વીક્ષા અને નિરીક્ષા/બે કહેવતો

From Ekatra Foundation
Jump to navigation Jump to search

બે કહેવતો

૧. ભાદરવાનો ભીંડો

કવિ દલપતરામની ભાદરવાના ભીંડા વિશેની કુંડળિયા છંદમાં લખેલી કવિતા જાણીતી છે.

ભીંડો ભાદરવા તણો વડને કહે, `સુણ વીર.’
`સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર.’
`તું જા સરવર તીર’, સુણી વડ ઉચર્યો વાણી,
`વીત્યે વર્ષાકાળ જઈશ હું બીજે જાણી.’
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ ભીંડો તે ભાદરવાનો.

હમણાં હું આશારામ દલીચંદકૃત `ગુજરાતી કહેવત સંગ્રહ’ જોતો હતો, તેમાં પૃ. ૨૦૪ ઉપર કવિ ક્હાનનો નીચેનો કુંડળિયો જોવા મળ્યો :

ભીંડા ભાદુ માસકા બડકું કહે જરૂર,
મેં તુમ ઈંહાં આવે નહીં, જગા કરો તુમ દૂર;
જગા કરો તુમ દૂર, બડે તબ અરજી કીની,
વૃષા ઋતુ એક માસ, આરા બસનેકું દીની;
કથે સો કવિયાં ક્હાન, મૂલ નહીં હૈ ઊંડા,
આયા આસો માસ, ભૂખ દુઃખ સૂક્યા ભિંડા.

બંને વચ્ચેનું સામ્ય ઉઘાડું છે.

*

૨. ચોરનો ભાઈ ઘંટીચોર

આ કહેવત ખૂબ જાણીતી છે, પણ એનો શબ્દાર્થ એટલો જાણીતો અથવા સ્પષ્ટ નથી. `ઘંટીચોર’ એટલે ખરેખર ઘંટી ચોરનાર અર્થ છે કે બીજો અર્થ છે એ બધા જાણતા નથી. આશારામ દલીચંદકૃત ‘ગુજરાતી કહેવત સંગ્રહ’માં પૃ. ૧૭૪ ઉપર એ કહેવત આ રૂપે મળે છે. `ચોરનો ભાઈ ગંઠી છોડ.’ અને એમાંનો ‘ગંઠીછોડ’ શબ્દ આજના ખીસાકાતરુ માટે વપરાયેલો છે. પહેલાં લોકો નાણું ગાંઠે બાંધતા એટલે એ નાણું સિફતથી છોડી લેનાર `ગંઠીછોડ’ કહેવાતો. આ વાત ભુલાઈ જતાં `ગંઠી છોડ’નું જ `ઘંટીચોર’ થઈ ગયું. આમ, કહેવતસંગ્રહમાંનો પાઠ ઘંટીચોરની વ્યુત્પત્તિ માટે ખૂબ ઉપયોગી છે. સાર્થ જોડણીકોશની હમણાં પ્રગટ થયેલી પાંચમી આવૃત્તિમાં પણ `ઘંટીચોર’ શબ્દની વ્યુત્પત્તિ વિશે આવી નોંધ મળે છે: `ઘંટીનો ચોર’ કે सं. ग्रंथिछेदक પ્રા. गठिछेअ?’ કહેવત સંગ્રહનો પાઠ જોતાં `ઘંટીચોર’ શબ્દ `ગંઠીછોડ’ ઉપરથી બનેલો લાગે છે.