સંજુ વાળાનાં કાવ્યો/જિવાડશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જિવાડશે

કોઈને સુખ કોઈને ન્યોછાવરી જિવાડશે
અમને કવિતા નામની સંજીવની જિવાડશે

અણસમજ ભમરાની યજમાની કરી જિવાડશે
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જિવાડશે

શું વધારે જોઈએ? એક કાળજી જિવાડશે
લખ અછોવાનાં બરાબર લાગણી જિવાડશે

હાથમાં હિંમત નથી ’ને પગ તો પાણીપાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જિવાડશે

સાચાં-ખોટાંના બધાયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે

શું લખું? કયા શબ્દની આરાધના કેવી કરું?
ક્યાં ખબર છે! કઈ રીતે બારાખડી જીવાડશે

ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે