લીલુડી ધરતી - ૨/મારું જીવતર લાજે !

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારું જીવતર લાજે !

અંબાભવાનીમાં ધિંગાણા જેવું થઈ ગયું છે એમ ઝમકુને મોઢેથી સાંભળ્યા પછી ઊજમે ખડકીનાં કમાડ આડે સાંબેલું ઠસાવીને ભોગળ ભીડી અને દેરાણી–જેઠાણી એકકાન બનીને દૂરથી સંભળાતો દેકારો સાંભળી રહ્યાં.

ગોકીરાનો અવાજ ભૂતેશ્વરની વાડી સુધી પહોંચતાં મંદિરના પ્રાંગણમાં જામેલાં ભજનો એકાએક અટકી ગયાં. દોકડ ઉપર થાપી પડતી બંધ થઈ ગઈ. મંજીરાંનો રણકાર શમી ગયો. ‘નકળંકી’ અવતારના વર્ણનની રસજમાવટ કરી રહેલું ભજન અરધી પંક્તિએ જ કપાઈ ગયું. રાબેતા મુજબ તો સવારોસવાર રમઝટ બોલાવનારી ભજનમંડળીમાં એકાએક સોપો પડી ગયો.

‘રઘા મારા’જના માથામાં લોઈની ફૂટ્ય થઈ.’

‘ગિરજાને ભાઠાંવાળી કરીને હાડકાં રંગી નાખ્યાં—’

‘હૉટલના અરીસેઅરીસાના ભુક્કા બોલાવી નાખ્યા—’

અણધાર્યા ઊઠેલા ગોકીરા વિષેની આટલી બાતમી પરથી સહુ ભજનિકો અને શ્રોતાઓ હૉટેલની દિશા તરફ દોડ્યા. મોખરે અતીત ઈશ્વરગિરિ વચ્ચે ગામના જુવાનિઓ અને છેવાડે હાદા ઠુમર જેવા ડોસાડગરાઓનું હાલરુ ‘કોણ છે ઈ બેમાથાળાં ?’ ‘ભામણના દીકરા ઉપર હાથ ઉગામવાવાળા ઈ પાણીઆળીના છે કોણ ?’ કરતું કરતું અંબાભવાની પર જઈ પહોંચ્યું, ત્યારે દેકારો શમી ગયો હતો. તોફાનીઓ પોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા હતા, અને તીરે ઊભાં ​ઊભાં તમાશો નિહાળનારાંઓ હવે આગળ આવ્યાં હતાં.

હૉટેલના આંગણામાં જાણે કે હુતાસણી પેટવવા માટે બળતણ ખડકી રાખ્યું હોય એમ ભાંગેલ ખુરશી, બાંકડા, ટેબલ, દેવદેવીની છબીઓ, ભાંગેલી સોડા–બાટલીઓના કાચની કરચો, અરીસાના ટુકડા, નીતિવાક્યો અને બોધવચનો આલેખતાં પાટિયાં, જિનતાનનું વર્ષોજૂનું કેલેન્ડર, કાચનાં તથા પિત્તળનાં કપરકાબી વગેરેનો ડુંગર ઊભો થયો હતો. હૉટેલના બારસાખ ઉપર ટિંગાતું ‘અંબાભવાની’ના નામવાળું પાટિયું પણ પદભ્રષ્ટ થઈને નીચે પડ્યું હતું. બાજુમાં ડાઘિયો કૂતરો વ્યગ્ર અવાજે ભસી રહ્યો હતો.

અંદર તખતેતાઉસ જેવા થડા ઉપર ૨ઘો ઘવાયેલા સિંહ જેવી લાચારીથી પડ્યો પડ્યો હાંફતો હતો. એના કપાળ પર થયેલી લોહીની ફૂટ પર છનિયો હળદર ભરતો હતો. બાજુના બાંકડા પર મૂઢ માર ખાધેલો ગિરજાપ્રસાદ પડ્યો પડ્યો કણસતો હતો. હૉટેલની વચ્ચોવચ્ચ ભાંગી ગયેલી જબરસ્ત નાંદનાં ઠીકરાંનાં ઠીબડાં રઘાના ભગ્ન જીવનનાં પ્રતીક સમાં વેરણછેરણ પડ્યાં હતાં. જમીન પર, નાંદના પાણી પર ઊધાં વળેલાં દૂધનાં બોઘરણાંઓએ કચકણ કરી મેલ્યું હતું...

‘કોણે આ બુકરડો બેલાવી દીધો ?’

‘કોણ હતાં આ માથાંનાં ફરેલાં ?’

રઘાને તો કશો ઉત્તર આપવાના હોશ રહ્યા નહોતા, પણ છનિયાએ ખુલાસો કર્યો :

‘રામભરોંસેવાળા—’

સહુને સમજાઈ ગયું, હરીફ હૉટેલવાળાઓએ અંબાભવાનીની આ હોનારત કરી નાખી હતી. ભભકેદાર દોરદમામ ધરાવનાર રામભરોંસે સમક્ષ સાવ રાંક લાગતી આ હૉટેલનું એક પણ રાચરચીલું સાજું રહેવા નહોતું પામ્યું. શવા કુંભારના હાથના ઘડેલા ગામની જ ધૂળખાણની ચીકણી ગૂંદ જેવી માટીના મજબૂત ચૂલાના ટુકડે​ટુકડા થઈ ગયા હતા. ગુંદાસરને વર્ષો સુધી મનોરંજન પીરસી ગયેલ. ગ્રામોફોનની ‘સંતુ રંગીલી’, ‘ભારી બેડાં’, ‘ચંદન હાર’, જેવી કુડીબંધ ચૂડીઓના ચૂરેચૂરા થઈ ગયા હતા. સમગ્ર હૉટેલના દીદાર, કોઈ દારુણ જંગ ખેલાઈ ગયા પછીના રણમેદાન જેવા થઈ ગયા હતા.

‘વોય રે... વોય માડી રે...’ છનિયો રઘાના કપાળ પરની ફૂટમાં હળદર ભરતો હતો ત્યારે પીઢિયા જેવો ખડતલ ૨ઘો નાના બાળકની જેમ વોયકારા કરતો હતો.

‘રે’વા દે, રે’વા દે ! માલીપા બાટલીના કાચની કણી રૈ ગઈ લાગે છે.’ રઘાએ છનિયાને હળદર ભરતો અટકાવ્યો. ‘ટપુડાને બરક્ય, ટપુડાને.’

તુરત છનિયો વાઢકાપવિદ્યા અને દેશી ડ્રેસિંગકલામાં નિષ્ણાત ગણાતા ટપુડા વાળંદને તેડવા દોડ્યો.

ઈશ્વરગિરિએ રઘાના વહેતા જખ્મ પર હાથ ફેરવ્યો. હાદા ઠુમરે કણસી રહેલા ગિરજાપ્રસાદને સાંત્વન આપ્યું. અણધારી ભજવાઈ ગયેલી આ તાણ્ડવલીલા પ્રત્યે સહુ પ્રેક્ષકો દિલસોજી દાખવી રહ્યા.

જીવા ખવાસે દાવ તો આબાદ યોજ્યો હતો. એક જ કાંકરે બે-ત્રણ પક્ષીઓ મારવાની એની નેમ હતી, આમે ય પોતે જેલમાંથી છૂટી આવીને ‘રામભરોંસે’ હોટેલ શરૂ કર્યા પછી અંબાભવાની એની આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી. રઘો આજસુધી સમજુબા ઠકરાણાનો કૃપાપાત્ર હતો, પણ અમથી સુથારણ હજી ગારદ નથી થઈ પણ જીવતી છે એ હકીકત જાણ્યા પછી રઘા પરની ઠકરાણાની કૃપા ઓસરી ગઈ હતી. બીજી બાજુ; જીવા ખવાસે તાજના સાક્ષી બનીને કરેલા ખૂટામણ પછી ઠકરાણાં એનું મોઢું પણ નહિ જુએ, કદાચ એ ખવાસને ગામમાંથી ઉચાળા ભરાવશે એવી જે વ્યાપક ધારણા હતી, એ સાવ ખોટી હતી. ઉલટાનો, દરબારની ડેલી જોડેનો જીવાનો ઘરોબો તો, અગાઉના કરતાં ય અદકો વધી ગયો હતો. એનો ​બાપ પંચાણભાભો અગાઉ અફીણની કાંકરી વિના ટાંટિયા ઘસતો એને હવે ઠગડકસૂંબા જોડે ભરપેટ અમલ મળતો હતો. જીવા ઉપર પણ હવે ઠકરાણાંના ચાર હાથ છે એમ બે આંખવાળાં સહુ લોકો કહેતાં હતાં. રઘા પ્રત્યેની નફરત અને જીવા પરની અમી નજરનું સમજુબાનું આ ભેદી વલણ આજ સુધી કોઈને સમજાયું નહોતું.

આમ ખીલાને જોરે કૂદી રહેલા વાછડાસમો જીવો થોડા સમયમાં તો ફાટીને ધુમાડે ગયો. ‘રામભરોંસે’ શરૂ થયા પછી આમે ય જીવો રઘા પ્રત્યે અને ‘અંબાભવાની’ પ્રત્યે દાઝે બળતો હતો. પોતાની હૉટેલની ભભકાભરી રોનકને કારણે એ રઘાની ઘરાકી સારા પ્રમાણમાં તોડી શક્યો હતો. ‘સંતુ રંગીલી’ જેવી હવે તો જુનવાણી થઈ ગયેલી ‘તાવડીઓ’ની સામે ‘રામભરોંસે’ નો રેડિયો જબરું આકર્ષણ જમાવી શક્યો હતો.

જેરામ મિસ્ત્રીએ આ નવી હૉટેલમાં ય કરેલી સાજસજાવટ સમક્ષ ‘અંબાભવાની’નું રાચરચીલું તો સાવ ભંગાર લાગતું હતું. છતાં એ ભંગાર હૉટલમાં ય કેટલાક ઘરડાબુઢ્ઢાઓ કંઈક જૂની વફાદારીથી અને કંઈક આદતના જોરે જૂના સ્થળને વળગી રહ્યા હતા, એ જીવાની આંખમાં કાચની જેમ ખટકતું હતું. એ કણી દૂર કરવાનો યોગ્ય લાગ એ ઘણાં દિવસથી શોધતો હતો, એવામાં ગોબરની હત્યાએ એને સોનેરી તક પૂરી પાડી દીધી...

વાત એમ બનેલી કે ઓઝતની મઘરપાટમાં સંધ્યાસ્નાન કરી રહેલો રઘો સંતુને મોઢેથી ગોબરની હત્યાના સમાચાર સાંભળીને ભીનું પંચિયું હવામાં સૂકવતો સૂકવતો સીધો ઠુમરની વાડીએ દોડી ગયેલો અને કોસ વડે સિંચાઈને બહાર આવેલ ગોબરનો છિન્નભિન્ન દેહ જોતાં જ એણે માંડણને ધડ ધડ ધડ કરતા તમાચા ચોડી દીધેલા. ગોબરની કમકમાં પ્રેરતી હત્યા અંગેના રઘાના પ્રત્યાઘાતનો એ સ્વાભાવિક આવિષ્કાર હતો. ભૂદેવનો એ પુણ્યપ્રકોપ જોઈને વાડીએ એકઠાં થયેલાં સહુ લોકોને નવાઈ લાગેલી. આજ સુધી માંડણના ​ ચડાવદેવ તરીકે જ કામ કરતા રઘાને આ તે શું સૂઝ્યું કે ધડોધડ લપડાકો ચોડી દીધી ? પણ એનો ખુલાસે તો ખુદ રઘો પણ આપી શકે એમ નહોતો. આટલાં વર્ષ સુધી એણે સંતુની પજવણીમાં શાદૂળને આડકતરો સાથ આપ્યો હતો; માંડણને એણે ગોબર સામે ભૂરાયો કર્યો હતો; ઠકરાણાંની રહેમ નજર તળે જીવતા આ માણસને શાદૂળની ખુશામતમાં પોતાનું હિત દેખાતું હતું. પણ જીવા ખવાસે ખૂટામણ કર્યું, શાદૂળને જનમટીપ મળી અને અમથી સુથારણ જીવતી હોવાની વાત જાણ્યા પછી ઠકરાણાંની રહેમ નજર ખફા નજરમાં પલટાઈ ગઈ ત્યારથી રઘાના માનસવહેણે પણ નવો પલટો લીધો હતો. અમથીના અપ્તરંગી જીવનવહેણને યાદ કરતાં એના પોતાના જ હૃદયનાં રસાયણો બદલાઈ ગયાં હતા. એના કાળમીંઢ હૃદયને તોડીફોડીને ક્યાંકથી વાત્સલ્ય-ઝરણું ફૂટી નીકળ્યું હતું. એને પરિણામે એણે ગિરજાપરસાદને દત્તક લઈને પોતાનું નામલેણું રાખેલું. અત્યાર સુધી રૂક્ષ એકાકી જીવન જીવી રહેલા આ વૃદ્ધને હવે જીવન ભર્યું ભર્યું લાગવા માંડેલું. પોતાની આજુબાજુનાં જીવનવહેણો પ્રત્યેનો એનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયેલો. એના જરઠ જિગરમાં સર્વ જીવો પ્રત્યેની સહાનુકમ્પાની કોઈક અંત:સ્રોતા સરવાણી ફૂટી નીકળેલી. એ સહાનુકમ્પાથી પ્રેરાઈને જ તો એનું હૃદય સંતુ પ્રત્યે દ્રવી ઊઠેલું. ગોબરનો મૃતદેહ જોઈને એનું અંતર કકળી ઊઠતાં જ એણે હત્યારા માંડણને માર મારેલો.

માંડણે દારૂના નશામાં રઘાને સામી ભૂંડી ગાળો સંભળાવેલી ત્યારે રઘાએ ખીજમાં ને ખીજમાં એને પાટુ મારીને પોતાનો સઘળો રોષ ઠાલવેલો.

‘હત સાલા નુઘરા !... જેનું ખાધું એનું જ ખોદ્યું તેં તો !... આટઆટલા ગણ ઉપર અંતે અવગણ કર્યો ને ?..અંત્યે તારી જાત્ય ઉપર જ ગ્યો !... ભૂંડા ચોરને ભલાં શકન ક્યાંથી સદે !....’

જીવા ખવાસના મળતિયાએ રઘાની આ એકેએક ઉક્તિની ​ મૂંગી નોંધ લીધેલી અને છેક ઠકરાણાં સુધી એનો અહેવાલ પહોંચાડેલો.

ખીજડાના થડ જોડે બંધાયેલો માંડણ આખરે જ્યારે ચકચૂર સ્થિતિમાં લથડિયું ખાઈ ગયેલો ત્યારે રઘાએ સહુ સાંભળે એ રીતે ટકોર કરેલી :

‘કણબીનો દીકરો ઊઠીને આવા કફને ચડી ગ્યો ! સંગત એવી અસર... ઓલ્યે શાદૂળિયે આ છોકરાનો ઘાણ કાઢી નાખ્યો... ગામના, ફટાયાને રવાડે ચડ્યો, એમાં નખોદ નીકળી ગ્યું...’

‘સાચી ભાઈબંધી કોનું નામ ?’ કોઈએ રઘાના કથને ટેકો આપેલો. ‘શાદૂળિયે રૂપલી રબારણને ગોળીએ દીધી’તી તો માંડણિયે આ ગોબરને ગા૨દ કરી નાખ્યો. શાદૂળની જનમટીપમાં સથવારો પુરાવવા ન જાય તો સાચો ભાઈબંધ શેનો ?’

આ સંવાદ જીવા ખવાસે શબ્દશઃ સમજુબાને મોઢે પહોંચાડેલા.

અને પછી તો પંચનામામાં પણ રઘાએ બહુ આગળ પડતો ભાગ લીધેલો. બધી જ જૂની વફાદારીઓ જતી કરીને એને શંકરભાઈ ફોજદાર સમક્ષ માંડણ, શાદૂળ, સંતુ અને ગોબરનાં પૂર્વવૃત્તાંતો ૨જૂ કરેલાં. સંતુ પર ઓઢાડતું હત્યાનું આળ તદ્દન તર્કટી છે, માંડણ જ દારૂના નશામાં સુરંગ ઉપર પલિતો ચાંપીને ગોબરને મારી નાખ્યો છે, એમ એણે પંચનામામાં સ્પષ્ટપણે લખાવેલું.

આ અને શાદૂળ અંગેના કેટલાક ચોંકાવનાર આક્ષેપો સમજુબાને કાને પહોંચ્યા ત્યારે તેઓ મનમાં ને મનમાં સળગી ઊઠેલાં. એમને થયું કે આ માણસ હવે હાથથી જઈ રહ્યો છે. શાદૂળનું અને સમજુબાનું જીવનરહસ્ય રઘાના હાથમાં હતું એ બદલ તેઓ રઘાનાં ઓશિયાળાં થઈને રહ્યાં હતાં અને બદલામાં રઘો પણ દરબારના કુટુંબનો કહ્યાગરો બની રહ્યો હતો. પણ થોડા સમયથી આ પારસ્પરિક ઓશિયાળા સંબંધોમાં એક સૂક્ષ્મ પરિવર્તન થઈ રહ્યું હતું; અને એમાં એણે ગોબરની હત્યા વેળાએ જે વલણ લીધું એથી તો સમજુબાની ચિંતામાં વિશેષ ઉમેરો થયો. ​ આવા ચિંતાજનક પ્રસંગોએ ઠકરાણાંને એવી ટેવ હતી કે પંચાણભાભાને હૉટેલે મોકલીને રઘાને તેડાવવો. આ વેળા એમણે પંચાણભાભાને મોકલ્યો તો ખરો, પણ ‘અંબાભવાની’માં નહિ, ‘રામભરોંસે’ને આંગણે. સમજુબાએ રાબેતા મુજબ રઘાને તેડાવવાને બદલે જીવા ખવાસને બોલાવ્યો.

જેલમાંથી છૂટીને આવેલા આ ખૂટેલ પ્રત્યે સમજુબાને આટલું બધું વહાલ શા કારણે ઊભરાઈ રહ્યું છે એ એક રસપ્રદ રહસ્યનો વિષય બની ૨હેલ. એ અંગે ગામમાં તરેહતરેહના તર્ક થતા હતા. એક વાયકા એવી હતી કે જીવો જેલમાંથી કોઈક ભેદી કરામત શીખી લાવ્યો છે, અને એમાં ઠકરાણાંને આર્થિક લાભ દેખાયો છે. સમજુબાએ અને જીવાએ મળીને કશોક સહિયારો ગુપ્ત વેપાર પણ શરૂ કર્યો છે. બીજી વાયકા એવી હતી કે જીવાના બાપ પંચાણભાભાનાં માનપાન આજકાલ બહુ વધી ગયાં છે, તેથી જીવાને પણ હથેળીમાં રાખવો પડે છે. ગમે તેમ, પણ સમજુબાએ પોતાના અસ્તિત્વ માટે વ્યૂહ બદલાવ્યો હતો એ તો ચોક્કસ. હવે એમને પોતાની સલામતી માટે રઘો ભયરૂપ લાગતો હતો; બીજી બાજુ જીવો જાણે કે ડૂબતાનો તારણહાર બની રહ્યો હતો.

એ તારણહારને તેડાવીને ઓછાંબોલાં ઠકરાણાંએ મિતાક્ષરી ફરિયાદ કરી :

‘આ રઘલો રોયો આડો ફાટ્યો છે.’

‘બા કિયે ઈ ભેગો ઈને પાંહર્યો કરી નાખીએ.’ જીવાએ ફરિયાદ જેટલો જ મિતાક્ષરી ઉકેલ સૂચવ્યો.

‘ઈ ભામટે મારી ઊંઘ ઉડાડી મેલી છે.’

‘બા હકમ દિયે તો ઈ ભામટાને ભૂંહી નાખીએ—’ જીવાએ બીડું ઝડપ્યું. ‘ભૂંસી નાખવું’ એ શબ્દપ્રયોગ રિયાસતી ઠકરાતોમાં સોવિયેટની ‘લિક્વિડેશન’ ક્રિયાના પર્યાય રૂપે વપરાતો. આ પૃથ્વીના પટ પરથી રઘાનું અસ્તિત્વ જ ભૂંસી નાખવાની, એનું નામોનિશાં ​ નષ્ટ કરી નાખવાની વાતથી તો ખુદ સમજુબા જ ગભરાઈ ગયાં.

‘ના ના, ભૂંહી નાખવાની તો વાત જ કરજે મા, રૂપલીને ભૂંહી નાખી એનો હોબાળો તો હજી બેઠો નથી. રઘલાનો તો આ ગામમાંથી ટાંટિયો કાઢ્ય એટલે હાંઉં... કાલ્ય સવારે દરબારની આંખ્ય વીંચાય તંયે રઘલો જરાક આઘેરો હોય તો સુધ્ધુ સારું.’

‘ભલે, બા !’ કહીને જીવો મૂંગો મૂંગો થઈ ગયો. તખુભા બાપુના ભાવિ મૃત્યુ માટે સમજુબાએ યોજેલા સિફતભર્યા વ્યૂહનો ખ્યાલ આવતાં જીવો મનમાં ને મનમાં મલકાઈ રહ્યો.

‘રઘાને આપણી ખીજડિયાળી વાડીની ગંધ તો નથી આવી ગઈ ને ?’

‘રઘલાને શું, રઘલાના ડોહાના ડોહાને ય ગંધ આવે એમ નથી. પાછલી રાત્યના ટાઢા પૉ’ર સિવાય હું એાજારને અડતો જ નથી ને !’

‘તો ઠીક !’ કહીને સમજુબા ચૂપ થઈ ગયાં.

એજન્સી પોલીસે સાણસા ભીડાવ્યા ત્યારે ઈન્સપેક્ટરને રાજી કરવા ને જીવાને રીઝવવા માટે દરબારને જે ખેતરવાડી રાતોરાત ગિધાને ઘેરે ગિરવવાં પડેલાં હતાં, એ જીવાના પુનરાગમન પછી સમજુબાએ થોડા જ સમયમાં ઝમકુના ભાઈ દામજીને મુદ્દલ સાથે વ્યાજ સુદ્ધાં ચૂકવી આપીને છોડાવી લીધાં હતાં. વર્ષોથી કડકીમાં દિનગુજારો કરતા દરબાર પાસે આવડી મોટી રકમ એકસામટી આવી ક્યાંથી એ કેટલાક લોકો માટે કુતૂહલનો વિષય બની રહેલ. પણ લોકોના એવા કુતૂહલની આ કાઠિયાણીને પરવા નહોતી, એણે તો એ વાડીખેતર બંને જીવા ખવાસને જ ખેડવાને બહાને સોંપી દીધાં હતાં. એ ખેતરવાડીના ગેબી વાતાવરણમાં અદમ્ય મહત્વાકાંક્ષી આ ભારાડી સ્ત્રીએ એક ભેદી પ્રવૃત્તિ શરૂ કરી હતી.

રઘાના હૃદયમાં હમણાં હમણાં જે સુભગ પરિવર્તન થઈ રહ્યું હતું એનાથી સાવ વિપરીત પ્રક્રિયા સમજુબાના ચિત્તમાં ચાલી ​ રહી હતી. રઘાની કઠોર અને શુષ્ક હૃદયસૃષ્ટિ જ્યારે ગિરજાપ્રસાદના આગમનથી પ્રેમઝરણાં વડે પ્લાવિત થઈ રહી હતી ત્યારે સમજુબાનું સ્નેહઝરણું શાદૂળની જનમટીમ પછી સુકાવા લાગ્યું હતું. દિવસે દિવસે એમની મુખમુદ્રા રુક્ષ બનતી જતી હતી, એમના હૃદયનો નૈસર્ગિક વાત્સલ્યભાવ પ્રચ્છન્નપણે વૈરભાવમાં પલટાઈ રહ્યો હતો. જે સમાજમાં પોતાને સાચા માતૃત્વથી વંચિત રહેવું પડેલું, પોતાની પુત્રેષણા સંતોષવા માટે છળકપટ આચરવું પડેલું, એ સમાજ ઉપર વેર લેવાનું એક દુર્દમ્ય ઝનૂન એમનામાં ઉભરાઈ રહ્યું હતું,

આ ઝનૂનથી પ્રેરાઈને જ તો એમણે જીવાને આદેશ આપ્યો :

‘મારા મારગમાંથી રઘલાનો કાંટો કાઢ્ય !’

‘કાઢી નાખું... તમારા કીધા ભેગો જ કાઢી નાખું !’

‘માંડણિયાનો કેસ કે’દિ હાલવાનો છે ?’

‘અજવાળી તીજની તારીખ પડી છે’

‘તે દિ રઘલો શાપર જવાનો છે ?’

‘પંચનો સાક્ષી થ્યો છ, એટલે ગ્યા વિના છૂટકો થોડો છે ?’

‘એને શાપર જાતો રોક્ય, જીવા ! ગમે ઈમ કર્ય, પણ રઘલાને શાપર જાતો રોક્ય !’

‘ભલે, બા !’


* * *

સમજુબાને મોઢેથી આદેશ લઈને આવેલા જીવાએ ‘ઘા ભેગો ઘસરકો’ કરી લેવાનો દાવ યોજ્યો. ઠકરાણાં પણ પ્રસન્ન થાય અને ગામમાંથી પોતાનો એકમાત્ર હરીફ પણ નષ્ટ થાય એવી એણે યોજના કરી. એક વેળાના આ બંને મળતિયાઓ હવે સામસામી છાવણીમાં મોરચા બાંધીને બેઠા હતા. સંતુની સતામણી માટે અને શાદૂળની સલામતી માટે ભૂતકાળમાં જીવાએ જ સૂચવેલું, દાવ આવ્યે સોગઠી ​મારવાનું સોનેરી સૂત્ર જીવાએ એ સૂત્રના સર્જકની સામે જ અજમાવ્યું.

ભાદરવાની અજવાળી ત્રીજે રઘો શાપરની અદાલતમાં માંડણની વિરુદ્ધ જુબાની આપવા જાય એ પહેલાં જ શ્રાવણના છેલ્લા સોમવારની રાતે જીવાએ ભાડૂતી માણસો રોકીને રઘા ઉપર ઘા કરી લીધો હતો. પોતે પડદા પાછળ રહીને એવો તો સરસ નુસખો અજમાવ્યો હતો કે કોઈ ઉપર સીધો આરોપ ન આવી શકે, કોઈ એક જ વ્યક્તિ ઉપર ફોજદારી ન થઈ શકે, રઘો મરે નહિ પણ અપંગ થઈ જાય અને અંબાભવાની હંમેશને માટે બંધ થઈ જાય. સાપ મરે નહિ, લાકડી ભાંગે નહિ, અને છતાં અપેક્ષ્ય હેતુ પૂરેપૂરો સિદ્ધ થઈ જાય એવો આ વ્યૂહ આબાદ સફળ થયો હતો.

આખેઆખો વઢાઈ જાય તો ય ઉંકારો ન કરે એવો રઘો મૂઢ મારની વેદનામાં નાના બાળકની જેમ બોકાસાં પાડી રહ્યો હતો એ જોઈને ઈશ્વરગિરિની આંખમાં આંસુ આવ્યાં.

ટપુડો એનાં ઓજાર લઈને આવી પહોંચ્યો એટલે હાદા પટેલે એને ખખડાવ્યો :

‘એલા, ખરે કટાણે ક્યાં સંતાઈ ગ્યો’તો ?’

‘બજારમાં બઘડાટી બોલી, એટલે મારી વવે કીધું કે ખવીસો ગામ ભાંગે છે. મને શી ખબર્ય કે રઘાબાપાનું માથું રંગાઈ ગિયું હશે ?’

ટપુડાએ હળવે હાથે રઘાના કપાળમાંથી કાચની કણીઓ કાઢવા માંડી ત્યારે એ વયોવૃદ્ધ માણસના મોઢામાંથી પણ જે કાળી ચીસ નીકળી ગઈ એ સાંભળીને અડખેપડખે ઊભેલાં સહુનાં હૃદય પીગળી ઊઠ્યાં :

‘અરરર ! આ તો ધરમીને ઘરે જ ધાડ પડવા જેવું થ્યું !’

‘રઘાબાપાને તો ભોંયમાંથી ભાલાં ઊગ્યાં...’ ​‘બચાડા જીવ આ પારકા છોકરાને પોતાનો ગણીને માંડ પગ વાળીને બેઠા’તા એમાં આ ઉપાધિ આવી પડી—’

‘ગામનાં માણહ અદેખાં કાંઈ અદેખાં ! કો’કના સુખના રોટલામાં પાણો ફેંકવામાં જ શૂરાપૂરા !’

ટપુડાએ રઘાનો જખમ સાફ કરીને એમાં બાળેલું રૂ ભર્યું એ દરમિયાન હાદા પટેલ અને બીજાંઓએ મળીને રસ્તા પર પડેલો હૉટલની ઘરવખરીનો ભંગાર અંદર સારવા માંડ્યો હતો. એમને રઘાએ વાર્યા :

‘ઠાલો દાખડો રે’વા દિયો. ઘરમાંથી બાર્ય નીકળ્યું અને હવે ઘરમાં ઘાલવું રે’વા દિયો.’

રઘાની સૂચનાને અવગણીને લોકો બહારથી અંદર સામાન સારતાં રહ્યાં, અને રઘો સ્વગતોક્તિઓ ઉચ્ચારતો રહ્યો :

‘આજથી આ હૉટલનો ચૂલો ફરીથી નહિ સંધરૂકાય. ઘણા ય દિ’ મેં ગામને ચા પાઈ... હવે ગામ હાર્યે મારી લેણાદેણી પૂરી થઈ લાગે છે... આ ધરતીમાંથી મારાં અંજળપાણી ઊઠી ગ્યાં છે...’

અને પછી જીવા ખવાસ જોડેના પોતાના સંબંધો અંગે થોડું આત્મનિરીક્ષણ કરવા માંડ્યું :

‘મારા હાથનાં કર્યાં જ આજે હૈયે વાગ્યાં... જીવલાને મેં જ મોટો ભા કરી મેલ્યો’તો... ઈ મારું દૂધ પીને ઊઝરેલો મને જ ડંખ્યો... મારાં આંહીંનાં કર્યાં આંહીં જ ભોગવવા પડશે.’

ઈશ્વરગિરિએ સૂચન કર્યું : ‘જીવા ઉપર ફોજદારી માંડો.’

‘ના રે બાપુ ! જીવલાને દંડીને ય હવે મને કયો ફાયદો થાવાનો હતો ? ઊલટાનું એના મનમાં ઝેર વધશે.’



* * *


પોતાનો દાવ આબાદ પાર પડ્યો હોવા બદલ જીવો આનંદી રહ્યો. રઘાએ ‘અંબાભવાની’ બંધ કરી દીધી – વળતે દિવસે એણે ​ભાંગેલા ચૂલાની જગ્યાએ નવો ચૂલો ગોઠવ્યો જ નહિ અને બધી ઘરાકી સીધી રામભરોંસેને સોંપી દીધી એથી જીવાને વિશેષ આનંદ થયો. પોતા ઉપર થયેલા હુમલા બદલ અને હૉટલને થયેલી નુકસાની બદલ એણે ફરિયાદ નોંધાવવાની ના પાડી તેથી જીવાના આનંદની પરિસીમા આવી રહી.

પણ જીવાને કમનસીબે એક બાબતમાં એની ગણતરી ખોટી પડી. ઘવાયેલો રઘો હવે અજવાળી ત્રીજને દિવસે માંડણના ખટલામાં પંચના સાક્ષી તરીકે જુબાની આપવા નહિ જાય, એવી ધારણા સાચી ન પડી.

રઘાએ જાહેર કર્યું : ‘હું તો ગાડે બેહીને ય શાપર પૂગીશ.’

જીવાએ ત્રાહિત માણસો મારફત ગર્ભિત ધમકીઓ પાઠવી :

‘ખેર નહિ રહે—’

‘જાન જોખમાઈ જશે—’

‘અટાણે સૂળીનું સંકટ સોઈથી ટળ્યું છે – ભામણ જાણીને તને જીવતો રેવા દીધો છે. પણ હવે ભલીવાર નહિ રહે—’

‘જુબાની આપવા ગ્યો છો તો તારા હાલ પણ ગોબર જેવા થાશે, ને અમને ભ્રમહત્યાનું પાતક ચડશે—’

પણ આવી ધમકીઓ મળતી ગઈ તેમ તેમ તો રઘો વધારે કૃતનિશ્ચય બનતો ગયો.

‘હવે તો જિંદગીને જોખમે પણ શાપર જાવાનો... ગામની વહુદીકરી ઉપર ખોટા આળ ચડતાં હોય તંયે મારા હોઠ સીવી રાખું તો મને પાતક ચડે..... સંતુ એકલા ટીહા વાગડિયાની જ દીકરી નથી, ગામની દીકરી છે. સતી - જતિનાં શીલની ૨ખ્યા કરવી ઈ તો અમારો ધરમ છે... હું મારો ધરમ ચૂકું તો મારું ભ્રામણનું ખોળિયું લાજે...’

રઘાની આ ગર્વોક્તિઓ સાંભળીને છેડાઈ રહેલા જીવાએ ​આખરે છેલ્લી કક્ષાની ધમકી મોકલી :

‘બવ વાયડો થ્યો છે. તો ભૂંહી નાખીશ.’

આથી તો રઘો જીવ પર આવ્યો. એણે સામું કહેણ મોકલ્યું :

‘ભડનો દીકરો હો તો આવી જાજે પડમાં, એટલે એકબીજાનાં પાણી માપી લઈએ.’

જીવાનો મિજાજ ગયો. કહેરાવ્યું :

‘મારી સામે ઉફ કરશ ? ફૂંકી મારીશ !’

જુવાનીમાં આખા હિંદી મહાસાગરનાં પાણી ડહોળી વળેલ અને આદનથી અસમારા સુધીનાં સફરી જહાજોને ત્રાહી ત્રાહી પોકારાવી ચૂકેલ શકરા જેવો શિકારબાજ રઘો એમ શાનો ગાંજ્યો જાય ? એણે કહેરાવ્યું :

‘મને મારી નિશાનબાજીની પરીક્ષા કરવાનું મન થયું છે. ભરી બંદૂકે પડમાં આવી જા !’

અંબાભવાનીમાંનાં તોફાન, હુમલા વગેરે બધું ઘડીભર ભુલાઈ ગયું અને ગામલોકો આ બંને હરીફો વચ્ચેના વાગ્યુદ્ધમાં જ રસ લઈ રહ્યાં. ગોબરની હત્યા, માંડણનો કારાવાસ કે સંતુનાં કલંકો કરતાં ય આ શાબ્દિક દ્વંદ્વયુદ્ધ વધારે ઉત્તેજક બની રહ્યું.

જીવાએ દલીલ કરી :

‘તારી જનોઈના તાંતણાની મને દયા આવે છે.’

‘લે, આ ઉતારી નાખ્યા ત્રણ તાંતણા !’ રઘાએ પડકાર કર્યો ‘મરદનો દીકરો હો તો મોળાં ઓસાણ લાવીશ મા.’

અજવાળી ત્રીજની આગલી રાતે લોકો અદ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યા. રઘો જિંદગીનું જોખમ ખેડીને તાલુકાની કોર્ટમાં જુબાની આપવા જાય છે કે નહિ ?

જીવો તો ક્યારનો પ્રચાર કરી રહ્યો હતો કે રઘાએ ગભરાઈ જઈને શાપર જવાનું માંડી વાળ્યું છે. પણ રઘાએ તો સહુને ​આંગળાં કરડતાં કરી મૂક્યાં. પોતે હાથે, પગે ને માથે ઘવાયેલો હોવાથી એક ડગલું ય ચાલી શકે એમ નહોતો. તેથી એણે રાતોરાત જુસ્બા ઘાંચીને બોલાવીને એનો પાલાવાળો રેંકડો બાંધી લીધો. સવાર પડતાં જ એ રેંકડામાં જ સૂતો સૂતો શાપરના પંથે પડ્યો.

જતાં જતાં પાદરમાં ઊભેલાં માણસોને એ કહેતો ગયો :

'સંતુને માથેથી કલંક ભૂંસવા હું ન જાઉં તો મારું જીવતર લાજે !’

*