સંજુ વાળાનાં કાવ્યો/મોતી કૈસા રંગા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોતી કૈસા રંગા?

દેખ્યા હો તો કહી બતલાવો મોતી કૈસા રંગા?
જાણે કોઈ સુજ્ઞ કવિજન યા કો’ ફકીર મલંગા

મનમાં ને મનમાં જ રહે લયલીન મહા મનચંગા
સ્વયં કાંકરી, સ્વયં જળમાં ઊઠતા સહજ તરંગા

જ્યાં લાગે પોતાનું ત્યાં નાખીને રહેતા ડંગા
મોજ પડે તો મુક્તકંઠથી ગાવે ભજન-અભંગા

એ વ્યષ્ટિને એ જ સમષ્ટિ એ ‘આ’ને એ ‘તે’ જ
એ આકાશી તખ્ત શોધવા ભમતા ભગ્ન પતંગા

ધૂસર વહેતી તમસામાં એક દીપ-સ્મરણના ટેકે
રોજ ઉતરીએ પાર લઈને કોરાકટ્ટ સૌ અંગા

મનવાસી જન્મે મનમધ્યે જાત – રહિતા જાતક
રંગ રૂપ આકાર વિનાયે અતિ સુન્દર સરવંગા

(પ્રથમ પંક્તિ - ભક્તકવિ અરજણદાસ) સ્મરણ - શ્રી નરોત્તમ પલાણ સાહેબ