વનાંચલ/પ્રકરણ ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૩)

આ પ્રદેશની પ્રજાને મન થાણું એટલે યમસદન ને સરકારી અમલદાર એટલે જમડા. એમની નજરે ચડવાનું એ બને તેટલું ટાળે. આદિવાસી જંગલમાં નિર્ભયતાથી રહે, વાઘ-વરુનો એકલે હાથે સામનો કરે, અંદર અંદર ઝઘડો થતાં સામાને ઝટકાવી નાખતાં વિચાર ન કરે પણ ખાખી ડગલી(સરકારી નોકર) જુએ કે થરથર કંપે. આ અસલ લડાયક બહાદુર પ્રજા આટલી રાંક, ડરપોક કેવી રીતે બની ગઈ હશે, એમની ઉપર શી શી આસમાની સુલતાની વીતી હશે તેનો ઈતિહાસ તો મળે ત્યારે. અત્યારે તો તેઓ વેઠ કરે છે, ભૂલેચૂકે થાણે આવી ચડે તો અમલદારો એમને વગર કારણે આખો દિવસ બેસાડી રાખે છે, પાણી ભરાવે છે, લાકડાં કપાવે છે. એમની ને એમની સ્ત્રીઓની છડેચોક સતામણી ને સારાં માણસથી સાંભળી પણ ન શકાય એવી ગંદી મશ્કરીઓ કરે છે. ગાળો દે છે. આવા વેઠત્રાસથી તો બિચારી આ પ્રજા દવાખાનું થાણામાં હોવાથી દવા લેવા પણ નાછૂટકે જ આવે છે. આજુબાજુનાં ગામોના કોળી, ધારાળા, બારૈયા આદિ કોમના અફીણના બંધાણીઓ અમારે ત્યાં આવે ને કગરે : ‘મહારાજ, અફેણ લાવી આપોને. અમે જઈશું તો પાછા દાણી દહાડો બૂડતાં લગી બેસાડી રાખશે કે કામે વળગાડશે ને અમારું ખેતરનું કામ ખોટી થશે.’

એક દાણીને તો એવી ટેવ કે સવારમાં ચા પીને બીડીની એક જૂડી ને માચીસ લઈને ગોઠ બાજુ નીકળી પડે. અમારે ઘેર કે પછી ગણપતરામને ઘેર બેસી ગપાટા મારે ને નિરાંતે જમવાની વેળાએ પાછા થાણામાં એમને ઘેર પહોંચે; જમીને વળી પાછી એ જ દિનચર્યા! દાણી અફીણ, ભાંગ, ગાંજો, રાજ્ય તરફથી વેચવાનું કામ કરે ને પરહદમાં અનાજ કે બીજી ચીજવસ્તુઓ લઈ જવી હોય તો દાણચિઠ્ઠી ફાડી આપે. એવી મહત્ત્વની ફરજ આ અમલદાર ઑફિસમાં તો નહિ જ, ઘેર બેઠાંય નહિ, પણ પરઘેર બેઠાં જ બજાવે! તેઓ ગામમાં હોય ને જો કોઈ એમને શોધવા આવી ચડે તો પહેલાં તો એને ખાસ્સી મોટી એક ગાળ મળે, ‘કેમ પટ્યોલ, ઘોડો લઈને આવ્યો છે?’ હાળાં ટકાનાં તેર તે પાછાં અહીં ગામમાં દોડયાં આવે છે! હું અફીણ અહીં સાથે લઈને ફરું છું? હાળાં કોળી ને ડોળી તો પીલ્યે જ પાધરાં થાય; જા, બેસ થાણે જઈને, ને ઘોડે ચડીને આવ્યો હો તો હેંડવા માંડ્ય.’ પેલો આવું સાંભળીને થાણામાં પાછો જાય. દાણીસાહેબ પોતાની સત્તા ને મિજાજનો થોડો મહિમા યજમાનને સંભળાવી કશી ઉતાવળ ન હોય એમ ઠંડે જીવે થાણે જવા નીકળે.

એક ‘જંગલી ફોજદાર’(રેન્જ ફૉરેસ્ટ ઑફિસર)ના મનમાં થાણાથી નદી સુધીના રસ્તા ઉપર બન્ને બાજુ વૃક્ષો ઉગાડવાનો તુક્કો ઊઠ્યો. પછી તો માત્ર જીભ હલાવવાની જ વાર, હુકમો છૂટ્યા ને લીમડા, વડ, આંબા ને રાયણના રોપ રોપવામાં આવ્યા, આસપાસ વાડોલિયાં પણ તૈયાર થઈ ગયાં. થાણામાં જે આદિવાસીઓ આવે તેમને હુકમ થાય : ‘જાઓ, નદીએથી પાણી ભરી લાવો ને ઝાડમાં રેડો.’ કેટલી વાર સુધી આ કામ કરવાનું, ક્યારે છૂટા થવાનું, ક્યારે ગામ પાછા ફરવાનું : કશું પૂછવાનું નહિ; પૂછવાની હિંમત જ ક્યાંથી લાવે? એ તો વળી અમલદારના દિમાગમાં વાત ઊતરે ને દિલમાં રામ જાગે તો બે-ચાર ગાળો સાથે ઘેર જવાની રજા આપે : ‘જાવ હાળા, ઘેર મરો, ઢોર જેવા.’ ઉનાળાના બળતા બપોરે ઉઘાડે પગે ને ઉઘાડે શરીરે મોટાં મોટાં માટીનાં માટલાં ખભે મૂકીને જતા એ લંગોટિયા આદિવાસીઓને મેં મારા વાડામાંથી જોયા છે; બાને કે દાદાને પૂછ્યું છેય ખરું : ‘ઉઘાડે પગે દઝાય નહિ?’ જવાબ મળે : ‘એમને તો ના દઝાય; એ તો ખરહાંણી(એક જાતની વનસ્પતિ)ની જાત.’ દઝાતું તો હશેસ્તો, પણ અમલદારી તાપ આગળ બાપડાઓને સૂરજનો તાપ પણ કૂણો લાગતો હશે, આઠથી પચીસ રૂપિયાના માસિક પગારવાળા આ અમલદારોની સત્તા અને ક્રૂરતા આગળ હિટલર-મુસોલિની પણ પાણી ભરે.

અહીં કોઈ કજિયો લઈને આવે તો તેનો ફેંસલો માર મારીને કરવામાં આવે છે; દંડાનો જ ન્યાય ચાલે છે. અમલદાર સામે ફરિયાદ કરવાની કોઈની હિંમત નથી ને એવી ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી. દરેક ખાખી ડગલીવાળો માણસ એક રાજા છે. એ તમારાં મરઘાં-બકરાં માગે તો તમારે આપવાં પડે; એ તમારા ઘરમાંથી અનાજ લઈ જાય ને ઉપરથી બે ગાળ કે દંડામાર દઈ જાય તો તમારે મૂંગે મોઢે સહન કરવાનું; તમારી સ્ત્રી, બહેન કે દીકરીની લાજ લૂંટે તો તમારે લાચારીથી જોઈ રહેવાનું. રાજા શિકાર કરવા નીકળે તો ઘરના રોટલા બાંધીને જંગલમાં ‘હાકો’ કરવા જવાનું. (વાઘ જેવા પ્રાણીને શિકાર કરવાના અનુકૂળ સ્થાન સુધી લાવવા માટે જંગલમાં અનેક દિશામાંથી માણસો એકસામટા બૂમો પાડતા દોડે તેને ‘હાકો’ કહેવામાં આવે છે.) રાજ્યના રાજા કે દીવાન મહાલના કોઈ સ્થાને મુકામ નાખવાના હોય તો દેવગઢબારિયાથી તે સ્થાન સુધીનો રસ્તો આજુબાજુના ગામલોકોએ તૈયાર કરવાનો. અહીં દમન એ જ કાયદો છે, ભયંકર અન્યાય ને અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે.

સાચના બે શહીદોનો એક પ્રસંગ યાદ આવે છે. એક વાર થાણામાંથી ભરણાની રકમ ઊપડી ગઈ; હશે પાંચસો-છસો રૂપિયા. ચોરીની ફરિયાદ પાટનગર પહોંચી. સરકારી રકમની ચોરી એટલે જ સત્તાવાળાઓને મન ગંભીર બાબત. પોલીસવડા યારમહમ્મદને તપાસ માટે મોકલવામાં આવ્યા. એમણે રાજગઢ થાણામાં મુકામ નાંખ્યો. યારમહમ્મદની બાહોશી વખણાય, એ ચોરી ન પકડી શકે એવું બને જ નહિ એવી એમની છાપ. આ છાપ કાયમ રાખવા ને દૃઢ કરવા એમણે કમર કસી. બીજે જ દિવસે શક પરથી બે માણસોને પકડવામાં આવ્યા : એક ગોઠ ગામના નાનિયાને (એ કોઈ કામ અંગે ચોરીના બનાવ વખતે થાણે આવેલો એટલે) ને બીજા ઘોઘંબાના, પટાવાળાની નોકરી કરતા રામલાને. બન્નેને પહેલે દિવસે હેડમાં પૂર્યા. એમણે ગુનો કબૂલ ન કર્યો. બીજે દિવસે એમને એક ઓરડીમાં પૂરીને મારવા લીધા. છાતી ઉપર ચડી બેસી મોં ઉપર મુક્કા મારે. નાગા કરી ગુદાના ભાગમાં લાતો મારે, છાતી ઉપર લાઠી મૂકી બે છેડે બે જણા બેસે; અંગૂઠા પકડાવી પીઠ ઉપર ઈંટો મૂકે, દંડા ફટકારે; પોલીસના ફળદ્રુપ ભેજામાં યાતના આપવાની જે કોઈ યુક્તિ સૂઝે તે અમલમાં મૂકવામાં આવે, પણ આ બે જુવાનોએ ગુનો કબૂલ ન કર્યો તે ન જ કર્યો. એમનો એક જ જવાબ હતો : ‘અમે લીધા નથી પછી ચેમ કરીને હા કહીએ?’

એક બપોરે નાનિયો ઉતાવળે પગલે અમારા ઘર આગળથી થાણામાં જવા નીકળ્યો. બાને થયું કે લાવો પૂછીએ તો ખરાં કે શું કરે છે, ‘કેમ નાનભઇ’ કહ્યું એટલે એ ઓટલે ચડ્યો. ‘હારું બા.’ ‘અલ્યા ત્યાં શું કરે છે, થાણામાં?’ ‘અરે બા, વાત જ જવા દો, પૂરવ જનમનાં પાપ હશે તે ભોગવવા વારો આવ્યો, નકર(બાકી) આ જનમારે તો અધરમ નથી કર્યો. બે વાર ખાવા છોડે છે; ઘેર રોટલા ખાવાના અને થાણામાં માર ખાવાનો.’ બાની નજર એના મોં પર ગઈ એટલે તરત નાનભાઈએ કહ્યું : ‘આ જુઓને બા, કાલે એવી ઝાપોટ મારી કે મારા આ બે દાંત પડી ગયા; જુલમનો પાર નથી; હશે, કરમના લેખ ભોગવ્યા વગર છૂટકો નથી.’ બાને દયા આવે છે, એ કહે છે : ‘પણ તું હા કહી દેને, એટલે આ મારપીટ તો બંધ થઈ જાય.’ ‘એવું તો ચેમ કહેવાય બા, લીધું ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય? એક તો આબરૂ જાય ને પાછા જૂઠું બોલી ભગવાનના ગુનેગાર થઈએ એ જુદું. એ પાપમાંથી કયે ભવ છૂટીએ પાછા? જે નસીબમાં હશે તે થશે.’

ઈસુને વધસ્તંભે જતા મેં ચલચિત્રમાં જોયા છે; લોકોનાં પાપ ખાતર શહીદી સ્વીકારનાર એ સંતના વદન પરથી કરુણાની ધારાઓ રેલાતી જોઈ છે; પણ શૈશવમાં જોયેલું નાનિયાનું મુખ ભુલાતું નથી. એ ઉતાવળી, ધરતી ધ્રુજાવતી ઉઘાડા પગની ચાલ, એ કપાળ ઉપર હીંચકા ખાતા વાંકડિયા વાળ, એ વૃષસ્કંધ પડછંદ શરીર, સત્યને ખાતર રોજ રોજ નિયમિત થાણે હાજર થઈ અમાનુષી માર ખાવાની એની ધીરતા-દૃઢતા, ‘લીધું ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય?’ એવાં એનાં સત્યાગ્રહ-વચનો : આ બધાંએ મારા શિશુચિત્તમાં સાચના એક શહીદની મૂર્તિ સ્થાપી દીધી છે. નાનિયાનું શરીર મજબૂત તે મારનાર હાર્યા ને આખરે એને છોડી મૂક્યો. પણ પેલો રામલો, પહેલેથી જ નાજુક ને ભાંગેલા શરીરનો, પાતળો સળેકડા જેવો તે એનાથી કેટલું સહન થાય? એક સવારે વાત આવી કે રામલો કોટડીમાંથી રાતોરાત ભાગી ગયો! પોલીસે તો નહિ પણ સગાંવહાલાંએ શોધખોળ કરી મૂકી, છતાં એનો પત્તો ન મળ્યો. એ જ તો છે રજવાડાંના રાજકારણની ખૂબી! રામલાને અતિશય માર મારતાં તે મરી ગયો ને રાતોરાત એના શરીરને વગે કરી દેવામાં આવ્યું. (લોકવાયકા પ્રમાણે થાણાની કોટડીમાં જ દાટી દેવાનું આવ્યું.) બિચારો રામલો! ત્રાસથી નાસી તો ગયો, પણ આ દુનિયામાં નહિ, બીજી દુનિયામાં. યારમહમ્મદે પછી ભીનું સંકેલ્યું, મુકામ ઊઠી ગયો. એ ચોરી પકડાઈ કે નહિ તે યાદ નથી. યાદ છે માત્ર બે કહેવાતા ચોરોની સાચ માટેની શહીદી.

નાનભાઈ હયાત છે; અમારાં બ્રાહ્મણોનાં ઘરનું પાણી ભરે છે ને ખેતી પણ કરે છે. દસેક વર્ષ પર મળ્યો હતો. એ જ તેજીલી ચાલ. હું નદીએથી આવતો હતો, એ નદીએ પાણી ભરવા જતો હતો. ‘કેમ બચુભાઈ, ચ્યાણે આયા(ક્યારે આવ્યા)?’ એણે ભાવથી પૂછ્યું. ‘આજે જ.’ મેં કહ્યું. ‘તમે તો કાંઈ આ મલક જ છોડી દીધો! બાપનું ગામઘર છોડાય કે!’ જાણે ઠપકો આપતો હોય એમ કહે. ‘ભાઈ, કમાવા તો બહારગામ જવું જ પડે ને? પણ તમારું કેમ ચાલે છે? સુખી તો છો ને?’ મેં કહ્યું. ‘મોટા, તમારા આશરવાદથી સુખી તો છીએ; પણ આ લડાઈ ચ્યાણે(ક્યારે) બંધ થશે? મોંઘવારીમાં મરી ગયા.’ આશાભરી નજરે જવાબ સાંભળવા એ મારી સામે તાકી રહ્યો. મેં ખિન્ન સ્વરે કહ્યું : ‘નાનભાઈ, લડાઈ તો ક્યારનીય બંધ થઈ ગઈ. આપણે ત્યાં હવે ‘સવરાજ’ આવી ગયું, આપણું રાજ થઈ ગયું.’ ‘હેં! તારે પછી આ મોંઘવારી શાની છે? ગાંધી માતમાના રાજમાં તો કહે છે કે બધાંને રોટલો-લૂગડાં ભરપટ્ટે મળવાનાં હતાં!’ જાણે મારી વાત રમૂજ હોય તેમ કંઈક અવિશ્વાસથી એ મારી તરફ જોઈ રહ્યો. મને એનામાં રહેલો પેલો સાચનો શહીદ દેખાયો. થોડી મૂંઝવણ પછી મેં હસતાં હસતાં કહ્યું : ‘એ તો બધું ધીરે ધીરે બને, ટીપે ટીપે સરોવર ભરાય, સરકારના કાયદા ફરતાંય વાર તો લાગે ને?’ ‘હાસ્તો બચુભઈ, લ્યો હેંડો તારે, કરમના ખેલ છે બધા.’ કહી એ તો નદી ભણી ચાલતો થયો; એનાં પગલાં વધારે વેગીલાં લાગતાં હતાં; કદાચ ‘સવરાજ’ના ઊજળા દહાડાની આશામાં હશે. મારાં પગલાં ધીમાં પડ્યાં; મનમાં એક પંક્તિ, સીસા જેવી ખટકતી હતી : ‘અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?’