વેળા વેળાની છાંયડી/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.







સોરઠી જીવનની નવલકથા

વેળા વેળાની છાંયડી





ચુનીલાલ મડિયા






હે અલક્ષ્મી રૂક્ષકેશી તુમ દેવી અચંચલા;
તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા.
૨વીન્દ્રનાથ ટાગોર






પ્રાપ્તિ સ્થાન


નવભારત,
સાહિત્ય
મંદિર

જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
Email: info@navbharatonline.com
Web: www.navbharatonline.com
fb.com/NavbharatSahityaMandir





Vela Vela ni Chhanyadi
By Chunilal Madia
Navbharat Sahitya Mandir, Ahmedabad, 2019
ISBN: 978-81-8440-219-3




© શ્રીમતી દક્ષા મડિયા




ચૌદમી આવૃત્તિ: ૨૦૧૧
પંદરમી આવૃત્તિ: ૨૦૧૯




પ્રકાશક:
મહેન્દ્ર પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
Email: info@navbharatonline.com
Web: www.navbharatonline.com
fb.com NavbharatSahitya Mandir



મૂલ્ય: રૂ. ૩૫૦



લેઆઉટ/ટાઇપસેટિંગ:
www.e-shabda.com
મુદ્રક: યશ પ્રિન્ટર્સ, અમદાવાદ




નિવેદન

‘જનશક્તિ’ દૈનિકના તંત્રી શ્રી રવિશંકર વિ. મહેતાએ એમના અખબાર માટે નવલકથાની માગણી કરી, ત્યારે મને કલ્પના નહોતી કે દર અઠવાડિયે એકેક હફતો લખવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો નવલકથા અરધે પહોંચી ત્યારે જ ખબર પડી. પછી તો એવું પણ બનતું કે અંક પ્રગટ થવાને આગલે દિવસે એનું પ્રકરણ લખાતું હોય. શ્રી લક્ષ્મણ વર્મા અગાઉથી ચિત્ર તૈયાર કરી નાખે, એના બ્લૉક ગોઠવાઈ જાય પછી એનું લખાણ તૈયાર થાય એવું પણ ઘણી વાર બન્યું છે. કથાની હેમખેમ પૂર્ણાહુતિ કરવામાં શ્રી રવિભાઈ ઉપરાંત ચિત્રકાર શ્રી લક્ષ્મણ વર્મા, ‘જનશક્તિ’ તંત્રીમંડળના ભાઈઓ શ્રી. દોલત દેસાઈ, શ્રી ભગવાનદાસ કાપડિયા, શ્રી ઈશ્વર પંચોલી, શ્રી હરીન્દ્ર દવે, શ્રી ચંદ્રવદન શુક્લ, શ્રી અનિલ કોઠારી, શ્રી રમેશ તિજોરીવાળા, શ્રી જશ શાહ, શ્રી શકુન્ત રાવળ, શ્રી રજનીકાન્ત ઉપાધ્યાય, શ્રી ભાવસાર તથા ‘ફ્રી પ્રેસ જર્નલ’વાળા શ્રી શાંતિલાલ શાહનો પણ હિસ્સો છે.

ચુનીલાલ મડિયા

પુનર્મુદ્રણ પ્રસંગે

‘જનશક્તિ’ અખબારમાં તૈયાર થયેલી આ નવલકથાનું પુનર્મુદ્રણ શક્ય બનાવનાર મારા ચાહક વાચકોનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું. ⁠શ્રી રવિભાઈ વિ. મહેતાએ આ કથાનું અવલોકન આ પુનર્મુદ્રણમાં પણ સામેલ કરવાની રજા આપી છે એ બદલ એમનો ઋણી છું. ચુનીલાલ મડિયા


બીજું પુનર્મુદ્રણ

જાણીતા ચલચિત્ર-નિર્માતા શ્રી સોહરાબ મોદીએ આ કથા પરથી ‘સમય બડા બલવાન’ નામે હિન્દીમાં ચિત્ર ઉતાર્યું હતું, એની સાભાર નોંધ આ બીજા પુનર્મુદ્રણ પ્રસંગે લઉં છું. ચુનીલાલ મડિયા


[આ નવલકથાના અનુવાદ તેમજ નાટ્યકરણ સહિત સર્વ અધિકારો લેખકને સ્વાધીન છે. લેખકના પરિવારની અનુમતિ વિના આ કથાના કોઈ પણ પાત્રનો કે પ્રસંગોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થયો જણાશે તો કૉપીરાઈટનો ભંગ થયો ગણાશે.]






લોકજીવનનો અધ્યાસ

આ પુસ્તકની પ્રસ્તાવનામાં નવલકથાની સફળ પૂર્ણાહુતિના ખાટસવાદિયા જશભાગીઓની નામાવલિમાં શ્રી મડિયાએ મારા નામનો પણ ઉમેરો કરીને તેનું મૂલ્યાંકન કરવાનું મારું કામ અમુક અંશે અનુચિત બનાવી દીધું છે. છતાં આ અવલોકન લખતાં મને ખાસ ક્ષોભ થતો નથી તેનાં બે કારણ છે: એક, એ કે આ પુસ્તકની ‘જનશક્તિ’ના વાચકોને મારે સિફારસ કરવી નથી; કેમ કે એવી સિફારસ તો, આ કથા વાર્તારૂપે આ પત્રમાં પ્રગટ થતી હતી તે દરમ્યાન પ્રત્યક્ષ રીતે સેંકડો અને પરોક્ષ રીતે હજારો વાચકોએ સામેથી મને અને લેખકને કરેલી છે. બીજું, આ વાતનો રસાસ્વાદ એ પ્રસ્તાવના લખાય તે પહેલાં જ હું માણી ચૂકેલ છું. એનું રસદર્શન એ વખતે જે રીતે અને જે કારણોસર થયેલું તેથી વિશેષ અહીં કંઈ કહેવાનો મારો ઉદ્યમ નથી.

⁠આ વાર્તા વાંચવાની શરૂઆત મેં ધંધાદારી ફરજરૂપે કરેલી અને પછીથી વાચનની બેત્રણ આવૃત્તિઓ ધંધાદારી કરતાં રસપિપાસુ વાચક તરીકે જ કરેલી. તે પછીથી વરસેક દિવસે એ જ વાત ફરી પુસ્તક રૂપે હાથમાં આવી ત્યારે એટલા જ રસપૂર્વક ફરીથી વંચાશે કે કેમ એવી થોડી શંકા હતી, પરંતુ ચાલુ વાર્તા તરીકે છપાતી હતી, તેના કરતાં આમાં લેખકે કાંઈ ફેરફાર કર્યા છે કે કેમ, એવી જિજ્ઞાસાથી પાનાંઓ પર નજર નાખવા લાગ્યો; અને શું કરી રહ્યો છું તેની ખબર પડે તે પહેલાં તો આખીયે નવલકથા લગભગ એક જ બેઠકે ફરીથી વંચાઈ ગઈ. આવી એની રસાત્મકતા છે. રસજ્ઞ વાચકની સરેરાશમાં જો મારો સમાવેશ થઈ શકે તો નવલકથાના ગુણની પ્રશંસામાં એથી વિશેષ કાંઈ કહેવાનું ભાગ્યે જ જરૂરી ગણાય.

⁠લલિત વાઙ્‌મયના કોઈ પણ સ્વરૂપની રસદાયકતા એ એનો પ્રધાન અને નિર્ણાયક ગુણ ગણાય, પરંતુ રસાસ્વાદ અને રસમીમાંસા એ બે અલગ જ વસ્તુઓ છે. આ પાછલો વ્યવસાય શુષ્ક છે, પરંતુ તેને જરૂરી એટલા માટે ગણવામાં આવે છે કે, રસોત્પાદક અંગો કે તત્ત્વોનાં પૃથક્કરણને પરિણામે રસાસ્વાદની માત્રા વધુ તીવ્ર અને તેની અસર વધુ સ્થાયી અને વધુ પરિતોષજનક બને છે, આ દૃષ્ટિએ આ નવલકથામાં જે ગુણો મને દેખાય છે તે ટૂંકામાં આવા છે:

⁠ટૂંકી વાર્તા તેમજ નવલકથામાં કેટલાક લેખકો તેમજ વિવેચકો વસ્તુસંકલના-Plot-anecdoteનું નિર્ણયાત્મક પ્રાધાન્ય લેખે છે. પ્રાધાન્યનો ઇન્કાર તો કોઈથી કરી શકાય નહીં, પણ તેને નિર્ણયાત્મક ગણવાનું મને યોગ્ય નથી લાગતું, જીવનમાં તેમજ કથાઓમાં આપણે સાવ સામાન્ય લાગે દિલધડક-dramatic—જરાય ન લાગે એવા પ્રસંગોમાં પણ અન્યથા જરાય ધ્યાન ન ખેંચે એવા માણસો કે પાત્રોને સમાચાર કે દુરાચારની દૃષ્ટિએ અસામાન્ય રીતે વર્તતાં જોઈએ છીએ; અને એવો તેમનો–વાણી કે કાર્યનો—વર્તાવ પોતે જ ચિત્તાકર્ષક અને યાદગાર બની જાય છે, એટલે નાટકી પ્રસંગયોજના કે વસ્તુસંકલના લેખકની પાત્રાલેખન, વર્ણન, સંવાદ વગેરેને લગતી શક્તિઓનો ઉત્કર્ષ દાખવવાને વધુ તક પૂરી પાડે છે એટલી જ તેની મહત્તા લેખી શકાય. પરંતુ એ વિના વાર્તા જામે જ નહીં એમ નિરપવાદ રીતે ન કહી શકાય.

⁠એ વિવાદને બાજુએ રાખતાં આ નવલકથાની વસ્તુસંકલના વિશે સાનુકૂલ કે પ્રતિકૂલ અભિપ્રાય ઉચ્ચારવાનું મને શક્ય કે જરૂરી નથી લાગતું.

⁠લેખકે બતાવ્યું છે તેમ આ નવલકથા મૂળ તો તેમની એક નવલિકા પરથી ઊપજી છે; અને એ નવલિકામાં કથાપ્રસંગોનું માત્ર કલેવર જ રજૂ થઈ શક્યું હશે; છતાં, એ દૃષ્ટિએ પણ તે ઘણાંને સંતોષકારક લાગી હતી. એટલે, કથાની વસ્તુસંકલનાને ગુણવિશેષનું પ્રમાણપત્ર ન આપતાં સંતોષકારક ગણીને; વસ્તુસંકલનમાં જે એક વસ્તુ અન્યથા ગૌરવાન્વિત એવી આ કથાને સહેજ સસ્તી બનાવનાર તરીકે મને ખૂંચી છે તેનો નિર્દેશ કરીને આગળ વધીએ. એ વસ્તુ તે નવલકથાના પ્રવાહમાં શારદાનો પ્રવેશ, શારદા ચંપાનો સંદેશ લઈ નરોત્તમ પાસે આવે અને રમકડાં રૂપી પ્રેમ-પ્રતીકોની બંને વચ્ચે આપલે કરે એ કથાના suspenseને હાનિ પહોંચાડનારું અને મોંઘા લાગણીવેડા જેવું મને લાગ્યું છે. એ એક અપવાદ સિવાય અઘટનીય જેવું અથવા તો કથાના ઉદાત્ત રસ સાથે અસંગત હોય એવું કશું જ મને લાગ્યું નથી.

⁠‘જનશક્તિ’ના લગભગ તમામ વાચકો કથાવસ્તુથી સુપરિચિત છે, એવા ખ્યાલથી વસ્તુનો સાર અહીં રજૂ કરવાનું ટાળીને તેનું નિરીક્ષણ માત્ર અહીં રજૂ કર્યું છે, અને એ સમજને આધારે જ કથાનાં બીજાં અંગોના વિવેચનમાં સીધો ઝુકાવું છું.

⁠આ નવલકથામાં મને જો કાંઈ સહુથી વધારે ચિત્તાકર્ષક લાગ્યું હોય તો તેનું સો ટકા શુદ્ધ કાઠિયાવાડી વાતાવરણ છે. બે પેઢી પહેલાંનું કાઠિયાવાડ આમાં તાદૃશ રજૂ થાય છે. એની રેલવે, એનાં વાહનો, રસ્તા, ઘરો, પાત્રો, પ્રસંગો, વર્ણન, સંવાદો અને લોકમાનસ એ બધાં અને બારીકમાં બારીક વિગતો—આ બધાં શુદ્ધ અને સાંગોપાંગ કાઠિયાવાડી છે. આ વૃત્તિમય અને ચિત્રાત્મક વાસ્તવિકતાનો આભાસ એટલો સંપૂર્ણ છે કે આ બધાંનો જેમને ખ્યાલ ન હોય તેમનામાં એ સ્વાનુભવનો રસ જગાવી શકે છે, અને જેમને એવો ખ્યાલ ન હોય તેવા વાચકોને યથાર્થતા-Authenticity—ના ખ્યાલમાં પ્રભાવિત કરે છે. જેને બ્રહ્મની સૃષ્ટિમાં તેનાં સર્જિતોને ઘણુંક પ્રિય-અપ્રિય લાગતું હોવા છતાં કંઈ જ અનુચિત નથી લાગતું, તેમજ શ્રી મડિયાની આ મર્યાદિત સૃષ્ટિમાં વાચકને કશું જ અનુચિત કે અપ્રસ્તુત નથી લાગતું. એને હું લેખકની સર્જક પ્રતિભાનો અસામાન્ય ઉત્કર્ષ લેખું છું.

⁠એવી જ છાપ એમનું પાત્રાલેખન ઉપજાવી રહે છે. રેલવે સ્ટેશન બહાર પરબનું પાણી પાતી વિધવા બ્રાહ્મણ ડોશી કે રેલવે સ્ટેશનને ઘર બનાવી રહેતા ગંજેરી દાવલશા ફકીરથી માંડીને કથાનાયક ઓતમચંદ સુધીનાં નાનાં-મોટાં એકેએક પાત્રમાં ઉપર્યુક્ત યથાર્થતા-Authenticity—નો પૂરો પ્રત્યય વાચકને ઊપજી રહે છે. દરેક પાત્ર તે મુકાયું છે તેવા પ્રસંગમાં બસ આ રીતે જ વિચારે, બોલે અને વર્તે એવી પ્રતીતિ વાચકોને થાય છે; અને કેવળ પાત્રો જ નહીં, અનામી લોકસમૂહ પણ આવી પ્રતીતિજનક રીતે જ વર્તતો હોય છે અને દરેક પાત્રની બોલીની શુદ્ધ કાઠિયાવાડી શબ્દરચના જ નહીં, પણ એ બોલીનો વળ-tone and texture—એ યથાર્થતાની પ્રતીતિને સંપૂર્ણ બનાવી રહે છે.

⁠પાત્રાલેખન શબ્દ મેં વાપર્યો છે; પરંતુ શ્રી મડિયાએ અહીં રજૂ કરેલાં પાત્રો વિશે તે યોગ્ય રીતે વાપરી શકાય કે કેમ એ શંકાયુક્ત છે. ‘પાત્રાલેખન’ શબ્દમાં લેખકની સર્જક અહંતાનો ભાવ कर्तु अकर्तु अन्यथाकर्तु समर्थ એવો ઈશ્વરભાવ રહેલો છે. શ્રી મુનશીનાં અને બીજા કેટલાક સમર્થ લેખકોનાં પાત્રાલેખનમાં આવો ઈશ્વરભાવ અંતર્ગત રહેલો દેખાય છે. પાત્રો અંગેની શ્રી મડિયાની સર્જકપ્રતિભા આથી જુદા પ્રકારની દેખાય છે. પ્રકૃતિને ચાલના આપી તેના સ્વભાવગત નિયમાનુસાર રચાતી અને કર્માનુસાર શુભાશુભ યોગો પામતી સૃષ્ટિ વિશે બ્રહ્મા જેમ નિરપેક્ષ હોય છે તેવું માનસ લેખકનું જણાય છે. ચોક્કસ પાત્રોનો સંભવ સ્વીકારી લીધા પછી સ્વભાવનુસાર રચાતી તેમની લીલાના લેખક સમતા અને સહાનુભૂતિપૂર્ણ સાક્ષી બની રહે છે. બધાં જ નાનાંમોટાં પાત્રો પ્રત્યે તેમની આત્મીયતા હોય છે અને પોતાના કથનકૌશલ્યથી તેઓ એ આત્મીયતા વાચકોમાં પણ જગાવી શકે છે. આ વાર્તાના પ્રસંગો અને પાત્રો વિશે વાસ્તવિકતા અને પરિચિતતાનો જે અધ્યાસ હજારો વાચકોને ઊપજ્યો છે, તેનું રહસ્ય આ છે.

⁠અને કેવી મનમોહક એ સૃષ્ટિ છે ! ઓતમચંદ, કીલો કાંગસીવાળો, નરોત્તમ, એભલ આયર, મંચેરશા, ચંપા, લાડકોર, હીરી આહીરાણી, મીઠીબાઈ સ્વામી વગેરે શ્રેયાર્થી માનવતાની જીવંત જ્યોત જેવાં પાત્રો: કપૂરશેઠ, વશરામ ગાડીવાળો, બટુક, સંતોકબા, જસી, સમરથ વગેરે સરેરાશ માનવતાના નમૂના જેવાં પાત્રો; અને મકનજી મુનીમ, મનસુખલાલ, દકુભાઈ વગેરે સ્વભાવદુષ્ટ પાત્રો; એ બધાં જ પોતપોતાની જીવનલીલા અહીં વ્યક્ત કરે છે. તેમનાં ચરિત્રો પ્રત્યે વાચકને આદર કે અનાદરની લાગણીઓ જાગે છે, પણ આત્મીયતા–સ્વાનુભવરસિકતા —જેવું તો બધાં જ ને વિશે લાગે છે. લેખકની ચરિત્રચિત્રણકલાનું એ કામણ છે.

⁠મારા મતે નવલકથાનાં આ મુખ્ય તત્ત્વો વાસ્તવિક જીવનનો એક ખૂબ જ સંમોહક અધ્યાસ ઊભો કરે છે. કથાનાં તમામ પ્રસંગો અને પાત્રો કલ્પિત છે એ લેખકની વાત સાચી છે. છતાં બે’ક પેઢી પહેલાંના સૌરાષ્ટ્રના મધ્યમવર્ગીય જીવનનો એવો યથાર્થ અને તાદૃશ ચિતાર તેઓ રજૂ કરે છે કે તેને સૌરાષ્ટ્રના લોકજીવનના ચોક્કસ સમય અને સમાજજીવનના ચોક્કસ ખંડનું દસ્તાવેજી ચિત્ર ગણી લેવામાં લેશમાત્ર અનૌચિત્ય ન ગણાય. હજારો વાચકોએ–જેમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે–તેને એવું ગમ્યું જ છે. વાસ્તવિક જીવનનો આવો અધ્યાસ ઊભો કરવો એ સર્જનાત્મક લેખનની કૃતકૃત્યતા લેખાય. એવી કૃતકૃત્યતા શ્રી મડિયાએ આ લખીને અનુભવી હશે અથવા તેમણે અનુભવવી જોઈએ.

રવિશંકર વિ. મહેતા

…A writer should create living people, not characters. A character is a caricature. If writer can make people live there may be no great characters in his book, but it is possible that his book will remain as a whole, as an entity… Ernest Hemingway

દેખ ગુલશન કી તરફ, દેખ જરા લુત્ફે બહાર
રક્સ કરના હૈ તો ફિર પાંવ કી જંજીર ન દેખ.

‘મજરૂહ’ સુલતાનપુરી

ન ફિર હમ ન અપસાનાગો અય શબે ગમ !
સહર તક હૈ કિસ્સા તમામ અપના અપના.

‘શાદ’ અજીમાબાદી

A novel is great and good in direct proportion to the illusion it gives of life and a sense of living. It is great in direct proportion to the degree it enfolds the reader and permits him to walk in imagination with the people of an artificial but very real world, sharing their joys and sorrows, understanding their perplexities... Johan P. Marpuand







'શ્રી ચુનીલાલ મડિયાનાં પુસ્તકો'

નવલકથા

         વ્યાજનો વારસ - પાવક જ્વાળા - ઈંધણ ઓછાં પડ્યાં - વેળા વેળાની છાંયડી - લીલુડી ધરતી ભા. ૧/૨ - પ્રીતવછોયાં - શેવાળનાં શતદલ - કુમકુમ અને આશકા - સધરાના સાળાનો સાળો - સધરા જેસંગનો સાળો ભા. ૧/૨ - ગ્રહાષ્ટક વત્તા એક - ઇન્દ્રધનુનો આઠમો રંગ - આલા ધાધલનું ઝીંઝાવદર

નાટક

         રંગદા - વિષવિમોચન - રક્તતિલક - શૂન્યશેષ - રામલો રોબિનહૂડ - નાટ્યમંજરી - હું ને મારી વહુ

કવિતા

         સૉનેટ

સંપાદન

         શ્રેષ્ઠ નાટિકાઓ - નટીશૂન્ય નાટકો - આંતરરાષ્ટ્રીય એકાંકીઓ - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિઅંક

નાટ્યવિષયક

         નાટક ભજવતાં પહેલાં

પ્રવાસ

         જય ગિરનાર

નવલિકા

         ઘૂઘવતાં પૂર - ગામડું બોલે છે - પદ્મજા - રૂપ-અરૂપ - ચંપો ને કેળ - શરણાઈનો સૂર - તેજ અને તિમિર - અંતઃસ્રોતા -જેકબ સર્કલ, સાત રસ્તા - ક્ષણાર્ધ - ગો૨જ - મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ - મડિયાની ગ્રામકથાઓ - મડિયાની હાસ્યકથાઓ - મડિયા વાર્તાવૈભવ - મારી વાર્તાઓ -ક્ષત-વિક્ષત - ખાકનું પોયણું

ચરિત્ર

         વિદ્યાપ્રેમી ફાર્બસ

નિબંધ

         ચોપાટીને બાંકડેથી–છીંડું ખોળતાં

વિવેચન

         ગ્રંથગરિમા - વાર્તાવિમર્શ - કથાલોક - શાહમૃગ - સુવર્ણમૃગ - ગુજરાતી સાહિત્યમાં ડોકિયું

અનુવાદ

         શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ - કાળજાં કોરાણાં - કામણગારો કર્નલ