વિવેચનની પ્રક્રિયા/વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો[1]

પ્રસિદ્ધ કવિ–વિવેચક મૅક્લીશની પેલી જાણીતી પંક્તિ – A poem should not mean but be — આપણે વિવેચનમાં અવારનવાર પ્રયોજીએ છીએ. પણ આપણા કવિ–વિવેચક જયંત પાઠકે તો આ પંક્તિ કાવ્યમાં ગૂંથી લીધી છે. બાળકે કાગળમાં આડાઅવળા લીટા કરેલા છે અને કવિ એની વચ્ચે કવિતા લખવાનો પ્રયત્ન કરે છે, તેમને આનંદવર્ધન અને મૅક્લીશની વ્યાખ્યાઓ યાદ આવે છે પણ અંતે એ કવિતા લખવાનું માંડી વાળે છે. શિશુના લીટા જ એમને મન સાચી કવિતા થઈ રહે છે અને હારબંધ શબ્દો ગોઠવવાની પોતાની સંકલ્પમૂલક પ્રવૃત્તિ આડાઅવળા લીટા જેવી લાગે છે! આમ ભાવનો વ્યુત્ક્રમ થઈ જાય છે. પ્રસંગ સાદો સીધો છે, પણ કવિના કવિતા અને જીવન પ્રત્યેના અભિગમને એ પ્રગટ કરી દે છે.

‘અનુનય’માં મૂકેલી છેલ્લાં પાંચેક વરસની કવિતા જોતાં પહેલી છાપ ચિત્ત પર એ પડે છે કે જયંતભાઈ આપણા એક નીવડેલા કવિ તો છે જ; પણ એ સતત વિકસતા રહેલા કવિ પણ છે. અવનવા આકારોમાં તે પોતાની અનુભૂતિને શબ્દબદ્ધ કરે છે. આ કે તે કાવ્યરીતિનો તેમને પક્ષપાત કે છોછ નથી. તેમના પુરોગામી સંગ્રહ ‘અંતરીક્ષ’માં જોવા મળેલી અભિવ્યક્તિની તાજગી અહીં અકબંધ જળવાઈ છે.

ઉમાશંકરે કવિતાને “ધરા પર અમૃત સરિતા” કહી, બીજા કવિઓ પણ કવિતા વિષેની પોતાની વિભાવનાને અને વિસ્મયને વ્યક્ત કરતા રહ્યા છે. જયંત પાઠક કહે છે :

ધરાથી થોડા અધ્ધર રહેવાનો ઝૂલો
વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો.

સેલિનકોર્ટે ‘On Reading Poetry’માં જી. એફ. બ્રેડલીનું એક વાક્ય ટાંક્યું છે કે ‘Poetry is in the world but not of the world.’ કવિતા પૃથ્વી પર છે પણ એ પાર્થિવ પદાર્થ નથી. દૈવી વસ્તુ છે. મનુષ્ય ધરા પર છે, ધરાને અને એના સૌંદર્યને ચાહે છે પણ કેવળ ધરા પર રહીને તે જીવી શકતો નથી. જીવવા માટે–સાચી રીતે જીવવા માટે એને બીજી વસ્તુઓની પણ જરૂર રહે છે. આમાં કળાના આનંદનું મૂલ્ય ઘણું મોટું છે. કળાકારો માનવજાતિની એક આધ્યાત્મિક જરૂરિયાતને સંતોષે છે, અને એમ જ માનવજાતિ સદીઓથી તેમના પ્રત્યે એક પ્રકારનો ઓશિંગણભાવ અનુભવતી રહી છે. ઉપર ટાંકેલી પાઠકની પહેલી પંક્તિ કવિતા સામાન્યને અનુલક્ષે છે તો બીજી પંક્તિ ‘અનુનય’ની કવિતાને વિશેષરૂપે અનુલક્ષે છે.

જયંત પાઠકની કવિતામાં વિષાદ–વેદનાનો ભાવ ચાલુ ઘૂંટાયા કરે છે. પણ આશ્વાસક વસ્તુ એ છે કે કવિ આપણને ભેટ તો ધરે છે રૂપાળાં કાવ્યપુષ્પોની. કવિમાત્ર આ કરતો આવ્યો છે. અનેક લાગણીઓ, સંવેદનો અને સંવેગોમાં આમતેમ ફંગોળાતો કવિ મનુષ્ય તરીકે તો એનું જે કરતો હોય તે, પણ આપણે માટે તો તે લઈ આવે છે ચંપાનું ફૂલ. (જુઓ, ‘મર્મર’માં ‘ચંપાનો છોડ.’) ‘અનુનય’માં આવાં કાવ્યકુસુમોનો આહ્લાદક ગજરો મળી આવશે.

વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે. :

વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ
એટલે
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ
***
જિંદગીને ખભે બેસાડીને
જાળવી જાળવી ચાલીએ
ને ચાલી ચાલીને આવીએ
આખરે તો
એક નાજુક ટેકે ટેકવાઈ રહેલી
મરણની ભેંકાર ભેખડ ઉપર!
આપણી ધારણાઓની ધાર
વારે વારે વાગ્યા કરે
ને આપણે
લોહીલુહાણ... લોહીલુહાણ…

કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે :

પછી જ્યારે
મારો મૃતદેહ તરીને કાંઠે આવ્યો
ત્યારે સમજાયું કે
ભાર લાગતો હતો
તે શરીરનો નહોતો
શ્વાસનો હતો.

કેવી પરિસ્થિતિમાં આજનો મનુષ્ય જીવી રહ્યો છે એનાં ઇંગિતો કશા પણ અભળખા કે આળપંપાળ વગર તેમણે આપ્યાં છે. ‘વેદનારસ’ શબ્દ તેમણે અમસ્તો નિપજાવ્યો નથી! કવિમાત્ર મનુષ્યને બરોબર પ્રીછે છે, એની પરિસ્થિતિને અને પ્રકૃતિને જાણે છે અને છતાં ક્યારેય પણ એના પ્રત્યે સહાનુકંપાની કમીના હોતી નથી. બલકે ‘વિસ્મય’માં તેમણે ગાયેલું – માનવીય ગૌરવપૂર્વક ગાયેલું – તેમ :

હુંય ભલા માણસ, માણસ છું.
*
લાખ્ખો વરસ તણો વારસ છું
*
ક્ષણની ધોરી ધબકતી નસ છું!
*
કાળકાટ પર એવી જણસ છું.

જગન્મોહિનીના કરથી જે કાંઈ વિષ કે અમૃત મળે તે ખુશીથી સ્વીકારીને પણ રમમાણ તો રહેવાનું છે શિવત્વમાં, એ વાત પણ તેમણે કરેલી જ છે.

માણસની જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ભૂતકાળનું આકર્ષણ પ્રબલ બને છે. ‘અતીતની થાપણ’ને તે ઉલ્લેખે છે :

સમયના વણજારાએ સંતાડેલી
અહીં અતીતની થાપણ –
સાચવવા મૂકેલી પળની સળવળ સાપણ.

અને એ ઉતારો શોધે છે ગૃહજીવનના માધુર્યમાં. શૈશવનાં સુખદ સંસ્મરણો તેમણે ઉમંગપૂર્વક આલેખ્યાં છે. બાળપણને કવિએ મોકલેલું ‘કહેણ’ એની સ્વાભાવિકતાથી રોચક નીવડ્યું છે. ‘પાછો વળું’માં ગ્રામસંસ્કૃતિ પ્રત્યેનો સાચકલો અનુરાગ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામ્યો છે. પહેલાં અરણ્યો, પહાડો, ખીણો, નદીઓ, ફૂલો, વગડાઉ પ્રાણીઓ વચ્ચે કવિ વસતા હતા, પણ હવે આ બધાં તેમનામાં આવી વસે છે. આ ‘પરિવર્તન’ કેટલું વ્યથાજનક બનતું હશે! નગરમાં વસવા છતાં, નગરજીવન સાથે સમરસ થયા છતાં કવિ ઝંખી તો રહે છે પોતાના ચિરપરિચિત ગ્રામજીવનને. તેઓ પોતાનું શૈશવ એવી સઘન રીતે જીવ્યા લાગે છે કે એની પ્રકૃતિ સમેત સમગ્ર પરિવેશ તીવ્ર ઝંખનારૂપ બનીને તેમનામાં કંઈક મધુર વ્યથા જન્માવે છે. જયંતભાઈ છે પંચમહાલનું સંતાન. પંચમહાલનો વગડો અને નદીનાળાં, આદિવાસી ભીલકન્યાઓ, ખેતરમાં લહેરાતા પાક—આ બધું શું હવે તો અતીતનું એક સંભારણું બની રહેશે? જવાબ ‘ના’માં આવે છે. કવિ મનોમન અહીંથી પાછા વળવાનું વિચારે છે. મનુષ્યની પાંચે ઇન્દ્રિયો — કાન, આંખ, ત્વચા, નાક અને જીભ — જાણે પાછળ મૂકીને નીકળેલો ‘હું’ હજીય પાછો વળું તો, એવો પ્રશ્ન તેમને થયો છે. આ પાંચે ઇન્દ્રિયોના વિષયો છે : (૧) મધરાતના જંગલની અંધારી ત્રાડનો અવાજ (૨) દૂર દૂર દેખાતી આદિવાસી કન્યાના જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી વાંકીચૂંકી વગડાની કેડીઓ (૩) સ્પર્શી જતી નાનકડી નદીની પવનસુંવાળી ઓઢણી (૪) સીમખેતરના લીલા મગફળીના છોડની સોડમ અને (૫) ગામની વાડીના ગજવામાં ભરેલાં ખટમીઠાં બોરનો સ્વાદ. અહીં ગ્રામજીવનની મધુરિમા અને શૈશવનું આકર્ષણ એક સાથે ગૂંથાઈ ગયાં છે. પણ હવે આ બિંદુએ પાછા વળવું કદાચ શક્ય નથી, કદાચ રુચે અને નયે રુચે — આવો અવઢવનો મિશ્રભાવ એવી જ નાજુક રીતે વ્યક્ત થાય છે ત્યારે ગ્રામજીવનનો ઠાલો મહિમા કરનારા કાવ્યાભાસી ઉદ્ગારોને પડછે આવી સહૃદય સંવેદના સ્વયમેવ આસ્વાદ્ય નીવડે છે.

મારી ‘આસપાસ’ના આરંભે —
મારી આસપાસ
અડાબીડ જંગલ ઊગી જાય
તો મને ગમે;
એમ કહ્યા પછી અંતમાં—
ચાર દીવાલો વચ્ચે વગડો ઊગી જાય
તો મને ના ગમે;
મેંદીની વાડ સાવ ઊખડી જાય
તો મને ના ગમે!
––એમ

સાચકલાઈપૂર્વક કહ્યું છે તે પ્રતીતિ જન્માવે છે. પછી અંતમાં આ ન કહ્યું હોત તો પણ વાચકને એ સમજવું — અનુભવવું દોહ્યલું ન નીવડત :

હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ,
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ —
આપણી વાસનાઓનાય કેટકેટલા સ્તર હોય છે!

આખો પ્રશ્ન સંસ્કૃતિ અને પ્રકૃતિનો છે. સાચી સંસ્કૃતિ ક્યાં છે તે કવિ બરાબર જાણે છે. પણ સમૂળગો વિચ્છેદ તે વાંછતા નથી. તેમનાં આ વૃત્તિવલણનો ખુલાસો આધ્યાત્મિક માનસમાં જોઈ શકાય. આ આધ્યાત્મિકતા કોઈ સભાન અભિનિવેશ કે સાંપ્રદાયિક પ્રતિબદ્ધતા નથી. સામાન્ય રીતે એ તરત દેખી શકાય એવી પણ નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે હરકોઈ ચિંતનપરાયણ કવિને આવશ્યક એવો આધ્યાત્મિક મિજાજ આ કવિમાં છે. (‘જવાનું’, ‘સંબંધ’, ‘આમ–તેમની વચ્ચે’) આ અભિગમ જીવનનાં અનેક વિષને બરદાસ્ત કરવાની શક્તિ અર્પે છે. ‘સ્વ’ અને ‘પર’નાં બધાં દુઃખો સહ્ય બનાવે છે; એમાંથી પણ કશુંક ઉપલબ્ધ કરાવે છે. ઘરમાં બાળકના આગમનને ચીલેચાલુ પ્રશસ્તિવચનોથી નહીં પણ સમગ્ર વાતાવરણને ચિત્રિત કરીને વધાવતા કવિ દેખાય છે. ગોઠવાણીપૂર્વકની વ્યવસ્થા કરતાં આ ‘લીલા’ તેમને હૃદ્ય નીવડે છે. ‘દીકરીના લગ્ન પછી, ઘરમાં’ પ્રસંગ ઊકલી ગયાનો આનંદ માતાની આંખમાંથી જાણે હમણાં “મારી દીકરી ક્યાં?” એ પ્રશ્ન ટપકું ટપકું થઈ રહ્યો છે એથી કેવો નંદવાઈ જતો બતાવ્યો છે! કુટુંબભાવોની એવી જ રમતિયાળ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. આમેય અભિવ્યક્તિની આવી હળવાશ સ્વભાવોક્તિભર્યાં વર્ણનોમાં ખીલી ઊઠે છે.

દક્ષિણ ગુજરાતમાં વસતા આ કવિને માટે રેલ કે ધોધમાર વર્ષાનો અનુભવ સાવ સ્વાભાવિક ગણાય. ‘મર્મર’ કે ‘વિસ્મય’માં એનાં કાવ્યો ઠીક ઠીક છે. આ સંગ્રહના ‘પહેલી વર્ષા’ કાવ્યમાં કવિ માટીમાંથી નીકળતી સુગંધને ચાખી જોવાનું કહે છે :

ભૂખરાં ભરભર ઢેફાં
આજે સુગંધ ભીનાં
જરા નાકથી ચાખો
કેવાં ગળ્યાં ગળ્યાં!

આ પંક્તિઓમાંનો ઇન્દ્રિય–વ્યત્યય અનુભૂતિની તીવ્રતાનો વ્યંજક બને છે. (વળી જુઓ, “મેં દરિયાને સૂંઘી લીધો” વ.) પછી છાપરું તો ગળતું નથી ને, બારીઓ તો બધી બંધ છે ને વ. ખાતરી કરી લે છે. અને અંતે “કોરી કોરી પથારીઓમાં પળ્યાં!” — એ અંતિમ પંક્તિનો ગર્ભિત કટાક્ષ ઘણું ઘણું સૂચવી દે છે. (આમેય પાઠકમાં કટાક્ષની નૈસર્ગિક શક્તિ છે પણ એનો તેમણે ક્યારેય પણ કાવ્યેતર બાબતોમાં ઉપયોગ કર્યો નથી એ નોંધવું જોઈએ.) ‘હેલી પછી’ એ એક અત્યંત સંતર્પક રચના છે. આજકાલ પ્રકૃતિકાવ્યો ઝાઝાં લખાતાં નથી. આપણો કવિ જાણે સ્વકેન્દ્રી બન્યો છે. હતાશા, નિરર્થકતા અને વ્યર્થતાનું ઉછીનું ગાણું ગાતાં તે થાકતો નથી એ પરિસ્થિતિમાં જયંત પાઠક જેવા કવિઓ પાસેથી અનવદ્ય પ્રકૃતિ–પ્રેમનાં કાવ્યો મળે એ વસ્તુસ્થિતિ આશ્વાસક લેખાવી જોઈએ. કાવ્ય સંઘેડાઉતાર થયું છે. કવિએ આપેલાં શબ્દચિત્રો ચિત્તમાં અંકાઈ જાય છે :

સાત સાત દિવસ પછી હાશ—
આજે સુરજ ઊગ્યો ખરો!
ભીનાં પાનની હથેળીઓમાં ચમકે
શત શત મોંઘા મૂલના મણિ!
ચાંદીની પાટોની પાટો
ઉપર તળે થતી
વહી જાય દરિયા ભણી!
લીલી ફ્રેમે મઢ્યાં તલાવડીઓનાં દર્પણ
ઝગમગ ઝગમગ
આંગણામાં આડિયું ભરીને વેરેલા કણ
પાંખોની ફડફડ, ચાંચોની ચણ ચણ
ભીનાં પીછાં પર ભભરાવેલો તડકો
તગતગ તગતગ
પ્રલયનાં ઓસરતાં પાણીમાં સરે
ધીરે ધીરે તરંગની તરી
સૂરજનો સફેદ સઢ ફરફરે!

રૂઢ–અરૂઢ લયની સૂઝનાં ઉદાહરણો વિરલ નથી. જુઓ,

જુઓ પર્ણે ફૂલે
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે!
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે!
ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં!
બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં!
*
વાલમનો વારવાર કાગળ વાંચું ને
હું તો સોનેરી શાઈ જોઈ રાચું;
અણભાળી આંગળીના મીઠા મરોડમાં
મરડાતું મન મારું કાચું.

‘મને આ પ્રીતિનું વળગણુ પુરાણું પ્રિયતમે’ એમ કહેનાર કવિ પ્રણયની વિવિધ ભાવભંગિઓ ન આલેખે તો જ આશ્ચર્ય થાય. સંસ્કૃતઘાટીનાં શૃંગારકાવ્યો આપવાની ફાવટ કવિને છે. ‘અભિસાર’ તો નિતાન્ત એ શૈલીનું જ છે. ‘તરસી તરસી’, ‘કાગળ’, ‘છેવટનું ગીત’ પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. પરંતુ હવે વિષાદનો ભાવ ઘેરો બને છે. ‘સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી, હવે છેવટનું ફૂંકી છાણું!’માં એ માર્મિક પણ બને છે. ‘જાતકકથા’માં તે કહે છે :

બધા આનંદોની પરિણતિ–હવે વ્યાપક વ્યથા;
જુદી સંબુધ્ધોથી મુજ જનમની જાતકકથા.

પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ :

એમ અમે વાળી લીધું તમારાથી મન,
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.

ઉશનસ્ અને જયંત પાઠક–આપણા આ બંને કવિઓની કવિતામાં રહેલું કેટલુંક સામ્ય તરત અભ્યાસીઓના ખ્યાલમાં આવશે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે. બંને રાગાવેગનાં ચિત્રો આપે છે; બંનેને બાળપણનું આકર્ષણ છે પણ નિરૂપણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે જ્યારે જયંત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે.

સંગ્રહમાં પ્રકાર પરત્વે સૉનેટ, ગઝલ અને ગીત પણ મળે છે. વિષય અને પ્રકારનું વૈવિધ્ય જેટલું સધાયું છે તેટલું નિરૂપણરીતિનું નથી. બોલચાલની છટાઓ ક્ષમતાપૂર્વક પ્રયોજાઈ છે. તેમનું એક કાલ્પનિક (?) પાત્ર ‘ભલાજી’ પણ અહીં ઉપસ્થિત છે જ. જયંત પાઠકની પદાવલિ એકંદરે સ્વચ્છ છે, તેમ છતાં ક્યારેક ‘પ્રલ્લે’, ‘તયે’, ‘સરેરાશિયો’ જેવા શબ્દો તે તે સ્થાને સંતર્પક લાગતા નથી. ક્યાંક લયપ્રવાહ તૂટતો લાગે એવા શબ્દોનો ઉપયોગ ખટક્યા વગર રહેશે નહિ. પરંપરાગત ગઝલ કરતાં અત્યારે લખાતી ગઝલોનો ઉન્મેષ અહીંની કેટલીક કૃતિઓમાં મળશે. સંગ્રહમાં ગીતોનું પ્રમાણ થોડું ઘટ્યું છે પણ જે છે તે કવિનાં ઉત્કૃષ્ટ ગીતોમાં સમાવિષ્ટ થઈ શકે તેવાં છે.

‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કવિ પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાએ સુજ્ઞ કાવ્યપ્રેમીને અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે?


  1. શ્રી જયંત પાઠકના કાવ્યસંગ્રહ ‘અનુનય’ની પ્રસ્તાવના