રાજપૂતીને રાખે, હો બાપ! તેડી આણ, ને રાજપૂતીનાં રતન પકવ્ય એના ઉદરમાં!’ એ ઉદરમાં પાકેલું રતન તારો કાકો હમીરજી, દેવડી! એ ત્રણેય ભાઈઓમાં સૌથી નાનેરો, કાચો કેલૈયો હતો.

“તારા બાપુ અરજણજી ને તારા કાકાબાપુ દુદોજી આંહીં જૂનાગઢ મારા બાપુની ચાકરીમાં રોકાયા હતા. હમીરજી એકલો ઘેરે. સાંભળે છે કે સોમનાથને તોડવા પાદશાહી ત્રીજી વાર આવે છે, છતાં કોઈ કરતાં કોઈ રાજબીજ દેવોનાય દેવ મહેશ્વરની મદદે કાં ન ચડે! પોતે એકલો નીકળે છે. ભેળા એકલોહિયા, થોડીક માટીના ઘડેલા, થોડાક મરણિયા જોદ્ધા છે. માર્ગે કોઈ ક્ષત્રી? કોઈ રાજબીજ? કોઈ હિંદુ? ના, ના, ના, દેવડી! તારો કાકો એકલવીર : સૂના પંથનો એક જ સાવજ : મોં ઉપર મોતના સોહાગ માણવાની મીઠાશ; જીવતરના પ્રભાતને પછવાડે ઠેલતો, મોતની સંધ્યાનો માણતલ, ગોહેલ હમીર જ્યારે ચાલી નીકળ્યો છે, ત્યારે દુદાજીની રાણી તારી કાકીએ નથી હાથમાં શ્રીફળેય દીધું, નથી કપાળે ચાંદલોય ચોડ્યો, નથી એક આશિષનોય બોલ ઉચ્ચાર્યો. ઘરમાંથી મડું કાઢે તેમ દેવરને કાઢ્યો. તું તો તે દી ઘોડિયે હઈશ.”

“એક દી મા કહેતી’તી, કે છેલ્લી વેળાએ કાકા મને એક બચી કરીને એક હીંચોળો નાખતા ગયેલા.” કુંતાદે બોલી.

“એ બચી હું તારા મોં માથે આજ પણ લીલી ને લીલી નીરખું છું, કુંતાદે. એવાં વહાલનાં ને એવી વિદાયનાં અમી સુકાય નહીં કદી. એના પંથમાં રાજપૂત ભાઈઓની બથભરી ભેટો નહોતી, ચારણોના ખમકારા નહોતા, વસ્તીનાં વળામણાં નહોતાં, તરઘાયાની ડાંડીઓ કે શરણાઈના સિંધુડા નહોતા, બ્રાહ્મણોના આશીર્વાદો નહોતા. સોરઠની વાટ સુલતાનની ફાળ ખાધેલી વરાળે સળગી ઊઠી હતી. માનવી માત્ર ચકલ્યાંની જેમ મહેલે ને કૂબે સંતાઈ બેઠાં હતાં—હાય, જાણે પાદશાહ પાછળથી બાતમી કાઢીને વીણી વીણી ઘાણીએ પીલશે! એને પગલે વારણાં લેતું’તું મોત, મોત, એકલું મોત : ટાઢુંબોળ એકલું મોત.

“એ મોતની મીઠી લાવણી એણે મારગને કાંઠે સાંભળી. નાનકડા એક નેસડામાંથી, પરોઢને પહેલે પહોરે એને કાને કોઈ નારી-કંઠના મરસિયા પડ્યા. એણે ઘોડો થંભાવ્યો. ધરાઈ ધરાઈને રોણું સાંભળ્યું. રોણું પૂરું થયે એણે ઘોડો નેસમાં લીધો. પૂછ્યું :

‘કોણ ગાતું’તું મરસિયા?’

‘બાપ, હું હતભાગણી ગાતી’તી. અપશુકન થયાં તુંને વીરને?’ આંસુ ભીંજેલી આંખે એક ડોશીએ ઓસરીમાં આવીને કહ્યું.

‘ના આઈ! સાચાં શુકન સાંપડ્યાં. જોગમાયાનાં બાળ છો?’

‘હા બાપ, રંડવાળ્ય અને વાંઝણી ચારણ્યનો અવતાર છે મારે.’

‘કોના મરસિયા કહેતાં’તાં, આઈ?’

‘છોકરાના. પેટના પુતરના. પંદર જમણ પૂર્વે પાછો થિયો છે. એકનો એક હતો.’

‘જીવતે લાડ લડાવનારી મા! મૂઆ પછીય શું તું બાળને આટલો લડાવી જાણ છ?’

‘માનો તો અવતાર જ એવો કરી મૂક્યો છે ને, ભાઈ!’

‘આઈ! મારાય એવા મીઠા મરસિયા કહેશો? મારે સાંભળતા જાવું છે.’

‘અરે મારા વીર! તારા મરસિયા? તું જીવતે? તને જો મૂઓ વાંછું, તો હું ચારણ્ય આવતે ભવેય દીકરો પામું ખરી કે?’

‘મા, હું જીવતો નથી. જગતે મને મૂઓ જ ગણ્યો છે. હું તો મસાણના મારગે જાતું મડું છું. હું એવે ઠેકાણે જાઉં છું કે જ્યાંથી જીવતા પાછા આવવાનું નથી. મોતને તેડે જાઉં છું.’

‘ક્યાં?’

‘સોમૈયાની સખાતે.’

“એ નામ કાને પડતાંની વારે જ ત્યાં ભેળું થયેલું ગામ તેતરનો ઘેરો વીંખાય તેમ વીખરાઈ ગયું. બુઢ્ઢી ચારણી એકલી પોતાના ફળીમાં ઊભી ઊભી આ જુવાનને જોઈ રહી : ‘તું! એકલ ઘોડે? સોરઠ બધીય બીને ઘરમાં બેઠેલ છે, તે ટાણે તું એકલો? મા, બાપ, બેનડી, ભાઈ, ભોજાઈ કે ચૂંદડિયાળી રજપૂતાણી કોઈ કરતાં કોઈએ તુંને રોક્યો નહીં?’

‘રોકનારું કોઈ નથી. હોત તોયે જાનારને રોકનાર કોણ? આઈ! ઝટ મને મારા મરસિયા સંભળાવો. મને મોત મીઠું લાગે એવું કરો. મારે ને સોમૈયાને છેટું પડે છે, મા!’

‘પણ તું કોણ છો?’

‘ગોહિલ છું.’

‘ગોહિલ? મોરલીધરનો ઉપાસી તું મહાદેવને કારણે મરવા જાછ?’

‘હું શાસ્તર ભણ્યો નથી, આઈ! દેવ દેવ વચ્ચેના ભેદનો ભરમ મેં જાણ્યો નથી. જાણીને કરવું છેય શું?’

‘કયું ગામ તારું?’

‘હાથીલાનો હું ફટાયો : નામ હમીરજી.’

‘ગોહિલરાજ ભીમજીનો પુતર?’

‘હા મા! મારા મરસિયા ભણો!’

“ચારણી થોથરાઈ.

‘પાદશાથી બીતાં હો તો નહીં, હો મા!’

‘બીઉં છું, પણ પાદશાથી નહીં.’

‘સમજયો છું, આઈ! મારા ભાઈઓથી.’

‘ન સમજ્યો, બાપ! ફોડ પડાવ મા. અટાણે તો તું તારે જા, ને ચારણીનું વેણ લેતો જા કે તું પ્રભાસમાં જુદ્ધ કરતો હોઈશ તયેં મારા મોંના મરસિયા સાંભળતો સાંભળતો જ મોતને ખોળે પોઢીશ. આજ તો મને માફ કરજે, બાપ!’ ચારણીએ ખોળો પાથર્યો.

‘સમજાણું હવે. વાણી તમારી ખોટી પડે એ બીકે—’

‘ખમા, ખમા, બાપ હમીરજી! વાણીની આબરૂ વસમી છે, એ આબરૂનો કાંટો આખરી ઘડીએ જ તોળાય છે. ભલભલેરા એ અંતની પળે જ ભૂંડા દેખાતા હોય છે. મોતની વાતું તો, વીર, સોયલી છે; પણ મોત સામું આવીને ઊભું રે’ છે તયેં…’

‘તમે સાચું કહ્યું, માડી, તમારી વાણીને હું જોખમમાં નહીં મુકાવું. હવે તો વચને પળજો, ને હું સાંભળું તેમ કહેજો હો! મોડું ન થાય, હો મા!’

‘વિશ્વાસે રે’જે.’

“ને પછી તો, દેવડી! પ્રભાસના દરવાજા આડા ઓડા બાંધીને સુલતાની સેનાને ભાલાની અણીએ હિલોળતા તારા કાકાનું મોત એ જ ચારણ્ય ડોસીના આ મરસિયાથી અમિયલ બન્યું હતું. સાંભળ—”

સતારના ઝંકારે ઝંકારે રા’ને કંઠેથી સોરઠા નીગળવા માંડ્યા :

વે’લો—વે’લો—વે’લો આવ્યે વીર સખાતે સોમૈયા તણી.
હિલોળવા હમીર ભાલાંની અણીએ ભીમાઉત!

“હે ભીમજીના પુતર, વહેલો આવ, વહેલો આવ, વહેલો આવી પહોંચ.

પાટણ આવ્યાં પૂર ખળખળતાં ખાંડાં તણાં,
 શેલે માંહી શૂર ભેંસાસણ શો ભીમાઉત.

“સુલતાનનાં ખડ્ગોનાં ધસમસતાં પૂર દેવપાટણ ઉપર આવ્યાં, તેની અંદર, ઓ મારા વીર હમીર, જંગી પાડા જેવડો શૂરો જાણે તું શેલારા દેતો દેતો તરતો ઘૂમે છે.

વેળ તુંહારી વીર આવીને ઉવાંટી નહીં,
હાકમ તણી હમીર (આડી) ભેખડ હૂતી ભીમાઉત!

“પણ ઓ વીરા મારા! તારા શૂરાતનની સાગર-ભરતી ત્યાં આવીને ઓળંગી ન શકી. કારણ કે આડે સુલતાનની પ્રચંડ ફોજરૂપી ભેખડ ઊભી હતી.

“આખરે તો પડવાનું જ હતું. તારા કાકાનું શિર પડ્યું, ધડ લડ્યું. ધડ પડ્યું, ઘોડો પડ્યો. અને એ ભેળું કોણ કોણ પડ્યું, દેવડી? ન કોઈ રાજા, ન કોઈ બ્રાહ્મણ, ન કોઈ જતિસતી, શંભુના નામે બે હજાર ગામડાંનો ગરાસ ખાનાર ને ગુલતાન કરનારા કોઈ કરતાં કોઈ દાઢીમૂછના ધણી નહીં, પણ—

તું પડતે પડિયા હર શશિયર હિમાપતિ;
 છો ચૂડા ચડિયા ભજ તોય ભાંગ્યે ભીમાઉત!

“તારા પડવા ભેળા જ પટકાઈ પડ્યા—એક શંભુ પોતે, બીજો શંભુનો વરદાનધારી ચંદ્રમા, ને ત્રીજા હિમાચળના ધણી પ્રજાપતિ પોતે. એક તારી ભુજાઓ ભાંગતે તો એ ત્રણેયની સ્ત્રીઓના છયે હાથના ચૂડા ભાંગ્યા, ત્રણેય રાંડી પડી.

વન કાંટાળાં વીર! જીવીને જોવાં થિયાં,
આંબો અળવ હમીર મોરીને ભાંગ્યો ભીમાઉત!

“ઓ મારા વીરા! તારા જેવો આંબો, શૂરાતનની શીતળ ઘટા પાથરવા જેવડો થાય તે પહેલાં, જ્યાં મોર બેઠા ત્યાં જ ભાંગી પડ્યો. હવે અમારે સંસારમાં શો સ્વાદ રહ્યો? હવે આંબાનાં દર્શન ક્યાં પામવાં છે? હવે તો જીવવું છે ત્યાં સુધી કાંટાળાં ઝાડવાંથી ભરેલાં જંગલો જ જોવાં રહ્યાં છે. હવે તો સોરઠની ધરા માથે ઊભાં છે એકલાં જાળાં ને ઝાંખરાં.

“દેવડી!” રા’એ સતાર ધીરેથી નીચે મૂક્યો ને કહ્યું, “તારા કાકાના જેવું મંગળ મોત કોને મળશે? આજકાલ કોના પ્રારબ્ધમાં આબરૂભર્યાં અવસાન પણ રહ્યાં છે? હે રુદ્ર! મસાણના સ્વામી હે મહેશ! તારે ખોળે…”

“અત્યારે તો મારે ખોળે…” કુંતાદેએ રા’ને પોતાની છાતીએ ખેંચી લઈને કહ્યું, “આબરૂભેર જીવતર તો જીવી લ્યો.”

પછી એ રાત્રિના ચોથા પહોરે જ્યારે ચોઘડિયાં બજવા લાગ્યાં, ત્યારે રા’ અને કુંતાદે ગોખની બારીએ ડોકાં કાઢીને કોઈ ગગનગામી ગળાના પ્રભાતી-સૂર સાંભળી રહ્યાં હતાં :

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
કો…ઓ…ણ ઘૂ…મી રહ્યો…ની…ર…ખ…ને—
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

‘નીરખને’ એ બોલે કોઈક કાકલૂદી કરતું હતું. ‘કોણ ઘૂમી રહ્યો’ એ સૂરો આકાશમાં એક વિરાટનું આલેખન કરતા હતા. અને માંડળિક, પોતાના બોલથી રખે જાણે એ સંગીતબાંધી હવાને આંચકા લાગશે એવી બીકે, હળવાફૂલ અવાજે કહેતા હતા :

“દેવડી! તારો નાગર જુવાન નરસૈંયો ગાય છે.”

“આવું અટપટું શું વળી? ઓલ્યું ‘તમસું લાલા! તમસું લાલા! તમસું લાગી તાળી રે’ એવું મીઠું ગાતાં ગાતાં આ વળી શી માંડી?”

“હા! હું પણ એ જ વિચારું છું. આવા ગહન ભાવની આંહીં કોને પડી છે? ઓલ્યાં મીઠાં સાકરિયાં રાધા-કાનનાં જ આંહીં તો ગમશે. પણ દેવડી! આ મ્લેચ્છો ડાહ્યા લાગે છે. સાંજે સાંઈ જમિયલશા ‘એક તું શ્રીહરિ’ની જ વાત કરતા હતા. મ્લેચ્છોને આ દરવેશો એક જ ગાંઠ વળાવી રહ્યા છે : ‘એક તું! એક તું! અલ્લા હુ અકબર!’ બીજી બધી લપ કાઢી રહ્યા છે. કાલ વટલેલો મજૂર પણ ‘એક તું’ કહીને તમામ પંચાતમાંથી મોકળો થાય, ત્યારે આપણાં વિચારજાળાંનો કોઈ આરોવારો નથી. સાંઈ જમિયલશા આપણા નરસૈંયાથી વધુ ડાહ્યો લાગે છે, દેવડી!”

“હા રે હા, ક્યાંક તમેય…” બાકીના શબ્દો કુંતાદે ગળી ગઈ.