શિરિષ પંચાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પંચાલ શિરીષ જગજીવનદાસ (૭-૩-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. અને ૧૯૮૦માં પીએચ.ડી. ૧૯૬૫થી ૧૯૬૭ સુધી બિલિમોરાની કૉલેજમાં અને -૧૯૬૭થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૮૦થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા. ડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત ‘નવલકથા' (૧૯૮૪) પર લખાયેલા એમના લદ પ્રબંધમાં અભ્યાસ અને વિષય પરની પકડ જોઈ શકાય છે. ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ' (૧૯૮૫) એમનો શોધનિબંધ છે. એમાં ગુજરાતી કાવ્યવિવેચનને અનુષંગે ઐતિહાસિક ને ઉત્ક્રમિક ચર્ચા છે. નર્મદથીમાંડીને અત્યાર સુધીના મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવાનો અહીં ઉપક્રમ છે. નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, રા. વિ. પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી વગેરેના વિચારોની તપાસમાં રૂપરચના, ભાષા, અલંકારપ્રતીરચના, જીવનદર્શન જેવાં વિવિધ પાસાંઓનો સ્પર્શ કરાયો છે. એમના ‘રૂપરચનાથી વિઘટન' (૧૯૮૬) વિવેચનસંગ્રહ સાંપ્રત વિવેચનના વિવિધ પ્રવાહોનું પ્રમાણિત દિગ્દર્શન આપે છે. ‘વૈદેહી' (૧૯૮૮) એમની નવલકથા છે. ‘જરા મોટેથી' (૧૯૮૮) એમના નિબંધસંગ્રહ છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન ‘માનીતી અણમાનીતી' (૧૯૮૨)માં અને સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ‘ભાવયામિ' (૧૯૮૪)માં કર્યું છે. આ સંપાદન સાથે જોડાયેલા એમના પ્રાસ્તાવિક અભ્યાસલેખો તલસ્પર્શી છે. ચં.ટો. પંચાલ હરિલાલ વિઠ્ઠલદાસ, ‘નિમિત્તમાત્ર' (૧૦-૧-૧૯૨૮) : ચરિત્રલેખક. જન્મ અમદાવાદમાં. સર્વિચાર પરિવારના પ્રમુખ. આદર્શ સંત સરયૂદાસ' (૧૯૫૫) અને ‘પ્રેમમૂર્તિ શબરીજી (૧૯૭૭) જેવાં ચરિત્રો ઉપરાંત એમણે ‘સમર્પણની સુવાસ’ (૧૯૮૧), ‘ધર્મસુધા' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો પણ આપ્યાં.