સત્યના પ્રયોગો/રંગરૂટની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૭. રંગરૂટની ભરતી

સભામાં હું હાજર થયો. વાઇસરૉયની તીવ્ર ઇચ્છા હતી કે મારે સિપાહીની મદદના ઠરાવને ટેકો આપવો. મેં હિંદી-હિંદુસ્તાનીમાં બોલવાની માગણી કરી. વાઇસરૉયે તે સ્વીકારી, પણ સાથે જ અંગ્રેજીમાં બોલવાનું સૂચવ્યું. મારે ભાષણ તો કરવું જ નહોતું. હું જે બોલ્યો તે આટલું જ હતું: ‘મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.’

મને હિંદુસ્તાનીમાં બોલવા સારુ ઘણાએ ધન્યવાદ આપ્યા. તેઓ કહેતા હતા કે, વાઇસરૉયની સભામાં આ કાળમાં હિંદુસ્તાનીમાં બોલવાનો આ પહેલો દાખલો હતો. ધન્યવાદ અને પહેલો દખલો હોવાની ખબર ખૂંચ્યાં. હું શરમાયો. આપણા જ દેશમાં, દેશને લગતા કામની સભામાં દેશની ભાષાનો બહિષ્કાર કે તેની અવગણના એ કેવી દુઃખની વાત! અને મારા જેવો કોઈ હિંદુસ્તાનીમાં એક કે બે વાક્યો બોલે તો તેમાં ધન્યાવાદ શા? આવા પ્રસંગો આપણી પડતી દશાનું ભાન કરાવનારા છે. સભામાં બોલેલા વાક્યમાં મારે સારુ તો બહુ વજન હતું. એ સભા કે એ ટેકો મારાથી ભુલાય તેમ નહોતાં. મારી એક જવાબદારી તો મારે દિલ્હીમાં જ આટોપી લેવાની હતી. વાઇસરૉયને કાગળ લખવાનું કામ મને સહેલું ન લાગ્યું. સભામાં જવાની મારી આનાકાની, તેનાં કારણો, ભવિષ્યની આશાઓ વગેરેની ચોખવટ મારે સારુ, સરકારને સારુ ને પ્રજાને સારુ કરવાની મને આવશ્યકતા લાગી.

મેં વાઇસરૉયને કાગળ લખ્યો તેમાં લોકમાન્ય તિલક, અલીભાઈઓ વગેરે નેતાઓની ગેરહાજરી વિશે મારો શોક જાહેર કર્યો, લોકોની રાજ્યપ્રકરણી માગણીનો ને લડાઈમાંથી ઉત્પન્ન થતી મુસલમાનોની માગણીઓનો ઉલ્લેખ કર્યો. આ કાગળ છાપવાની મેં રજા માગી તે વાઇસરૉયે ખુશીથી આપી.

આ કાગળ સિમલા મોકલવાનો હતો, કેમ કે સભા પૂરી થતાં વાઇસરૉય તો સિમલા પહોંચી ગયા હતા. ત્યાં ટપાલ મારફતે કાગળ મોકલવો એમાં ઢીલ થતી હતી. મારે મન કાગળ મહત્ત્વનો હતો. વખત બચાવવાની જરૂર હતી. ગમે તેની સાથે કાગળ મોકલવાની ઇચ્છા નહોતી. કોઈ પવિત્ર માણસની મારફત કાગળ જાય તો સારુ એમ મને લાગ્યું. દીનબંધુ અને સુશીલ રુદ્રે ભલા રેવ. આયરલýડનું નામ સૂચવ્યું. તેમણે કાગળ વાંચી તે તેમને શુદ્ધ લાગે તો તે લઈ જવાનું કબૂલ કર્યું. કાગળ ખાનગી નહોતો જ. તેમણે વાંચ્યો, તેમને ગમ્યો ને લઈ જવા રાજી થયા. મેં બીજા વર્ગનું રેલભાડું આપવાનું કર્યું. પણ તે લેવાનો તેમણે ઇનકાર કર્યો ને રાત્રિની મુસાફરી છતાં ઇન્ટરની ટિકિટ જ લીધી. તેમની સાદાઈ, સરળતા અને સ્પષ્ટતા ઉપર હું મોહિત થયો. આમ પવિત્ર હાથે અપાયેલા કાગળનું પરિણામ મારી દૃષ્ટિએ સારું જ આવ્યું. મારો માર્ગ તેથી સાફ થયો.

મારી બીજી જવાબદારી રંગરૂટની ભરતી કરવાની હતી. હું આ યાચના ખેડામાં નહીં તો ક્યાં કરું? મારા સાથીઓને પ્રથમ ન નોતરું તો કોને નોતરું? ખેડા પહોંચતા જ વલ્લભભાઈ ઇત્યાદિની સાથે મસલત કરી. તેમનામાંના કેટલાકને તુરત ઘૂંટડો ન ઊતર્યો. જેમને વાત ગમી તેમને કાર્યની સફળતા વિશે શંકા આવી. જે વર્ગમાંથી ભરતી કરવી હતી તે વર્ગને સરકાર પ્રત્યે કશું વહાલ નહોતું. સરકારના અમલદારોનો થયેલો કડવો અનુભવ હજુ તાજો જ હતો.

છતાં કાર્યારંભ કરવાની તરફેણમાં બધા થયા. આરંભ કર્યો કે તુરત મારી આંખ ઊઘડી. મારો આશાવાદ પણ કંઈક ઢીલો થયો. ખેડાની લડતમાં લોકો પોતાની ગાડી મફત આપતા, એક સ્વયંસેવકની હાજરીની જરૂર હોય ત્યાં ત્રણચાર મળી રહે. હવે ગાડી પૈસા આપતાં પણ દોહ્યલી થઈ પડી. પણ એમ અમે કોઈ નિરાશ થઈએ તેવા નહોતા. ગાડીને બદલે પગપાળા મુસાફરી કરવાનું ઠરાવ્યું. રોજ વીસ માઈલની મજલ કરવાની હતી. ગાડી ન મળે તો ખાવાનું ક્યાંથી જ મળે? માગવું એ પણ બરોબર નહીં. તેથી પ્રત્યેક સ્વયંસેવક પોતાના ખાવા પૂરતું પોતાના દફતરમાં લઈને નીકળે એમ નક્કી કર્યું. મોસમ ઉનાળાની હતી એટલે ઓઢવાનું કંઈ સાથે રાખવાની આવશ્યકતા નહોતી.

જે જે ગામ જતા ત્યાં સભા ભરતા. લોકો આવતા, પણ ભરતીમાં નામ તો માંડ એકબે મળે. ‘તમે અહિંસાવાદી કેમ અમને હથિયાર લેવાનું કહો છો?’ ‘સરકારે હિંદનું શું ભલું કર્યું છે કે તમે તેને મદદ દેવાનું કહો છો?’ આવા અનેક જાતના પ્રશ્નો મારી આગળ મુકાતા.

આમ છતાં ધીમે ધીમે અમારા સતત કાર્યની અસર લોકો ઉપર થવા લાગી હતી. નામો પ્રમાણમાં ઠીક નોંધાવા લાગ્યાં, ને જો પહેલી ટુકડી નીકળી પડે તો બીજાને સારુ માર્ગ ખુલ્લો થશે એમ અમે માનતા થયા. રંગરૂટ નીકળી પડે તેમને ક્યાં રાખવા વગેરે ચર્ચા હું કમિશનરની સાથે કરતો થઈ ગયો હતો. કમિશનરો ઠેકાણે ઠેકાણે દિલ્હીના નમૂના ઉપર સભાઓ ભરવા લાગ્યા હતા. તેવી ગુજરાતમાં પણ ભરાઈ. તેમાં મને અને સાથીઓને જવાનું આમંત્રણ હતું. અહીં પણ હું હાજર થયો હતો. પણ જો દિલ્હીમાં હું ઓછો શોભતો જણાયો તો અહીં તેથી પણ વધારે ઓછો શોભતો મને લાગ્યો. હાજીહાના વાતાવરણમાં મને ચેન નહોતું પડતું. અહીં હું જરા વિશેષ બોલ્યો હતો. મારા બોલવામાં ખુશામત જેવું તો નહોતું જ, પણ બે કડવાં વેણ પણ હતાં.

રંગરૂટની ભરતીને અંગે મેં પત્રિકા કાઢી હતી તેમાં ભરતીમાં આવવાના નિમંત્રણમાં એક દલીલ હતી તે કમિશનરને ખૂંચી હતી. તેનો સાર આ હતોઃ ‘બ્રિટિશ રાજ્યનાં ઘણાં અપકૃત્યોમાં આખી પ્રજાને શસ્ત્રરહિત કરવાના કાયદાને ઇતિહાસ તેનું કાળામાં કાળું કામ ગણશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણતક છે. રાજ્યની આપત્તિને કાળે મધ્યમવર્ગ સ્વેચ્છાએ મદદ કરશે તો અવિશ્વાસ દૂર થશે, અને જેને શસ્ત્ર ધારણ કરવાં હશે તે સુખેથી ધારણ કરી શકશે.’ આને ઉદ્દેશીને કમિશનરને કહેવું પડયું હતું કે, તેમની ને મારી વચ્ચે મતભેદ છતાં તેમને સભામાં મારી હાજરી પ્રિય હતી. મારે પણ મારા મતનું સમર્થન બની શક્યું તેટલા મીઠા શબ્દોમાં કરવું પડયું હતું.

ઉપર જે કાગળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો સાર નીચે આપવામાં આવે છેઃ

યુદ્ધ પરિષદમાં હાજરી આપવા વિશે મને આનાકાની હતી, પણ એ આપને મળ્યા પછી દૂર થઈ, અને તેનું એક કારણ એ અવશ્ય હતું કે આપના પ્રત્યે મને બહુ આદર છે. ન આવવાનાં કારણોમાં મજબૂત કારણ એ હતું કે, તેમાં લોકમાન્ય તિલક, મિસિસ બેસંટ અને અલીભાઈઓને નિમંત્રણ નહોતું. એમને હું લોકોના બહુ શક્તિશાળી નાયક ગણું છું. મને તો લાગે છે કે, તેમને નિમંત્રણ ન આપવામાં સરકારે ગંભીર ભૂલ કરી છે, અને હું હજુ સૂચવું છું કે પ્રાંતિક પરિષદો ભરવામાં આવે તેમાં તેમને નિમંત્રણ મોકલાય. મારો નમ્ર અભિપ્રાય છે કે, આવા પ્રૌઢ નાયકોને, તેઓની સાથે ગમે તેવો મતભેદ હોય છતાં, કોઈ સલ્તનત અવગણી શકે નહીં. આ સ્થિતિમાં હું સભાની સમિતિઓમાં હાજર ન રહી શક્યો, ને સભામાં ટેકો આપીને સંતુષ્ટ રહ્યો. સરકારને કરેલી સૂચના કબૂલ થાય કે તુરત મારા ટેકાનો અમલ કરવાની હું આશા રાખું છું.

જે સલ્તનતમાં ભવિષ્યમાં અમે સંપૂર્ણતાએ ભાગીદાર થવાની આશા રાખીએ છીએ તેમાં તેને આપત્તિકાળે પૂરી મદદ દેવાનો અમારો ધર્મ છે. પણ મારે એમ તો કહેવું જોઈએ કે, તેની સાથે એ આશા રહેલી છે કે એ મદદને લીધે અમારા ધ્યેયને અમે વહેલા પહોંચી વળશું. તેથી લોકોને આટલું માનવાનો અધિકાર છે કે, જે સુધારાઓ તુરતમાં થવાની આશા આપના ભાષણાં આપવામાં આવેલી છે, તે સુધારામાં મહાસભા અને મુસ્લિમ લીગની મુખ્ય માગણીઓનો સમાવેશ થશે. મારાથી બની શકતું હોત તો હું આવે ટાણે હોમરૂલ વગેરેનું ઉચ્ચારણ સરખું ન કરત. પણ સામ્રાજ્યની અણીને વખતે બધા શક્તિશાળી હિંદીઓને તેના રક્ષણને અર્થે મૂંગે મોઢે હોમાઈ જવા પ્રેરત. આટલું કરવાથી જ અમે સામ્રાજ્યના મોટામાં મોટા અને આદરણીય ભાગીદાર બની જાત અને રંગભેદ તથા દેશભેદ ભૂંસાઈ જાત.

પણ શિક્ષિત વર્ગે એથી ઓછો અસરકારક માર્ગ લીધો છે. જનસમાજમાં એની વગ ઘણી છે. હું હિંદુસ્તાનમાં આવ્યો છું ત્યારથી જ જનસમાજના ગાઢ સંબંધમાં આવતો રહ્યો છું. અને હું આપને જણાવવા ઇચ્છું છું કે, હોમરૂલની ધગશ તેનામાં પેઠી છે. હોમરૂલ વિના લોકોને કદી સંતોષ થવાનો નથી. તેઓ સમજે છે કે હોમરૂલ મેળવવાને સારુ જેટલો ભોગ અપાય તેટલો ઓછો છે. તેથી જોકે સામ્રાજ્યને સારું જેટલા સ્વયંસવેકો આપી શકાય તેટલા આપવા જોઈએ. પણ આર્થિક મદદને વિશે હું એમ નથી કહી શકતો. લોકોની સ્થિતિને જાણીને હું કહી શકું છું કે, હિંદુસ્તાન જે મદદ આપી ચૂક્યં છે તે તેના ગજા ઉપરવટ છે. પણ હું આટલું સમજું છું કે, સભામાં જેમણે ટેકો આપ્યો છે તેમણે મરણ પર્યંત મદદ આપવાનો નિશ્ચય કર્યો છે. પણ અમારી સ્થિતિ કફોડી છે. અમે કંઈ એક પેઠીના ભાગીદાર નથી. અમારી મદદનો પાયો ભવિષ્યની આશા ઉપર બંધાયેલો છે, અને એ આશા કઈ છે એ જરા વિશેષ કહેવાની જરૂર છે. હું સાટું કરવા નથી ઇચ્છતો. પણ મારે આટલું તો કહેવું જોઈએ કે, તેને વિશે નિરાશા ઊપજે તો સામ્રાજ્યને વિશેની આજ લગીની માન્યતા ભ્રમણામાં ગણાશે. આપે ઘરના કંકાસ ભૂલી જવાનું સૂચવ્યું છે; તેનો અર્થ જો એમ હોય કે જુલમો અને અમલદારોનાં અપકૃત્યો સહન કરવાં, તો એ અસંભવિત છે. સંગઠિત જુલમની સામે બધું બળ વાપરવું એ હું ધર્મ સમજું છું, તેથી અમલદારોને આપે સૂચવવું ઘટે છે કે એક પણ જીવને તેઓ ન અવગણે અને પૂર્વે નથી આપેલું એટલું માન લોકમતને આપે. ચંપારણમાં સૈકાના જુલમને સામે થતાં બ્રિટિશ ન્યાયનું સર્વોપરીપણું મેં સિદ્ધ કરી બતાવ્યું છે. ખેડાની રૈયતે જોઈ લીધું છે કે, જ્યારે તેનામાં સત્યને સારુ દુઃખ વેઠવાની શક્તિ હોય ત્યારે ખરી સત્તા તે રાજ્યસત્તા નથી પણ લોકસત્તા છે; અને તેથી જે સલ્તનતને તે પ્રજા શાપ આપતી હતી તેને વિશે તેની કડવાશ ઓછી થઈ છે, અને જે રાજ્યસત્તાએ સવિનય કાનૂનભંગને સહન કરી લીધો તે સત્તા લોકમતને છેક અવગણનારી નહીં હોય એવી તેની ખાતરી થઈ છે. તેથી મારી માન્યતા એવી છે કે, ચંપારણ અને ખેડામાં મેં જે કામ કર્યું છે તે આ લડાઈ પરત્વેની મારી સેવા છે. એવી જાતનું મારું કામ બંધ કરવાનું જો મને કહો તો મારો શ્વાસ રૂંધવાનું આપે કહ્યું એમ હું માનું. જો આત્મબળને એટલે પ્રેમબળને, શસ્ત્રબળને બદલે, લોકપ્રિય કરી મૂકવામાં હું સફળ થાઉં, તો હું જાણું છું કે, હિંદુસ્તાન આખા જગતની કરડી નજર થાય તો તેની સામે પણ ઝૂઝી શકે. તેથી દરેક વખતે આ દુઃખ સહન કરવાની સનાતન નીતિ મારા જીવનમાં વણવાને સારુ હું મારા આત્માને કસ્યા કરીશ, અને એ નીતિનો સ્વીકાર કરવા બીજાઓને નોતર્યા કરીશ; અને જો હું કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લઉં છું તો તેનો હેતુ પણ માત્ર એ જ નીતિની અદ્વિતીય ઉત્તમતા સિદ્ધ કરવાને સારુ છે.

છેવટમાં, મુસલમાન રાજ્યો વિશે ચોકસ ખાતરી આપવાનું બ્રિટિશ પ્રધાનમંડળને સૂચવવા હું આપને વીનવું છું. આપ જાણો છો કે, તેને વિશે દરેક મુસલમાનને ચિંતા રહે છે. પોતે હિંદુ હોઈને હું તેમની લાગણી વિશે બેદરકાર નથી રહી શકતો. તેમનું દુઃખ તે અમારું હોય જ. આ મુસલમાન રાજ્યોના હકને જાળવવામાં, તેમનાં ધર્મસ્થાનોને વિશેની તેમની લાગણીને માન આપવામાં, અને હિંદુસ્તાનની હોમરૂલ વિશેની માગણીના સ્વીકારમાં સામ્રાજ્યની સહીસલામતી રહેલી છે. આ કાગળ મેં લખ્યો છે કે કેમ કે હું અંગ્રેજોને ચાહું છું, અને જે વફાદારી અંગ્રેજમાં હોય તે જ વફાદારી દરેક હિંદીમાં જગાવવા હું ઇચ્છું છું.