સત્યના પ્રયોગો/ઊજળું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૯. ઊજળું પાસું

એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.

એક દિવસ મને બિહારની સરકારનો કાગળ મળ્યો. તેનો ભાવાર્થ આ હતોઃ ‘તમારી તપાસ ઠીક લાંબી ચાલી ગણાય, અને તમારે તે બંધ રાખી બિહાર છોડવું જોઈએ.’ કાગળ વિનયી હતો પણ અર્થ સ્પષ્ટ હતો. મેં લખ્યું કે તપાસ તો લંબાશે, અને તે થયા પછી પણ લોકોનાં દુઃખનું નિવારણ ન થાય ત્યાં લગી મારો ઇરાદો બિહાર છોડવાનો નથી.

મારી તપાસ બંધ કરવાને સરકારની પાસે યોગ્ય ઇલાજ એક જ હતો કે, તેણે લોકોની ફરિયાદ સાચી માની દાદ કેવી, અથવા ફરિયાદને માન આપી પોતાની તપાસસમિતિ નીમવી. ગવર્નર સર એડવર્ડ ગેઈટે મને બોલાવ્યો, ને પોતે તપાસસમિતિ નીમવાનો પોતાનો ઇરાદો જણાવ્યો અને તેમાં સભ્ય થવાનું મને નિમંત્રણ આપ્યું. બીજાં નામો જોઈને મેં સાથીઓની સાથે મસલત કરીને એ શરતે સભ્ય થવાનું કબૂલ કર્યું કે, મને સાથીઓની સાથે મસલત કરવાની છૂટ હોવી જોઈએ; ને સરકારે સમજવું જોઈએ કે, હું સભ્ય થવાથી ખેડૂતોનો હિમાયતી નથી મટતો અને તપાસ થઈ રહ્યા બાદ મને સંતોષ ન થાય તો ખેડૂતોને દોરવાની મારી સ્વતંત્રતા હું જતી ન કરું.

સર એડવર્ડ ગેઈટ આ શરતોને વાજબી ગણીને તેનો સ્વીકાર કર્યો. મરહૂમ સર ફ્રેંક સ્લાઈ તેના પ્રમુખ નિમાયા હતા. તપાસસમિતિએ ખેડૂતોની બધી ફરિયાદો ખરી ઠરાવી, નીલવરોએ ગેરવાજબી રીતે લીધેલાં નાણાનો અમુક ભાગ પાછો આપવાની ને તીનકઠિયાનો કાયદો રદ કરવાની ભલામણ કરી.

આ રિપોર્ટ સાંગોપાંગ થવામાં ને છેવટે કાયદો પસાર થવામાં સર એડવર્ડ ગેઈટનો બહુ મોટો ભાગ હતો. તે દૃઢ ન રહ્યા હોત અથવા જો તેમણે પોતાની કુશળતાનો પૂરો ઉપયોગ ન કર્યો હોત, તો જે રિપોર્ટ એકમતે થઈ શક્યો તે ન થવા પામત અને જે કાયદા છેવટે પસાર થયો તે થવા ન પામત. નીલવરોની સત્તા બહુ પ્રબળ હતી. રિપોર્ટ થવા છતાં તેમનામાંના કેટલાકે બિલનો સખત વિરોધ કર્યો હતો. પણ સર એડવર્ડ ગેઈટ છેવટ સુધી મક્કમ રહ્યા ને સમિતિની ભલામણોનો સંપૂર્ણ અમલ કર્યો.

આમ સો વર્ષથી ચાલતો આવેલો તીનકઠિયાનો કાયદો તૂટયો ને તેની સાથે નીલવરરાજ્યનો અસ્ત થયો, રૈયતવર્ગ જે દબાયેલો જ રહેતો હતો તેને પોતાની શક્તિનું કંઈક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહેમ દૂર થયો.

ચંપારણમાં આરંભેલું રચનાત્મક કામ જારી રાખી લોકોમાં થોડાં વર્ષો સુધી કામ કરવાની અને વધારે નિશાળો કરવાની અને વધારે ગામડાંમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા હતી. ક્ષેત્ર તૈયાર હતું. પણ મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર જ પડવા દીધા નથી. મેં ધાર્યું હતું કંઈક ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું.