વાર્તાવિશેષ/૭. પાંચ વાર્તા, ચાર તબક્કા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭. પાંચ વાર્તા, ચાર તબક્કા


‘બુદ્ધિવિજય’, ‘જગમોહને શું જોવું?’, ‘કમાઉ દીકરો’, ‘થીગડું’, ‘તમે આવશો?’

૧. ગુજરાતી ટૂંકી વાર્તાના પ્રથમ તબક્કામાંથી રા. વિ. પાઠકની ‘બુદ્ધિવિજય’ વાર્તા જોઈએ. એક વ્યક્તિનો સમગ્ર જીવનપટ આલેખવા છતાં જીવનચરિત્ર જેવી બની જવાના જોખમમાંથી વાર્તા બચી ગઈ છે. મહત્ત્વાકાંક્ષી મનનું ઊંડું અધ્યયન લેખકે વ્યક્ત કર્યું છે. પાત્રના કરુણ અંતમાં વાર્તાની ધરી છે. દીક્ષા પામતાં બુદ્ધિવિજય બનેલા જિનદાસના જન્મથી એના અંતકાળ સુધીની અવધિમાં લેખકે નાના નાના અનેક પ્રસંગ મૂક્યા છે. પોતાના વિશેની સભાનતા પામ્યા પછી બુદ્ધિવિજયના મનમાં લેખકે અનેક ભરતી-ઓટની સૃષ્ટિ ઊભી કરી છે. આકાંક્ષાઓને લીધે બુદ્ધિવિજયમાં માનવતાને સ્થાને અસ્મિતા ખીલી છે. તપને બદલે એ પ્રતાપનો ઉપાસક બને છે. ધર્મનો પ્રચાર પણ એની કીર્તિની સ્થાપના પર અવલંબતો હોય એવું એને લાગે છે. જ્યોતિષનો એનો અભ્યાસ અને રાજકુમારનો રંગ બદલવાનો પ્રયોગ એની ધર્મનિષ્ઠા સાથે સંગત હતો કે નહીં એ તો એના ગુરુએ કહેલું, એના વ્યક્તિત્વનો એ એક અવિભાજ્ય અંશ છે એ વાચક કહેશે.

આચાર્ય તપોવિજયજીએ જિનદાસને માંગી લીધેલો, પણ ‘તપ્ત કંચન જેવી જેની કાયા હોય તે મનસ્વી હોય અને સ્ત્રીઓને પ્રિય હોય’ એવી માન્યતાને કારણે જિનદાસને દીક્ષા આપવી કે કેમ એ અંગે વિમાસણ અનુભવેલી. સગપણ અને દીક્ષા વિશેની વાતો જિનદાસ સંતાઈને સાંભળે છે ત્યાં વાર્તાની ભૂમિકા રચાઈ ગઈ છે. સ્ત્રીઓને આકર્ષી શકે એવા પોતાના તપ્તકાંચન વર્ણનું અભિમાન થાય છે અને સાથે સાથે સંન્યાસ લઈને જૈન-શાસનના ધારક થવાની મહેચ્છા જાગે છે. આચાર્ય જિનદાસને વારવા માટે જ્યોતિષ તો મિથ્યાશ્રુત છે એમ કહે છે પણ એમણેય જ્યોતિષના જ્ઞાનનો ઉપયોગ કરવાનું પ્રલોભન છોડ્યું નથી અને તેથી બુદ્ધિવિજયને સાચી દિશામાં વાળવાનું એમના હાથમાં નથી.

બુદ્ધિવિજયના વ્યક્તિત્વના વિકાસ સાથે – એની વધતી પ્રતિષ્ઠા સાથે વાર્તા ગતિ પકડે છે. ‘અરધું સમજતી – અરધું નહીં સમજતી લોકજનતાએ સહસ્ર જીભે અને સહસ્ર નયને તેને રૂંવે રૂંવે સભાન કરી નાખ્યો. તેની એક – એક ક્રિયામાં કોઈ અદ્ભુત છટા દેખાવા લાગી.’ બુદ્ધિવિજયનો પ્રભાવ વધતો ગયો. રાજાએ એની તેજસ્વિતાના, ત્યાગના, સંયમના વખાણ કર્યાં ત્યારે તપોવિજયજીએ કહ્યું – ‘દેહની કાંતિનું અભિમાન શું? ભૌતિક ઉપાયોથી પણ દેહ એવો કરી શકાય!’ બુદ્ધિવિજયની આકાંક્ષાઓ ઉશ્કેરાઈ. ગુરુને પ્રસન્ન કરીને એણે ગુરુએ વાંચેલી પોથીઓ વાંચવાની છૂટ મેળવી. એક પોથીમાંથી એને ‘સુવર્ણપ્રયોગ’નાં ચાર પાનાં મળ્યાં. અહીંથી વાર્તા વળાંક લેવા લાગે છે. ગુરુ સાશંક થઈ ગયા. બુદ્ધિવિજયે શું જાણી લીધું છે તે ગુરુએ જાણ્યું. એમણે અગ્રાહ્ય પદાર્થોની પેઠે ગ્રંથોને ખાડામાં ભંડારાવ્યા. બુદ્ધિવિજયે શોક અને પશ્ચાતાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારનો વિજય પારખી ગયા.

બુદ્ધિવિજય ‘મુદ્રા’ ધારણ કરે છે! ગુરુ દ્વારા લેખક વાચકને પણ બુદ્ધિવિજયના માયાવી વ્યક્તિત્વનો પરિચય કરાવી દે છે. ગુરુએ મરતાં પહેલાં એકાંતમાં બોલાવીને કહ્યું હતું – પેલો આટવિક પ્રયોગ કદી ન કરતો. પણ બુદ્ધિવિજયે તો આગળ જતાં ફલજ્યોતિષથી સહુને ચકિત કરીને અનેક રાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. રંગ બદલવાનો પ્રયોગ કરવાની પણ એને તક મળી. અહીંથી વાર્તાનો અંત આરંભાય છે. રાજકુમારનો વર્ણ બદલવાનો પ્રયોગ સફળ થાય તો મહારાજાએ જૈન ધર્મ સ્વીકારવાનો હતો. પ્રયોગ વખતે મહારાજાએ હાજર રહેવાનું ન હતું, પણ એ હાજર રહ્યા અને રાજકુમારની પીડા એમણે જોઈ. ત્રણ ઘોડેસવારોને બુદ્ધિવિજયનું માથું કાપી લાવવા હુકમ કર્યો. પણ પછી તો પ્રયોગ સફળ થતો જણાયો. પેલા સવારોને રોકવા રાજા પોતે ઊપડ્યો... બુદ્ધિવિજય પેલા સવારોને સમજાવી રહ્યો હતો, રોકી રહ્યો હતો. ત્રીજા પ્રહર સવારોએ દૂરથી સાંઢણી જોઈ. એમણે બેબાકળા થઈ એક સાથે અનેક ઘા મારી બુદ્ધિવિજયને પૂરો કર્યો.

આ વાર્તામાં લેખક ક્યાંય સંડોવાયા નથી. ‘મુકુંદરાય’ નામની એમની વાર્તામાં એ સ્પષ્ટ રીતે અભિપ્રાય આપવા માગે છે. આ વાર્તામાં એમની કોઈ માન્યતા આડખીલીરૂપ બનતી નથી. અંતે આવતી ચમત્કૃતિ પણ કોઈ યુક્તિ પર આધારિત નથી. બુદ્ધિવિજયની કારકિર્દી સાથે વાર્તાનો અંત સંકળાયેલો હોવાથી ચમત્કૃતિ વધુ પ્રભાવક બની છે. જે બચાવવા જાય છે એને જ જોઈને મારા પોતાનું કામ જલદી પતાવે છે. બુદ્ધિવિજયનો પ્રતાપ, એની કીર્તિની કમાણી એ બધું બીજા લોકોની ગેરસમજમાં રોળાઈ જાય છે. મનુષ્યની આકાંક્ષા, કીર્તિલાલસાના પરિણામમાં નિયતિનો અંશ પણ કેવો ભળી ગયો છે! મનુષ્યજીવનના અર્થોની સંકુલતા જાગી ઊઠે છે.

આ વાર્તા પ્રસંગબહુલ છે અને બધા પ્રસંગોએ સંદર્ભ રચીને એક ગતિશીલ ઘટનાને આકાર આપ્યો છે. વાર્તામાં બુદ્ધિવિજય વૃક્ષની જેમ વિકસ્યો છે અને વિકસતું વૃક્ષ એકાએક ધરાશાયી થાય છે. ઇતિહાસનો આભાસ લેખકે ઠીક ખપમાં લીધો છે. લેખક illusion of reality – યથાર્થના આભાસ દ્વારા વાર્તાની સૃષ્ટિને પ્રતીતિજનક બનાવવા પ્રયત્ન કરતો હોય છે. એથી વાર્તા વધુ ગ્રાહ્ય બને છે. આ વાર્તાની માંડણી ક્રમબદ્ધ અને છૂપી તાર્કિકતાના ટેકાવાળી છે, છતાં લેખકની ગોઠવણી ક્યાંય ઉઘાડી પડતી નથી. બુદ્ધિવિજયનો આખો જીવનપટ, એમાં આવતા અનેક પ્રસંગો – આ બધું ધારી દિશામાં આગળ વધે છે અને વાર્તાની ગતિને પૂરક બને છે. વાર્તા સુબદ્ધ છે. શ્રી રા. વિ. પાઠકની પૂર્વે અને એમના ગાળામાં ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી અને રમણલાલ દેસાઈએ ગુજરાતી ટૂંકી વાર્તાને લોકપ્રિય સાહિત્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠિત કરવામાં ઘણો ફાળો આપ્યો. જીવનના સંસ્કાર અને વિકાસમાં જે તત્ત્વો અને ભાવ વાર્તાકારોને ઉપકારક લાગ્યાં એમનું શક્ય એટલા વૈવિધ્યથી એમણે નિરૂપણ કર્યું. પણ એમની આદર્શ-પરાયણતામાં અને રોમાન્ટિક અભિનિવેશમાં ઝાઝો ફેર નથી. એમનું પ્રદાન વાર્તાના વિષયવસ્તુની સરહદો વધારવામાં જેટલું છે એટલું વાર્તાના સંવિધાનમાં સૂક્ષ્મતાઓ આણવામાં નથી. સ્નેહરશ્મિમાં ધૂમકેતુ અને રમણલાલના પ્રકારની શક્તિઓ જોવા મળે છે.

૨. બીજા તબક્કામાં સુન્દરમ્, ઉમાશંકર, જયંતિ દલાલ, ગુલાબદાસ, જયંત ખત્રી, પન્નાલાલ, પેટલીકર આદિ વાર્તાકારોનું પ્રદાન નોંધપાત્ર છે. આ તબક્કામાં વાર્તાની ટેક્નિક તરફ લેખકો વધુ સભાન થયા છે. ગાંધીજીની હાજરીની અસર આ લેખકોની વાર્તાઓના વાતાવરણમાં વર્તાય છે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રેસિવ – પ્રગતિવાદી વલણ પણ જોવા મળે છે. આદર્શપરાયણતા આ વાર્તાકારોને ખાસ નડી નથી. તટસ્થભાવે યૌનવૃત્તિના બળનો સ્વીકાર થયો છે. માનવવ્યવહારમાં પરસ્પર ઊભી થતી ગેરસમજની ગૂંચો અનેક વાર્તાકારોએ આલેખી છે. આ લેખક તો ગામડાનું વસ્તુ આલેખે છે, આ શહેરનું – એવો ભેદ કરવો મુશ્કેલ થયો, એટલે કે સામાજિક સભાનતા પરત્વે સપાટી પરની સમગ્રતા આ ગાળામાં જોવા મળે છે. સુન્દરમ્ અને ઉમાશંકરે વાર્તા લખવી છોડી દીધી, બહુ વહેલી, તોપણ એમની શક્તિઓ રા. વિ. પાઠકની કક્ષાની છે એવી પ્રતીતિ કરાવતી વાર્તાઓ એમના સંગ્રહોમાંથી મળી આવશે. સુન્દરમ્ એક લસરકે વાર્તા લખતાં હોય એવું લાગે, પ્રત્યક્ષીકરણની શક્તિ એમને ખૂબ ખપ લાગી છે. વાર્તા લખવા એમને એની રીતિની શોધ કરવા જવું પડ્યું ન હોય એવું લાગે. ઉમાશંકરે અનેક રીતે વાર્તા લખી છે. બંને મોટા સર્જક છે એની ખાતરી એમની ભાષા કરાવે છે. સુન્દરમ્ની ‘માને ખોળે’ અને ‘માજા વેલાનું મૃત્યુ’ અને ઉમાશંકરની ‘મારી ચંપાનો વર’ અને ‘ગુજરીની ગોદડી’ વાર્તાઓમાં સિચ્યુએશન્સનો – ભાવ-પરિસ્થિતિઓનો ઉપયોગ કરવા બાબતે, મનોભાવોની ગતિવિધિના નિર્ભેળ, નિર્ભીક વર્ણન બાબતે અને અભિવ્યંજનાશક્તિ ધરાવતી ભાષા બાબતે એમનું પ્રદાન નિર્વિવાદ છે. ગુલાબદાસ, પન્નાલાલ અને પેટલીકરની સૂઝ પોતાના કથયિતવ્યને પ્રાસાદિક રીતે રજૂ કરવામાં રહેલી છે. વિવિધ વસ્તુઓની વાર્તાઓને એમણે એકસરખી રીતે ન્યાય આપ્યો છે. જયંત ખત્રીનું વાર્તાકાર તરીકેનું નોખું વ્યક્તિત્વ વર્તાય છે. એ જમાનાનો ધબકાર અને પ્રતિકાર – બંને અનુભવતા લાગે છે. એમની કેટલીક વાર્તાઓમાં માનવસર્જિત દુઃખો અને નિયતિજન્ય વેદનાઓનું મર્માન્તક નિરૂપણ થયેલું છે. માર્ક્સ કે ફ્રોઇડ એમની વાર્તાઓમાં વળગણરૂપે નહીં, પણ પ્રભાવક બળ તરીકે જોવા મળે. કોઈ વાદના ચોકઠામાં પૂરાય એવા નાના વાર્તાકાર એ નથી જ. જયંતિ દલાલમાં પૂર્વેના વાર્તાકારોનું સઘળું મૌગ્ધ્ય એનું ઊલટું રૂપ ધારણ કરીને છતું થયેલું જોવા મળે છે. એમણે સર્જક તરીકે અસ્વીકારનો સ્વીકાર કર્યો છે, કોઈ મહાપુરુષ કે મોટો સર્જક એમને નડ્યો નથી, પ્રયોગો કરવાનું એમનું સાહસ અક્ષુણ્ણ રહ્યું છે અને આ પ્રયોગો માત્ર એમની બૌદ્ધિકતાની ઓળખ આપીને અટકી જતા હોય એવું નથી. બોલાતી ગુજરાતીનું કાઠું એમને આત્મસાત્ છે. કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દપ્રયોગોનું વૈવિધ્ય, આ લેખક પૂરી ગુજરાતી જાણે છે એવું વિધાન કરવા પ્રેરે એવાં છે. વાગ્મિતા એમનામાં ભાગ્યે જ દેખાશે, કારણ કે છલકાવું આ લેખકના સ્વભાવમાં જ નથી. એમની કટાક્ષ-શક્તિની ઘણા વિવેચકોએ પ્રશંસા કરી છે, પણ હચમચાવી મૂકનારી વેદનાનો પણ એ અનુભવ કરાવી શકે છે. વર્તમાન યુગ-સંદર્ભથી એ અવગત છે, એમનાં પાત્રો જાગ્રત થવાનું મૂલ્ય ચૂકવે છે. એમની ઉત્તમ-મધ્યમ વાર્તાઓ વાંચતાં લાગે છે કે આ લેખક આધુનિક યુગચેતનાથી વાકેફ છે. ‘ઉત્તરા’, ‘મોહન ધૂળાની હિસ્ટરી ટિકિટ’, ‘આ ઘેર પેલે ઘેર’, ‘આભલાનો ટુકડો’, ‘જગમોહને શું જોવું’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘બે બંગડી’, ‘જડ્યાં પડ્યાં’, ‘પડઘો’ – એ ઉપરાંત બીજી પણ કેટલીક વાર્તાઓનો ઉલ્લેખ કરી શકાય. પણ ટેક્નિક, રૂપરચના, ભાષાનો ઉપયોગ અને વિષયવસ્તુનું વૈવિધ્ય જોવા માટે આટલી વાર્તાઓ પણ પૂરતી છે. ‘જગમોહને શું જોવું’માં એક જાપાની વાર્તાને એમણે પોતાની વાર્તામાં ગૂંથી છે, ઉદ્દીપન વિભાવ તરીકે એનો ઉપયોગ કર્યો છે. એમાં એમનું પ્રયોજન સિદ્ધ થયું છે એમાં શંકા નથી, પણ બીજા લેખકને બદલે એ પોતાની વાર્તાનો એવો ઉપયોગ કરી શક્યા હોત તો વધુ સારું એમ કહેવું પડે છે. કારણ કે ‘જગમોહને શું જોવું’ની સફળતામાં સામગ્રી તરીકે વપરાયેલી એ વાર્તાનો ઠીક ઠીક ફાળો છે. થોડાક કલાકનો સમય લીધો છે. એમાં એક મનઃસ્થિતિ બીજીમાં પરિણમતી બતાવી છે. હેમરેજ થયું છે એ જાણીને લાગેલો આઘાત, પત્નીને શું થયું છે એ જણાવતાં નિર્વેદમાં પરિણમે છે. મનઃસ્થિતિમાં આવતું સ્થિત્યંતર સમયના નાના ગાળાનો ઉપયોગ કરીને પણ લેખક કુશળતાથી નિરૂપી શક્યા છે. વાર્તામાં સમય ચૈતસિક રૂપ ધારણ કરે છે જેથી સ્થિત્યંતરની પ્રતીતિ થાય છે. ઘટનાનું સ્વરૂપ પ્રસંગરહિત છે, સપાટી નીચેનું છે. એકાએક કંઈક થયું અને થઈ શકે એટલી આંખને પહોળી કરીને એણે વાંચતો હતો એ પુસ્તકમાંથી વાંચવાનો યત્ન કર્યો, પણ વિચિત્ર હતું. જ્યાં જે શબ્દ પર નજર ઠેરવે તેમાંના એકાદ અક્ષરનું જાણે ગાબડું પડ્યું હોય એવું લાગે. લીટીઓ પર નજર ઠેરવે તો છેડે જતી પાંચ-સાત લીટીઓ વાંકી વળીને જાણે એક ગાંઠમાં બંધાઈ જતી હોય તેમ લાગે. અચરજ થયું. આ અચરજનું નિરૂપણ લેખકે દોઢેક પાનાં સુધી કલાત્મક દ્રશ્ય-કલ્પનો વડે કર્યું છે. ખંડિત દ્રશ્ય-કલ્પનો એકબીજામાં ભળે છે અને નજર દ્રશ્યાત્મક અનવસ્થામાં આમતેમ આથડે છે. અચરજમાંથી જ એ ત્રાસ સુધી પહોંચે છે. ‘સૂનમૂન એ ઊભો રહ્યો. મગજમાં જાણે જોશભેર લોહી ધસ્યું હોય અને આંખની કીકી પાછળ ઠલવાયું હોય એવું લાગ્યું. પડી જવાશે એવું લાગતાં એણે ખુરશીની પીઠ પકડી લીધી.’ અહીં સુધી આવતાં આવતાં વાર્તાનો આરંભ રચાઈ ગયો. પછી ડૉક્ટર પાસે ગયેલો જગમોહન જાણે છે કે કીકી પાછળની નસ તૂટી ગઈ છે અને ત્યાં લોહી જામ્યું છે. આને ‘રેટિનલ વેઈનનો થ્રોમ્બોસિસ’ કહે છે. નિરુપાય ડૉક્ટર સલાહ આપે છે – Such patients should take their lives, philosopically... જગમોહનને રોષ ચડે છે. તો અત્યાર સુધી બીજું કર્યું છે શું? What have I been doing all these years? ‘જીવન પ્રત્યે ફિલસૂફની દૃષ્ટિ કેળવવી જોઈએ’ આ સલાહ જગમોહનને મળે છે! જેણે એ સિવાય બીજું આજ સુધી કશું કર્યું નથી એને ડૉક્ટરની સલાહ અને જગમોહનનો પ્રતિભાવ આસ્વાદ્ય છે. અહીંથી વાર્તામાં એક અપ્રગટ પ્રવાહ શરૂ થાય છે. ડૉક્ટરનું માનવું છે કે છેવટે નજર ઝાંખી થઈ જશે અને... ઇલાજ? નથી. વાર્તાનું આ કેન્દ્રબિંદુ છે. નજરનું ભવિષ્ય હવે સ્પષ્ટ થઈ ગયું છે. જગમોહનના ચિત્તમાં ઊઠતાં વલય એકબીજાને છેદી રહ્યાં છે. રસ્તાનો, લોકોનો નવા રૂપે સાક્ષાત્કાર થાય છે. આંખ જોયા વિના રહી શકતી નથી, પણ જે દેખાય છે તે પહેલાં દેખાતું હતું તેથી કેવું ભિન્ન છે! ચાલતા જગમોહનને એક વાર્તા યાદ આવે છે. સામો કોઈ મળે છે ને વાર્તા અટકી જાય છે. રસ્તામાં મળનારને પોતે જે જવાબ આપે છે એનું એને જ વિસ્મય થાય છે. એવું હોય ખરું કે વ્યાખ્યાતા આગળ મૂકેલું માઇક જ બોલે અને વ્યાખ્યાતા ચૂપચાપ રહે? ડૉક્ટરે સલાહ આપી હતી – આરામ, ઉત્તેજિત ન થવું. પેલી વાંચેલી વાર્તા મનમાં આગળ વધતી રહે છે અને વર્તમાન ક્ષણો ભવિષ્યના સમયમાં વિસ્તરે છે. સમય પ્રસાર પામે છે. અંધારું થવા આવ્યું છે... તો, કાશ્મીર જોઈ આવું? ચાંદની રાતે એકાકી લાગતો તાજ?... પિસ્તાળીસ વર્ષ લગી વાંચેલાં, ગોખેલાં, સાંભળેલાં, સંઘરેલાં નામ જાણે કશો બંધ તૂટતાં પાણી ધસમસે એમ ધસમસવા લાગ્યાં... એની વ્યથા અનાગત સમયમાં પહોંચી જાય છે. ન જોયેલું જોઈ લેવાની વૃત્તિ જાગે છે એમાં હારનો અનુભવ છે. ઘેર પહોંચે છે. પત્ની બેઠી છે. બહુ ટૂંકા સમયમાં લેખકે કહેવાનું સૂચવી દીધું છે. એના મનમાં ચાલતું હતું તેવું જ કંઈક પત્ની પૂછે છે. એ જવાબ આપે છે, મારે તો કાશ્મીર અને તાજમહાલને શું કરવાં છે? મારે તો આ મોં જ જોવું છે! ‘કશું નવું નથી એમાં.’ ‘ગાંડી, એ મોં જોયું જ ક્યારે છે?’ વર્તમાન અને ભાવિ ભેગો ભૂતકાળ ભળે છે અને લેખકને વાર્તાનો અંત મળી જાય છે. એ ચહેરાની રેખાઓ એણે જોઈ હતી. હવે ત્યાં દેખાતી હતી મનની ઉદારતાની રેખાઓ... અને બે પળ પહેલાં, ખુદ જગમોહને પણ કલ્પી ન હોય એટલા દુઃખ-દર્દવિહીન અવાજે પોતાને શું થયું છે એની એણે પત્નીને વાત કરી... અચરજના અનુભવથી આરંભાયેલી વાર્તા ત્રાસ, મંથન, વ્યગ્રતા, રસ્તો કરવાની મથામણને અંતે નિર્વેદ સુધી આવી પહોંચે છે. એનો અનુભવ બિન-અંગત બની જાય છે, ‘ઑપરેશન જેવું કંઈ?’ એમ પૂછતાં બિનઅંગત બની શક્યો ન હતો. પત્નીને વાત કરતાં એ પોતામાંથી મુક્ત થઈ ગયો. બહારની સ્થિર સૃષ્ટિ વચ્ચે નજર ગુમાવી રહેલા જગમોહનના મનમાં લેખકે ગતિ મૂકી છે. વાર્તાની લખાવટમાં ભારે શાંતિ છે. જે કંઈ થાય છે – ગુજરે છે એ જગમોહનની મનોસૃષ્ટિમાં. ભાષા દ્વારા લેખક એની માત્ર ઝાંખી કરાવે છે અને જગમોહનના મનની ગતિ સાથે ભાવકના મનની ગતિ સમાંતર ચાલે એટલે ભાવક એવું સંવેદન અનુભવે એવી સંયોજના કરી છે. ગુજરાતીમાં લખાયેલી થોડીક અમુખર વાર્તાઓમાંની આ એક છે અને રા. વિ. પાઠક પછી ગુજરાતી વાર્તાના વિકાસનો બીજો તબક્કો પણ એ સૂચવી દે છે.

૩. શ્રી ચુનિલાલ મડિયા ત્રીજા તબક્કાના એકમાત્ર સમર્થ વાર્તાકાર છે. વ્યક્તિ અને સમાજ, ગામ અને નગર, દેશ અને વિદેશ – વાર્તાવસ્તુની પસંદગીમાં એમને કશી મર્યાદા નડી નથી. ઝવેરચંદ મેઘાણી અને સુન્દરમ્ની વાર્તાઓમાં જોવા મળતી નિરૂપણરીતિ અને આ કહેવાય, આ ન કહેવાય એવા ભેદમાં ન માનતી નિર્ભયતા એમનામાં જોવા મળે છે. શ્રી દલાલની જેમ જગતની અનેક ભાષાઓની વાર્તાઓના અધ્યયને એમનો વાર્તા તરફનો અભિગમ કેળવવામાં મદદ કરી હશે. કટાક્ષ અને વિનોદની શક્તિ એમનામાં પણ છે. પરંતુ એમનો કટાક્ષ શ્રી જયંતિ દલાલના કટાક્ષની જેમ બુદ્ધિશાળીઓ માટે નથી. વાર્તાકાર તરીકે મડિયા મૂલ્ય-વિવેકના વિરોધી છે એવું તો નહીં કહી શકાય પણ એક પ્રકારની મૂલ્ય-નિરપેક્ષતા એમની વાર્તાઓમાં જોવા મળે છે. બોધ આપવાની વૃત્તિ પર એમનો સંયમ છે. ‘વાર્તા’ ખાતર વાર્તાનું વલણ એ પ્રકટ કરે છે. ‘સફરિંગ’નું તત્ત્વ આલેખતાં એ કોઈ કોઈ વાર ધૂમકેતુની જેમ રંગદર્શી બની જતા લાગે છે. છતાં એમના સ્વભાવને વાસ્તવિકતાની નજીક રહેવું વધુ અનુકૂળ છે. યૌનવૃત્તિના હિંસક આવેગનું નિરૂપણ કરતી એમની વાર્તા ‘કમાઉ દીકરો’ પાત્ર તરીકે માણસને બાજુ પર મૂકી દે. પાડો અહીં વાર્તાનો નાયક બને છે અને છતાં પંચતંત્રનાં પાત્રો અને શ્રી મડિયાના પાડા વચ્ચે યુગોનું અંતર છે. એમણે પાડાનું નામ રાખ્યું છે ‘રાણો’. રાણાના જન્મથી માંડીને એના ઉછેર સુધીની કથા એમણે કરકસર વિના કહી છે. આ પ્રસ્તારના અભાવે વાર્તાની ગુણવત્તા ઘટત નહીં. પાડાના ઉછેર પાછળ શેઠનો લોભ સૂચવવાની એમણે જરૂર જોઈ હશે. શેઠ ભેંસ દવરાવવાનો ભાવ વધારીને અઢીના ત્રણ રૂપિયા કરાવે છે ત્યાંથી પ્રસંગ શરૂ થાય છે. ગામ-પટેલ ભેંસ લઈને આવ્યા છે. પણ વધેલો ભાવ એમને મંજૂર નથી. એ નારાજ થાય છે, પણ એમનાથીય વધુ નારાજ થાય છે પાડો રાણો. લખુડો પાડાની આંખ ઓળખી ગયો છે. પણ શેઠ આગળ એનું કંઈ ચાલે તેમ નથી. પટેલ ભેંસ લઈને ચાલતા થાય છે. લખુડો રાણાની નાકર એના તોડામાં ભરાવવા જાય છે. એક છાકોટે રાણાનું માથું હવામાં વીંઝાય છે અને નાકનાં ફોરણાંનું જાડું ચામડું ચિરાઈ જાય છે. એનાં નાકમાંથી લોહીનો દરોડો છૂટે છે... મડિયાની વર્ણનશક્તિ પાડાનું ચિત્ર બરોબર ઉપસાવે છે. લાગ ચૂકવીને નાઠેલા લખુડાનો પીછો કરતો પાડો – એ દોડાદોડનું વર્ણન કરતી ભાષા એવી તો સમર્થ છે કે ભાષા તરફ ધ્યાન જ જતું નથી, વાચકની નજર સામે ગતિચિત્રો રચાતાં જાય છે. લખુડો પોતાનો ફેંટો નાખીને રાણાને રસ્તો ભૂલવવા મથે છે પણ ફેંટાને એક શીંગડે ચડાવી દઈને એ પીછો કર્યે જાય છે. શીંગડા પર ઊડતા ફેંટા સાથે દોડતો રાણો આવડના ઝૂંડા આડે સંતાયેલા લખુડાનાં પાંસળાં પર પગ મૂકીને કચડડાટી બોલાવી દે છે. એક શીંગડે એનાં આંતરડાંનું જાળું તોડી નાખે છે. વાર્તાનો અંત લેખકે આ શબ્દોમાં લખ્યો છે : ‘આવળના એ ખાબોચિયામાં લખુડાના ઊના ઊના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદબદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું.’ ક્રૂરતાના આ સ્વીકાર વિના વાર્તા પ્રભાવક બની ન હોત. અહીં ઘટના એના પ્રવાહી દ્રશ્ય રૂપે રજૂ થઈ છે. સમયની માવજતનો પ્રશ્ન અહીં ઊભો થતો નથી. કારણ કે મનની સૂક્ષ્મતાઓ સાથે આ વાર્તાને સંબંધ નથી. પાડાનો હિંસક આવેગ અને લખુડાનો ભય એ બે વચ્ચેનો સંબંધ લેખક કુશળતાથી રચી શક્યા છે. લખુડાનું મૃત્યુ વાચકને મૃત્યુ માટે ચિંતન કરવા પ્રેરતું નથી, વાર્તાકારને એ અભિપ્રેત જ નથી. રાણાના જાતીય અસંતોષે કેવું ભયંકર રૂપ ધારણ કર્યું અને લખુડાને ખતમ કરી નાખનાર રાણો ન હતો, પણ અસંતોષથી વધેલી એની બીજી શક્તિ હતી એ તરફ વાચકનું ધ્યાન સહેજે જાય છે. તેથી ‘કમાઉ દીકરા’ને પ્રતીક તરીકે ઘટાવવાની પણ જરૂર પડતી નથી. પાડાને યૌન-વૃત્તિના પ્રતીક તરીકે ઘટાવી શકાય પણ એ અર્થ લેખકે અપ્રગટ રહેવા દીધો નથી. શરીરના આવેગો અને સહન કરતા મનનું અંકન કરવામાં મડિયા લાઘવ વિના પણ ચલાવી શક્યા છે. લાઘવનો અભાવ એમની કૃતિઓમાં ભાગ્યે જ દોષ બને છે, ઘણી વાર પ્રસ્તાર પ્રવાહમાં મદદરૂપ થાય છે. પ્રકૃતિનો પરિવેશ પણ એમની વાર્તાઓમાં રસ જાળવી રાખે છે. જીવન તરફના વિશેષ અભિગમ વિના પણ વાર્તાકાર તરીકે શ્રી મડિયાનું વ્યક્તિત્વ બંધાયું છે એ એમની સિદ્ધિ છે. શ્રી મડિયાના સમકાલીન અને અનુગામી લેખકોમાં શ્રી કિશનસિંહ ચાવડા, સોપાન, પીતાંબર પટેલ, સારંગ બારોટ, કુંદનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, મોહનલાલ પટેલ, વેણીભાઈ, કેતન મુનશી, શિવકુમાર, રમણલાલ પાઠક આદિ લખે છે અથવા લખતાં બંધ થઈ ગયા છે. લખતાં બંધ થવાનાં અનેક કારણો હોય છે, એમાંનું એક છે જાગૃતિ. જાગૃતિ આવતાં ઊંચી અપેક્ષાઓ બંધાય છે. હવે લગભગ ન લખનારાઓમાં કુન્દનિકા કાપડિયા લખવાની શક્તિ બતાવી ચૂકેલ છે.

૪. શ્રી મડિયાએ ‘ઘૂઘવાતાં પૂર’ સાથે પ્રવેશ કર્યો હતો. શ્રી સુરેશ જોષીએ ચોરીછૂપીથી ‘ગૃહપ્રવેશ’ કર્યો અને થોડાં વર્ષોમાં તો લગભગ છવાઈ ગયા. ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓમાં સંવેદનશૂન્ય જમાનાનો સંદર્ભ ઊભો કરવાને બહાને એમણે પ્રચલિત નૈતિકતાનો છેદ ઉડાડીને પ્રચ્છન્ન પાપવૃત્તિનું નિરૂપણ કરવું શરૂ કર્યું. કૃતિમાં વિષયવસ્તુ અને કથયિતવ્યનું મહત્ત્વ નથી એમ કહીને પણ એમણે બંધિયાર લોકરુચિને આઘાત આપે એવું લખ્યું. પણ એમની સફળતા આ કારણે નથી. ‘અપિ ચ’ની વાર્તાઓમાં એ વધુ ધ્યાન ખેંચે એવા પ્રયોગો કરી શક્યા. ‘વિદુલા’ લખનારે ‘કપોળકલ્પિત’થી ભારે વળાંક લીધો. ઘટનાના અભાવે એક કલ્પનમાંથી બીજું કલ્પન જાગે અને એમાંથી ત્રીજું જાગે અને વાર્તા લખાઈ જાય, કંઈક ચમત્કાર જેવું બની ગયું છે એ કૃતિમાં. તાજગીભર્યું નિતાન્ત સાહિત્યિક ગદ્ય, લયાત્મકતા અને દ્રશ્યાત્મકતા ‘કપોળકલ્પિત’ને કવિતા બનાવી દેવાને બદલે વાર્તા જેવી કેવી રીતે બનાવે છે એ સમજાતું નથી. વિવેચન નહીં, પણ વાર્તા જ વાર્તાની નવી વિભાવના રજૂ કરી શકે, એવું સુરેશ જોષીની કેટલીક વાર્તાઓ વાંચતાં સમજાય. હમણાં એમણે ‘બે સૂરજમુખી અને’ નામની વાર્તામાં વિરામચિહ્નો વિના ચલાવ્યું છે. વિરામચિહ્નોનો અભાવ એ વાર્તાની જરૂરિયાત બની હોય કદાચ. આમ કરવાથી શું સિદ્ધ થાય છે એ વાર્તા વાંચ્યા વિના ખબર ન પડે અને વાર્તા વાંચ્યા પછી પણ ખબર ન પડે તો નવાઈ નહીં. કશુંક નવું કર્યા કરવાની વૃત્તિ અને લોકપ્રિય ન થઈ જવાય એની કાળજી એ બે સુરેશ જોષીનાં ઉપલક્ષણો છે. ‘કુરુક્ષેત્ર’ પછી ‘કપોળકલ્પિત’ અને ‘બે સૂરજમુખી અને’ એમના વાર્તાલેખનમાં વળાંક સૂચવે છે. પણ અહીં એમની ચોથી જ વાર્તાની ચર્ચા કરીએ – ‘થીગડું’. ‘થીગડું’માં લેખકે થોડીક મિનિટો જ સાંકળી છે. એટલે કે પ્રભાશંકરના મનની થોડીક ક્ષણોનું બયાન આપ્યું છે. ઘટના જેવું તો ખાસ નથી, પ્રભાશંકર માટે તો ઘટના એ ભૂતકાળનો વિષય બની ગઈ. એમના ઘરમાં આ ક્ષણે અંધારું છે, એ બહારની શેરીના દીવાને અજવાળે ખીંટીએ ભેરવેલો કોટ લઈને પહેરે છે. બહાર નીકળે છે ત્યાં ભૂતકાળમાંથી આવીને એક અવાજ એમને સંભળાય છે. એ થોડી વાર વર્તમાનની બહાર નીકળે છે અને વળી પાછા આવે છે. કોટ ફાટ્યો છે, થીગડું મારવું છે, પણ પારવતી ડોશી નથી. એમણે પોતે જ સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો, સફળ ન થયા. પણ એક કિશોર એમને મળી આવ્યો. એણે દોરો પરોવી આપ્યો. એ શરતે કે પ્રભાશંકર વાર્તા કહે. પ્રભાશંકરે બખિયા ભરવા માંડ્યાં અને વાર્તા કહેવા માંડી. જાણે કે પોતાના સમયને – સંબંધોને સાંધતા ન હોય! વાર્તા પૂરી કરી, સોયદોરો લઈને ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. પ્રભાશંકરે કહેલી ચિરાયુની વાર્તા એમના જ જીવનમાં અર્થ ઉમેરે છે. ચિરાયુ વૃદ્ધ થઈ ગયા પછી ચીંથરેહાલ દશામાં રખડ્યા કરે છે, લોકો કહે છે કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે : ‘થીગડું મારી આપશો?’ પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન પામતાં આખરે ચાલ્યો જાય છે. પ્રભાશંકરની થોડીક ક્ષણોમાં દસ હજાર વરસથી લથડિયાં ખાતા ખખડી ગયેલા ચિરાયુનો સમય આવીને મળે છે. પરિણામે restless – ત્રસ્ત પ્રભાશંકરની થોડીક ક્ષણોમાં દીર્ઘ વ્યતીતની વેદના ભળે છે અને વાર્તાના પ્રભાવને તીવ્ર બનાવવામાં લેખકની વાર્તામાં વાર્તા મૂકવાની યુક્તિ કારગત નીવડે છે. ‘મેમરી’ અને ‘ડિઝાયર’ – સ્મૃતિ અને અપેક્ષા માણસને સતાવે છે. એમાંથી મુક્ત થઈ શકાય તો દુઃખનો અનુભવ નથી. પછી જીર્ણ આવરણને સાંધવાનો અને એને સહારે ટકી રહેવાનો વૃથા પ્રયત્ન કરવામાંથી માણસ બચી જાય છે. પણ પ્રભાશંકર એવું બધું સમજીને સ્થિતપ્રજ્ઞ બની શકે એમ નથી. એ મોટા ભાગના માણસોની જેમ જીવે છે, એમને હજી જીવવું છે, તેથી ચિરાયુની જેમ થીગડાં શોધવાં પડવાનાં. વાર્તા સાંભળવાની માંગણી તો પેલો કિશોર મનુ કરે છે પણ પ્રભાશંકર જાણે કે પોતાને જ વાર્તા સંભળાવે છે. રાજારાણીએ ઇચ્છ્યું કે ચિરાયુ સદા સુંદર રહે, ઘરડો ન થઈ જાય. સિદ્ધપુરુષે એ માટે ચમત્કારી રેશમી વસ્ત્ર આપ્યું. પણ ચેતવણી આપી કે તમારામાં એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે. પછી એ મોટું ને મોટું થતું જશે... એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે તેટલાં વરસ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. એ બધાં વરસો આપનારે એ વરસોમાં કશું પાપ ન કર્યું હોવું જોઈએ... અને ચિરયૌવન ચિરાયુ નવી નવી રાણીઓને અન્યાય કરી રહ્યો છે. રાણીના મનમાં એની વિરુદ્ધ વિચાર આવ્યો. વસ્ત્રમાં કાણું પડ્યું. હવે એને કોઈ સાંધી શકે તેમ નથી. કોણ છે એવું અહીં કે જે એ વસ્ત્રને સાંધી શકે? પેલો અબોધ મનુ પ્રભાશંકરને કહે છે કે તમને જો એ દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ફેંકી દઈશું, પછી એને રખડવાનું તો મટશે! કિશોરને સૂઝ્યું તે પ્રભાશંકરે સાંભળ્યું. એમને એવું સૂઝેલું નહીં. મનુ ચાલ્યો ગયો. પછી બખિયો ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો કાઢી લઈને પ્રભાશંકર ઊભા થયા ને ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા. આ વાર્તા બોધને બદલે અર્થઘટન આપે છે અને અર્થઘટન પણ વિસ્મયના તત્ત્વનો લોપ કરે એવું નથી. નિયતિની કૃપાથી મળતી વેદનાનો એક પલકારામાં આ વાર્તા અનુભવ કરાવી દે છે અને ભાવકના ચિત્તમાં પોતાને માટે આગવી જગા કરી લે છે. અનુગામી વાર્તાકારો પર સુરેશ જોષીનો સીધો પ્રભાવ સાબિત કરી શકાય તેમ નથી. કદાચ એમની રીતે વાર્તા લખવી મુશ્કેલ હશે. ઉપરાંત મનુષ્યના બાહ્ય વર્તન અને એની સાંસારિક જવાબદારીઓમાંથી ઉદ્ભવતા પ્રશ્નોમાંથી વસ્તુ લઈને વાર્તા લખવાનું વલણ નવા વાર્તાકારોમાં જોવા મળે છે. ચંદ્રકાંત બક્ષી એમાંના એક છે, સહુથી આગળ મૂકી શકાય એવા. બાહ્ય વર્તનને એ એક હદ સુધી સ્વીકારે છે. વ્યાવહારિક અને માનસિક પ્રવૃત્તિઓમાંથી એમની વાર્તાનાં પાત્રો અને ઘટનાઓ એમને મળે છે. રુગ્ણ મનોદશાનો એમણે વ્યાપક સ્વીકાર કર્યો છે અને યૌનવૃત્તિના બને એટલા ઉઘાડા નિરૂપણ તરફ એમનો પક્ષપાત છે. પણ આ સ્થૂલતાય એમને નડતી નથી, કારણ કે કાં તો એ એમાં સંકુલતા મૂકી શકે છે કાં તો બળ. ગદ્યની વિશેષ માવજત કરતા એ દેખાતા નથી પણ ચમત્કારજનક વાક્યખંડો એમને સહજ છે. અધૂરાં તૂટેલાં વાક્યોની એક ચમત્કૃતિપ્રધાન શૈલી એ રચી રહ્યા છે. ઉર્દૂ શબ્દો એમને પહેલાંથી આવડે છે. હમણાં તો ન આવડતા ઉર્દૂ શબ્દો પણ એ વાપરવા લાગ્યા છે. સાહસ એમના સ્વભાવમાં છે જ. શ્રી બક્ષીની વાર્તા ‘તમે આવશો?’ માત્ર એમની જ નહીં, દસકાની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. પાગલ થવાનો અનુભવ પામી ચૂકેલ માણસ અહીં સંબોધન-પદ્ધતિ દ્વારા, ક્ષુદ્ર અને મહાન ઘટનાઓ, વસ્તુઓ અને પ્રયત્નો સાથેના પોતાના સંબંધો રજૂ કરે છે. વંચાઈ રહે એટલા જ સમયમાં વાર્તાની ઘટના ગુજરાતી હોવા છતાં એનો સમય આખા યુગની સંપ્રજ્ઞતાના સ્પર્શવાળો છે. ‘મને હંમેશાં બાજુમાં કોઈ બગાસું ખાતું હોય ત્યારે ગરમી આવી જાય છે. એનું કારણ ખબર નથી...’ વિરતિ અનુભવતો માણસ સામાની ઉદાસીનતાથી અકારણ સક્રિયતા અનુભવે છે. ચિત્તની સંકુલ ગતિને લેખક એક વાક્યમાં વ્યક્ત કરે છે. ‘મને બધા વાઘ હંમેશાં એક જેવા જ લાગ્યા છે – ચિત્રોના; સર્કસના, ઝૂના.’ કટાક્ષ અહીં વાઘ તરફ નથી. જુઓ – ‘મને સૌંદર્યમાં હંમેશાં ક્રૂરતા દેખાઈ છે. કોઈ છોકરીનું નાક ઓછું લાંબું એટલે એ બુચી બની જાય, બદસૂરત ગણાય. એને જુઓ એટલે તમને પ્રેરણા ન સૂઝે. આ બધું ક્રૂર નથી? પણ મને ક્રૂરતા સામે ખાસ વાંધો નથી...’ કારણ કે માણસ ક્રૂરતાને પચાવી ગયો છે. અહીં સૌંદર્યની ક્રૂરતાનો ઉલ્લેખ અપ્રસ્તુત નથી. વાર્તા કહેનારના (નાયકના) વક્રદર્શનનો પરિચય આપવા ઉપરાંત એના જીવનમાં આવનાર છોકરી એના પાગલ થવાથી દૂર ખસી ગઈ એવા આગળ આવતાં ઉલ્લેખ સાથે સૌંદર્યની વાતનો તંતુ મેળવી શકાય. ‘અચ્છા, તમને કંટાળો નથી આવતો મારાથી? કંટાળો એટલે નમ્ર વિરોધ. નમ્ર કે પછી નપુંસક? નપુંસક વિરોધ કે પછી સભ્ય વિરોધ?’ બક્ષી આ ‘નપુંસક’ શબ્દ ખૂબ વાપરે છે. એમનાં વળગણોમાં આ શબ્દનું પણ આગવું સ્થાન છે. આ માણસ ઘણી બધી વાતો કરે છે. ઉપર ઉપરથી મેળ વિનાની લાગે તેવી વાતો કરે છે. પણ મેળ વિનાની – અસંગતિઓ ભરેલા જીવનને ઓળખતી એની જાગૃતિમાં તો કશોક સૂક્ષ્મ મેળ છે જ. એ પોતાના મિત્રને નામે ચડાવીને એક પ્રસંગ કહે છે. એ પાગલખાનામાં હતો. મારામારી કરતો નહીં. એક દિવસ ડૉક્ટરે જોયું કે એ નાગો થઈને બારી બહાર જોઈ રહ્યો હતો. એણે કારણ આપેલું – ‘ભગવાનની બનાવેલી દુનિયા જોઈ રહ્યો છું. પક્ષીઓ, ઝાડો, ગાયો, ઘાસ, પથરા, બધાં નાગા છે અને મેં કપડાં પહેરેલાં છે. મારે એ બધાંની જેમ ‘નૉર્મલ’ બનવું છે.’ – બક્ષી નાગા થવાને ‘નૉર્મલ’ કહે છે. કહેવાની એમની આ એક રીત છે. રચવા જેટલો જ એમને કહેવાનો શોખ છે. ઘણું (એટલે કે ઘણા વિશે થોડું થોડું) જાણવાનો આ વાર્તાનાયક અભિશાપ પામેલો છે. એ રિલેટિવિટી પર બોલી જાય છે. હસવા વિશે પણ બોલે છે – ‘બહુ હસવાથી આંખોની કિનારીઓ પાસે અને ગાલ પાસે કરચલીઓ પડે છે અને એથી ચહેરાની સ્વચ્છતા ઓછી થઈ જાય છે.’ પણ ન હસનારાઓ માટે જુદાં કારણ હોય છે. દૃષ્ટિથી જગતને ગ્રહણ કરનાર – વિચાર કરવાની આદતવાળા માણસ ભાગ્યે જ હસી શકે. તેથી વિચાર ન કરતી મનોદશાનું એને આકર્ષણ છે. ‘જાગતા રહેવાનું, બધું જોવાનું, સૂંઘવાનું, અનુભવવાનું, સહન કરવાનું, પણ વિચાર નહીં કરવાનો. એ વસ્તુ કેટલી મોટી છે? – વિચાર જ નહીં કરવાનો! એ તો શરીરના લોહીના પ્રવાહને સ્થગિત કરી દેવા જેવું મુશ્કેલ છે; પણ કરવા જેવું ખરું. તમે પ્રયત્ન કરજો.’ પણ આ માણસે વિચારતા રહીને જીવવાનું જોખમ ઉઠાવ્યું છે અને પરિણામે એ અશાંત છે. જેની સાથે સગાઈ થયેલી એ છોકરીની વાત કરતાં કહે છે – ‘એને આત્મા હતો, અક્કલ ન હતી.’ અહીં ‘આત્મા’ શબ્દ જુદા કાકુથી ઉચ્ચારાયો છે. ત્રણ વરસ પછી છોકરીએ સગાઈ તોડી નાખી. ‘પછી હું પરણ્યો નહીં અને મારી સ્થિતિ ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ જેવી થઈ ગઈ.’ અહીં રૂઢિપ્રયોગને વિપરીત રીતે પ્રયોજીને લેખકે રાજ કરવું અને પાગલ થવું – બધું એકસરખું કરી આપ્યું છે. સાંભળનારને વાંધો ન હોય તો એ સિગારેટ પીવા ઇચ્છે છે. પછી ખુલાસો કરે છે – ‘કરોડો માણસો પીએ છે. એક માણસના વધારે પી નાખવાથી દુનિયાને કે તમને કંઈ જ અસર પહોંચવાની નથી. હાઇડ્રોજન બૉમ્બનો ધુમાડો સહન થઈ જાય છે, પણ સિગારેટનો ધુમાડો હજી સહન થતો નથી, હા... હા...’ અંગત વાતોમાંથી એની કટાક્ષદૃષ્ટિ વિશ્વફલક પર ફેલાય છે. ધીરે ધીરે એ, ક્યાં સુધી આગળ વધેલા જગતમાં પોતે જીવી રહ્યો છે, તે બિન્દુ પર પહોંચીને પોતાને સમેટી લે છે. છેલ્લે જ કહે છે કે પેલા મારા મિત્રના પાગલ થઈ જવાની વાત કરી એ ખોટી હતી. એ મારી જ વાત હતી. તેથી જ પેલી સુંદર છોકરીએ ના પાડી દીધેલી. અને? ‘હા... હા... હા...’ અને? ‘બસ, એકદમ ઊભા થઈ ગયા? પણ સાંભળો તો ખરા, કાલે હું તમારી અહીં જ રાહ જોઈશ... તમે આવશો?’ ભય અને વંચનાને ફગાવી દઈને યથાર્થને મળવાની તૈયારી છે આપણી? વાર્તાનો નાયક જે સંપ્રજ્ઞતાએ જિંદગીને સાક્ષાત્ કરી રહ્યો છે એ કક્ષાએ જીવનાર વિક્ષિપ્ત ન થાય તો જ નવાઈ. આ વાર્તા સ્પષ્ટ ન સંભળાતા રણકા (અંડર ટોન્સ), સંકેતો અને કડીબદ્ધ કથાનકના અભાવે ફ્રી એસોસિએશન્સ - મુક્ત સાહચર્યો વડે રચાઈ છે. અહીં ઘટના કે સમયનું સ્વતંત્ર ભાન થતું નથી. સંયોજના જ એવી થઈ છે કે વાર્તા ક્યાંક આશ્ચર્યમાં મૂકી દે છે, ક્યાંક વિચારતા કરી મૂકે છે તો ક્યાંક તો આઘાત આપે છે અને અંતે બૌદ્ધિક ઇમાનદારીથી બધું જીવવાની ભૂલ કરવા બદલ પાગલ થવાના – કહેવાવાના અનુભવમાંથી પસાર થયેલા, આ યુગના માણસની નજીક આવીને આપણે ઊભા રહીએ છીએ. ફકરે ફકરે ગ્રહણ કરેલી અસરો વાર્તાના અંત સાથે એકસામટી ધસી આવે છે અને ભાવકના ચિત્તમાં સંકુલ સંવેદનાથી ઇતર કશું રહી જ ન શકે એવી સ્થિતિ સર્જાય છે. ‘બુદ્ધિવિજય’, ‘જગમોહને શું જોવું’, ‘કમાઉ દીકરો’, ‘થીગડું’ અને ‘તમે આવશો?’ – આ પાંચ વાર્તાઓમાં દેખાતાં ગુજરાતી ટૂંકી વાર્તાના ચાર તબક્કા એટલું તો સૂચવે છે કે સમયનાં નાનાં એકમ ઉત્તરોત્તર અપનાવાતાં ગયાં છે, સમયમાં યુગચેતનાનો ભાર વધતો ગયો છે. પૂર્વેનાં વર્ષો કરતાં વર્તમાન ક્ષણો વધુ ભારે થઈ છે. ઘટનાઓનું વજન ઘટ્યું છે. ભવ્ય અને દિવ્યને સ્થાને વિષમતા અને ખાલીપણાને વ્યક્ત કરતી નાની નાની સંકુલ ઘટનાઓ ખપમાં લેવાવા લાગી છે. ગદ્યની માવજત વિશે કાળજી વધી છે. પ્રકૃતિનું પાત્રના મનથી સ્વતંત્ર એવું સૌંદર્ય રહ્યું નથી. યુગની વાતો હવે સમાજના અને દેશના સંદર્ભ કરતાં વિશ્વના સંદર્ભમાં વિશેષ થવા લાગી છે. પ્રચલિત નૈતિકતાના અસ્વીકાર સામે હવે આશ્ચર્ય રહ્યું નથી. ધૂંધળો અવકાશ અને અંધકાર લેખકોને વારંવાર દેખાય છે. માણસ હવે શું પ્રગતિ કરી શકવાનો એ પ્રશ્ન થયો છે અને આજ સુધી જે કર્યું છે એ પણ પ્રગતિ છે કે નહીં એ પ્રશ્ન સામે પણ આંખ આડા કાન થતા નથી. સ્વપ્નસૃષ્ટિની અરાજકતાના આલેખન દ્વારા વાસ્તવિકતાને જુદી રીતે ઘટાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. સંકલ્પોનું સ્થાન અનિશ્ચયે લીધું છે અને કાં તો નવા વાર્તાકારો મૂલ્ય-વિમુખ થયા છે કાં તો હજી મૂલ્ય-વિવેક પામી શક્યા નથી. પણ આ તો કથયિતવ્યનો પ્રશ્ન થયો. કેટલાય નવા વાર્તાકારો કથયિતવ્યને ધારદાર બનાવવા વિશે ઉદાસીન છે. વાર્તા માટે સ્વયંપર્યાપ્ત એવું નાનું એકમ શોધી રહ્યા છે, એકાદ ક્ષણ, એકાદ ભાવસ્થિતિ, એકાદ ધક્કો કે એકાદ તરંગ એમને પર્યાપ્ત લાગે છે અને એનું ભાષામાં સંયોજન કરે છે. ચમત્કૃતિને સંવેદનની નજીક લાવવાનો પણ કેટલાકનો પ્રયાસ છે. આ તબક્કાના મુખ્ય વાર્તાકારો – સુરેશ જોષી અને ચંદ્રકાંત બક્ષીના પ્રયોગો – પ્રયત્નો પણ હજી અટક્યા નથી એ એક સારું ચિહ્ન છે. કેટલાકે પ્રયોગનું વલણ દાખવ્યા વિના પણ ટકે એવી વાર્તાઓ આપી છે. લક્ષ્મીકાન્ત ભટ્ટ અને હસમુખ પાઠક એકાદ વાર્તાથી પણ વાર્તાકાર તરીકેની મેચ્યોરિટી – પ્રૌઢિ બતાવી ચૂક્યા છે. રજનીકાન્ત રાવળ, સરોજ પાઠક, રાધેશ્યામ શર્મા, નલિન રાવળ, મધુ રાય, દિગીશ મહેતા, કિશોર જાદવ, મહેશ દવે, લલિતકુમાર બક્ષી, હીરાલાલ ફોફલિયા, સુધીર દલાલ, લાભશંકર ઠાકર, જ્યોતિષ જાની, સુભાષ શાહ, ઇવા ડેવ, અભેસિંહ, કનુ અડાસી, અચ્યુત યાજ્ઞિક, રાવજી પટેલ, પ્રબોધ પરીખ, વિબુધ મહેતા, શશી શાહ, સુહાસ ઓઝા આદિ – સ્મરણ કરવા જતાં એક-બેનાં નામ રહી જાય એટલા બધા નવા વાર્તાકારો છે. પ્રયોગ કરવા કરતાં વાર્તા વાચનક્ષમ બને એ જોવાનું વલણ પણ ઘણા વાર્તાકારોમાં છે. એમાંના મોટાભાગના સારા એવા લોકપ્રિય છે. મોહમ્મદ માંકડ, ભગવતીકુમાર શર્મા આદિ વાચનક્ષમતાની હદમાં રહીને કશુંક નવું કરવા મથે છે. મોહનલાલ પટેલે લઘુકથાની શક્યતાઓ ચીંધી છે. લલિતકુમાર શાસ્ત્રી, વિઠ્ઠલ પંડ્યા, વનુ પાંધી, જશવંત મહેતા, દિનકર જોશી, મનસુખલાલ ઝવેરી, મનહર ચૌહાણ, મનહર ચોક્સી આદિ પણ છે. અહીં આપેલી આ સંખ્યા કરતાં તો ગુજરાતીમાં વાર્તા-માસિકો વધુ છે.

૧૯૬૭