શાહજહાં/ચોથો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોથો પ્રવેશ

અંક ત્રીજો


         સ્થળ : જોધપુરનો રાજમહેલ. સમય : મધ્યાહ્ન.

[જશવંતસિંહ અને જયસિંહ]

જયસિંહ : પરંતુ આ રક્તપાતથી આપને શો લાભ?
જશવંત : લાભ? — કંઈ નહિ.
જયસિંહ : તો પછી શા માટે આ ફોગટનો રક્તપાત! વિજય તો ઔરંગજેબનો જ છે.
જશવંત : કોને ખબર!
જયસિંહ : ઔરંગજેબની હાર કદી જોઈ છે?
જશવંત : ના; ઔરંગજેબ બહાદુર ખરો! તે દિવસે નર્મદા યુદ્ધમાં મેં એને ઘોડે ચડેલો જોયો છે. એ દેખાવ હું કદી નહિ ભૂલું : ચૂપચાપ, તીણી નજર નોંધતો, અને કુટિલ ભ્રૂકુટિ ખેંચતો. એની ચોમેરથી તીર, ગોળા અને ગોળીઓ છૂટી રહ્યાં હતાં, છતાં તે સામે ત્રાંસી નજર પણ નહોતો કરતો. એ જોઈને હું વિદ્વેષથી ચિરાઈ જતો હતો, પણ ભીતરથી તો એને શાબાશી દીધા વગર રહેવાતું નહોતું. ઔરંગજેબ વીર સાચો!
જયસિંહ : તે છતાં?
જશવંત : છતાં મારે ખીજુવાના અપમાનનું વૅર લેવું છે.
જયસિંહ : તે તો આપે એની છાવણી લૂંટીને જ લઈ લીધું છે.
જશવંત : ના, પૂરેપૂરું નહિ, કેમ કે ઔરંગજેબને પોતાનો એ ખાલી ખજાનો ભરી લેતાં શી વાર લાગવાની? જો લૂંટ કરીને ચાલી નીકળવાને બદલે સૂજાનો સાથ કર્યો હોત, તો ખીજુવાના યુદ્ધમાં સૂજાની હાર ન થઈ હોત. બલ્કે આગ્રામાં આવીને શાહજહાંને પણ છૂટા કરી શકત. અરેરે, કેવી થાપ ખાઈ બેઠો!
જયસિંહ : પણ એમાં આપને શો ફાયદો થાત!
જશવંત : વૅરની વસૂલાત? હું તો એ બધા ભાઈઓ ઉપર સળગી રહ્યો છું, પણ સહુથી વધુ આ કપટબાજ ઔરંગજેબ ઉપર.
જયસિંહ : તો પછી ખીજુવાના યુદ્ધમાં આપે એનો પક્ષ કેમ લીધેલો?
જશવંત : તે દિવસ દિલ્હીના દરબારમાં એની બધી વાતોમાં વિશ્વાસ બેસી ગયો તેથી. એકાએક એણે એવી મહત્તાનાં — એવા ત્યાગના — હાવભાવ કર્યા, એવી આંતરિક દીનતાનો દેખાવ કર્યો, કે હું અજાયબ જ થઈ ગયો. ને મેં વિચાર્યું :આહા! આવા ત્યાગી, ઉદાર અને ધાર્મિક મનુષ્યને મેં પાપી માની લીધેલો! એ કપટીએ એવી તો રમત બતાવી, કે સહુથી પહેલો હું ગરજી ઊઠ્યો કે ‘ઔરંગજેબનો જય!’ એની તે દિવસની ફતેહ તો નર્મદા અને ખીજુવાની ફતેહોથી પણ અદ્ભુત હતી. પરંતુ ત્યાર પછી ખીજુવાના રણમેદાનમાં મેં ફરી વાર એને એના અસલ રૂપમાં દીઠો : એ-નો એ કૂટ, દગલબાજ અને કાવતરાંખોર ઔરંગજેબ.
જયસિંહ : ખીજુવાની લડાઈમાં આપના તરફ ચલાવેલ વર્તનનો એણે પાછળથી પૂરો પસ્તાવો કરેલ છે.
જશવંત : એ વાત ઉપર શું મને આપ વિશ્વાસ કરવાનું કહો છો, મહારાજ?
જયસિંહ : જવા દો એ વાતને; એ વાત પર તો શહેનશાહ આપની પાસે ક્ષમા માગતાયે નથી, તેમ મગાવતાયે નથી. એ તો સમજી લે છે કે આપના આચરણથી જ એ અન્યાયનું વૅર પતી ગયું છે. એને તો આપની મદદની પણ જરૂર નથી. એ ફક્ત ઇચ્છે છે, કેઆપ ન દારાનો પક્ષ લો કે ન ઔરંગજેબનો. બદલામાં એ ગુર્જર દેશનું રાજ આપે. માટે કાં તો આ એક કલ્પિત અન્યાયનું વેર વાળવા જતાં પોતાની શક્તિ ગુમાવી ઔરંગજેબનો કોપ વહોરવો, ને કાં અદબ વાળીને બેઠા બેઠા બાજી જોયા કરવાના બદલામાં ગુર્જર દેશના ધણી થવું — એમાંથી પસંદ કરી લો. ચોખ્ખેચોખ્ખો લે-દેનો સોદો છે. વિચારી જુઓ.
જશવંત : પણ દારા —
જયસિંહ : દારાને અને આપને શું? એ પણ મુસલમાન છે. ઔરંગજેબ પણ મુસલમાન છે. હા, જો આપ આપના પોતાના દેશને ખાતર જ લડવા જતા હોત તો હું આ વાત ન કરત. પણ દારા તે કયો આપનો બાપનો દીકરો છે? કોને ખાતર થઈને આપ રજપૂતોનાં લોહી રેડવા જાઓ છો? દારા જીતે, તો તેથી આપને કે આપની જન્મભૂમિને શો લાભ?
જશવંત : તો આપણે જન્મભૂમિને ખાતર લડીએ : મેવાડનો રાણો રાજસિંહ, બિકાનેરના મહારાજા આપ, અને જોધપુરનો હું : ત્રણેય સંપીએ તો ત્રણ દિવસમાં જ મોગલોને એક ફૂંક ભેગા ઉડાડી દઈએ. ચાલો.
જયસિંહ : પછી સમ્રાટ કોણ થશે?
જશવંત : કેમ! રાણો રાજસિંહ.
જયસિંહ : ના, ઔરંગજેબની તાબેદારી કબૂલ, પણ રાજસિંહની તો નહિ.
જશવંત : કેમ, મહારાજ! એ જાતભાઈ છે માટે?
જયસિંહ : હા જ તો. જાતભાઈનું વેણ તો આપણાથી નહિ સહેવાય. એવી દેશસેવા-ફેશસેવાની ધૂન મને નથી લાગી. મારે મનથી તો દુનિયા એક બજાર જ છે. જે દુકાને ઓછે ભાવે વધુ માલ મળતો હોય તે દુકાને હું તો જવા વાળો. અત્યારે ઔરંગજેબ ઓછે પૈસે વધુ માલ આપે છે. માટે મારો તો આ ચોક્કસ લાભ છોડીને અચોક્કસની વાંસે વલખાં મારવા નથી જાવું.
જશવંત : હં! — ઠીક, મહારાજ, આપ આરામ કરો. હું વિચાર કરીને કાલે જવાબ દઈશ.
જયસિંહ : સારી વાત. વિચારી જોજો — આ તો ચોખ્ખી લેવડદેવડની વાત છે. ને વળી આપણે સ્વતંત્ર રાજા ન થઈ શકીએ તો પછી રાજભક્ત પ્રજા તો થઈ શકીએ ને? રાજભક્તિ પણ ધર્મ જ છે ને!

[જાય છે.]

જશવંત : હિન્દુઓનું સામ્રાજ્ય તો કવિનું એક સ્વપ્ન છે. હિન્દુઓના પ્રાણ તદ્દન શોષાઈ, ઠરી હિમ થઈ ગયા છે. હવે સામસામા મનમેળ મળવાના નથી. ‘સ્વતંત્ર રાજા ન થઈ શકીએ, પણ રાજભક્ત પ્રજા તો થઈ શકીએ ને!’ વાહ વાહ! મહારાજા જયસિંહ! ઠીક કહ્યું તેં! કોને ખાતર લડવા જવું? દારા મારો કયો મસિયાઈ? અને નર્મદાનું વેર તો ખીજુવામાં વાળી દીધું છે.

[મહામાયા પ્રવેશ કરે છે.]

મહામાયા : એને શું તમે વેર વાળ્યું કહો છો, મહારાજ! આટલો વખત આડશમાં ઊભી ઊભી હું તમારી આ નામર્દાઈ જ જોતી હતી. વાહ વાહ! ધન્ય છે! ભારી વેર વાળી લીધું, હો! એને તમે વેર વાળ્યું કહો છો, મહારાજ! ઔરંગજેબનો પક્ષ કરી અને પાછળથી એની છાવણી લૂંટી લેવી એનું નામ વેર વાળ્યું! આ કરતાં તો પરાજય ભલો! આ તો પરાજયની ઉપર પાછી પાપની પોટલી. રજપૂત જાત વિશ્વાસઘાતી બની શકે છે, એ આજ પ્રથમ પહેલું તમે જ દેખાડી દીધું.
જશવંત : મહામાયા, લૂંટ કરતાં પહેલાં મેં ઔરંગજેબનો પક્ષ છોડી દીધો હતો.
મહામાયા : અને પછી તમે એનો ખજાનો લૂંટ્યો, એમ ને?
જશવંત : મેં યુદ્ધ કરીને લૂંટેલ છે, ચોરી નથી કરી.
મહામાયા : એને યુદ્ધ કહો છો? ધિક્ —
જશવંત : મહામાયા! તારે આ સિવાય બીજી કાંઈ વાતો કરવાની નથી કે? રાતદિવસ તારાં આ તીખાં મેણાં સાંભળવા માટે જ શું હું પરણ્યો છું?
મહામાયા : નહિ તો પરણ્યા શા માટે, મહારાજ?
જશવંત : શા માટે! અજબ સવાલ! લોકો શા માટે પરણતા હશે વળી?
મહામાયા : હં! શા માટે! ભોગ માટે, કેમ? વિલાસની લાલસા સંતોષવા માટે, કેમ? વાહવા! વાહવા!
જશવંત : [લગાર અચકાતો] હા. એક રીતે તો એમ જ ને!
મહામાયા : તો પછી એક ગણિકા રાખી લો ને!
જશવંત : તોફાન જામતું લાગે છે!
મહામાયા : મહારાજ! જો તમારી પશુ-લાલસાને સંતોષવા માગતા હો તો એનું સ્થળ કુલીન સ્ત્રીનું પવિત્ર અંત :પુર ન હોય. એનું સ્થાન તો વારાંગનાના સુશોભિત નરકમાં જ હોય. ત્યાં જાઓ. તમે એને રૂપું દેજો, એ તમને રૂપ દેશે. તમે એની પાસે લાલસાના માર્યા જજો, અને એ તમારી પાસે જઠરની જ્વાળાની મારી આવશે. જાઓ મહારાજ, સ્વામી અને સ્ત્રીનો એ સંબંધ ન હોય.
જશવંત : ત્યારે?
મહામાયા : સ્વામી-સ્ત્રીનો સંબંધ છે પ્રીતિ. ને એ પ્રીતિ જેવી તેવી નહિ. એ પ્રીતિ દિવસે દિવસે પોતાના સ્વજનને હડધૂત ન કરે, વધુ ને વધુ વહાલું કરે; એ પ્રીતિ પોતાનો વિચાર ભૂલી જાય અને પોતાના પ્રેમ-પ્રભુને ચરણે પોતાનું બલિદાન ચડાવે; એ પ્રીતિ તો ઊગતા સૂરજના કિરણ સરખી : જેને માથે પડે તેને કંચનવરણું કરી નાખે; દેવતાના
વરદાનસમી : એ જેના ઉપર ઊતરે તેનું ભાગ્ય પલટી નાખે; ગંગાના નીર સમોવડી : એ જેના ઉપર ઢળે તેને પાવન કરી નાખે. એવી એ પ્રીતિ : અવિચલ, ઉદ્વેગવિહોણી અને આનંદમય — કેમ કે આત્મભોગી.
જશવંત : તું શું મારા ઉપર એવી પ્રીતિ રાખી રહી છો, મહામાયા?
મહામાયા : રાખું છું. ને તમારા ગૌરવને તો હું ખોળામાં લઈને મરવા તૈયાર છું — એ ગૌરવને માટે મને એટલી ચિન્તા ને એટલી ખેંચ રહે છે કે એ ગૌરવ ઝાંખું પડેલું જોવા પહેલાં તો મારી આંખો ફૂટી જાય તે ભલું. રજપૂત જાતનું ગૌરવ — મારવાડનું એ ગૌરવ આજ તમારા હાથમાંથી ઓસરી જતું જોવા પહેલાં તો મને મરવાનું મન થાય છે, તમારા ઉપર હું એટલી બધી વહાલપ રાખું છું, મહારાજ!
જશવંત : મહામાયા!
મહામાયા : નજર કરો — આ તપેલા પહાડોની ઝળહળતી શિખરમાળા, અને એનાથી દૂર આ ભૂરું રેતીનું રણ; નજર કરો, નાથ, આ પહાડ વચ્ચે વહેતી નદી; સૌંદર્ય જાણે કાંપી રહ્યું છે. નજર કરો — આ આસમાની આકાશ, એનો રંગ જાણે ઝરી ઝરીને ટપકી રહ્યો છે. આ કબૂતરના સાદ સાંભળો, અને સાથોસાથ સાંભળો કે આ સ્થાનમાં એક દિવસ દેવતા વસતા. મારવાડ અને મેવાડ તો જાણે વીરત્વના બે જોડકા બેટા : મહત્તાના નભોમંડળમાં ઊગેલા જાણે બૃહસ્પતિ અને શુક્ર. ધીરે ધીરે એ મહિમાની સવારી જાણે કે મારી સામે થઈને ચાલી જાય છે. આહા! ચારણ-બચ્ચાઓ, આવો બાપ, ને ઉપાડો એ ગીત.
જશવંત : મહામાયા!
મહામાયા : અત્યારે વાતો ન કરાવો, મહારાજ! આવા ભાવ મારા અંતરમાં જ્યારે જ્યારે ઊભરાય છે, ત્યારે ત્યારે જાણે મારી પૂજાનું ટાણું થતું લાગે છે. શંખ-ઘંટા બજાવો, વાતો કરો મા.
જશવંત : નક્કી ભેજામાં કોઈ રોગ ભરાણો છે.

[ધીરે ધીરે ચાલ્યો જાય છે.]

મહામાયા : હે સુંદર, હે સૌમ્ય, હે શાન્તિમય, મારી સામે આવીને તું કોણ ઊભેલ છો!

[ચારણપુત્રો પ્રવેશ કરે છે.]

મહામાયા : ગાઓ, બેટાઓ, ગાઓ! એ માભૂમિનું ગીત!

[ચારણ પુત્રોનું ગીત]
ધન ધાન્ય ફૂલે લચકેલી
આ વસુધાના પટમાંય
કો સ્વપ્ન થકી સરજેલી
મુજ જન્મભૂમિ લહેરાય.
નવખંડ ધરા પર ભમો, નથી એ ભોમ સમોવડ કોઈ,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો ક્યાં બીજે દીઠેલી
આ મેઘ તણી કાળાશ?
આ નભ-મંડળની કાંતિ
આ વીજ તણા અજવાસ?
અહીં પંખી તણા સ્વર સૂણી પોઢવું સૂણી જાગવું હોય,
સહુ દેશ તણી મહારાણી, મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો ક્યાં બીજે દીઠેલાં
નદીઓનાં નિર્મલ વ્હેણ?
આ પહાડો ધુમ્મસ-ઘેરાં?
આ હરિયાળાં મેદાન?
ભરચક ખેતર પર લહર લહન્તા પવન અન્ય ક્યાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
અહીં તરુતરુએ ફૂલ હીંચે,
વન વન પંખીડાં ગાય;
અહીં મદભર મધુકર ગુંજે
પુંજે પુંજે લહેરાય.
મધુ પી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય ક્યહાં એ હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
તુજ સમ નથી ક્યાંય જગતમાં
પ્રિયજનના આવા પ્રેમ,
તુજ ચરણો ચાંપી હૃદયમાં
જીવવાની હરદમ નેમ :
હું જનમ જનમ અહીં મરું-અવતરું, — મુક્તિ અન્ય ક્યાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુ