વિવેચનની ભૂમિકા/ઋણસ્વીકાર

ઋણસ્વીકાર

મારા આ ગ્રંથના પ્રકાશનપ્રસંગે પૂર્વકથન રૂપે વધુ કંઈ કહેવાની ઇચ્છા નથી. માત્ર ઋણસ્વીકાર કરીને મારું અંતર હળવું કરું એટલી જ ઝંખના છે. ગ્રંથસ્થ કરેલા અધ્યયનલેખો પાછળ આપણી કેટલીક સાહિત્યસંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનાં આમંત્રણો પડ્યાં છે. તે સાથે પોતાનાં સામયિકોમાં પ્રગટ કરનાર સંનિષ્ઠ તંત્રીશ્રીઓ/સંપાદકશ્રીઓની સદ્‌ભાવના પણ રહી છે. એ પૈકી શ્રીમતી મંજુબહેન ઝવેરી, ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા, સ્વ. સુરેશ જોષી જેવા અગ્રણી તંત્રીઓ મને સતત પ્રેરણાબળ રહ્યા છે. તેમનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી યશવંત દોશી, ગુલાબદાસ બ્રોકર, ભોળાભાઈ પટેલ, શિરીષ પંચાલ અને રતિલાલ અનિલ જેવા તંત્રીઓ/સંપાદકોને ય આજે પ્રેમપૂર્વક સ્મરું છું. આ ગ્રંથના પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ઉદાર આર્થિક સહાય મળી છે. આ સહાય ન હોત તો આ પુસ્તકનું પ્રકાશન વિલંબમાં જ પડ્યું રહેત. એટલે, આ પ્રસંગે સાહિત્ય અકાદમીના અગ્રસ્થાને રહેલા અધિકારીશ્રીઓ અને સંબંધિત પરામર્શકશ્રીનો અંતરથી આભાર માનું છું. ચંદ્રિકા પ્રિન્ટરીના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી રાકેશભાઈ દેસાઈએ પૂરી કાળજી લઈને આ પુસ્તકનું સુંદર રુચિકર છાપકામ કરી આપ્યું, તે માટે તેમનો ય આભારી છું. લોકસાહિત્યાલય, આણંદના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી શ્રી હરેન્દ્ર ભટ્ટે આ પુસ્તકના વેચાણની જવાબદારી સ્વીકારી છે તે માટે તેમનો ય ઋણી બનું છું.

તા-૨૫-૨-૯૦
વલ્લભવિદ્યાનગર
પ્રમોદકુમાર પટેલ