વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી, ‘પ્રેરિત’ (૪-૭-૧૮૯૯) : વિવેચક. જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃત ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯ને નર્મદચંદ્રક. ૧૯૬૨માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિ વેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ. પી. વિવેચના’ (૧૯૩૯) એમને પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન’ (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ગોવર્ધનરામઃ ચિંતક ને સર્જક (૧૯૬૩) નામે મળ્યાં છે. એમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલું વિવેચનલેખ મળ્યો છે ‘સરસ્વતીચંદ્ર'. છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધન રામ પરની વ્યાખ્યાનમાળામાં એમનો ઉપક્રમ ‘સરસ્વતીચંદ્ર'નાં પ્રભાવક તો શોધવા-સારવવાનો જણાય છે. ગોવર્ધનરામની શૈલી’ વિશેના બે લેખમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સેદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાની તપાસ કરી તેમના જીવનતત્ત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા'ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ સરસ્વતીચંદ્રનું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિષયક વિવેચનામાં એમની તત્ત્વદર્શી ને સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનાં સુભગ દર્શન થાય છે. એમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખોમાં તેમના ધર્મચિંતનને અવલોકવાનો પ્રયાસ છે. ‘ઇતિહાસ દિગ્દર્શન'ની સમીક્ષામાં એમણે બ. ક. ઠાકોરની દીર્ઘદૃષ્ટિ અને દેશભક્તિ તરફ ધ્યાન ખેંચ્યું છે. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્યનાં પાંચ વ્યાખ્યાનોમાં સુધારા ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચાર ધારાઓ વિશેના ગદ્યની સેદાહરણ તપાસ છે. કવિઓ અને કાવ્યસંગ્રહનાં વિવેચનોમાં એમની વિધ્ય પસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શેષ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મસ્યગંધા અને બીજાં નાટકો તથા ‘રાઈનો પર્વત’ પરનાં એમનાં લખાણો એમની નાટ્ય. વિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં ‘સરસ્વતીચંદ્ર’ ઉપરાંત ‘ગુજરાતનો નાથ'ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે. એમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. એમનું ચિત્તતંત્ર સૂમસંવેદી ને સહૃદય હોવાને લીધે સાહિત્યકૃતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને અભ્યાસશીલતાથી ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણ માર્મિક, વેધક અને જે તે સાહિત્યકતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં વિવેચકના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને લીધે એમનાં ગ્રંથાવલોકનોમાં સંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકનો પ્રમાણમાં ઓછાં મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં ગ્રંથાવલોકનોમાં સુશ્લિષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે. [પ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાંતને ફેર તપાસ નિમિત્ત, ક્યારેક તત્ત્વચર્ચાના પ્રત્યાઘાત રૂપે તો ક્યારેક કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્યતત્ત્વચર્ચા કરી છે. એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને ભાવકના પરસ્પર સંબંધની ચર્ચા છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખન મોટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલો છે. તેઓ કલાકૃતિના સૌંદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં મૂલ્યબોધનો સમાવેશ કરે છે. એમની આ વિચારણા પર ઍક્યુ આર્નલ્ડ, કોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોનો પ્રભાવ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતાને એમણે પૂરતું મહત્ત્વ આપ્યું નથી. એમના મતે વિવેચકનું કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજવાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. વિવેચનનો ઉદ્ભવમાં તેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ તપાસવાનું છે. વિવેચન વિશેના એમને દૃષ્ટિકોણ કૌતુકરાગી છે અને વિવેચનને સર્જનાત્મક આવિષ્કાર માનવાનું એમનું વલણ છે. વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ’ કહે છે. એમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવની ચર્ચા પણ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનર્વિચારણા કરી તેની મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત કરી છે. ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં ‘કૌતુક્રાગ’ લેખમાં, કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં એમણે વિભિન્ન નિમિત્તોએ હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોની ગતિવિધિનો આલેખ દોરી આપ્યો છે. એમણે કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે એમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને મર્યાદાઓ દૃષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, માર્મિકતા, રસાન્વિત સૌંદર્યદૃષ્ટિ, અભિજાત રુચિની સ્નિગ્ધતા અને નિરૂપણ ની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્લિષ્ટતાનો અભાવ, કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એકપક્ષી અભિનિવેશ એ મર્યાદાઓ છે. વાક્યાન્વયના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક કાકઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશમાં પ્રગટતા ભાદ્રકોમાં ઇષ્ટ અર્થપિડને સાકાર કરતી એમની ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે. એમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના પ્રારંભે કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ’ (૧૯૨૪)માં ફેન્ટસીઝ પ્રકારનાં ભાવનારંગી અને નિબંધ લખાણ ગ્રંથસ્થ થયાં છે. એના પર ન્હાનાલાલની ‘પાંખડીઓનો પ્રભાવ વરતાય છે. દ્રુમપર્ણ (૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધ અને ‘આશ્ચર્યવત્ (૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધો સંગ્રહાયા છે.