વ્યાજનો વારસ/હૈયાહોળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હૈયાહોળી

સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત–કાઠિયાવાડમાં શાહ–શરાફ તરીકે નામ કાઢ્યું હતું. મુગલ સલ્તનત અને એ પછીના સમયમાં આ પેઢીએ શરાફીના ક્ષેત્રમાં ડંકો વગાડ્યો હતો. સુરતના વીરજી વોરા અને આત્મારામ ભૂખણવાળાની પેઢીઓ સાથે એને ગાઢ વેપારી સંબંધો હતા. હોરમઝ ને બસોરા, મોચા અને બાંટમ અને ફિલિપાઈન સુધી સાત સમંદરોને ડહોળતાં વેપારી જહાજોનું ‘અર્થ’ સંચાલન આ પેઢીઓ દ્વારા થતું. વડોદરાના શામળ બેચર અને હરિભક્તિવાળાની લખેલી હૂંડીઓ હજીય આભાશાના જૂના પટારામાં સચવાઈ રહી હતી.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવીને દેશભરમાં ચલણનું એકીકરણ કરવા માંડ્યું ત્યારથી શાહ કુટુંબની શરાફીને ધક્કો પહોંચ્યો. એ પહેલાં સોમનાથ પાટણમાં તેમની પેઢી ધમધોકાર ચાલતી. જગતના નાથના દર્શનાર્થે આસેતુ–હિમાચલથી આવતા યાત્રીઓનાં તળપદા ચલણાના સિક્કાઓ બદલી આપવાનું કામ આ પેઢી ધમધોકાર ચલાવતી. અકબરની શહેનશાહત દરમિયાનના છેંતાળીશ જાતના સુવર્ણ સિક્કાઓ, સવાસો જાતના ચાંદીના સિક્કાઓ અને બસો ઓગણત્રીસ પ્રકારના તાંબાના સિક્કાઓ લઈને સોમનાથ ​પાટણ આવનાર પ્રવાસીઓને શાહ–પેઢીની સેવાઓ લીધા વિના છૂટકો જ નહોતો. અમદાવાદ અને આગ્રા, લખનૌની અને કાબોલની જુદી જુદી ટંકશાળોના જુદા જુદા સિક્કાઓ અહીં વટાવાતા. પછી શાહજહાની રૂપિયા આવ્યા ત્યારે પણ ઉત્તર હિંદના યાત્રીઓને પાટણની બવરી બજારે હટાણે જતાં પહેલાં શાહની પેઢીએથી પૈસા કોરીઓ છુટ્ટી કરાવી જવી પડતી. સિક્કાના નિષ્ણાતો હાથમાં ‘કસોટી’ઓ લઈને બેઠા જ હોય અને સિક્કો હાથમાં આવ્યો કે તરત એ કેટલા ‘વલો’ છે એ કહી આપે. આજે ચલણ બદલનો ધંધો વર્ષો થયાં બંધ થયો હોવા છતાં આભાશા તેમ જ જીવણશાના ઘરમાં સંખ્યાબંધ કસોટી–ઓજાર તેમ જ શાહજહાની અને બીજા રૂપિયાઓ મળી આવે છે અને ભૂતકાળની જાહોજલાલીની યાદ તાજી કરાવે છે. આ શાહજહાની રૂપિયા અને સોનામહોરોના શગભર્યા ઢગલામાંથી જ બાળ રિખવે એની કૂણી કૂણી આંગળીઓ વડે મુઠ્ઠી ભરી હતી.

કોંકણ અને મલબાર કાંઠા, પૂર્વ આફ્રિકા અને અરબસ્તાન, ઈરાની અખાત અને લંકા બેટ, પેગન, મલાક્કા અને સચીન સુધી વેપાર ખેડનાર સોદાગરોને શાહ–પેઢી તરફથી સુરતની શરાફી પેઢીઓ ઉપર શાખપત્રો આપતા. અને શાહ–પેઢીની શાખ ઉપર હજારોને લાખોની લેવડદેવડ કરનારાઓના પેટમાં પાણી પણ ન હલતું.

આ એ જમાનો હતો, જ્યારે શરાફી પેઢીઓ રાજ્યકર્તાઓને પણ નાણાંભીડ ટાણે મદદ કરતી. એક તરફથી લક્ષ્મીદાસ શેઠ મુરાદબક્ષને પાંચ લાખ રૂપિયા જેવી નાદ૨ રકમ આપે છે. કલકત્તાના નવાબો પાસે જગતશેઠ નાણાં પાથરે છે, સુરતના વીરજી વોરા ઈસ્ટ ઇન્ડિયા જેવી સધ્ધર કંપનીને પણ મોટી રકમની ધીરધાર કરે છે, અમદાવાદના અંબાઈદાસ લશ્કરી તો પેશવા અને ગાયકવાડની પલટનના સિપાઈઓ સુધ્ધાંની નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે; તો બીજી બાજુ એ જ અમદાવાદના શેઠ શાંતિદાસ ​જેવા શાહ સોદાગર તો શરાફી કરવા ઉપરાંત સુરત, બરહાનપુર, બિજાપુર, દિલ્હી, આગ્રા અને સિંધલ જેટલે દૂર દૂર શાખાઓ ખોલીને હીરા–માણેક પણ મૂલવી જાણે છે.

પણ મુગલ સલ્તનતના છેલ્લા દસકાઓ દરમિયાન આ જાહોજલાલી ઓસરવા માંડી. મરાઠાઓના ધાડાં સમસ્ત ગુજરાતની સમૃદ્ધિને ભયરૂપ બનવા માંડ્યાં. અને પછી તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જ ‘એજન્સી હાઉસ’ શરૂ કરીને આ દેશી નાણાવટો ઉપર છેલ્લો ફટકો માર્યો.

બેંક ઑફ બૉમ્બેએ અમદાવાદમાં અને પછીથી ધોલેરામાં શાખાઓ ખોલી, ચલણનું એકીકરણ થયું અને શાહ–પેઢી જેવી અનેક પેઢીઓની કામગીરીઓ બંધ થઈ.

છતાં આભાશાનું ઘર હજી ભાંગ્યું તોય ભરૂચ જેવું હતું. નાણાવટનો ધંધો પડી ભાંગ્યા પછી આ પેઢી ધીરધાર અને વ્યાજવટાવ તરફ વળી હતી, સૈકાઓ થયા સોમનાથ છોડ્યું હોવા છતાં કાઠિયાવાડના આંતરપ્રદેશ—વેપારનું નાણાંકીય પાસું આ પેઢી સંભાળી રહી હતી. કાઠિયાવાડના ગૌરવભર્યા ભૂતકાળની આ પેઢી સાક્ષી બની રહી હતી. અમરજી દીવાન, જેસા વજીર અને ગગા ઓઝા જેવા રાજ્યનીતિજ્ઞો પેદા કરનાર ધરતીએ જ શાહ–પેઢીના એકેકથી ચડિયાતા શરાફી નિષ્ણાતો આપ્યા હતા.

આભાશાને ઘેર રિખવનો જન્મ એટલે ઝાઝી વાત. એણે આવીને તો આ પુત્રવિહોણું ઝાંખું લાગતું ઘર અજવાળ્યું હતું. પરિણામે આ સાત ખોટના પુત્રના લાડચાડ અને મલાવામાં મણા ન રહી. એકના એક સંતાનને માટે સ્વાભાવિક એવાં સઘળાં જ અનિષ્ટોનો રિખવ ભોગ બન્યો. મનસ્વીપણું, બેજવાબદારી, તુમાખી, મોજશોખી આદતો, ઉડાઉ અને અછકલાપણાની પૂરેપૂરી તાલીમ દલુ અને ઓધિયાએ સંયુક્ત પ્રયત્નો દ્વારા રિખવને આપી.

આભાશાની ડેલીએ જુનવાણી શિરસ્તો જાળવવા હજીય ​આરબોની બેરખ બેસતી. બ્રિટિશ સલ્તનતના આગમન પહેલાં જ્યારે કહેવાતાં કાયદો અને વ્યવસ્થા નહોતાં આવ્યાં ત્યારે તો ડેલીના વિશાળ ઓટા ઉપર આરબોની ખડી ચોકી રહેતી અને પહોરેપહોરના ચોઘડિયાં વાગતાં. એ હકીકતની સાક્ષી તરીકે, ઓટા ઉપર પહેરેગીરોના કાવા–કસુંબા ગાળવા માટે કંડારેલ કૂંડીઓ હજી પણ હયાત હતી. માત્ર, પહેલાંની હથિયારબંધ ચોકીને બદલે હવે બે વૃદ્ધ આરબ અને એક મકરાણી અફીણના ઘેનમાં એ ઓટે પડ્યા રહેતા. એ માત્ર પેટવડિયે જ સેવા બજાવતા હોવાથી આવા વિશ્વાસુ આદમીઓને રજા આપવાનું આભાશાએ મુનાસિબ માન્યું નહોતું. રિખવને જ્યારે નિશાળે બેસાડવા ટાણે નછૂટકે ડેલીની બહાર કાઢવો પડ્યો ત્યારે આ આરબની સેવાઓ અમૂલ્ય થઈ પડી.

રિખવને નિશાળે મૂકવાની વાત આવી અને તરત માનવંતીને ચેલૈયો, નિશાળ, મહેતાજી, પેલો માનવમાંસભક્ષી સાધુ, ખાંડણિયો અને ‘ખમ્મા ! ખમ્મા !’ કરીને વિલાપ કરતી પુત્રવત્સલ માતાના ભણકારા વાગી ગયા. એને મન કુટુંબનો વેરી જીવણશા પેલો માંસાહારી સાધુ હતો, જે હર ક્ષણે રિખવનો બોરકુટો કરવા તલસી રહ્યો હતો. દુશ્મનોની કૂડી ને મેલી નજરથી રિખવને રક્ષવા માટે આ વિશ્વાસુ આરબને રિખવનો અંગરક્ષક બનાવવામાં આવ્યો હતો. શરૂમાં તો આ આરબ રિખવને કાખમાં તેડીને અને પછીનાં વર્ષોમાં આંગળી ઝાલીને શાળાએ લઈ જતો અને લઈ આવતો.

થોડા જ દિવસમાં રિખવને આ જૈફ આરબના અંગરક્ષણમાં ગૂંગળામણ લાગવા માંડી અને દલુ અને ઓધિયા સાથે એણે હરવાફરવાનું શરૂ કર્યું. આભાશા કે માનવંતીને આ વાત રુચિ તો નહિ, છતાં પુત્રને જે લાડચાડમાં ઉછેર્યો હતો એ જોતાં એની હરેક માગણી સંતોષવી જ જોઈએ એ આ ઘરમાં શિરસ્તો થઈ પડ્યો હતો. ​ દલુ અને ઓધિયાની સોબતમાં રિખવનો યૌવનકાળ વીતવા લાગ્યો.

એ કાળના સ્વૈરવિહારો અને સ્વૈરઆચરણોમાં એમને પેઢીનો અને ઘરનો બન્ને ઠેકાણાંનો સામાન્ય વાણોતર ધમલો બહુ ઉપયોગી થઈ પડ્યો. ધમલો નાનપણથી જ આવો ખાટસવાદિયો હતો. પણ એને કમનસીબે આભાશાને કોઈ જાતની મોજશોખની ટેવો ન હોવાથી ધમલાની વિશિષ્ટ શક્તિઓ અને સેવાઓનો આજ દિવસ સુધી આ ઘરમાં કોઈ લાભ લઈ શકતું નહોતું. પણ હવે બાળશેઠ રિખવને દલુ અને ઓધિયાએ પલોટવા માંડ્યા હતા ત્યારથી ધમલાને ઠીક કામગીરી મળવા લાગી.

રિખવ હજી તો રીખતાંય નહોતો શીખ્યો ત્યારથી જ એના વેવિશાળ માટે આભાશાને ત્યાં નાળિયેર ઉપર નાળિયેર પછડાતાં હતાં. પણ આભાશા પોતાના ઘરને છાજે એટલી નમ્રતા, આદર અને આભાર સાથે એ નાળિયેરોને પાછા ઠેલતા હતા. જો કે માનવંતીને તો રિખવની નાનકડી વહુ જોવાના ઘણા કોડ હતા અને અમરતને પણ ફઈજી તરીકે માનપાન પામવાનો અને ફઈઆરું લેવાનો લોભ હતો, પણ આભાશાએ એ પ્રસંગને આઘો ને આઘો ઠેલ્યા કર્યો હતો. બહાના તરીકે તો તેઓ કહેતા :

‘રિખવ હજી તો નાનો છે. હજી એની દાઢમાંથી ધાવણ તો સુકાવા દિયો !’

પણ આવાં આવાં બહાનાં આગળ કરતી વેળા એમના મનમાં તો બીજા જ ઘોડા દોડતા : ‘શા પેઢીના ખોરડાની વડ્યેવડ્ય જડ્યા વિના રિખવ જેવું મોતી વીંધી નાખું એવો હું મૂરખ નથી !’

આ ‘વડ્યેવડ્ય’ શોધવી કાંઈ વહુ અઘરી નહોતી. ખુદ શરાફી અને વ્યાજવટાવના જ ધંધામાં રોકાયેલા ઘણા ચોક્સી અને ઝવેરી કુટુંબો તરફથી રિખવને માટે કહેણ આવી ગયાં હતાં. પણ એ બધાંમાં આજ દિવસ સુધી આભાશાને અથવા ​માનવંતી એક યા બીજી દૃષ્ટિએ કાંઈક ને કાંઈક ઓછપ દેખાતી હતી. કોઈ કહેણમાં કન્યા નાની–મોટી હોય, તો બીજા કહેણમાં એ જરા ‘ભીને વાન’ લાગતી હોય. આમ, માબાપ એક તરફથી રિખવના લગ્ન માટે આવી ઉદાસીનતા સેવતાં જતાં હતાં તે દરમિયાન રિખવ પોતે ઓધિયાની ફિલસૂફી પઢતાં પઢતાં લગ્નપ્રસંગને વિલંબમાં નખાવતો જતો હતો.

શરૂશરૂમાં તો આભાશાએ રિખવના આ ઉદાસીન વલણને સંસ્કારી પુત્રના સ્વભાવજન્ય શરમાળપણા અને વિનમ્રતામાં ખપાવ્યું; ૫ણું મોડે મોડે જ્યારે પેઢીના માણસો તરફથી, રિખવ–દલુ–ઓધિયાની ત્રિપક્ષી ધરીનાં પરાક્રમો અને એ ધરીમાં ધમલાએ પોતાની સેવાઓ અર્પીને ઊભી કરેલી ચાંડાળ ચોકડીની વાતોનો આભાશાના કાનમાં ગણગણાટ થવા લાગ્યો ત્યારે જ પુત્રની સંસ્કારિતા અંગે પિતાનું ભ્રમનિરસન થવા પામ્યું.

આભાશાને દીવા જેવું સૂઝી આવ્યું કે હવે વધારે સમય રાહ જોવામાં લાભ નથી. પોતે જેને આજ દિવસ સુધી અણમૂલું ગણતા હતા એ મોતીને સમયસર વીંધી નાખવામાં જ માલ છે. મોડું થશે તો એ મોતીની કિંમત કાચના કકડા જેટલીયે નહિ રહે.

છતાં આભાશાના માર્ગ આડે મુશ્કેલી હતી. વિમલસૂરીએ આભાશાને કહી રાખ્યું હતું કે તમારું મોતી વીંધતા પહેલાં મને પૂછજો. આભાશાએ જેટલી જેટલી વાર રિખવના વેવિશાળની વાત કરી તેટલી તેટલી વાર વિમલસૂરીએ ઘસીને ના જ કહી હતી : ‘હજી વાર છે. ખમી ખાવ. ઉતાવળ કરીને પસ્તાશો. હજી એક ગ્રહ સામે જઈને પડ્યો છે.’

પુત્રને પરણાવવાનો આભાશાનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. પણ વિમલસૂરીનું વાક્ય એટલે આભાશાને મન બ્રહ્મવાક્ય; એનો લોપ ન થઈ શકે. જિંદગીભરમાં આભાશાએ આ ગરવા મુનિનું વેણ ઉથાપ્યું નહોતું. તો પછી આવો પ્રશ્ન, જેમાં આખા ​કુટુંબનું, આટલી અસ્કામતના વારસનું હિત સંડોવાયું હતું એમાં તો મુનિની આજ્ઞાનો અનાદર થઈ જ કેમ શકે ?

અપત્યપ્રેમ અને આજ્ઞાપાલનની દ્વિધા વચ્ચે આભાશા વિમાસણ અનુભવી રહ્યા. પણ એક પ્રસંગ એવો આવ્યો કે એણે અનિશ્ચિતપણાને તાંતણે ટિંગાતા આભાશાને મુક્તિ બક્ષી.

બન્યું એવું કે લાખિયારની એમી, લગન થઈ ગયા પછી થોડા દિવસને માટે માવતર આવી હતી. આભાશાના ઘરમાંથી બહુ માણસો એક ખેડૂત કળની વાડીએ પોંક ખાવા ગયાં હતાં. પાછળથી લાગ સાધીને ઓધિયો અને રિખવ આવી પહોંચ્યા. દલુ આવ્યો, ધમલો આવ્યો, અને એ ચોકડીએ મળીને આખો વ્યૂહ રચી કાઢ્યો. બધી યોજના લઈને ધમલો ડેલીની વંડી ઠેકીને પછવાડે લાખિયારની ઓશરી પાસે પડ્યો અને લાગ જોઈને એમીને બિલ્લીપગલે મેડી ઉપર રિખવના ઓરડામાં ઘુસાડી દીધી.

આભાશાની તિજોરી મેડી પર રિખવના એારડાની બાજુના ઓરડામાં રહેતી. પેઢીની બધી રોકડ, દસ્તાવેજો, અગત્યની જોખમદારી – બુકો, ખાનગી ખાતાવહીઓ, જૂનાં વર્ષોની હૂંડીનોંધો, સમાદસ્કતો અને વ્યાજવહીઓ પણ પટારા જેવડી આ તિજોરીમાં સાચવી રાખવામાં આવતી. એની ચાવી ચતરભજ પાસે રહેતી; છતાં ગીરો, સાન–ગીરો અને વેચાણ–સાનગીરો ઉપર આપેલાં મોંઘી કિંમતનાં કેટલાંક ઘરેણાં આભાશા એક જુદા ‘સંચર’ – ભંડકમાં રાખતા. ભંડકના એ સંચરમાં ઘરાકોની માત્ર માલમત્તા જ નહિ પણ એમની આબરૂ સોત સચવાઈ રહેતી. ઉજળે લૂગડે ઘરનો માનમોભો નિભાવ્યે જતાં કુટુંબને ઘણી વાર નાણાભીડ ટાણે આભાશાનો આશરો લેવો પડતો. આભાશા એ આશરો હસતે મોંએ આપતા એટલું જ નહિ પણ એમના તરફથી ગીરો પેટે મળેલી મત્તાની મુનીમને પણ જાણ ન થાય એ માટે આભાશા એ બધી ચીજવસ્તુઓની મેલ-મૂક પોતાને હસ્તક રાખતા. અત્યારે ​પેઢી ઉપર એવા જ એક ઉજળિયાત કુળની આબરૂ સાચવવા આભાશાએ ઓચિંતું આ ભંડકિયું ઉઘાડવા આવવું પડ્યું હતું.

ધમલાને શેરીના ચોકિયાત તરીકે બહાર ઓટા પાસે ઊભો રાખવામાં આવ્યો હતો. દલુ દ્વારપાળ તરીકે ડેલીને દરવાજે બેઠો હતો. ઓધિયો જાણે કે રિખવનો અંગરક્ષક હોય એમ મેડીની પરસાળમાં આમથી તેમ પહેરો ભરતો હતો.

આભાશાને અત્યારે કટાણે ઘર તરફ આવતા જોઈને ધમલાને નવાઈ લાગી. દલુ પણ મામાને દેખીને ચોંક્યો. એણે ઓધિયાને ઇશારાથી કહ્યું અને ઓધિયાના પેટમાં ફાળ પડી. ઓધિયાની ‘ઊખડેલ’ તરીકેની શાખથી આભાશા સારી પેઠે પરિચિત હતા અને આ ઘરમાંથી એનો ટાંટિયો કાઢવાનું એમને ઘણી વાર, મન થઈ આવતું; પણ આ છોકરા ઉપર અમરતના ચાર હાથ હોવાથી પોતે કશું કરી શકતા નહિ. રખેને વિધવા બહેનને ઓછું આવી જાય !

આભાશા આવી રહ્યા છે એવી જાણ થતાં જ ઓધિયો મેડી ઉપરથી સડેડાટ નીચે ઊતરીને ખડ ભરવાની ગમાણમાં સંતાઈ ગયો. દલુ અને ધમાલને છોભીલા પડેલા જોઈને આભાશાને જરા નવાઈ તો લાગી; પણ અત્યારે પૂછગાછ કરવા રોકાશે તો પેઢીમાં વાટ જોઈને બેઠેલું ઘરાક ખોટી થાશે, એમ વિચારીને તેઓ ઉપર જ ચડી ગયા.

ભંડકિયાના છૂપા ચોરખાનામાંથી ડોકમાં પહેરવાનો ગંઠો અને બાવડા–સાંકળી કાઢી, ફરી બધું ઠીકઠાક કરી, પેઢીમાં બેઠેલું ઘરાક ખોટી ન થાય એ માટે તેઓ ઝટઝટ બહાર નીકળી, ભંડકિયું વાસીને નીચે ઉતરી ગયા.

પેઢી ઉપર ઘરાક ખોટી થાય છે એ યાદ એટલી તો સતેજ હતી કે ધમલાને અત્યારે કામ વગર અહીં ઓટે બેસવાનું પૂછવાનુંય આભાશાને વાજબી ન લાગ્યું. એમણે તો ઘરાકને પતાવવાની ​જ ધૂનમાં ડેલીમાંથી બહાર નીકળવા એક પગ બહાર મૂક્યો… અને… બીજો પગ પણ બહાર મૂકતા જ હતા, પણ ત્યાં તો ઉપરની પરસાળના ઓરડાની સાંકળ ખખડવાનો અવાજ આવ્યો અને તેઓ ચોંક્યા. અનાયાસે જ અવાજની દિશા તરફ એમની આંખ વળી ગઈ અને એ આંખે જે દૃશ્ય જોયું એથી તો આભાશાને થયું કે એ સાંકળ ખખડવાનો અવાજ કાને ન પડ્યો હોત તો સારું હતું. ઓરડામાંથી એમી કપડાં સંકોરતી બહાર આવી હતી અને એની પાછળ રિખવ આવતો હતો. બેમાંથી એકેયને, ડેલોને ઉંબરે ખચકાઈને ઊભા રહી ગયેલા આભાશાની હાજરીની જાણ ન થઈ શકી. પહેલાં તો આભાશાની આંખ આ દૃશ્ય સાચું માનવા તૈયાર જ ન લાગી. તેમને પોતાની જ આંખ ઉપર અવિશ્વાસ આવ્યો. પણ પછી તરત તેમની દક્ષ વણિકબુદ્ધિએ વાતને ગળી જવાનું સૂચવ્યું. અને આ દૃશ્ય જાણે કે જોયું જ નથી એમ કરી, કોઈને પણ વહેમ સરખો આવે એ પહેલાં તેમણે ડેલીના ઉંબરામાંથી બીજો પગ પણ બહાર કાઢી લઈને પેઢી તરફ ચાલવા માંડ્યું.

આખે રસ્તે આભાશા બે-ધ્યાન બની ગયા હતા. પોતે જે દૃશ્ય જોયું હતું એ કલ્પનાતીત હતું. અને છતાં ભયંકર રીતે સાચું હતું, એ કલ્પના અને અત્યારની વાસ્તવિકતાનો મેળ બેસાડતાં તો તેમણે પારાવાર કષ્ટ અનુભવ્યું. સાન-ગીરોના ઘરાકને ઝટઝટ પતાવીને તેમણે આજના બનાવ ઉપર વિચાર કરવા માંડ્યો.

ફરી એક વખત પેઢીના વાણોતરોને નવાઈ લાગી. સામાન્ય રીતે પેઢીમાં બેઠા હોય ત્યારે આભાશા ભાગ્યે જ શોગિયું મોં કરીને બેસતા. તેમના હમેશના હસમુખા મોં ઉપર ઊંડી ચિંતા પણ ક્વચિત જ જોવામાં આવતી. ચતરભજ તેમ જ જૂના વાણોતરોને વીસેક વર્ષ પહેલાંનો એક પ્રસંગ યાદ આવી ગયો, જ્યારે આભાશા પેઢીના ઉંબરાને પગે લાગીને અંદર આવ્યા કે ​ તરત અણિયાળી હડપચી પર આંગળી ટેકવીને અધીરપથી કશાક સમાચારની રાહ જોતાં, આવી રીતે જ ચિંતામાં ડૂબકી મારી ગયા હતા અને થોડી વારે ધમલાએ આવીને રિખવના જન્મની વધાઈ આપી ત્યારે એ ચિંતામાંથી મુક્ત બન્યા હતા. સામાન્ય પ્રસંગોમાં તો લાંબા સહવાસને પરિણામે આભાશાનું મનોગત પામી જનાર ચતરભજ પણ અત્યારે એમના વિષાદનું કારણ સમજી શકતો નહોતો. વાણોતરોને બિચારાઓને ક્યાંથી ખબર પડે કે વીસ વર્ષ પહેલાંની તે એક શુભ સવારે ચિંતાનું નિમિત્ત બનેલી – બનનાર વ્યક્તિ જ આજે પણ ચિંતાનું કારણ બની રહી છે !

પણ તે દિવસે એ ચિંતાનુભવ પછીની શુભ વધાઈએ આભાશાનું હૃદય હર્ષોલ્લાસે પલ્લવિત કરી મૂક્યું હતું ત્યારે આજે તો એમના હૈયામાં હોળી સળગી હતી.

*