શાહજહાં/નાટકની ભાવના-સૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાટકની ભાવના-સૃષ્ટિ

મોગલ શહેનશાહતનો જે ઇતિહાસ યુદ્ધના વિજય-પરાજયો, રાજનીતિના પલટાઓ કે પ્રદેશોની હાર-જીતો આલેખે છે, તેના કરતાં વધુ રસભર્યો ઇતિહાસ તો એ રાજકુલનાં કૌટુમ્બિક આંતર રહસ્યોમાંથી સરજાયો છે. હિન્દુસ્તાનમાં મુસ્લિમ વિજેતાઓ તો ઘણા આવ્યા અને તેઓએ પોતપોતાના વંશો ચલાવ્યા, પરંતુ હિમાલયને પેલે પારથી મોગલ વંશ જે સંસ્કૃતિ લેતો આવ્યો તેના જેવી બીજું કોઈ મુસ્લિમ કુલ નથી લાવ્યું. ફિલસૂફો, શાયરો, ઇશ્કની અદ્ભુતતા ખેડનારાઓ, કુદરત અને કલાના શોખીનો, ધર્મશાસ્ત્રના વેત્તાઓ — એવાં કંઈ કંઈ નરનારીઓ મોગલ કુળની કોઈ એક અનિર્વચનીય ખુશબો મૂકીને ચાલ્યાં ગયાં છે. રસજ્ઞતાની અલબેલી યમુના સરખી રેલી ગયેલી એ વંશસરિતાના કિનારા પર કંઈ કંઈ વેદના અને ઉલ્લાસનાં કરુણ કે સુખમય દૃશ્યો રચાતાં ચાલ્યાં છે. ક્ષણે ક્ષણે જાણે કે એ રાજમહેલનાં ખંડિયેરોમાંથી કલકલ નાદે ગાતી અને નૃત્ય કરતી, રડતી અને નિઃશ્વાસ નાખતી મનોહર શાહજાદીઓનાં પગલાં ગુંજી ઊઠે છે; વફાઈ અને બેવફાઈ ભજવતાં અનેક પ્રેમીઓની ગુપ્ત કથાઓ એ નદીઓના ઘાટનાં પગથિયાં પર કે બગીચાઓનાં તરુનાં થડો ઉપર અજાણી વાણીમાં અંકિત બની ગઈ છે. પાદશાહોની ભિન્ન ભિન્ન ખાસિયતો, ખાનદાનીઓ, આપવીતીઓ અને સંસ્કારિતાનું એક આખું વાતાવરણ જાણે કે હજુ આપણી ચોગમ છવાઈ રહ્યું છે, પરંતુ એ તમામની અંદરથી જો વધુમાં વધુ આત્મીય ભાવ, વધુમાં વધુ કરુણ રસની નિષ્પત્તિ અને સુંદરમાં સુંદર સાહિત્ય-સર્જનની તાલાવેલી ઉપજાવતું હોય તો તે શહેનશાહ શાહજહાંનું જીવન છે. ઉપરછલી હકીકતોના વેગમાં, આપણા મસ્તક પરથી સરકી ગયેલા શુષ્ક ઇતિહાસે પણ મુમતાજ અને શાહજહાં વચ્ચેનાં દાંપત્યની એક અમર છાપ તો નિઃસંદેહ આપણા અંત :કરણ ઉપર મારી દીધેલી છે. મરતી વખતે મુમતાજને પાદશાહ ફરી ન પરણવાનું વચન આપે અને પ્રિયતમાની સમાધિ ઉપર તાજમહાલ ચણાવે એ કથાના કંઈ કંઈ કોમળ ભાવો આપણાં બાલ-હૃદયો પર પણ પ્યારની ઊંડી હમદર્દી ઉપજાવી ગયા છે. બંગાળના સિદ્ધહસ્ત નાટ્યકાર દ્વિજેન્દ્રલાલે મોગલ સલ્તનતના આ કોમલમાં કોમલ સમય પર કલમ ચલાવી છે.


પ્યાર-નીતિનો પૂજક

નાટકનું પ્રથમ જવનિકા-છેદન થતાં નજરે પડે છે યમુનાનાં કલકલ ગાતાં નીર : પેલે પાર એ ‘સ્ફટિકગઠિત દીર્ઘ નિઃશ્વાસરૂપે પ્રસ્તરી ભૂત પ્રેમાશ્રુ સમ’ તાજમહાલ : આ કિનારે રાજમહાલની અટારી : અને અટારીમાં પલંગ પર પડ્યો પડ્યો એ સહચરીની શુભ સમાધિને નિરંતર પોતાના ધ્રુવતારલા સમ નીરખી રહેલો વૃદ્ધ બાદશાહ શાહજહાં. દુનિયા આખીને ભલી સમજતો શાહજહાં પોતાના બંડખોર પુત્રોનાં તોફાનો સાંભળવા છતાંયે વાત્સલ્યથી છલકાઈને ‘સહુને તો હું ફોસલાવી દઈશ’ એવું સાંત્વન ધરે છે. દીકરા ગમે તેવા તોફાની તોયે ‘મા વિહોણા! બિચારા! ઓશિયાળા!’ લાગે છે. રાજનીતિ નહિ, પણ પ્યારની નીતિને જ આરાધનારો વૃદ્ધ પાદશાહ અને બાજુમાં એની સારવાર કરતી બેટી જહાનઆરા : બન્નેની જોડી રચવામાં દ્વિજેન્દ્રે નાટ્ય-કૌશલની અચ્છી ફતેહ મેળવી છે! દુનિયાની ગુપ્ત કુટિલતાને ઓળખનારી, ખુન્નસથી સળગતી, કદીય ન હસતી, ટૂંકા ટૂંકા શબ્દોમાં ભોળા બાપને સાવધાન કરવા મથતી એ જહાનઆરાના રોમરોમમાંથી અદમ્ય વીરત્વ ફૂટે છે. પિતાને ગફલતમાંથી વારવા એ નિરંતર મથે છે, પરંતુ જગતની ખાનદાની પર વિશ્વાસ ધરાવનાર પિતા પગલે પગલે એ તાજમહાલ તરફ જ આંગળી બતાવી બતાવી પોતાના પુત્રપ્રેમને અવરોધનારી દીકરીને વારી રાખે છે. ને ત્રીજું દર્શન થાય છે પિતાની ભલાઈ ભોળાઈનો વારસો પામનાર યુવરાજ દારાનું. ઘડીભર પિતાની સાંત્વના અને ઘડીભર બહેનની ઉત્તેજના બન્ને વચ્ચે ઝોલાં ખાતો દારા રાજ્યપ્રાપ્તિનો ભૂખ્યો નથી. એને તો હિન્દુ ધર્મની ફિલસૂફીમાંથી જ હજારો મહારાજ્યો કરતાં અધિક તૃપ્તિ મળી રહી છે. વિક્રમશાળી છતાં સુકુમાર અને ચતુર છતાં કપટહીન એ યુવરાજને યુદ્ધમાંથી વારી રાખતી બેગમ નાદિરા પણ પ્યાર, પતિભક્તિ અને અમંગલ સ્વપ્નના ફફડાટ પ્રગટ કરતી નાટકના પ્રારંભમાં એક નિર્દોષ સુકોમલતાનું વાતાવરણ સરજાવે છે.


વેગવંત ઘટના-પ્રવાહ

સૃષ્ટિની બીજી — કાળી — બાજુ ઉપરથી બીજો પડદો ઊંચકાય છે. સૂજા, મુરાદ, ઔરંગજેબ, મહમ્મદ, સુલેમાન અને જશવંતસિંહ વગેરેની છાવણીઓ, ખટપટો, બેવફાઈભરી સ્વાર્થબાજીઓ, મુરાદને મદિરાપાન તથા લંપટતામાં ગરક રાખતો ઔરંગજેબ, ઊગતા સૂર્યને પૂજનારા ક્ષત્રિય રાજાઓ, સામસામી વ્યૂહરચનાઓ વગેરે આખા વસ્તુ-ગૂંથનને આ સમર્થ નાટ્યકાર, આપણને કંટાળો ન આવે તેવી સફાઈથી, તાબડતોબ સમાપ્ત કરી મૂકે છે. અને ઘટનાઓના કરુણામય પલટાને વહેલો શરૂ કરવા માટે યુદ્ધ-રચનાની આખી કઠોર કર્કશ બાજુ પર કાયમનો પડદો પાડી દે છે. ઘટનાનો પ્રવાહ વેગવંત છે! જોતજોતામાં તો ઔરંગજેબના ગુપ્ત હાથની દોરી ખેંચાતાં ખેચાતાં, કંઈક જાદુઈ દુનિયાઓ સરજાતી હોય તેમ, વૃદ્ધ શહેનશાહ રાજમહેલમાં જ બંદીવાન બની જાય છે. મુરાદ મદ્યપાનની બેભાન દશામાં કેદી બની ગ્વાલિયરના કિલ્લામાં પડી જાય છે; દારા પોતાના પરિવાર સાથે જીવ લઈને નાસી છૂટે છે. જગત પલટી જાય છે. એટલી અજાયબી ઉપજાવતો છતાં એ પલટો તદ્દન કુદરતી દીસે છે! એક કુટિલ માનવીની ભેદનીતિને વશ બની આખી પ્રજા એના હાથમાં સરી પડે છે. દારાની અવદશા દેખીને પ્રજા રડે છે તે પણ મુખ છુપાવીને — રખે કદાચ ઔરંગજેબ એનાં આંસુને જોઈ જાય!


દુર્જનતાનાં દર્શન

ભાઈ-ભાઈ વચ્ચે જાદવાસ્થળીનો ભેદ પામી, પિતાની પાસે એકાંતે બેસીને જહાનઆરા બુઢ્ઢા બાપને બધી ખબરો આપે છે. વાત્સલ્યભર્યો પાદશાહ તોપોના અવાજ સાંભળી ડગલે ડગલે દારાના વિજયવંત દિલ્હી-પ્રવેશના ભણકારા સાંભળે છે. પરંતુ જ્યારે એ જહાનઆરાને મુખેથી સાંભળે છે કે એ તો ઔરંગજેબની તખ્તનશીનીના હર્ષનાદ છે, ત્યારે જ એની આંખો ઊઘડે છે, કે દુનિયામાં બૂરાઈનો જન્મ થઈ ગયો. ત્યારે જ એને પ્રથમ વાર શંકા પડે છે, કે જહાનઆરા! જોઈ આવ તો ખરી : સંસાર શું એમ જ ચાલી રહ્યો છે! માતા બચ્ચાને ધવરાવે છે કે? માનવી માનવીને ખાઈ જતો નથી ને? દુનિયામાં શાહજહાંએ દુર્જનતા દીઠી; સગા પુત્રને દગો દેતો દીઠો; પોતાની પ્રિય પ્રજાને પણ એણે નઠોર દીઠી; પોતે પાળેલી પોષેલી ફોજને પણ વીફરીને ઔરંગજેબનું ફરમાન ઉઠાવતી દીઠી. કોઈ પોતાનું ન રહ્યું. દુનિયાની એક પછી એક બૂરાઈએ આ ભલા માનવીના મન પર ધીરે ધીરે ઘેલછાના પડછાયા પાડ્યા. એકાંત કારાવાસની અંદર પોતાના પ્રિય પરિવારની એક પછી એક કતલ થતી સાંભળીને પિતા પછાડા મારવા લાગ્યો. પ્રાસાદની ટોચેથી છલંગ મારીને પ્રજા પાસે ખડા થઈ એ રાજભક્તિની લાગણી જાગ્રત કરવા તલખે છે. એના માનસ ઉપર ઘેલછાનું વાદળ ઘેરાવા લાગે છે. અને એની અસહાય હાલતના પછડાટો જોતી જોતી, શાંત ચિત્તે સળગતી જહાનઆરા નિરંતર પાસે જ બેઠેલી છે : જાણે કે ‘લવ વૉચીંગ ઓવર મૅડનેસ!’ નાટકનો વસ્તુપ્રવાહ બીજી બાજુએ ખૂબીદાર કલાવિધાન કરીને આગળ ને આગળ ધસ્યે જાય છે! પોતાના પરિવાર સાથે ધગધગતી રેતીના અનંત રણમાં દારાશાહના રઝળપાટ : પ્યાસની વેદના : બચ્ચાંની ચીસો : દુઃખના માર ન સહેવાયાથી પ્રભુ પરથી ડગેલી આસ્થા : બાયડી છોકરાંને મારીને પછી પોતે મરી ‘પ્રભુની પ્રકાંડ સિતમગીરી’ ઉઘાડી પાડવાની ઘોર ઇચ્છા : અને એ મનોદશાની વચ્ચે ઈશ્વરી કરુણાનો આવિર્ભાવ. ત્યાર પછી તો પોતાના એક પરમ મિત્રને હાથે જ દગાથી કેદ પકડાવું : પતિવ્રતા સ્ત્રી નાદિરાના મૃતદેહ પર છેલ્લી પ્રાર્થના અને આખરે એ જ દોસ્તના હાથે દારાનો દગલબાજીભર્યો દેહવધ : એ આખી કથની આ નાટકને કોઈ અનિર્વાચ્ય કરુણ ભાવથી ભીંજવી મૂકે છે.


મહાન પ્રયોજન : અનુતાપ

એ નિર્દોષ યુવરાજના મૃત્યુને દ્વિજેન્દ્રલાલે શું કહી ઓળખાવ્યું? બલિદાન! એની પાછળ કોઈ મહાન પ્રયોજન હતું. બલ્કે આ આખાયે નાટકની અંદરથી એક ભવ્ય પ્રયોજનના મંદિર પર જાણે એક પછી એક ભોગો હોમાયાનો પાઠ ગુંજે છે. પોતાના આટલા બારીક કલાવિધાન દ્વારા કવિ શો સાર કાઢવા મથે છે? આટલા વિષમાંથી કવિ કયું અમૃત વલોવી રહેલ છે? એક અને મુખ્ય વાત તો પોતે વારંવાર સૂચવે છે કે કુદરતનાં આટલાં બધાં નિયમોલ્લંધન વ્યર્થ નહિ જ જાય. એની સજા મળવી જ જોઈએ અને એ વાતને પોતે ઔરંગજેબના જીવન વાટે પ્રગટ કરે છે. પિતૃદ્રોહ કે ભ્રાતૃહત્યાની ઠંડે કલેજે કરેલી પરંપરાઓનો પરિતાપ એક દિવસ એ દયાહીન ઔરંગજેબના અંતરમાં પણ જન્મે છે. ભાઈઓની ગરદન ચાંપનાર પોતાના જ અંતરાત્માનો કંઠ રૂંધી શકતો નથી. માનવ-હૃદયનો વિવેક જાગી ઊઠે છે. એની નીંદ હરાઈ જાય છે. એની તપેલી કલ્પના પર ગુપ્ત મનોભાવો પોતાના પડછાયા પાડે છે. એ ચમકી ઊઠે છે, શાંતિ ગુમાવી બેસે છે, અને અનુતાપનો આદર થાય છે.


મહાપાપની સજા

કેવી સચોટ રીતે દ્વિજેન્દ્રે એનું નિરૂપણ કર્યું? દિલદાર નામનું એક રહસ્યભર્યું પાત્ર ઉપજાવ્યું. એશિયાનો શ્રેષ્ઠ વિદ્વાન હાજી નિયામતખાં ગુપ્ત વેશે રાજનીતિ શીખવા આવ્યો દિલ્હી છે. વિદૂષકી કરીને મોગલ દરબારમાં એ દાખલ થયો છે અને આખરે એને જ મુખેથી દ્વિજેન્દ્ર આખા નાટકનો સાર સંભળાવે છે : મહાપાપની મહાસજા શું? અધ :પાત! તું તને જેટલો ઊંચે ચડેલો સમજે છે, તેટલો જ નીચે પડ્યો સમજજે. ત્યાર પછી જ્યારે જુવાનીનો નશો ઊતરી જશે, ત્યારે ફાટી આંખે તું જોઈ લેજે, ઔરંગજેબ, કે તારી ને સ્વર્ગની વચ્ચે તેં કેવી મહાન ખાઈ ખોદી છે. જોઈને જ્યારે કાંપી ઊઠે, ત્યારે મને યાદ કરજે. ‘ધર્મનો જય અને પાપનો ક્ષય’ : એ સિદ્ધાંતનો સાચો અર્થ આ કહેવાય. આપણાં નાટકો તો બાલિશ પદ્ધતિના જૂના ચીલા પર જ ચાલવાનું રાખી, ગમે તેવું કઢંગું કલાવિધાન કરીને પણ પુણ્યશાળી પાત્રને અંતમાં ધનસંપત્તિ અપાવે છે અને પાપીને ધૂળ ચાટતો કરે છે. એનું નામ ‘ધર્મનો જય’ હોત તો તો દુનિયામાં અત્યારે ધર્મિષ્ઠોની જે પાર્થિવ ખુવારી ચાલી રહી છે, અને પાપીઓ જે ચમન ઉડાવી રહ્યા છે, તેને આપણે શી રીતે ઘટાવત? દ્વિજેન્દ્ર તો કહે છે, કે દારાનું મૂંગું મૃત્યુ એ એક એવું બલિદાન હતું કે જેમાં દારા જીત્યો ને ઔરંગજેબ હાર્યો. બેશક, આ સાબિત થયેલું ઐતિહાસિક સત્ય નથી.


ભાવનાનો વિજય

શાહજહાંનું પોતાનું પાત્રવિધાન પણ એટલી જુક્તિથી ગૂંથવામાં આવ્યું છે કે નાટકની મધ્યમાં અન્ય તમામ મહાન ઘટનાઓના ચમકારા દેખાઈ દેખાઈ અદૃશ્ય થઈ ગયા. એ તમામે પોતાની એંધાણીઓ શાહજહાંનાં મનોરાજ્ય પર પાગલપણાને રૂપે મૂકી મૂકીને પડદા પાછળ પ્રયાણ કર્યું. મહાપ્રલયનાં પૂરો ઊતરી ગયાં પછી એના પરિણામરૂપે જે ભવ્ય ધ્વંસ રહી જાય તેવો પાદશાહ રહી ગયો. એની ઘેલછા છેલ્લી કોટિએ પહોંચી ગઈ. કુદરતનાં પંચ મહાભૂતોના તોફાનોનો પ્રતિધ્વનિ એ ભાંગી પડેલા મહાન માનવીની મન :સૃષ્ટિ પર પડી રહ્યો છે. કોઈ તાલબદ્ધ વિલાપ જેવી સાનભરી, અર્થભરી, પાગલતા આક્રંદ કરી રહી છે. એ ઘેલછાના હાસ્યમાંથી પણ આંસુ નીતરે છે. દુનિયાનાં કુકર્મોનું સંયુક્ત પરિણામ સદેહે જાણે પેદા થયું હોય તેમ દીસે છે. વાચક વિચારે છે કે આ જ અંત! શાહજહાંની જગતની ભલાઈ પરની શ્રદ્ધા શું એળે ગઈ! એનું વાત્સલ્ય શું ઢોળાઈ ગયું! નાટક શું આવી અઘોર દશામાં સમાપ્ત થઈ જશે! આવા ઊંચા શ્વાસોચ્છ્વાસ વચ્ચે પાદશાહનું જીવન ખતમ થઈ રહ્યું છે તે વેળા સાત-સાત વર્ષોની અવધિ વીત્યે, ઔરંગજેબ આવે છે. હાથમાં મુગટ છે, ધ્રૂજે છે, દિઙ્મૂઢ છે : પાદશાહ ડર્યો : નક્કી પુત્ર પિતૃહત્યા કરવા આવ્યો! વેદનાની છેલ્લી ચિચિયારી ઊઠી : “આ...આ કોણ? પાદશાહ સલામત!” સ્વર તૂટી જાય છે. “મારી લે છૂરી!” કહીને શાહજહાં પોતાની લાલ છાતી ખુલ્લી કરે છે. અને ઔરંગજેબ શું કરે છે? પિતાનાં ચરણો પકડી પોકારે છે : માફી આપો! દૂબળો થઈ ગયો છું : આંખો ઊંડી ગઈ છે : ચહેરો કંગાલ બની ગયો છે. કાયા બળીને ખાક થઈ ગઈ છે : ઘોર પાપી છું : માફી આપો! જહાનઆરા — ઔરંગજેબની કપટબાજીને પૂરેપૂરી પિછાનતી જહાનઆરા — ઉચ્ચારે છે : “વાહ તારો અભિનય! વાહ નવીન વેશ!” અને શાહજહાંને શું થાય છે? વાત્સલ્યનો ઉછાળો પાછો આવે છે. સાચેસાચ શું દૂબળો થઈ ગયો છે! મુમતાજની છેલ્લી થાપણરૂપ આ બેટો દુઃખી થઈ ગયો છે! પિતાથી ન જોવાયું. સાત-સાત વર્ષના દુઃખની શિલા અંતર પરથી ઊંચકાઈ ગઈ, ભૂતકાળ ભૂંસાઈ ગયો. વાત્સલ્યની બૂરાઈ બધી ઘસડાઈ ગઈ. પિતાએ માફી આપી. તાજમહાલની સામે જોઈને માફી આપી અને પોતાના અંતિમ દોહનરૂપ શબ્દો એના મોંમાંથી સરી પડ્યા : જહાનઆરા! સંધ્યાસમેની યમુના તરફ નજર કર : એ કેવી નિર્મલ છે! આ આકાશ સામે જો : એ કેવું ગંભીર છે! અને આ પથ્થર બનેલા પ્રેમાશ્રુ સમ અનન્ત આક્ષેપોથી ભીંજાયલ વિજોગની અમરકથા રૂપ, સ્થિર, મૌન, નિષ્કલંક શુભ્ર મંદિર સમા તાજમહાલ તરફ જોઈ લે! એ કેવો કરુણ છે! એ બધાંની સામે જોઈને, ઓ જહાનઆરા! તું ઔરંગજેબને ક્ષમા કર; અને વિચાર કે આ સંસારને તું જેટલો બૂરો ધારે છે તેટલો એ બૂરો નથી.


મીઠી આત્મવંચના

નાટકના આદિ અને અંત વચ્ચેનો સમસ્ત ઘટના-સમૂહ જાણે કે વિસ્મૃતિના ગર્તમાં લય પામી જાય છે. ભલાઈ, વિશ્વાસ અને વાત્સલ્યનો જે આદર્શ પાદશાહના ચારિત્ર્યમાં વિલસી રહ્યો છે, તે જાણે કે આવા કોઈ કલાવિધાન દ્વારા પોતાનું સાફલ્ય શોધતો હતો. શાહજહાંનું સમગ્ર દુઃખ દુનિયાની આટલી જ ભલાઈનાં દર્શને સ્વપ્નવત્ ઊડી ગયું. પલભર તો એના ચિદાકાશમાં માયા મમતાની કૌમુદી રેલવા લાગી. જહાનઆરાની ચેતવણી સામે “દારાના ઘાતકને ક્ષમા?” એ શબ્દો સામે “ચૂપ, બોલતી ના, મારા સુખમાં પથ્થર ફેંકતી ના!” એ શબ્દો વડે શાહજહાં કઠોર સત્યને પોતાથી અળગું કરી મનોરાજ્યની કાલ્પનિક મીઠાશમાં લપાઈ રહેવા તલખે છે. અને એ સાયંકાલના શાંત, ગંભીર, સુરમ્ય રંગોમાં પોતે જગતનું અમૃત જુએ છે. કેવી મીઠી વિસ્મૃતિ? કેવી ભવ્ય આત્મવંચના!


અનુકંપા

જહાનઆરા પણ પોતાના જર્જરિત પિતાના આગ્રહથી, જગતની બૂરાઈ જાણતી છતાં આંખો મીંચીને ઔરંગજેબને ક્ષમા આપે છે. ઔરંગજેબના આખા ચરિત્ર વિષે દ્વિજેન્દ્ર આપણને એક જુક્તિભરી સમસ્યામાં રાખી જાય છે. આપણને ખબર નથી પડતી કે ઔરંગજેબ સાચેસાચ અનુતાપમાં સળગીને ક્ષમા માગવા આવ્યો છે કે કુટિલતાનો કોઈ નવો અભિનય કરવા. દ્વિજેન્દ્ર સમજે છે કે ઔરંગજેબ ઐતિહાસિક પાત્ર છે ને એની પશ્ચિમાવસ્થા પણ દગલબાજી અને ધૂર્તતાથી ભરેલી છે. તેથી એને આ નાટકના સમયની સમાપ્તિ વેળા પાપમાંથી તદ્દન તારી લઈ પુણ્યાત્મા બનાવી લેવાથી તો ઐતિહાસિક સત્યનો લોપ જ થાય. માટે જ એણે આ પ્રસંગના ઔરંગજેબના વર્તનને સમસ્યારૂપે જ મૂકી દીધું. ને તેમ છતાંયે દ્વિજેન્દ્ર તો ધર્મનો જય અને પાપનો ક્ષય પુરવાર કરવા મથે છે; છેલ્લા પ્રવેશના ભવ્ય દૃશ્યમાં પરિતાપ, ક્ષમા અને મમતાનું નિર્ભેળ વાતાવરણ પેદા કરવા મથે છે. તેથી જ વાચકો કે પ્રેક્ષકોનાં અંતરમાં ધિક્કાર ઉપજાવે તેવો કોઈ પણ કપટ-અભિનય ઔરંગજેબની પાસે દ્વિજેન્દ્ર કરાવતો નથી. એને પણ માનવી બનાવી મૂકે છે. ઘડીભર એને પણ પરિતાપની અવસ્થા આવી ગઈ હોવાનું બતાવે છે. અને તેમ છતાં એ જ માનવીની દાનવ-દશા હજુ ખતમ નથી થઈ, તે ઐતિહાસિક સત્યને પણ સાબૂત રાખવા માટે દ્વિજેન્દ્ર પોતાની કલા યોજે છે! છેલ્લામાં છેલ્લી દારાની પુત્રી જહરતને મુખેથી અભિશાપનું ઉચ્ચારણ કરાવે છે : સારી પેઠે જીવજે, આ સામ્રાજ્ય ભોગવતો રહેજે, એ સામ્રાજ્ય જ તારો કાળ બનજો! એક પાપમાંથી બીજા ઘોર પાપમાં પડતો રહેજે કે જેથી મરતી વેળા તારા લલાટ પર પ્રભુની કરુણાનો છાંટો પણ તું પામે નહિ!


આંતરશુદ્ધિ

આ ઉચ્ચારણની સાથે જ નાટક ખતમ થાય છે. ઔરંગજેબનું બાકીનું ભાવિ નક્કી થઈ જાય છે. મહાપાપની મહાસજા અધોગતિ છે, એવી અસર રહી જાય છે. શાહજહાંની ભવ્ય ક્ષમાપના, જહાનઆરાનું અબોલ આત્મમંથન અને નિર્દોષ પિતાના મૃત્યુનું અક્ષમ્ય વેર વાળતી જહરતનો ઘોર અભિશાપ; તેની સામે નિર્મળ યમુના-તીરનો સાયંકાલ, ગંભીર નીલ ગગન અને પથ્થર બનેલ પ્રેમાશ્રુસમ તાજમહાલ; એ તમામ ભાવોના ભીતરથી વલોવાઈને કઈ અનિર્વાચ્ય લાગણી આપણો કબજો લઈ બેસે છે તે નથી સમજાતું. વિના સમજ્યે પણ આપણે એક અગમ્ય આંતરશુદ્ધિ અનુભવીએ છીએ. અનુકમ્પા અને મમતાના અંતર-તારો ઉપર જાણે કે એક અદૃશ્ય હાથની આંગળીઓનો સ્પર્શ થઈને વ્યથા મિશ્રિત રાગિણી બજે છે. ક્લેશ, ધિક્કાર અને વેરના વિકારો શમી જઈ ‘કરુણ! કરુણ!’નું જ મૌન સ્તવન ગવરાવે છે. આનું નામ ‘ટ્રેજિડી’નો સાર : જેને માટે શેક્સપિયર જન્મ્યો અને દ્વિજેન્દ્ર વિધુર બન્યો.


સૂજા-પિયારા

આ નાટકનાં અન્ય પાત્રો અને એ પાત્રોની એક એક ઉક્તિ પણ આ માનવજીવન ઉપરની ઝીણી ઝીણી મીમાંસાનું કામ કરી રહેલ છે અને એ તમામ પોતપોતાની રીતે સમગ્ર નાટકની કરુણામયતા ઉપર સંયુક્ત અસર મેલી જાય છે. સૂજા અને પિયારાનું યુગલ તપાસો; પહેલેથી છેલ્લે સુધી એ જોડલું નાટકના મુખ્ય પ્રવાહથી છેક જ નિરાળું લાગવા છતાં અદૃશ્ય દોરીથી સંયોજાયલું જ છે. સૂજા રણશૂર છે, અને પિયારા ગીતો તથા પ્યારની જ પૂજારણ છે. બન્નેની મસ્તીઓ પરસ્પર વિરોધી છે. અવિચારી સૂજાની મીઠી મીઠી મશ્કરી કરતી પિયારા પતિની અબુધતા ઉપર કદી રોષ દાખવતી નથી. ગાતી અને ફૂલોની માળા ગૂંથતી, પતિની પાછળ પાછળ જ્યાં જ્યાં એ રણઘેલડો ભટકે છે, ત્યાં ચાલી જાય છે. પતિપૂજાનો કશો બોધક આડંબર કર્યા વગર અંતરથી તો એ મર્મવિનોદ અને મશ્કરી દ્વારા પણ સ્વામીને ભજી રહી છે, ને એ બંને વિરોધાભાસી પાત્રો વચ્ચે પણ કેવી સ્નેહગાંઠ બંધાઈ ગઈ છે, તેનું દર્શન શેષ સંધ્યાએ થાય છે. આરાકાનના ડુંગરામાં, પતિને વિપત્તિ વચ્ચે ઘેરાયેલો જોઈને અને પોતાનું શિયળ લૂંટાવાના સંયોગોની વચ્ચે પણ, પિયારા વિનોદ કરે છે. પરંતુ તે છેલ્લે દિવસે સ્વામી સમજી શક્યો કે “તારા મોં પર હાસ્ય છે. પણ નયનમાં આંસુ છે!” બન્નેએ બીજી સવારે પડખોપડખ ઊભા રહી રણમાં મરવાનો મનોરથ બાંધ્યો. પરંતુ મૃત્યુ વળી શું છે? મૃત્યુના કશા ડર વિના, આખી જિંદગી ગાનગુલતાન કર્યાં હતાં તે જ રીતે મિલનની છેલ્લી રાત્રિએ પણ બન્નેએ રંગ રેલાવ્યા. ‘સારી રાત સૂવું નથી, મૉજ કરવી છે, અને પ્રભાતે ઊઠીને મરવું છે’ એ મનોદશા સાચાં પ્રેમીઓનું હસતું બલિદાન પ્રગટ કરી, ઔરંગજેબના રાજલોભને આવા સુંદર કબૂતર-કબૂતરી-શાં ભાઈ-ભાભીની આત્મહત્યાના પાપભાર નીચે ચગદી મારે છે.


વિધિનાં છાબડાં

બીજી બાજુ મુરાદ પણ ચાહે તેવો લંપટ અને દારૂડિયો છતાં એટલો નિર્દોષ બાળક જેવો છે કે એના વધમાંથી પણ... બરાબર વધસ્થાન પર જતી વેળા જ એ નિર્દોષ મૃત્યુ પોકારી ઊઠે છે : હું તો મારાં પાપની સજા પામ્યો. પણ ઓ ખુદા! ઔરંગજેબ કેમ બાદ રહી જાય છે? ત્યારે નેપથ્યમાંથી જાણે કે વિધાતાનો સ્વર કાઢીને સૂજાની પુત્રી પોકારે છે : કોઈ બાદ નહિ રહે. સહુનાં ત્રાજવાં તોળાઈ રહ્યાં છે. એને માટે તો જે સજા ચાલી આવે છે, એ સજાની સરખામણીમાં તારી સજા તો બક્ષિસ સરખી સમજજે! ફરી વાર એ-નો એ જ સાર નીકળે છે; દ્વિજેન્દ્ર કહે છે કે મૃત્યુ કે કારાવાસ એ પાપની ખરી સજા નથી. એ તો નજીવી શિક્ષાઓ છે. એ પરથી જ ‘ઈશ્વરનાં છાબડાં’ ઉપર અવિશ્વાસ ન લાવશો. મહાપાપની મહાસજા તો અનુતાપ છે, તરફડાટ છે, અંતરાત્માનું રુદન છે. નિદ્રાવિહીન હાલત વચ્ચે, પોતે કરેલાં પાપોની કલ્પનાઓથી પીડાવું, કંપી ઊઠવું, અસ્થિર બની ઊઠવું એ છે. સાચેસાચ ઔરંગજેબની એ મનોવેદનાને મુકાબલે તો દારા, સૂજા ને મુરાદનાં મૃત્યુઓ બક્ષિસ સરખાં જ દ્વિજેન્દ્રે પુરવાર કરી દેખાડ્યાં.


માનસિક હત્યા

પણ દ્વિજેન્દ્ર કહે છે કે ગળું કાપીને મારી નાખવું એનું નામ જ ખૂન નથી. ખૂનના પ્રકાર તો જુઓ : દારાના વધ પછી એના બાલ-પુત્રની શી દયાજનક દશા બની છે : સુલેમાન : જોઈ લે આ બાળકને — મારા છોટા ભાઈ સિપારને; જોઈ લે એની સ્થિર મૂર્તિ. છાતી ઉપર અદબ ભીડીને એકીટશે શૂન્યમાં ટાંપી રહ્યો છે ચૂપચાપ! આવું ભયાનક કરુણ દૃશ્ય દેખ્યું છે કદી! મહમ્મદ : ઓહ, ભયાનક! વાણીમાં ન ઊતરી શકે તેવું... સુલેમાન : જોઈ લે, બે આંખો બીડીને એ હાથ ઘસી રહ્યો છે. વેદનાથી જાણે હાહાકાર કરવા ચાહે છે, પણ વાણી નીકળતી નથી. આનું નામ ઔરંગજેબે કરેલી માનસિક હત્યા. એ જ હત્યા એણે શાહજહાંની કરી. એક પછી એક તમામ આત્મજનોને પાગલ બનાવી મૂક્યાં. હત્યાઓની એ પરંપરા : પરિણામ પોતાના મનોરાજ્ય પર ભીષણ પડછાયાઓ! એવી માનસિક હત્યાઓને દ્વિજેન્દ્રે યથાર્થ મહત્ત્વ આપી નવી જ સૃષ્ટિ સરજી કાઢી.


ભાવવાહિની શૈલી

આવું ભાવના-જગત સરજાવવામાં દ્વિજેન્દ્રની આવેશવતી શૈલીએ ચમત્કારી કામ કર્યું છે. એણે વસન્તની કોયલની માફક સુકોમળ ઊર્મિથી કોઈ કુંજોનું ગીત નથી ગાયું. એણે તો ગાયું છે બપૈયાની માફક પ્રબલ, ગંભીર અને ઉદાસ સ્વરે આ અનંત ઊંડાં આસમાની ગગનની અંદર! એની ભાષા તો જાણે શ્રાવણ-ભાદરવાના આકાશ સરખી ગર્જન્તી, વીજળી ચમકાવતી અને અનરાધાર વરસતી. એનો ભાવ-સંભાર છે હિમાલયની માફક ગાંભીર્યભર્યો, સૌંદર્યમય અને મહિમાવંત. અને દ્વિજેન્દ્રની માફક કવિતા છે સાગર સરખી. એમાં તરંગો છે, તેજછાયાની ઝલક ઝલક રમતો છે, અને સીમાબંધોથી બંધાયા વગર એ ઝૂલતી ઝૂલતી અનહદમાં કાંપ્યા કરે છે. અનુવાદક