વાર્તાવિશેષ/૪. વાર્તા, આજના વાર્તાકારોમાં : ૧૯૬૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. વાર્તા, આજના વાર્તાકારોમાં : ૧૯૬૬


ગઈકાલ અને આવતીકાલ વચ્ચે ‘આજ’ દરરોજ બદલાયા કરે છે. જેને તમે આજની વાર્તા કહેવા જાઓ એ સંભવ છે કે દસકા પહેલાંની હોય, દસકા પછીની હોય. અને એ દસકા પછીની પણ ન હોય તો એના હોવાનો અર્થ શો?

‘આજની વાર્તા’ની ચર્ચા ઉપાડવામાં એ લોભ પણ હોય છે કે ગઈકાલની વાર્તા કરતાં આજની વાર્તા આટલી આગળ છે એમ બતાવીને સંતોષ લઈએ. કોઈ વાર્તાકાર કશાક અભિનિવેશથી ‘નવી’ વાર્તા લખવા બેસે અને એનામાં સામર્થ્ય હોય તો એમ કરવાનો એને પૂરતો હક્ક હોય, તોપણ એ અશક્ય નથી કે એણે શરૂ કરેલો પ્રયત્ન દસ વર્ષ પૂર્વે કોઈના પ્રયોગમાં પરિણમી ચૂક્યો હોય. ચારેક વર્ષ પહેલાં સુરેશ જોષીએ ઉપાડેલી વાર્તામાં ઘટનાના તિરોધાનની ચર્ચામાં ભાગ લઈને નવા વાર્તાકારો સમયની સાથે હોવાનો સંતોષ લઈ રહ્યા હતા ત્યારે, વલસાડમાં થયેલા વાર્તાકાર-સંમેલનમાં મેં શ્રી જયંતિ દલાલની વાર્તાઓમાં આવું તેવું થઈ ચૂક્યું છે એમ કહેલું તે કેટલાકને વધારે પડતું લાગેલું. પણ એ ચર્ચાને અહીં પ્રસ્તુત બનાવવામાં મને રસ નથી. એવી એકાંગી ચર્ચાઓ બહુ ઓછી ઉપકારક થતી હશે. એકાદ શબ્દની ફરતી છાયામાં બેસી રહેવા જેવું છે એ, થાક્યા પછી પંખો ચાલુ કરીને એની નીચે બેસી રહેવા જેવું. ગુજરાતી ટૂંકી વાર્તા અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનાએ સમૃદ્ધ છે. નવું કરવાનો સંકલ્પ કરી બેસનાર ખોટો પડી શકે, સર્જનના ક્ષેત્રમાં શક્યતાઓ અનંત છે છતાં. એ શક્યતાઓ માત્ર પ્રતિજ્ઞા કરી લેવાથી સામે આવીને ઊભી રહેતી નથી. લેખકને એનો અભિનિવેશ તારી ન શકે, નિષ્ઠા એને ટકાવી શકે; સજ્જતા એને સમયની સાથે રાખી શકે; વ્યાપક, સ્વસ્થ અને જીવનનિષ્ઠ દૃષ્ટિ – અલબત્ત, મર્મસ્પર્શી દૃષ્ટિ એને જીવતો રાખી શકે અને અપૂર્વ વાર્તાનું એ નિમિત્ત બની શકે. જયંત ખત્રી અને જયંતિ દલાલ યાદ આવ્યા વિના નહીં રહે. સુરેશ જોષીની નોંધપાત્ર વાર્તાઓ એમના સંકલ્પો અને એમની જાહેરાતોને અનુસરેલી છે? ગમે તેમ, પણ એમની પાસેથી વાર્તા મળી અને એમની વાત પણ ચાલી. બીજી બાજુ એમની કલ્પનાપ્રચુર શૈલીની માઠી અસરના પ્રતાપે કેટલાય નવા વાર્તાકારોમાં આલંકારિક વેવલાઈ જોવા મળે છે અને નવું સિદ્ધ કરવાના દેખાવ નીચે પ્રયોગદાસ્ય અછતું નથી રહેતું. આ સ્થિતિમાંથી મુક્ત રહી શકનાર વાર્તાકારોની કૃતિઓને આસ્વાદ્ય બનાવનાર લક્ષણોમાંથી બે-ત્રણ જુદાં તારવવાનો પ્રયત્ન કરી જોઈએ : (૧) ચૈતસિક સમયનો પ્રયોગ (૨) નિરૂપણરીતિમાં વૈવિધ્ય અને ઝીણવટ (૩) વસ્તુની પસંદગીમાં ખાસિયત – સ્પેશ્યલાઈઝેશન સીમિત એવા સામાજિક સંદર્ભના પહેરવેશ વિના જ રજૂ થતો માણસ ક્રમિક સમયને સ્થાને ઊલટસૂલટ એવા જ ચૈતસિક સમયમાં જીવતો નિરૂપાય છે ત્યારે એને જે સંદર્ભ સાંપડે છે તે વૈશ્વિક હોય છે. ઘટના માનસિક હોય છે ત્યારે વ્યાપકતા અને ઊંડાણ સિદ્ધ કરવાની તક ઊભી થાય છે. દેખીતા સંબંધોથી કપાઈ ગયેલો માણસ પોતાની એકલતામાં ભાવાત્મક-અભાવાત્મક એવું કોઈક સંકુલ વિશ્વ રચતો રહે છે. બાહ્ય વાસ્તવનાં સ્થિર દ્રશ્યોને સ્થાને ચૈતસિક વલયોની એક સૃષ્ટિ સર્જાતી હોય છે, જેને અવાસ્તવિક કહીને પડકારી નહીં શકાય. આ પ્રકારની વાર્તાનું બળ માત્ર એના આરંભ કે અંતમાં નહીં, સાદ્યંત હોવું જોઈએ. સ્પષ્ટ વાર્તાતત્ત્વના અભાવે પણ અનુભૂતિનું પ્રતિનિધાન હોવું જોઈએ, એમ નથી થતું ત્યાં કૃતિ વાયવ્ય રહી જાય છે અને અનુભવી વાચકો પણ ન સમજ્યાનું ગૌરવ લેવા લાગે છે. વાર્તા આમ જ લખાય એવી વ્યાખ્યા હોતી નથી, કારણ કે અનુભૂતિ આકાર પામતાં પામતાં જ વિશિષ્ટ રીતિ ઉપજાવે છે. ભાષા લેખકની, મનુષ્યને જોવાની નજર લેખકની અને છેવટે તો વાર્તા પણ લેખકની. છતાં લેખકને તટસ્થ રાખીને અનુભૂતિને વાર્તાના કર્તા તરીકે સ્થાપવાનું કારણ ઑબ્જેક્ટિવિટીના આગ્રહમાં પડેલું છે. વાર્તાકથક તરીકે ‘હું’ આવે એ રીતિ આજે વધુ પ્રચલિત બનેલી જોવા મળે છે. આ રીતિ નવલકથા કરતાં વાર્તાને ઓછી નડે છે, કારણ કે વાર્તાને નાનું ફલક અનુકૂળ નીવડે છે. ‘હું’ની નજરમાં, ‘હું’ના સંવેદનમાં સમાતી સૃષ્ટિ વાર્તા માટે નાની પડતી નથી. કહેનાર પ્રથમ પુરુષ એકવચન હોવાથી કશીક પ્રતીતિ જાગે છે, ‘આત્મીયતા’ જેવો આભાસ સર્જાય છે અને ‘હું’ જે ઝીણું ઝીણું જુએ છે તે દેખાય છે, સહ્ય પણ બને છે. ઝીણવટભર્યાં વર્ણન તો જ્યાં વાર્તાકથક લેખક હોય ત્યાં પણ મુખ્ય પાત્રની નજીક રહીને કરી શકાતાં હોય છે. આખી વાર્તા બરાબર ઊપસી ન હોય ત્યાં પણ કાળજીથી લખાયેલા પેરેગ્રાફ બચી જતા હોય છે. જુદું જ વસ્તુ લઈ આવવું, અનુભૂતિને સાંકળવા સામાન્ય વાચકને અપરિચિત એવી પરિસ્થિતિનો આધાર લેવો અને એમ કરવા માટે જરૂરી માહિતી એકઠી કરી લેવાની મહેનત કરવી એ વલણ પણ આજના વાર્તાકારમાં દેખાય છે. રજનીકાન્ત રાવળ કેટલીક વાર્તાઓમાં સ્વીકૃત પરિસ્થિતિ (સિચ્યુએશન)ને લાગતી-વળગતી માહિતી બાબતે પૂરી કાળજી લેતા લાગે છે. બક્ષીમાં તો આ વલણ છે જ. લેખકને તો સંવેદન સાથે જ નિસ્બત છે. તેથી આ કે તે વિષયનું જ્ઞાન ન હોય તોપણ ચાલે એવા વૃથા સંતોષનું સ્થાન જિજ્ઞાસા લેતી હોય એ સ્થિતિ આવકાર્ય છે. અલબત્ત, જાણકારી સંવેદનની અવેજીમાં તો પોતાનું હોય તે મૂલ્ય પણ ગુમાવી બેસે. આવાં તેવાં લક્ષણો તારવવાને બદલે સર્જાતી વાર્તા વિશે એકાદ ઉદ્ગારથી જ ચલાવી લેવું હોય તો એમ કહેવાનું ફાવે કે આજની વાર્તા ‘વાર્તા’ રહેવા માંગતી હોવા છતાં વાર્તામાંથી નીકળી જવા મથે છે, એના આરંભ અને અંતમાંથી પણ બહાર નીકળી જવા માંગે છે. જે આરંભે હોય તે પાછું મધ્યમાં દેખાય અને જે દેખાતું હોય એને બદલે ન દેખાતું જ સૂચવાતું હોય. એના વિષયવસ્તુ તેમજ એના સ્વરૂપની બધી પરિચિતતાઓમાંથી છટકી જવા મથતી વાર્તા વાચક સામે પ્રશ્નો ઊભા કરે છે – આ કયા દેશની વાર્તા છે? કયા સમયની, કેટલા સમયની? સ્વપ્નની વાત છે કે સૂર્યના પ્રકાશ નીચેની? તો આ અનાવસ્થા, આ અ-ગતિનો લય, આ વળી કવિતા જેવું કંઈક તો આ વળી અર્થશૂન્ય અવાજો – નવા નવા અંધકાર – વિરામચિહ્નો વિનાના, વાક્યોમાં વિભાજિત ન થતાં કેવળ આછાં આછાં અંધકારમાંથી પસાર થતા અવાજો – અર્થરહિત સ્મૃતિઓ પ્રબોધ પરીખની એક વાર્તા (‘કૃતિ’ના વાર્તા અંકમાં) વાંચતાં લાગેલું કે આ ન લખાયેલી રીતે લખાઈ રહી છે. ‘ન તત્ર સૂર્યો ભાતિ’ની વાર્તાઓમાં લેખક વિરામનું એક ચિહ્ન દેખાવા દીધા વિના શાંત ગતિમાં વહેવા પ્રયત્ન કરે છે. લેખકને જાણે કે મંદ્ર સપ્તકથી પણ નીચેના સપ્તકમાં ઊતરીને વહેવું છે. હા, હજી એમના શબ્દો જાણીતા રહી જાય છે. ‘વધુ ને વધુ સુંદર’ની વાર્તાઓમાં કેટલાક પેરેગ્રાફ સ્મૃતિઅંકનની દૃષ્ટિએ યાદ રહી જાય. સરોજ પાઠકની ‘ચકિત’, ‘વ્યથિત’, ‘ભયભીત’ જેવી વાર્તામાં વય પામતી કન્યાની મનઃસ્થિતિનું આલેખન ગમે, ધીરુબહેન, સુહાસ ઓઝા અને હવે સુવર્ણામાં સ્ત્રીપાત્રની આસપાસ રચાતી વાર્તાઓમાંથી જે ગમે તે વિશે વિચારતાં પણ એક પ્રશ્ન થાય – લેખક ન જ આપી શકે એવો અનુભવ લેખિકા પાસેથી કેમ મળતો નથી? અભિનયમાં તો અભિનેત્રીઓ એવી પ્રતીતિ કરાવી જાય છે કે આ અભિનય એ જ કરી શકે. આ વળી બીજી જ વાત નીકળી. અત્યારે દસથી પણ વધુ વાર્તાકારોના નામ યાદ આવે છે, જેમણે છેલ્લાં ચાર – પાંચ વર્ષથી લખવું શરૂ કર્યું છે, એમાંથી તુરત યાદ આવે એમને વિશે એક – એક વાક્ય લખું. ‘મધુ રાય વાર્તામાં ઠીક ચાલતા હતા, હમણાં હમણાં એ ‘હાર્મોનિકા’ જેવું નામ પાડીને કૂદાકૂદ કરવા લાગ્યા છે, નૃત્ય ન ફાવે ત્યાં સુધી એ અખતરા અને ખતરા બેઉમાં રહેવાના.’ ‘નલિન રાવળ ચીપી ચીપીને વાક્યો કરે છે, ઉપમાઓ યોજે છે, પણ સંવેદનનો તંતુ સાચવી રાખે છે. રાધેશ્યામ પાસે ભાષા છે.’ ‘રાવજીની વાર્તાઓમાં કોઈ મોટી કરામત નથી, અભિનિવેશ તો નથી જ. કેમ ગમે છે એની વાર્તાઓ? અનુભૂતિ છે માટે?’

૧૯૬૭