zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ગુજરાતીકોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૬) ગુજરાતી કોશ[1]


‘કોશ' શબ્દ વિષે

‘કોશ’ ના વિવિધ અર્થોમાંને એક છે–ભંડાર, ખજાનો, ભંડોળ, મૂડી. એ અર્થ ભાષાની સંચિત સમૃદ્ધિને લાગુ પાડતાં ‘શબ્દોનો ભંડાર' એવો ભાવ સમજાયો. અંગ્રેજી Thesaurus પણ ગ્રીકમાં મૂળ અર્થ ‘ભંડાર' કે ‘ખજાનો’ છે અને લગભગ અઢારમા સૈકાથી તે ‘શબ્દકોશ' કે 'જ્ઞાનકોશ' એવા અર્થમાં અંગ્રેજી ભાષામાં વપરાવો શરૂ થયેલો છે. Dictionary શબ્દનું મૂળ લૅટિનમાં છે અને Lexiconનું મૂળ ગ્રીકમાં છે, અને એ બન્નેનો વ્યુત્પત્યર્થ પણ 'શબ્દસંગ્રહ' એટલો જ થાય છે. જર્મન શબ્દ Worter- buch પ્રમાણમાં સાદે છે; એને અંગ્રેજી તરજુમે Word-book એવો થતો હોઈ ‘શબ્દ-પોથી' એવો અર્થ તે વ્યકત કરે છે. ભાષાના શબ્દસંગ્રહ માટે 'શબ્દકોશ' એ વાચક કેટલો જૂનો છે તે આપણું જ્ઞાનની અત્યારની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવાનું મુશ્કેલ છે; પણ 'કોશ'ના મુકાબલે તે અર્વાક્તન છે એટલું નક્કી છે. 'કોશ'ના અનેક અર્થોમાંથી શબ્દસંગ્રહવાચક અર્થ વ્યકત કરવા માટે - અને એ અર્થ તો સાહિત્યનો સારો એવો વિકાસ થયા પછી જ વ્યક્ત કરવાની જરૂર પડે - પાછળથી તે યોજાયો હોવો જોઈએ. આમ છતાં યોગ્ય સન્દર્ભમાં પ્રસ્તુત અર્થ વ્યકત કરવા માટેનું 'કોશ' શબ્દનું સામર્થ્ય પૂર્વવત્ રહેલું છે.

કોશનું મહત્ત્વ

પ્રત્યેક ભાષાનું શબ્દભંડોળ એના ભાષકોના ભૂતકાલીન વૃત્તાન્તનું, વર્તમાન સ્થિતિ અને કંઈક અંશે ભાવિ આકાંક્ષાઓનું-એકંદરે એ બોલનારી પ્રજાના સમગ્ર જીવન અને ચિન્તનનું દર્પણ છે.

ભૌતિક અથવા બૌદ્ધિક ક્ષેત્રમાં નવીન સિદ્ધિઓની પ્રાપ્તિ સાથે અથવા નવા ફેરફારોના પરિણામરૂપે કોઈ પણ ભાષાનો શબ્દસંચય વિસ્તૃત થાય છે તેમ જ જૂના શબ્દો નવા અર્થોમાં વપરાતાં એ રીતે ૫ણ ભાષાની સમૃદ્ધિ વધે છે. ભાષાના શબ્દસંચયનું સર્વાંગી અધ્યયન એટલે એ બોલનારી પ્રજાએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રાચીન કાળથી માંડી આજ સુધી કરેલાં કાર્યનો, એના ઐતિહાસિક સંપર્કોને અને અદ્યતન પ્રવૃત્તિઓને, એની લાક્ષણિક્તાઓ, ખૂબીઓ અને ખામીઓને ઇતિહાસ, ભાષામાં રહેલા માનવતત્ત્વનો અભ્યાસ એની ધ્વનિપ્રક્રિયા કે સ્વરવ્યંજનપ્રક્રિયા દ્વારા નહિ, પણ મુખ્યત્વે એના શબ્દભંડોળ દ્વારા જ થઈ શકે. શબ્દભંડોળના વિકાસ સાથે નવા નવા શબ્દકોશોની રચના આવશ્યક બને છે. શબ્દભંડોળની-નવાં શબ્દરૂપોની કે નવા અર્થોની–વૃદ્ધિ એ કેાઈ પણ જીવંત ભાષાની લાક્ષણિકતા છે. પરંતુ જગતમાં જેટલી ભાષાઓ બોલાય છે અથવા બોલાતી હતી, એ સર્વમાં કંઈ શબ્દકોશો રચાયા નથી. સામાન્ય જીવનવ્યવહારથી વિશેષ એવી ગંભીર વિદ્યાને લગતી કશી પણ પ્રવૃત્તિઓ કરવા માટે કોશ અત્યંત આવશ્યક છે; અને એવી પ્રવૃત્તિઓ જ્યાં ઓછાવત્તા પ્રમાણમાં થઈ છે ત્યાં તત્કાલીન જરૂરિયાતોને અનુલક્ષીને નાના-મોટા કોશો અથવા વિશિષ્ટ પ્રયોજનલક્ષી શબ્દસંગ્રહો અવશ્ય તૈયાર થયેલા છે. આથી જ, રાજકોશને શબ્દકોશ સાથે સરખાવતાં એક સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે-

कोशस्येव महीपानां कोशस्य विदुषामपि ।
उपयोगो महान् यस्मात् क्लेशस्तेन बिना भवेत् ॥

રાજાઓની જેમ વિદ્વાનોને કોશનો મહાન ઉપયોગ છે, કેમકે તે વિના (એમને) કલેશ થાય છે.

પ્રાચીન શબ્દકોશો

જગતની જે જે પ્રાચીન ભાષાઓ ઠીક પ્રમાણમાં સાહિત્યિક પ્રયોગ પામી છે એ સર્વમાં એક અથવા બીજા પ્રકારના સંખ્યાબંધ કોશો થયા છે; તેમ જ જે ગ્રથો કે ગ્રન્યકારો ધાર્મિક દૃષ્ટિએ અતિ પવિત્ર કે સાહિત્યિક દૃષ્ટિએ પ્રશિષ્ટ તથા સન્માનપાત્ર ગણાયા છે તેમના પણ, સતત અધ્યયન કે અર્થવિમર્શને પરિણામે, શબ્દકોશો તૈયાર થયા હોય એવું આજ દિન સુધી બન્યું છે. વૈદિક શબ્દસંગ્રહ ‘નિઘંટુ' ઉપર યાસ્કાચાર્યની ટીકા તે 'નિરુક્ત' (ઈ. સ. પૂર્વે ૭૦૦ આસપાસ ). સંસ્કૃતમાં એ પછી બહુસંખ્ય કોશો થયા છે, જેમાં ‘અમરકોશ' સૌથી પ્રસિદ્ધ છે. વ્યાકરણમાં જેવી પાણિનિની પ્રતિષ્ઠા છે, લગભગ એવી કોશોમાં 'અમરકોશ’ની પ્રતિષ્ઠા છે. ગુજરાતના આચાર્ય હેમચન્દ્રે ચાર એવા કોશો રચ્યા છે, પ્રાચીન ભારતની ખાસ કરીને સંસ્કૃત અને પ્રાકૃતની કોશરચનાપ્રવૃત્તિના ઉદાહરણરૂપ છે. એમના ‘અભિધાનચિન્તામણિ'માં 'અમરકોશ'ની પદ્ધતિએ, એક અર્થના અનેક શબ્દોનો સંગ્રહ છે; ‘અનેકાર્થસંગ્રહ'માં એક શબ્દના અનેક અર્થોની નોંધ છે. વૈદિક શબ્દોના સંગ્રહને 'નિઘંટુ' કહેતા તેમ વનસ્પતિનાં નામોના સંગ્રહને પણ ‘નિઘંટુ’ કહેતા. હેમચન્દ્રે ‘નિઘંટુંશેષ' નામે કોશ રચેલો છે તે વનસ્પતિશાસ્ત્ર અંગેનો છે. સંસ્કૃત ભાષાના અભિધાનકોશમાં પરિચિત ન હોય એવા પ્રાકૃત દેશી શબ્દોનો (જેમાંના કેટલાક તત્સમ, તદ્ભવ કે સંશયયુક્ત તદ્ભવ હોવાનું વિદ્વાનોને જણાયું છે) કોશ ‘દેશી નામમાલા' પણ હેમચંદ્રની રચના છે. ‘દેશી નામમાલાને બાજુએ રાખીએ તો, બાકીના ત્રણેય પ્રકારના કોશો સંસ્કૃતમાં વખતો-વખત રચાયા છે. હેમચન્દ્રની પૂર્વે થયેલા, ભોજરાજના સમકાલીન કવિ ધનપાલનો ‘પાઈઅલચ્છી' નામનો પ્રાકૃત લધુ કોશ પ્રાકૃત ભાષા- સાહિત્યના પ્રારંભિક વિદ્યાર્થીઓ માટે રચાયેલો જણાય છે.

મુસ્લિમ રાજ્યકાળમાં ફારસી રાજ્યવ્યવહારની ભાષા બન્યા પછી વહીવટકર્તાઓ, વિદ્વાનો અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ફારસી શબ્દોના સંસ્કૃત અર્થો આપતા દ્વિભાષી કોશો અનેક થયા છે. જુદે જુદે સમયે રચાયેલા, આવા સાત દ્વિભાષી કોશોને સમુચ્ચય 'પારસીક કોશસંગ્રહ' એ નામથી વડોદરા પ્રાચ્ય વિદ્યામન્દિર તરફથી પ્રગટ થતી ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ માટે હમણાં તૈયાર થાય છે. આ પ્રકારના ફારસી-હિન્દી કે ફારસી-વ્રજ કોશો પણ કેટલાક છે. અલાઉદ્દીન ખિલજીના રાજકવિ અમીર ખુશરૂએ (ઈ. સ. ૧૨૫૮-૧૩૧૭) ફારસી-અરબી મૂળના શબ્દોનો ઉત્તર ભારતની તત્કાલીન લોકભાષામાં (જેને અત્યારે હિન્દી કહીએ તો કદાચ ચાલે) અર્થો આપતો, ૮૩ ચોપાઈનો એક લધુ શબ્દસંગ્રહ તૈયાર કર્યો હતો, જે खालिक बारी सिरजनहार એવા તેના પ્રારંભિક શબ્દો ઉપરથી 'ખાલિક બારી’ તરીકે ઓળખાય છે. કચ્છ ભુજના રાજા લખપતના આશ્રિત જૈન યતિ કનકકુશલના શિષ્ય કુંવરકુશલે (ઈ. સ.નો ૧૮મો સૈકો) ‘પારસી નામમાલા' નામે ફારસી-સંસ્કૃત કોશનો વ્રજ ભાષામાં અનુવાદ કર્યો હતો. આ૫ણા સાહિત્યમાં અર્વાચીન યુગના અરુણોદય પહેલાં ત્રણેક સૈકા સુધી વ્રજ - ભાષા એ સારાયે ઉત્તર અને પશ્ચિમ ભારતની માન્ય સાહિત્યભાષા હતી, અને એથી એમાં છંદ અને અલંકારની જેમ કોશના પણ અનેક ગ્રંથો રચાયા છે, જેમાં ‘માનમંજરી' કદાચ સૌથી વધારે પ્રસિદ્ધ છે. ભુજમાં જૈન યતિઓની કવિતાની ‘શાળા 'એ વ્રજના કોશસાહિત્યમાં પણ નોંધપાત્ર ફાળો આપેલો છે. સંસ્કૃત અને તદુત્થ ભાષાઓમાં રચાયેલા આ કોશો તે તે ભાષાના વિદ્યાર્થીઓ, કવિઓ, કવિપદેચ્છુઓ, વિદ્વાનો, ગ્રંથકારો કે કવચિત્ વહીવટકર્તાઓના ઉપયોગ માટે રચાયેલા હતા. આધુનિક કોશોમાં હોય છે એવો વર્ણાનુક્રમ એમાં નથી. સામાન્યત: મુખપાઠે કરવા માટે રચાયા હોઈ એ બધા કોશો પદ્યમાં છે; અને કોઈ પણ પુસ્તકની નકલો બહુ મર્યાદિત સંખ્યામાં કાઢી શકાતી હોઈ પુસ્તકમાત્ર દુર્લભ અને કીમતી હતું એ સમયમાં ગ્રંથરચના કે કાવ્યરચનામાં સમુચિત શબ્દો શોધનારને તેમ જ એ શબ્દોના સાહિત્ય તેમ જ પરંપરાને માન્ય એવા નિશ્ચિત અર્થો જાણવા ઇચ્છનાર વિદ્યાર્થીને કે અભ્યાસીને મુખપાઠે કરાતી આ કોશરચનાઓ સાચા ઉપયોગની નીવડતી હતી. આથી સંસ્કૃત વાઙ્મયના કોઈપણ પ્રકારના ગ્રંથ ઉપરના ગમે તે આધારભૂત ટીકાટિપ્પણમાં સુપ્રસિદ્ધ કોશોનાં અવતરણો કે પ્રમાણો વારંવાર ટાંકેલાં જણાશે.

ગુજરાતની પ્રાદેશિક ભાષામાં–જેને પાછળથી ‘ગુજરાતી‘ નામ મળ્યું-છેલ્લાં લગભગ એક હજાર વર્ષથી સાહિત્યરચના થયેલી છે, પરંતુ સંસ્કૃત, પ્રાકૃત કે વ્રજના શબ્દકોશોની સાથે તુલના કરી શકાય એવા કોશો જૂના સમયમાં તેમાં રચાયા નથી. એનું કારણ કદાચ એ હોય કે વિદ્વાનોનું ભાષાજ્ઞાન અને શબ્દજ્ઞાન સંસ્કૃત અને વ્રજના કોશઅલંકાર આદિથી પોષાતું હતું, અને સંત કવિઓને એવી કોઈ આગંતુક સહાયની જરૂર ઘણુંખરું નહોતી. હા, જૂની ગુજરાતીમાં પણ કંઈક શબ્દકોશના જેવી ગણી શકાય એવી કેટલીક રચનાઓ છે ખરી. એ રચનાઓ તે ઔક્તિકો સાથેના શબ્દસંગ્રહો. મારુ-ગુર્જર કે જૂની ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષા દ્વારા સંસ્કૃત ભણાવવા માટે થયેલી પાઠ્ય પુસ્તિકા તે 'ઔક્તિક. 'તેરમા સૈકાના સંગ્રામસિંહકૃત 'બાલશિક્ષા' (સં. ૧૩૩૬=ઈ.સ.૧૨૮૦) અને ચૌદમા સૈકાના કુલમંડનગણિકૃત 'મુગ્ધાવબોધ ઔક્તિક'થી (સં. ૧૪૫૦=ઈ.સ.૧૩૯૪) માંડી લગભગ અઢારમા સૈકા સુધી અનેક નાનાં-મોટાં ઔક્તિકો રચાયાં છે. પ્રત્યેક ઔક્તિકમાં વ્યાકરણની સાથે એક શબ્દસંગ્રહ હોય છે, જેમાં ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ આપેલા હોય છે. અકારાદિક્રમે નહિ ગોઠવેલા છતાં આ નાનકડા ગુજરાતી-સંસ્કૃત શબ્દકોશો છે, અને સાહિત્યમાં નહિ પ્રયોજાયેલા અથવા જવલ્લે પ્રયોજાયેલા ઘણા વાચકો, નિશ્રિત અર્થો સાથે, એમાંથી મળે છે. બધાં ઔક્તિકોના શબ્દસંગ્રહો એકત્ર કરવામાં આવે તો જૂની ગુજરાતીનો એક સંક્ષિપ્ત પણ પ્રમાણભૂત શબ્દકોશ આપોઆપ તૈયાર થાય એટલું જ નહિ, પણ જુદાં જુદાં ઔક્તિકોએ આપેલા એક જ શબ્દના વિભિન્ન અર્થોને કારણે એવા શબ્દોની વિભિન્ન અર્થછાયાઓ તેમ જ ઐતિહાસિક અર્થવિકાસ જાણવામાં સરળતા થાય.

કોશની વ્યાખ્યા

આ જૂના કોશોની વાત થઈ. આધુનિક સમયમાં કોશની આવી કંઈક વ્યાખ્યા સામાન્યતઃ અપાય છે, જે જૂના કોશને પણ લાગુ પડે છે: કોશ એટલે કોઈ ભાષા, બોલી કે વિષયને અકારાદિક્રમે અથવા બીજા કોઈ નિશ્ચિત ક્રમે ગોઠવેલો, તે જ ભાષામાં કે બીજી કેાઈ ભાષામાં અર્થ કે સમજૂતી આપતો શબ્દસંગ્રહ. જુદાં જુદાં પ્રયોજનથી રચાયેલા કોશો માટે અંગ્રેજીમાં Dictionary ઉપરાંત Vocabulary, Glossary, Index, Concordance આદિ વાચકો છે, પણ આપણી ભાષાઓમાં તો 'કોશ', 'શબ્દકોશ' અને 'સૂચિ' શબ્દો સંદર્ભ અનુસાર જરૂરી અર્થો વ્યક્ત કરે છે.

કોશ, આમ તો, ભાષાના તમામ શબ્દસમૂહનો અથવા તેના એક દેશનો સંગ્રહ તથા સમજૂતી આપે છે. હવે, વસ્તુઓ, વ્યક્તિઓ અને સ્થળોનાં વાચક નામો એ હકીકતમાં શબ્દો જ છે અને તેમની વિગતે સમજૂતી આપવાનું આવશ્યક હોય છે, તેથી એ પ્રકારના શબ્દોને કોશમાં સ્થાન મળે છે. જ્ઞાનનો વિસ્તાર તેમ જ વિશિષ્ટ વિષયોનું ખેડાણ વધતાં જે તે વિષયોના કે જ્ઞાનની વિશિષ્ટ શાખાઓના કોશો તથા ૫રિભાષાના કોશો રચાય છે. આ પ્રકારના સેંકડો કોશો પાશ્ચાત્ય ભાષાઓમાં છે એ આપતે સુવિદિત છે, પરંતુ, આ લખતી વખતે મને યાદ આવે છે તેમ, અત્રત્ય તથા પાશ્ચાત્ય થોડાક વિષયકોશોનાં નામ અહીં ટાંકું છું તે ઉપરથી મારું કહેવાનું સ્પષ્ટ થશે— 'રૂઢિપ્રયોગ કોશ', 'ભૌગોલિક કોશ', ' પૌરાણિક કથાકોશ', 'નર્મ કથાકોશ', ' ચરિત્રકોશ', 'દાર્શનિક કોશ', 'વહાણની પરિભાષા', A Dictionary of Geography, Dictionary of Universal Biography, Dictionary of National Biography, Dictionary of Events, Dictionary of American History, Dictionary of Folklore and Mythology, Dictionary of Sociology, Political Dictionary, Dictionary of Economics, Dictionary of Economic Products, Dictionary of Psychology, Dictionary of Linguistics, Dictionary of Education, Dictionary of Jurisprudence, Dictionary of Place- names, Dictionary of platitudes, Dictionary of Islam, American Stamp-collector's Dictionary, Dictionary of Music and Architecture, Dictionary of Hindu Architecture, Concise Oxford Dictionary of Music, Dictionary of Classical Literature and Antiquities, Dictionary of Literary Terms, Dict- ionary of American English, Dictionary of Slang, Lingo-Dictionary of American Under-world, Vedic Index, Pali Proper-names, Dictionary of Sanskrit Grammar ઇત્યાદિ. ‘પુરાણોમાં ગુજરાત' અને 'જૈન આગમસાહિત્યમાં ગુજરાત' જેવાં ગુજરાતી પુસ્તકોમાં પણ સ્થળનામો કે વ્યક્તિઓ વિષે તે તે મૂલ ગ્રંથોમાં પ્રાપ્ત થતી માહિતી સંકલિત કરીને કોશપદ્ધતિએ અકારાદિક્રમે આપવામાં આવી છે, એ અર્થમાં તે વિશિષ્ટ વિષયના કોશો જ છે. આમ અનેક વિષયોના અને તેમનીયે શાખા-પ્રશાખાઓના કોશો થતાં થતાં એ સર્વ જ્ઞાનશાખાઓને આવરી લેતા જ્ઞાનકોશો અથવા વિશ્વકોશો*[2] રચાય છે.

પરન્તુ આ વ્યાખ્યાનમાં હું કોશ એટલે શબ્દકોશની વાત કરીશ. કોઈ પણ મોટા શબ્દકોશમાં જ્ઞાનકોશનાં અમુક લક્ષણ આવવાનાં, તેમ છતાં ગૌણમુખ્યભાવથી જોતાં તેનું ધ્યાન પ્રધાનતયા વસ્તુઓ ઉપર નહિ, પણ તેમના વાચક શબ્દો ઉપર છે; એનું ધ્યેય ભાષાની સંચિત શબ્દાર્થ-સંપત્તિનો વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંગ્રહ છે.

ગુજરાતીમાં કોશપ્રવૃત્તિ

આ દૃષ્ટિએ ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષા વિષે થયેલી કોશરચનાપ્રવૃત્તિની સંક્ષિપ્ત સમાલોચના પહેલાં હું કરીશ, અને તેમાં હમણાં સુધી થયેલા પ્રત્યેક કોશનો ઉલ્લેખ નહિ કરતાં આપણી કોશપ્રવૃત્તિમાં સીમાચિહ્નરૂપ હોય, ઐતિહાસિક દૃષ્ટિએ નોધપાત્ર હોય કે બીજી કોઈ રીતે ગણનાયોગ્ય હોય એવા કોશોની જ વાત કરીશ.

અર્વાચીન કાળમાં, ઓગણીસમી સદીની અધવચમાં, ગુજરાતી કોશરચનાની પ્રવૃત્તિ ગંભીરપણે હાથ ધરવામાં આવી ત્યાર પહેલાં અંગ્રેજીમાં કેટલાક મહત્ત્વના કોશો-ખાસ કરીને જહોન્સન (૧૭૫૫), બર્કલે (૧૭૭૪), શેરિડન (૧૭૮૦), વેબ્સ્ટર (ન્યૂયોર્ક, ૧૮૨૮; લંડન, ૧૮૩૨), રિચાર્ડસન (૧૮૩૬), ઓજીલ્વી (૧૮૫૦-૫૫) આદિના કોશો-પ્રગટ થઈ ગયા હતા અને કોશરચનાની એકંદર પદ્ધતિ નિશ્ચિત થઈ ચૂકી હતી. આધુનિક ગુજરાતી કોશો મુખ્યત્વે તેમની પહેલાંના અંગ્રેજી કોશો જોઈને તથા બંગાળી, મરાઠી આદિમાં રચાચેલા કોશ ઉપરથી સ્વભાષાસેવાની પ્રેરણા લઈને થયેલા છે. પણ એ પ્રકારના કોશો જોતાં પહેલાં, પ્રમાણમાં ઠીક જૂના સમયમાં પ્રગટ થયેલા એકબે શબ્દસંગ્રહોનો ઉલ્લેખ હું કરું.

ડ્રમંડની 'ગ્લોસરી’ (ઈ. સ. ૧૮૦૮) તથા બીજા શબ્દકોશો

ઈ.સ ૧૮૦૮માં પ્રગટ થયેલી, આર. ડ્રમંડકૃત 'ગ્લોસરી' ખૂબ રસપ્રદ અને નોંધપાત્ર છે. જેમ પહેલું વિસ્તૃત ગુજરાતી વ્યાકરણ અંગ્રેજકૃત ગુજરાતનો પહેલો ઇતિહાસ 'રાસમાળા' અંગ્રેજકૃત, તેમ જ ૧૫૩ વર્ષ પહેલાંનો આ પ્રથમ ગુજરાતી શબ્દસંગ્રહ પણ અંગ્રેજકૃત છે. એનો કર્તા ડ્રમંડ અંગ્રેજ અમલદાર હતો અને તેણે પોતાની નિવૃત્તિના થોડા સમય પહેલાં જ પશ્ચિમ ભારત પ્રત્યેના પોતાના પ્રેમની નિશાની તરીકે એ છપાવ્યો હતો એમ પ્રસ્તાવના ઉપરથી જણાય છે. વળી, આ પુસ્તક પહેલાં તો થોડાક મિત્રોના ઉપયોગ માટે તૈયાર કર્યું હતું પણ પાછળથી તેઓના આગ્રહથી એ છપાવ્યું એમ પણ કર્તા કહે છે શરૂઆતમાં (પૃ. ૧-૨૮) કર્તાએ ગુજરાતી અને મરાઠી ભાષાનું રૂપરેખાત્મક વ્યાકરણ એની અંગ્રેજી સમજૂતી સાથે આપ્યું છે; એમાંનું ગુજરાતી લખાણ ગુજરાતી લિપિમાં અને મરાઠી લખાણ બધું મોડી લિપિમાં છે. એ પછી 'ગ્લોસરી' શીર્ષક નીચે એક ગુજરાતી-અંગ્રેજી શબ્દસંગ્રહ છે, જેમાં કુલ ૪૬૩ ગુજરાતી શબ્દોની વિસ્તૃત અંગ્રેજી સમજૂતી આપી છે. 'ગ્લોસરી'માં પૃષ્ઠસંખ્યા છાપેલી નથી, પણ મોટા કદનાં ૯૮ પાનાં તે રોકે છે. એકંદરે શબ્દોની સમજૂતી પૂરતા વિસ્તારથી, વસ્તુની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભૂમિકા પરદેશી વાચકોને બરાબર સમજાય એ રીતે આપી છે, અને આ પુસ્તક અત્યારે ગુજરાતી વાચકો માટે પણુ કાઈ પ્રાચીન હસ્તપ્રત જેટલું દુર્લભ હોઈ એમાંની કેટલીયે વાતો તત્કાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ સમજવા માટે બહુ અગત્યની છે. નીચેના શબ્દોની સમજૂતીઓ એનું ઉદાહરણ છે- અગનીદાહ, આંગડીઆ, બામન, બાવચા, બાએડી (ગુજરાતમાં બધે સ્ત્રીને 'બાયડી' કહે છે, માત્ર સૂરત જિલ્લામાં 'બૈરી' કહે છે, પણ ત્યાંચે પત્નીને 'બૈયર' કહે છે—એવો સૂક્ષ્મ ભેદ કર્તાએ નોંધ્યું છે!) ભાટ, ભવાઈ, ભુમીદાહ, ધાવ, ઢેડા, દુબલા, પારસી, ઇનામ, ઢંઢેરો, દંડ, દુમાલી, ગરાશ, હલાલખોર, જાગીર, જલદાહ, જમાબંદી, કણબી, મહાજન, મને તેદાર, મહીવાશી, મજૂરી, નઆત (નાત), મજમુંદાર, પગી, રેખતા, સવારી, સુખડી, ટાંકું ઇત્યાદિ. કર્તાને ગુજરાતની લોકસ્થિતિ, રીતરિવાજ, ભાષા અને વહીવટનો પ્રત્યક્ષ અને ઘનિષ્ઠ પરિચય છે એ સ્પષ્ટ જણાય છે. 'ગ્લોસરી' સાદ્યન્ત અકારાદિ ક્રમે નથી, વચ્ચે વચ્ચે કંઈક અવ્યવસ્થા છે. પરંતુ આખો શબ્દસંગ્રહ અનેક રીતે અભ્યાસપાત્ર છે. મુદ્રિત પુસ્તકો કેટલીક વાર હસ્તપ્રત કરતાંયે અનેકગણું વિરલ અને મૂલ્યવાન હોય છે, તેવું આ છે. મુદ્રણકળાનો આરંભ થયો ત્યાર પછી થોડાક દસકામાં છપાયેલાં ગુજરાતી પુસ્તક, જેમને પુસ્તકાલય-વિજ્ઞાનની પરિભાષામાં Incuma-bula કહી શકાય, જે વિષે આપણો વિદ્યારસિક વર્ગ પણ બહુ ઓછું જાણે છે, તેમની વિગતવાર વર્ણનાત્મક સૂચિ જુદાં જુદાં પુસ્તકાલયો અને સંગ્રહોને આધારે હવે તૈયાર થવી જોઈએ.

આવું બીજું એક નોંધપાત્ર પુસ્તક તે સોરાબશા ડોસાભાઈકૃત Idiomatic Exercises illustrative of the phraseology and structure of the English and Gujarati Lang- uages છે (મુંબઈ, ૧૮૪૧). આ પુસ્તકનું ગુજરાતી શીર્ષક આ પ્રમાણે આપ્યું છે: 'અંગરેજી તથા ગુજરાતી ભાશા બોલવાની રીતીઓનાં કાએદાનાં તથા તેવોની બનાવટનાં દાખલાની વાકેઆવલી.' આ રીતસરનો કોશ નથી, પણ વિલ્સનની Idiomatic Exercisesનું મૂળ સાથે ગુજરાતી ભાષાન્તર છે. અંગ્રેજી વાક્યો અને તેમનું ગુજરાતી ભાષાન્તર સામસામાં પાનાં ઉપર છાપ્યાં છે. નામ, વિશેષણ અને ક્રિયાપદ એ વિભાગોમાં અકારાદિ ક્રમે અંગ્રેજી શબ્દોનાં, વાક્યપ્રયોગમાં, ઉદાહરણ આપ્યાં છે. ઉદાહત અંગ્રેજી શબ્દો ઈટાલિકમાં અને તેમના ગુજરાતી પર્યાર્યો મોટા અક્ષરોમાં છાપ્યા છે, એટલે આશરે ૨૫૦૦ મહત્ત્વના શબ્દોનો અંગ્રેજી-ગુજરાતી કોશ આ પુસ્તકમાં આપોઆપ મળી જાય છે; જોકે અનુવાદની ભાષા બિલકુલ પારસીશાઈ છે.

ગુજરાતી ભાષાને રીતસરનો શબ્દકોશ તો ત્યાર પછી પાંચ વર્ષે, ઈ.સ.૧૮૪૬માં મળે છે. તે છે મિરઝા મહંમદ કાઝીમ અને નવરોજી ફરદૂનજીનો ગુજરાતી-અંગ્રેજી કોશ. ખંભાતના મિરઝા મહંમદ કાઝીમે સાત વર્ષની મહેનતે તે તૈયાર કર્યો હતો અને મુંબઈની વડી અદાલતના દુભાષિયા નવરોજી ફરદૂનજીએ બે વર્ષને સમય લઈને તેમાં સુધારાવધારા કર્યા હતા એમ અંગ્રેજી પ્રસ્તાવનામાં જણાવેલું છે સૂરતના દલપતરામ ભગુભાઈએ તૈયાર કરેલા ગુજરાતી કોશની હસ્તપ્રત તેમના પુત્ર મોતીરામ પાસેથી ' જમશેદજી જીજીભાઈ ટ્રાન્સલેશન ફંડ' તરફથી ખરીદીને સુધારાવધારા કરનારને સોંપવામાં આવી હતી એવી પણ તેમાં નોંધ છે. અર્થાત્ દલપતરામ ભગુભાઈના કોશને આમાં અંતર્ગત કરવામાં આવ્યો છે. “પશ્ચિમ અને મધ્યભારતની મહાન વ્યવહારભાષા' (Grand Commercial Language of Western and Central India) ગુજરાતીને કોશ રજૂ કરતાં પ્રસ્તાવનાલેખક ગૌરવ અનુભવે છે. આ કોશમાં આશરે ૧૫૦૦૦ શબ્દો છે, પણ પુષ્કળ શબ્દો રહી ગયા છે એ પરત્વે કર્તા સભાન છે.

વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રયોજતા વહીવટી શબ્દોનો ક્વાર્ટો સાઈઝમાં ૭૨૮ પાનાંનો એક મોટો શબ્દસંગ્રહ (ગ્લસરી) એચ. એચ. વિલ્સને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આજ્ઞાથી અંગ્રેજી સમજૂતી સાથે તૈયાર કરેલો છે (લંડન, ૧૮૫૫), તેમાં સંખ્યાબંધ ગુજરાતી શબ્દો પણ આવે છે.

અરદેશર ફરામજીમુસ અને નાનાભાઈ રૂસ્તમજી રાણીનાકૃત 'અંગ્રેજી અને ગુજરાતી કોશ 'આઠ ભાગમાં પૂરો થયો હતો, અને તેને પહેલો ભાગ ૧૮૫૭માં પ્રગટ થયેલો છે. એમાં આશરે ૫૦૦૦૦ શબ્દો છે. એ કોશ આખો છપાઈને બહાર પડે તે પહેલાં જ, તેનો સંક્ષેપ મુસ અને રાણીનાએ કવિ નર્મદાશંકર લાલશંકરની સહાયથી, 'અંગ્રેજી તથા ગુજરાતી ન્હાનો કોશ' એ નામથી ૧૮૬૨માં છપાવ્યો છે. એમાં આશરે ૨૦૦૦૦ શબ્દો છે. આ સંક્ષિપ્ત કોશ શાળોપયોગી હોઈ એનું પ્રકાશન ત્વરાપૂર્વક થયું છે એ વિષે પ્રસ્તાવનામાં જણાવ્યું છે: ‘અંગ્રેજી તથા ગુજરાતી મ્હોટી ડિક્ષનરી જે એચ અક્ષર સુધી ચાર ભાગમાં છપાઈ પ્રકટ થઈ છે અને જેના બીજા ભાગોનું કામ આગળ ચાલુ જ છે, તે સઘળા ભાગો પૂરા થયા પછી તે પુસ્તકનો આવો એક સંક્ષેપ છાપી પ્રગટ કરવાનો બનાવનારાઓએ નિશ્ચય કર્યો હતો. પણ તે મ્હોટું આખું પુસ્તક તૈયાર થાએ તેથી આગમછ સઘળાને કામજોગ થઈ પડે એવી એક મુખતેશર ફરંગ તઈઆર થઈ બહાર પડેલી જોવાની કેટલાક મિત્રો તથા આ કામના આગેવાન મદદગારની તથા નિશાળના ઉપયોગ માટે એવા એક પુસ્તકની ખુટ છે એ વિષે થોડુંએકની વાત ઉપર કેળવણી ખાતાના ડરેકટર મી. હારવડની પણ ઈચ્છા જણાયાથી આ પુસ્તક જલદીથી તઈઆર કરી બાહેર પાડયું છે.' આ સંક્ષેપના કામમાં જોડાયાને પરિણામે નર્મદાશંકરને કોશના કામની વિશેષ: તાલીમ મળી હોય અને ગુજરાતી ભાષાનો કોશ પ્રગટ કરવાનો તેને સંકલ્પ દૃઢીભૂત થયો હોય એ સંભવિત છે.

કરસનદાસ મૂળજીનો ‘ગુજરાતી અને અંગ્રેજી કોશ' સને ૧૮૬૨માં પ્રસિદ્ધ થયો છે અને તેમાં આશરે ૧૦૦૦૦ શબ્દો છે. એનું કામ કર્તાએ ૧૮૬૦માં શરૂ કર્યું હતું અને બે જ વર્ષમાં કરસનદાસ માધવદાસના આશ્રયથી (જેમને તે અર્પણ થયેલો છે) તે બહાર પડ્યો છે. શાળોપયોગી આ લધુકોશ છે, પણ પ્રારંભકાળનું પ્રકાશન તથા આપણું એક અગ્રણી સુધારકની કૃતિ હોઈ નોંધપાત્ર છે. પ્રસ્તાવનામાં કર્તાએ પોતાને આધારભૂત નીવડેલા જે કોશોનો ઉલ્લેખ કરેલો છે તેમાં રોબર્ટસનનો ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ પણ છે. ૧૮૬૨ પહેલાં પ્રકટ થયો હોઈ રોબર્ટસનનો આ કોશ ઐતિહાસિક રીતે અગત્યનો છે, પણ એની નકલ મારા જોવામાં આવી નથી કોઈ સાહિત્યરસિક એને લગતી વિગતો પ્રગટ કરશે તે ઉપયોગી થશે.

શાપુરજી એદલજીકૃત 'ગુજરાતી અને અંગ્રેજી કોશ'ની પહેલી આવૃત્તિ ૧૮૬૩માં અને બીજી આવૃત્તિ ૧૮૬૮માં પ્રગટ થયેલી છે. ત્રણ વર્ષની મહેનતને પરિણામે એ તૈયાર થયો હતો એમ કર્તા જણાવે છે. એમાં આશરે ૨૭૦૦૦ શબ્દો છે. શરૂઆતમાં Origin and Character of Gujarati Language નામને ૨૪ પાનાંને અંગ્રેજી લેખ કર્તાએ આપ્યો છે. એમાં ગુજરાતી ભાષાને ઇતિહાસ આપવાને પ્રયત્ન કરવા સાથે જૂની ગુજરાતીના તથા કર્તાના સમયની અર્વાચીન ગુજરાતીના નમૂના પણ ટાંકવામાં આવ્યા છે. લેખ તદ્દન સાધારણ છે, પણ ગુજરાતી કોશકારો પૈકી આ પહેલા જ લેખકે કોશના આમુખ તરીકે ભાષાનો ઇતિહાસ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે તે હકીકત નોંધ માગી લે તેવી છે.

કવિ હીરાચંદ કાનજીકૃત 'કોશાવળી' (ગુજરાતી કોશ ૧૩ની) સને ૧૮૬૫માં પ્રગટ થયેલી છે. આમાંના શબ્દો આધુનિક પદ્ધતિએ અકારાદિક્રમે, જરૂર હોય ત્યાં અર્થો સાથે, સંઘરાયા હોવા છતાં વસ્તુતઃ એ જૂની પરિપાટીના કોશો છે એમ કહેવું વધારે ઉચિત થશે. પહેલો એકાક્ષરી કોશ અને બીજે અનેકાર્થ કેશ છે. આ બંન્ને પ્રકારના અનેક કોશો સંસ્કૃતમાં છે. ત્રણથી બાર સુધીના કોશ કવિઓને અનેક પ્રકારનાં ચિત્રકાવ્યોની રચનામાં ઉપયોગી થાય એ પ્રકારના છે, અને તેરમો અનુપ્રાસકોશ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં પ્રમાણમાં ઉત્તરકાલીન એક શાખા ‘કવિશિક્ષા'ની છે, જેને આશય કવિઓ અને કવિપદેચ્છુઓને કવિકર્મને અંગે વ્યવહારુ સૂચનો અને સહાય આપવાનો છે. અમરચન્દ્રસૂરિકૃત 'કાવ્યકલ્પલતા' તથા તે ઉપરની ‘કવિશિક્ષા' નામે સ્વોપજ્ઞ ટીકા આ પ્રકારના સાહિત્યનો એક પ્રતિ નિધિરૂપ નમૂનો છે. ધર્મદાસગણિકૃત કવિશિક્ષાનો સંસ્કૃત ગ્રંથ 'વિદગ્ધમુખમંડન' કવિ હીરાચંદે છપાવેલો છે, એટલે તેની પણ કંઈક અસર આ 'કોશાવળી' ઉપર હશે. જૂની શૈલીની કવિતા રચનારાઓને 'કોશાવળી’ ઠીક ઉપયોગી નીવડી હશે એમાં શંકા નથી. વળી ‘કેશાવળી' એ કોઈ સંસ્કૃત કોશોનો કે કવિશિક્ષાના સંસ્કૃત ગ્રંથોમાંથી પ્રસ્તુત ભાગોને અનુવાદ નથી. સંસ્કૃતનો નમૂનો લઈને, પણ ગુજરાતી શબ્દોની શોધ અને સંગ્રહ કરવામાં કવિ હીરાચંદે ઘણી મહેનત લીધી છે એમાં શંકા નથી.

સૈયદ અબદુલ્લા અને ખીમજી પ્રેમજીકૃત 'શબ્દનાં મૂળ’ (અમદાવાદ, ૧૮૬૮) ‘સાત ચોપડીઓમાંથી તથા બોલવા ચાલવામાં વપરાતા અરબી, ફારસી ને હિંદુસ્તાની શબ્દોને સંગ્રહ, ગુજરાતી શિખનાર અને શિખવાડનારના ઉપયોગ સારું ' પ્રગટ થયેલો છે. જે શબ્દો આગળ કર્તાએ 'હિં' (= હિંદુસ્તાની) એવો નિર્દેશ કર્યો છે તે પણ મોટે ભાગે ફારસી, અરબી કે તુર્કી મૂળના છે. મૂળ ભાષામાં શબ્દો ક્યા રૂપે છે એનો નિર્દેશ પણ કર્તાઓએ કર્યો છે. ગુજરાતી ભાષાને આ પહેલો જ ફારસી-અરબી કોશ છે, અને તેમાં આશરે ૨૫૦૦ શબ્દો છે. સૈયદ નિઝામુદ્દીન નુરુદ્દીન હુસયનીકૃત ‘ઉર્દુ-મિશ્ર ગુજરાતી કોશ' (વડોદરા, ૧૯૧૨) તથા અમીરમીયાં હમદૂમીયાં ફારૂકીકૃત 'ગુજરાતી ફારસી અરબી શબ્દોનો કોશ (ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૨૬ ) એ બન્નેની આ પુરોગામી કૃતિ છે, અને ગુજરાતી ભાષામાં વપરાતા ફારસી-અરબી મૂળના ઘણાખરા શબ્દોની નોંધ આ ત્રણેય કોશો મળીને લે છે.

મહીપતરામે ‘વ્યુત્પત્તિપ્રકાશ' (મુંબઈ, ૧૮૮૧) તૈયાર કરવામાં સૈયદ અબદુલ્લા તથા તેમના શબ્દસંગ્રહની સહાય લીધી હતી. 'વ્યુત્પત્તિ- પ્રકાશ' ઉપરાંત છોટાલાલ સેવકરામકૃત 'ગુજરાતી શબ્દમૂળદર્શક કોશ’ (ભુજ, ૧૮૭૯) અને પ્રભાકર રામચંદ્ર પંડિતકૃત ' અપભ્રષ્ટ શબ્દપ્રકાશ' ( વડોદરા, ૧૮૮૦) ગુજરાતીના નાનકડા વ્યુત્પત્તિકેશ આપવાના પ્રયત્નો છે, પણ આજે એમનું મૂલ્ય કેવળ ઐતિહાસિક જ છે.

બાબારાવ તાત્યારાવજી રણજીત અને શાસ્ત્રી શંકરલાલ મહેશ્વરકૃત 'સંસ્કૃત તથા ગુજરાતી કોશ' (મુંબઈ, ૧૮૭૧) આશરે ૧૨૦૦૦ શબ્દોનો ઉત્તમ શાળોપયોગી કોશ છે અને શંકરલાલ શાસ્ત્રીની સંસ્કૃત અને ગુજરાતીની સધન વિદ્વત્તાનો લાભ તેને મળ્યો હોઈ તે એક પ્રમાણભૂત કૃતિ બની છે. જામાસ્પજી દસ્તુર મીનોચેહેરજીકૃત 'પેહેલવી- ગુજરાતી અને ઇંગ્રેજી શબ્દકોશ’ (મુંબઈ, ૧૮૭૭) એક વિરલ શબ્દ-સંગ્રહ છે. એમાં માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના ઉપરાંત એવો જ ગુજરાતી ‘દિબાચો' છે. આ પહેલો અને કદાચ અત્યાર સુધી તો છેલ્લે પહેલવી ગુજરાતી શબ્દકેશ છે.

'નર્મકોશ'

કવિ નર્મદાશંકરનો 'નર્મકોશ' એ ગુજરાતી કોશસાહિત્યના ઇતિહાસમાં સૌથી મોટું સીમાચિહ્ન છે. એની પહેલાંના કોશો ગુજરાતી-અંગ્રેજી કે અંગ્રેજી-ગુજરાતી અર્થાત્ દ્વિભાષી હતા. પરન્તુ ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં આપે અને તેને સાહિત્યનાં પ્રમાણેથી પુષ્ટ કરે, ઉચ્ચારાનુસારી જોડણીની કંઈક વ્યવસ્થા ગોઠવે અને ભાષાના ઇતિહાસનો ખ્યાલ રાખી શક્ય હોય ત્યાં શબ્દનાં મૂળનો નિર્દેશ કરે એવો કોશ તૈયાર થવાની અપેક્ષા હતી અને એ અપેક્ષા એક સાચા ભાષાપ્રેમી, વિદ્વાન અને કવિને હસ્તે પૂરી થઈ એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય છે. મુંબઈમાં નિશાળોના વિદ્યાર્થીઓને ‘નર્મકવિતા'માંના ઘણા શબ્દોના અર્થ સમજાતા નહોતા, તેમને માટે નાનો શબ્દાર્થ કોશ તૈયાર કરતાં કરતાં કવિને મોટો કોશ રચવાનું સૂઝ્યું. એને પહેલો ભાગ સને ૧૮૬૧માં, બીજો ૧૮૬૨માં અને ત્રીજો ૧૮૬૪માં પ્રગટ થયો. ચોથો ભાગ ૧૮૬૬માં છપાઈને તૈયાર થયો, પણ મૂળ ગ્રાહકોમાંના ઘણા તૂટી ગયા હોવાથી તે પ્રસિદ્ધ ન કર્યો. બે એક વર્ષ કોશનું કામ નર્મદે પડતું મૂક્યું, પણ ૧૮૬૭માં પાછું શરૂ કર્યું અને રાતદિવસ એની પાછળ ગાળી એ વર્ષની આખર સુધીમાં ગ્રંથની સમાપ્તિ કરી દીધી. કોશના જે ભાગ અગાઉ છપાઈ ગયા હતા તેમાં પણ સુધારોવધારો કરીને ૧૮૬૯માં આરંભથી જ કાશ ફરી છપાવવો શરૂ કર્યો, અને ૧૮૭૩માં સંપૂર્ણ કોશ પ્રગટ કર્યો. એમાં ૨૫૦૦૦ કરતાં વધુ શબ્દો છે. વિવેચક નવલરામે આ કોશ વિષે એ સમયે લખેલા શબ્દો આજે પણ એટલા જ સાચા છે : ‘નર્મકોષ એ નર્મદાશંકરના લાંબા ધીર ઉદ્યોગ, ભાષા-જ્ઞાન અને શાંત સૂક્ષ્મબુદ્ધિનો મોટો કીર્તિસ્તંભ છે. ગુજરાતી ભાષામાં મૂળ કોષ નહિ ત્યાં આવડો મોટો અને આવો સારો, એક જ માણસના ઉદ્યોગથી અને તે પણ બીજાં સાક્ષરી અને સંસારી કામે અને ઉપાધિની વચમાં બનવો એ ગુર્જર ભાષાને ખરેખરી અભિવંદના આપવા યોગ્ય વાર્તા છે.’ વળી નવલરામ લખે છે: ‘એ (પ્રન્થ) સંપૂર્ણ છે એમ અમે નથી કહેતા, અને કોશ જેવો ગ્રન્થ પ્રથમ પ્રયત્ને સંપૂર્ણ થાય એ વાત જ અશક્ય છે. તોપણ જ્યારે મોટો મરાઠી કોશ રચાયો ત્યારે ઠામઠામ સરકાર તરફથી કેવી ખોળ ચાલી રહી હતી, પંડિતોની સભા શબ્દ પરખવાને અને તેના અર્થ નિર્માણ કરવાને કેવી બેસી જ રહી હતી, અને પ્રત્યેક શબ્દ કેટલા કેટલા હાથમાંથી ઘડાતો ઘડાતો આવી કોષકારની કલમમાંથી ઊતરતો હતો, એ વાતનો જ્યારે વિચાર કરીએ અને બીજી તરફ આ કોષકાર એકલો જ કોઈ વિદ્વાનની મદદ વિના, અને કોઈ શ્રીમંતની હૂંફ વિના, જાતે કંઈ શ્રીમંત ન છતાં, આવા મહાભારત કાર્યમાં મંડી રહ્યો અને સિદ્ધિ પામ્યો એ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એમ તો કહ્યા વિના નહિ ચાલે કે નર્મદાશંકરે ઘણો ઉદ્યોગ, વિદ્વત્તા અને સૂક્ષ્મબુદ્ધિ આ ગ્રંથમાં દર્શાવી છે અને ગુજરાતીઓને અત્યંત આભારી કીધા છે.’ ‘જય જય ગરવી ગુજરાત’નું અમર ગીત રચીને કપરા આર્થિક અંજોગોમાં પણ જેણે આ મહાગ્રન્થ કોઈ વ્યક્તિને નહિ, પણ સમસ્ત ગુજરાતી પ્રજાને અર્પણ કર્યો એનું ધૈર્ય, વેધક દૃષ્ટિ અને ઊંડે ગુજરાતપ્રેમ ચિરસ્મરણીય છે. નર્મદ પછીના તમામ ગુજરાતી કેશ-મારોએ અનિવાર્યપણે 'નર્મકોશ'નો આધાર લીધો છે. ‘નર્મપર્યાય-કોશֹ’ અને ‘નર્મધાતુકોશ' રચવા માટે નર્મદે સામગ્રી એકત્ર કરી હતી, પણ એ કામો પૂરાં કરવાની અનુકૂળતા પછી તેને મળી લાગતી નથી.

'નર્મકેશ'માં ગુજરાતી ભાષાને તેને પહેલો શિષ્ટ, શાસ્ત્રીય ધોરણે રચાયેલ, સાહિત્યિક રચનાઓના આધારે વડે સમર્થિત અર્થોવાળેા કોશ મળ્યો, અને તે સાથે વિદ્યારસિક ગુજરાતીઓને ભાષા-કૌતુકને પણ વિશિષ્ટ ઉત્તેજન મળ્યું. ‘નર્મકોશ'ની 'મુખમુદ્રા'માં નર્મદે પોતે જ સ્વીકાર્યું છે તેમ, ગુજરાતી ભાષાને પર્યાપ્ત શબ્દસંગ્રહ કંઈ એમાં થઈ શક્યો નથી. કેટલાક કોશકારો અને ભાષારસિકોને, આથી, એ દિશામાં કામ કરવાને ઉત્તેજન મળ્યું. ‘ગુજરાતીનો ગુજરાતી અને અંગ્રેજી કોશ' (રાજકોટ, ૧૮૮૫) રચનાર કાલીદાસ બ્રીજભૂખણદાસ અને બાલકીસનદાસ બ્રીજભૂખણદાસ પોતાના ગ્રંથની ગુજરાતી પ્રસ્તાવનામાં [3] (પૃ. ૧) લખે છે: કાઠીયાવાડમાં વપરાતા ખાસ શબ્દો પણ આ કોશમાં દાખલ કર્યા છે અને તેથી કરીને જે બીજાં પુસ્તકમાં આ શબ્દો આપ્યા નથી તેના કરતાં આ પુસ્તક તે પ્રાંતને વધારે ઉપયોગી થશે.‘ ગુજરાતના સમર્થ પત્રકાર-ફિલસૂફ વાડીલાલ મોતીલાલ શાહના પિતા મોતીલાલ મનસુખરામ શાહકૃત ‘ગુજરાતી શબ્દાર્થ કેશ' (પ્રથમ ખંડ, વિસલપુર, તા. સાણંદ, ૧૮૮૬; બીજી આવૃત્તિ, ૧૮૮૮)નું ઉપશીર્ષક છે: 'ગુજરાતી નર્મકોશ અને ગુજરાતી શબ્દસંગ્રહમાં નહિ આવેલા શબ્દોનો અર્થ.' કર્તા લખે છે: ‘નર્મકોશ અને ગુજરાતી શબ્દસંગ્રહ એ બે પુસ્તકો ગુજરાતી ભાષાના શબ્દાર્થ કોશ તરીકે પ્રગટ થયાં છે. પરંતુ તેમાં ઘરગથુ, ખેડૂત, કારીગરો તથા વેપારીઓમાં વપરાતા ઘણાં શબ્દો રહી ગયેલા છે. તે પૈકી અત્યુપયોગી એવા ૧૪૦૦ શબ્દોનો સંગ્રહ મેં આ પુસ્તકમાં કર્યો છે.‘ આમાં 'નર્મકોશ'ની સાથે

‘ગુજરાતી શબ્દસંગ્રહ'નો ઉલ્લેખ છે તે કયો? ૧૮૮૬ પહેલાં આ નામનું પુસ્તક કોણે પ્રગટ કરેલું? એ વિષે વધુ માહિતી અપેક્ષિત છે. વા. મો. શાહના અભ્યાસી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મારા ઉપરના એક પત્રમાં જણાવે છે કે પ્રસ્તુત 'ગુજરાતી શબ્દાર્થ કોશ'નો બીજો ખંડ તથા ત્રીજો એક' પારિભાષિક કોશ’ મોતીલાલ શાહે તૈયાર કર્યો હતા; એ બંને અપ્રગટ છે. ‘ગુજરાતી શબ્દાર્થસંગ્રહ,' ભાગ ૧ના (અમદાવાદ, ૧૮૯૫) કર્તા પટેલ જેસંગ ત્રીકમદાસ અને ત્રિભોવન ગંગાદાસ (‘મોજે બાવળા તાલુકે ધોળકા છલ્લે અમદાવાદની સરકારી ગુજરાતી નિશાળના આસીસ્ટંટ') લખે છે: ‘પ્રથમ કવિ નર્મદાશંકર લાલશંકરે ગુજરાતી ભાષાને નર્મકેશ કાઢેલો પરંતુ તેમાં મહી નદીની ઉપર તરફના લોકોમાં બોલાતા ઘણાએક શબ્દો નહીં આવેલા તે ઉપરથી અમેએ ૧૨૦૦ જેટલા શબ્દોનો સંગ્રહ કરી આ પ્રથમ ભાગ છુપાવી બહાર પાડ્યો છે અને પુસ્તકની જો લોકોમાં સારી બુજ થયેલી માલમ પડશે તો તેનો બીજો ભાગ જોગવાઈ બને બહાર પાડવા ચુકશું નહીં.’ આ પ્રકારનો બીજો રસપ્રદ સંગ્રહ તે ગોવિન્દભાઈ હાથીભાઈ દેસાઈ કૃત 'પ્રાંતિક શબ્દસંગ્રહ' (વીસનગર, ૧૯૦૦) છે. ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કડી પ્રાન્તમાં (હવે મહેસાણા જિલ્લામાં) વપરાતા તળપદા શબ્દોનો આ સંગ્રહ છે અને ગોવિન્દભાઈ દેસાઈ વિસનગરમાં પ્રાંત-ન્યાયાધીશ હતા (પ્રાન્ત અથવા જિલ્લાનું વડું મથક એ વખતે કડી કે મહેસાણા નહિ, પણ વીસનગર હતું ) ત્યારે એ શબ્દો એકઠા કરીને અર્થો સાથે પ્રગટ કરેલા. પ્રસ્તાવનામાં તેઓ લખે છે: ‘કડી પ્રાન્તમાં આવનાર નવા અમલદારોને આ શબ્દોની માહિતી ન હોવાથી સરકારી કામ કરવામાં અડચણ પડે છે એમ જણાયાથી આ શબ્દો એકઠા કરી છપાવવામાં આવ્યા છે.’

અન્ય સીમાચિહ્નો

‘નર્મકોશ' પછી ગુજરાતી કોશસાહિત્યનાં સીમાચિહ્નો તે લલ્લુભાઈ ગોકળદાસ પટેલકૃત ‘ગુજરાતી શબ્દકોશ’ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પ્રકાશિત ‘ગુજરાતી શબ્દકોશ’ છે. વચ્ચેના સમયમાં થયેલા નોંધપાત્ર કોશોમાં નીચેનાનો ઉલ્લેખ કરવો જોઈએઃ ઉકરડાભાઈ શીવજી નેણસીનો ‘ગુજરાતી-અંગ્રેજી’ શબ્દકોશ (મુંબઈ, ૧૮૭૪) અંગ્રેજો સાથે સંબંધ ધરાવતા મુંબઈના વેપારી-વર્ગ માટે તૈયાર થયેલો જણાય છે. શિવશંકર કસનજી સંપાદિત ‘ગુજરાતી ઇન્ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લીશ ડિક્શનરી’ (મુંબઈ, ૧૮૭૪)માં આશરે ૨૪000 શબ્દો છે અને તેમાં ગુજરાતી શબ્દોના ગુજરાતી તેમ જ અંગ્રેજી પર્યાય આપ્યા છે. રોબર્ટ માન્ટગોમરી, અંબાલાલ સાકરલાલ દેસાઈ અને મણિધરપ્રસાદ તાપીપ્રસાદે રહેલો ‘અંગ્રેજી અને ગુજરાતી કોશ’ (મુંબઈ, ૧૮૭૭) મુંબઈના કેળવણી ખાતાના વડા જે. બી. પીલની સૂચનાથી તૈયાર થયો હતો. ત્રણે કોશકારોએ સંયુક્ત રીતે એનું કામ અને ૧૮૭૧માં આરંભ્યું હતું,અને થોડાં વર્ષ બાદ એનું પ્રકાશન થયું હતું. પૂરતા સુધારાવધારા સાથે અંબાલાલ સાકરલાલ દેસાઈએ તૈયાર કરેલી એની બીજી આવૃત્તિ સને ૧૯૧0માં પ્રગટ થઈ હતી, અને એક પ્રમાણભૂત કોશ તરીકે લોકપ્રિય થઈ હતી. ત્યારથી એ અંબાલાલના કોશ તરીકે ઓળખાય છે. વડોદરા કલાભવન તરફથી પ્રો. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરે સને ૧૮૯૧ના અરસામાં વેબ્સ્ટરના અંગ્રેજી કોશના શબ્દોના ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને સંસ્કૃત (કવચિત ફારસી અને અરબી) પર્યાયો પતો એક મહાકોશ તૈયાર કરાવેલો છે. એના આશરે ૮૦ હસ્તલિખિત ગ્રન્થો વડોદરા પ્રાચ્યવિદ્ય મન્દિરમાં સચવાયેલા છે. આજે પણ શાસ્ત્રીય પર્યાયોજનામાં તથા પારિભાષિક કોશ-રચનામાં આ અપ્રગટ ગ્રન્થો ખૂબ ઉપયોગી નીવડવાનો સંભવ છે. આ ઉપરાંત નીચેના કોશો પણ ગણનાપાત્ર છે. પર્યાય શબ્દોની અર્થચ્છાયાઓ ઉદાહરણ સાથે સમજાવતો, લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પરીખનો લઘુગ્રન્થ ‘શબ્દાર્થભેદ’ (ધોળકા, ૧૮૯૧) વ્યાસ અને પટેલનો ‘સ્ટાન્ડર્ડ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ’ (પહેલી આવૃત્તિ,અમદાવાદ, ૧૮૯૪); ‘વિઠ્ઠલ રાજારામ દલાલકૃત ‘શબ્દાર્થ સિન્ધુ - ગુજરાતી શબ્દાર્થ સંગ્રહ’ (પહેલી આવૃત્તિ, મુંબઈ, ૧૮૯૫); મલ્હાર ભીકાજી બેલેસરેનો ‘ગુજરાતી અંગ્રેજી કોશ’(પહેલી આવૃત્તિ, અમદાવાદ, ૧૮૯૫); હરગોવિન્દદાસ ગ. મરચંટનો સંસ્કૃત ગુજરાતી લઘુકોશ ‘શબ્દાર્થ સિન્ધુ’, (મુંબઈ,૧૮૯૫); ભગુભાઈ એફ. કારભારીની ‘ઇંગ્લિશ-ગુજરાતી ડીક્ષનેરી’-સર રમણભાઈ નીલકંઠના પુરોવચન સહિત (અમદાવાદ, ૧૮૯૯) સવાઈલાલ છોટાલાલ વોરાકૃત સંસ્કૃત-ગુજરાતી કોશ ‘શબ્દચિન્તામણિ' ૧૯૦૦). આ છેલ્લો ગ્રન્થ આશરે ૭૦૦૦૦ શબ્દોનો પ્રમાણભૂત બૃહદ્ સંસ્કૃત-ગુજરાતી કોશ છે, અને અંગ્રેજી નહિ જાણનારા ગુજરાતી વિદ્વાનોની બેત્રણ પેઢીઓએ એનો પૂરો ઉપયોગ કરેલો હોઈ આજે પણ યોગ્ય સુધારણા સાથે એનું પુનર્મુદ્રણ હરેક રીતે આવકારપાત્ર બને એમ છે આ ‘શબ્દચિન્તામણિ' સાથે તુલના કરી શકાય એવા વિસ્તૃત કોશો-ગિરજાશંકર મયાશંકર મહેતાકૃત 'સંસ્કૃત-ગુજરાતી શબ્દાદર્શ’(અમદાવાદ, ૧૯૨૯-૩૦), મુનિશ્રી મુકિતવિજયજીસંપાદિત ‘સંસ્કૃત-ગુજરાતી શબ્દરત્નમહોદધિ' (અમદાવાદ, ૧૯૩૭-૪૧) અને મુનિશ્રી રત્નચંદ્રજીકૃત સંસ્કૃત મૂળ રૂપો તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અર્થો સાથેનો સચિત્ર બૃહદ્ ‘અર્ધમાગધી કોષ' (ભાગ ૧ થી ૫, ઇન્દોર અને મુંબઈ, ૧૯૨૩-૩૮), ત્યાર પછી ઘણે વર્ષે થયેલા છે. વીસમી સદીના પહેલા દશકામાં પ્રગટ થયેલા દ્વિભાષી કોશોમાં બી. સી. દેસાઈનો ‘અંગ્રેજી-ગુજરાતી કોશ' (અમદાવાદ, ૧૯૦૬ ) નોંધપાત્ર છે.

લલ્લુભાઈ પટેલનો કોશ

નડિયાદના લલ્લુભાઈ ગોકળદાસ પટેલે સને ૧૮૯૨માં ૪૦૦૦૦ શબ્દોનો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ છપાવ્યો હતો. “ત્યારપછી આવા (એટલે કે શબ્દોની ગુજરાતી સમજૂતી આપતા) કોશની જરૂર જણાયાથી ૧૮૯૪થી ગુજરાતી ભાષાના જુદા જુદા લેખકોનાં પુસ્તકો વાંચવા માંડયાં ને વેબ્સ્ટરની સ્ટાઈલનું અનુકરણ કરી અવતરણ મૂકવાં એવો નિશ્ચય થવાથી તેનો સંગ્રહ કરવા માંડ્યો.” આગળ કોશકાર કહે છે: ‘આ કોશ ખરું જોતાં નર્મકોશને આધારે જ લખાયેલ છે. કહેવત અને રૂઢિપ્રયોગ નર્મ પ્રમાણે જ રાખવા ઉપરાંત રૂઢિપ્રયોગકોશનો આધાર લીધો છે ને કેટલાક સ્થળે સ્વેચ્છાનુસાર અર્થ કરી મૂકવામાં આવ્યું છે.’ (પ્રસ્તાવના, પૃ. ૧). લલ્લુભાઈના ‘ગુજરાતી શબ્દકોશ'ની પહેલી આવૃત્તિ સને ૧૯૦૮માં પ્રગટ થઈ, અને બીજી આવૃત્તિ કેટલાંક વર્ષ બાદ ૧૯૨૫માં પ્રસિદ્ધ થઈ હતી. કોઈ વિશિષ્ટ સંસ્થાગત સહાય કે આશ્રય વિના, આ પ્રકારને કોશ એકલે હાથે તૈયાર કરનાર નર્મદ પછીના પહેલા જ કોશકાર લલ્લુભાઈ છે. જોકે એમનો કોશ નર્મદને આધારે થયેલો છે એ તેમણે પોતે જ સ્વીકારેલું છે.

સોસાયટીનો ‘ગુજરાતી શબ્દકોશ’

આવો બીજો મહત્ત્વનો કોશ તે ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ છપાવેલો 'ગુજરાતી શબ્દકોશ' (અમદાવાદ ૧૯૧૨થી ૧૯૨૩) છે. ભાષાશુદ્ધિને પ્રધાનપદ આપી રચાયેલા આ કોશનો પહેલો 'સ્વરવિભાગ' સને ૧૯૦૮માં ઊજવાયેલા સોસાયટીના હીરકમહોત્સવના સ્મારક નિમિત્તે પ્રસિદ્ધ થયો હતો. સોસાયટીના માનાર્હ મંત્રી લાલશંકર ઉમિયાશંકરના શબ્દોમાં કહીએ તો, ‘કોશનું કામ એક જણથી બને નહિ એવું હોવાથી સને ૧૮૭૦માં સોસાઈટીએ શબ્દસંગ્રહ કરવાનો આરંભ કેળવણી ખાતાની સૂચના અને મદદથી કર્યો હતો; ખાસ માણસો રોકી સન ૧૮૭૪-૭૫ સુધી તે કામ ચલાવ્યું. સન ૧૮૯૩માં શબ્દોની જોડણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો, અને તે દરમિયાન સર થીઓડર હોપ સાહેબે મહેરબાની કરી પોતાની વાંચનમાળામાંથી કાઢેલા શબ્દોનો સંગ્રહ સસાયટીને આપ્યો. તે પછી ૧૮૯૭માં કેળવણી ખાતાએ જોડણી મુકરર કરવાનું કામ સોસાઈટીને સોંપ્યું. તે અન્વયે સને ૧૮૯૭માં સોસાઈટીએ જોડણી મુકરર કરવાના હેતુથી એક શબ્દસંગ્રહ તૈયાર કરાવી છપાવ્યો. વિદ્વાન ઉપર કાગળ લખી સૂચનાઓ મંગાવી. પરંતુ બહુ જ થોડી અને એકબીજા વિરુદ્ધ પડતી સૂચનાઓ આવી. તે પછી કેળવણી ખાતાએ વાંચનમાળામાં ફેરફાર કરવાને 'રિવિઝન કમિટી' નીમી અને તેણે નવી વાંચનમાળા માટે જોડણીના નિયમો નક્કી કર્યા. શાળાખાતાના એ નિયમને અનુસરી હાલ તરતને માટે પોતાના શબ્દસંગ્રહનો એક આધારભૂત શાળાપયોગી કોશ તૈયાર કરવાનો કમિટીએ ઠરાવ કર્યો, તેથી સોસાઈટીએ આજ સુધી એકઠા કરેલા કોશના મોટા સંગ્રહ ઉપરથી, મિ. મણિલાલ છબારામને રોકી, આ 'સ્વરવિભાગ' વિદ્વાનો અને લોકોની સૂચનાઓ મેળવવાને 'પ્રુફ કોપી' તરીકે તૈયાર કરી છપાવ્યો છે.” આ રીતે સોસાયટીના કોશનો છેલ્લો ભાગ ૧૯૨૩માં બહાર પડ્યો. આ ઉપરથી પ્રમાણભૂત બૃહદ્ કોશ તૈયાર કરવાની સોસાયટીની યોજના પ્રસંગવશાત અધૂરી રહી. પણ ભવિષ્યમાં એવો કોશ રચવામાં ઉપયોગી થાય એ દૃષ્ટિએ વ્યુત્પત્તિ, અર્થ અને પ્રયોગોનાં ઉદાહરણ સાથે એક નમૂનારૂપે, સોસાયટીના પ્રમુખ કેશવલાલ ધ્રુવે તૈયાર કરેલો 'प વર્ણનો કોશ' સંસ્થા તરફથી સને ૧૯૪૪માં પ્રગટ થયો છે.

આ પછી ગણેશદત્ત શર્માનો વિસ્તૃત 'હિન્દી-ગુજરાતી શબ્દકોશ' (વડોદરા, ૧૯૨૪), જીવનલાલ અમરશી મહેતાકૃત ‘ગુજરાતી શબ્દાર્થ-ચિંતામણિ' (અમદાવાદ, ૧૯૨૫) તથા ભાનુસુખરામ મહેતા અને ભરતરામ મહેતા એ પિતાપુત્રે તૈયાર કરેલો ૫૧૦૦૦ કરતાં વધુ શબ્દોનો 'ગુજરાતી–અંગ્રેજી કોશ' (વડોદરા, ૧૯૨૫) ખાસ ઉલ્લેખ માગી લે તેવા છે.

‘જોડણીકોશ' અને 'ભગવદ્ગોમંડલ'

પરંતુ વર્નાકયુલર સોસાયટીના કોશ પછીનાં, અને અન્યતો છેલ્લાં, ગુજરાતી કોશસાહિત્યનાં સૌથી મહત્ત્વનાં સીમાચિહ્નો બે- ગુજરાત વિદ્યાપીઠનો 'સાર્થ' જોડણીકોશ' અને ગોંડળના ઠાકોર સાહેબ ભગવતસિંહજીએ તૈયાર કરાવેલો 'ભગવદ્ગોમંડલ’.

વિદ્યાપીઠના કોશની પહેલી આવૃત્તિ કેવળ ' જોડણીકાશ' તરીકે સને ૧૯૨૯માં પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી ૧૯૩૧માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં અર્થો ઉમેરવામાં આવ્યા અને કોશનું શબ્દભંડોળ ઉત્તરોત્તર વધતું રહ્યું. ૧૯૪૯માં બહાર પડેલી ચોથી આવૃત્તિમાં વ્યુત્પત્તિઓ આપવાનો પ્રયાસ પણ થયો છે. વિદ્યાપીઠના કોશની સૌથી મોટી સેવા ગુજરાતી ભાષાની જોડણીને નિશ્ચિત અને વ્યવસ્થિત રૂપ આપવામાં રહેલી છે. ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાને અધિકાર નથી’ એવો, ઉત્કટ પણ બુદ્ધિયુક્ત ભાષાભક્તિથી પ્રેરાયેલ ગાંધીજીનો આદેશ, નિદાન સાહિત્યપ્રેમી અને શિક્ષણરસિક વર્ગમાં, વિદ્યાપીઠના કોશની સહાયથી પળાતો થયો છે અને જોડણીનાં નિશ્ચિત ધોરણ માટે સમસ્ત ગુજરાત એ એક જ ગ્રન્થ તરફ મીટ માંડતું થયું છે તથા અગાઉની જોડણીવિષયક ચર્ચાઓ લગભગ ઐતિહાસિક અગત્યની બની છે એ વાત સર્વપરિચિત હોવા છતાં કંઈ નાનીસૂની નથી. વિદ્યાપીઠના મોટા કોશને આધારે થયેલા ' વિનીત કોશ' અને 'ખિસ્સા-કોશ’ પણ એ કાર્યને ઉપકારક બની રહ્યા છે.

‘ભગવદ્ગોમંડલ’ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર બૃહદ્ કોશ છે. સને ૧૯૨૮માં એના કામનો આરંભ થયો; પહેલો ભાગ ૧૯૪૪માં પ્રસિદ્ધ થયો તથા નવમો–અને છેલ્લે–ભાગ ૧૯૫૫માં પ્રગટ થશે. ક્વાર્ટો સાઈઝનાં કુલ ૯૨૭૦ પાનાંમાં એનું મુદ્રણ થયું છે અને એમાં એકંદર ૨૮૧૩૭૭ શબ્દોનો, ૫૪૦૪૫૫ અર્થોનો તથા ૨૮૧૫૬ રૂઢિપ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા મહાકોશનો શબ્દસંગ્રહ તથા તેની સંકલના, સંપાદન અને મુદ્રણ અસાધારણ આયોજનના, ખંત, જહેમત અને અર્થવ્યયથા માગી લે છે અને આવું મોટું કામ ગુજરાતમાં થયું એ ખરેખર ગૌરવ લેવા જેવું છે. જોકે કેટલીક રીતે આ ગ્રન્થ શબ્દકોશ ઉપરાંત જ્ઞાનકોશ જેવો થઈ ગયો છે; એમાં અપાયેલા બધા-ખાસ કરીને સંસ્કૃત-તત્સમો આપવાનું આવશ્યક નહોતું, કેમ કે એ શબ્દો ભાષામાં ભાગ્યે પ્રયોજાય છે. શબ્દાર્થો નિશ્ચિત કરવાની દૃષ્ટિએ અવતરણો ઘણું ખરું નવેસરથી એકત્ર થયેલાં હોવા છતાં, મૂળ પ્રયોગો ખોળી શકાય એવા વિગતવાર ઉલ્લેખ સાથે તે નોંધાયાં નથી એ વસ્તુ ખટકે એવી છે. આ રીતે અધૂરા ઉલ્લેખ સાથે અવતરણે આપવાની રીત ગુજરાતી કોશમાં નર્મદ અને લલ્લુભાઈના સમયથી ચાલી આવે છે એમાં આવશ્યક પૂર્તિ 'ભગવદ્ગોમંડલ' દ્વારા થઈ શકી હોત. આમ છતાં ગુજરાતી ભાષાની વિરાટ શબ્દસંપત્તિ અને એના અર્થવૈવિધ્યનું પ્રથમવાર સમગ્રદર્શન 'ભગવદ્ગોમંડલે' કરાવ્યું છે (જોકે બોલીઓના, જ્ઞાતિઓ અને જાતિઓના, ખેતી વ્યવસાય અને કારીગરીના બહુસંખ્ય શબ્દો હજી વણનોંધાયા રહ્યા છે એમાં શંકા નથી). ગુજરાતમાં તો કોશને લગતું આવું ભગીરથ કામ આ પહેલાં થયું નથી; ભારતમાં પણ વારંવાર થયું નથી. 'ભગવદ્ગોમંડલ'માં સાદ્યંત જોડણી વિદ્યાપીઠના કોશ અનુસાર રાખવામાં આવી છે,*[4] એ ઉચિત થયું છે.

ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાયેલા કોશની આવશ્યકતા

આમ એક શતાબ્દી કરતાં વધુ સમય થયાં ગુજરાતીના અનેક કોશ રચાયા છે તથા વિવિધ ઉદ્દેશોથી કોશરચનાના વિવિધ પ્રયત્નો થતા રહ્યા છે એ ભાષાવિષયમાં એક પ્રકારની જાગૃતિ સૂચવે છે. અઘરા શબ્દોના અર્થો આપતાં આપતાં નર્મદને કોશ કરવાનું સૂઝ્યું, અને છેક હમણાં 'ભગવદ્ગોમંડલ'માં ગુજરાતી ભાષાને સૌથી મોટે શબ્દભંડાર ગ્રંથસ્થ થયો. વચ્ચેના સમયમાં અનેક કોશકારોએ તથા કોશના કામમાં રસ લેનારી સંસ્થાઓએ એ દિશામાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને એ ક્ષેત્રમાં કંઈ ને કંઈ ફાળો આપ્યો છે. ‘ભગવદ્ગોમંડલ'નું વિશાળ શબ્દભંડોળ એકત્ર કરવાનું શ્રેય જેમ કોશકાર્યાલયના તથા બહારના આ વિષયમાં રસ લેનાર અનેક કાર્યકર્તાઓને છે તેમ પૂર્વે થયેલા કોશો અને કોશકારોને પણ છે, અને ‘ભગવદ્ગોમંડલ'ના છેલ્લા નવમાભાગની પ્રસ્તાવનામાં આ સર્વ પૂર્વસૂરિઓનું ઋણ મુક્ત કંઠે સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ વિદ્યાપીઠના કોશથી તેમ જ 'ભગવદ્- ગોમંડલ’થી ગુજરાતી કોશ પરત્વે ઇતિકર્તવ્યતાને આનંદ માનવાનો નથી. જગતની સમૃદ્ધ અને સુવિકસિત ભાષાઓમાં કોશરચનાની જે પદ્ધતિને સમાદર અને વિનિયોગ થયેલો છે તેનો પ્રયોગ ગુજરાતી ભાષામાં થવાનો હજી બાકી છે. કોશરચનાની ઐતિહાસિક પદ્ધતિની હું અહીં વાત કરું છું. ઑક્સફર્ડની ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્ક્ષનેરી' આ પદ્ધતિએ રચાયેલા મહાકોશનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે; અંગ્રેજી ભાષા પણ શાસ્ત્રીય કોશરચનાની બાબતમાં કદાચ યુરોપની સર્વ ભાષાઓમાં મોખરે છે. જ્હોન્સનનો અંગ્રેજી કોશ સને ૧૭૫૫માં પ્રગટ થયો ત્યારથી લગભગ એક સદી સુધી અંગ્રેજી ભાષાસાહિત્યમાં તે પ્રમાણભૂત મનાતો રહ્યો. કોશ એ ભાષાના પ્રવર્તમાન સાહિત્યિક પ્રયોગનું શિષ્ટ ધોરણ બાંધી આપે છે એ ખ્યાલ ત્યાં સુધી સર્વમાન્ય હતો. પરંતુ આર્કબિશપ આર. સી. ટ્રેન્ચ, જેણે ખાસ કરીને અંગ્રેજી શબ્દોના ઇતિહાસને અનુલક્ષીને ‘સ્ટડી આફ વર્ડ્ઝ' નામે વ્યાખ્યાનમાળા સને ૧૮૫૧માં તૈયાર કરી -અને તે એટલી લોકપ્રિય થઈ કે ૧૮૯૬ સુધીમાં તેની ૨૬ આવૃત્તિઓ થઈ ચૂકી હતી તેણે ઇંગ્લેંન્ડની ફિલોલોજિકલ સોસાયટી સમક્ષ ૧૮૫૭માં વાંચેલા Some deficiencies in Existing English Dictionaries એ નામના એક નિબંધમાં ઐતિહાસિક ધોરણે રચાવા જોઈતા શબ્દકોશનો ખ્યાલ રજૂ કર્યો હતો (તેનો આ નિબંધ આજે એક શતાબ્દી કરતાં વધુ સમય પછી પણ ધ્યાનથી વાંચવા જેવો છે) અને ઐતિહાસિક અંગ્રેજી કોશનું કાર્ય મુખ્યત્વે તેની પ્રેરણા અને આગ્રહથી ફિલોલોજિકલ સોસાયટીએ હાથ ધયું હતું અને પાછળથી એક્સફર્ડ યુનિવર્સિટીના ઉપક્રમે તે આગળ ચાલ્યું હતું. સોસાયટીએ એકત્ર કરેલ શબ્દભંડોળ અને અવતરણેની સામગ્રીને આધારે કોશના પહેલા સંપાદકે સને ૧૮૭૮માં કામ શરૂ કર્યું અને સંપૂર્ણ કોશ ૧૯૨૮માં પ્રગટ થયો. (તેર ગ્રંન્થોમાં એનું પુનર્મુદ્રણ પછી ૧૯૩૩માં થયું છે.) કોશના મુદ્રણનું કામ ફેબ્રુઆરી ૧૮૮૪થી એપ્રિલ ૧૯૨૮ સુધી ચાલ્યું. કોઈ પણ જીવતી ભાષામાં શબ્દભંડોળની વૃદ્ધિ અને નવા અર્થોનો આગમ એ અત્યંત સ્વાભાવિક પ્રક્રિયા છે. અંગ્રેજી ભાષાના આ મહાકોશને છપાતાં ૪૫ વર્ષ લાગ્યાં હતાં. લગભગ અર્ધી સદી જેટલાં આ સમય દરમિયાન-ખાસ કરીને પ્રારંભના મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો બાબતમાં-શબ્દભંડોળમાં જે વિકાસ અને પરિવર્તન થયાં હતાં એની પૂરી નોંધ અર્થાત્ અર્ધી સદીના ભાષાવિકાસની નોંધ કોશકારોએ લેવાની હતી, અને તે માટે કોશની પૂર્તિનો એક આખો ગ્રન્થ પ્રકટ કરવો પડ્યો. કોશમાં અર્થનિર્ણયો માટે લગભગ ૧૭૦૦૦ ગ્રંથોમાંથી અવતરણો લેવાયાં છે-લેખો, વર્તમાનપત્રે આદિને સમાવેશ એમાં થતો નથી-અને સમસ્ત અંગ્રેજી સાહિત્યની એના કરતાં મોટી અને આધારભૂત સન્દર્ભસૂચિ બીજે ક્યાંય નથી. આટલા વિપુલ સાહિત્યની શબ્દપ્રયોગો તથા અવતરણોની દૃષ્ટિએ તારવણી કોણ કરી શકે? કોશકાર્યાલયના થોડાક કર્મચારીઓના ગજા બહારની એ વાત છે. ઇંગ્લેંડ અને અમેરિકામાં વસતા સેંકડો વિદ્યારસિક 'વાચકો 'એ એ કામ બહુ મોટા પ્રમાણમાં કર્યું હતું. અંગ્રેજી ભાષાને આ સૌથી પ્રમાણભૂત કોશ છે. પરંતુ સામાન્ય વાચકો માટે એને વારંવાર ઉપયોગ કરવાનું જરાક કઠિન હોઈ ઐતિહાસિક કોશનો સંક્ષેપ બે મોટા ગ્રન્થ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, અને તે ઉપરથી થયેલો ઑક્સફર્ડને સંક્ષિપ્ત અંગ્રેજી કોશ દરેક વિદ્યાર્થી માટે પણ હાથવગો છે.

વિપુલ લિખિત સાહિત્ય અને લાંબો ઇતિહાસ ધરાવતી કોઈ પણ ભાષા માટે ઐતિહાસિક કોશનુંકામ કેટલું લાંબું, શ્રમસાધ્ય છતાં કેટલું મહત્ત્વનું છે એ બતાવવા માટે આ વિગતો અહીં ટાંકી છે. (સંસ્કૃત ભાષા માટે આ પ્રકારનો કોશ રચવાના કામનો આરંભ વીસેક વર્ષ પહેલાં ડેક્કન કૉલેજ તરફથી થયો છે. સેંકડો વર્ષ લાંબો ઇતિહાસ ધરાવતી સંસ્કૃત જેવી ચિન્તનસમૃદ્ધ ભાષા માટે કોશ રચવાનું કામ બહુ વિસ્તૃત છતાં સંકુલ અને સૂક્ષ્મ આયોજના માગી લે તેવું છે પરંતુ વિશાળ માનવસમુદાયમાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં વ્યવહાર પામતી કોઈપણ આધુનિક ભાષામાં તો કોશ રચાતો અને છપાતો હોય ત્યારે પણ નવા શબ્દો અને નવા અર્થો વિકાસ પામતા હોય છે, એટલે તેની કોશરચનાના પ્રશ્નો વળી કેટલીક રીતે જુદા પ્રકારના છે.) કોશરચનાની નૂતન પદ્ધતિ પ્રમાણે, કોશ એ ભાષાના તમામ શબ્દોની માત્ર નોંધ નથી, પણ ઐતિહાસિક ક્રમે અર્થવિકાસની તપસીલ અને સમજૂતી છે. અત્યાર સુધીના આપણા લગભગ બધા કોશોમાં શબ્દોના અર્થો ઐતિહાસિક તો શું, તાર્કિક ક્રમે પણ ગોઠવેલા હોતા નથી; અર્થોને ક્રમ ઘણું ખરું આકસ્મિક જ હોય છે. ખરું જતાં, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક રૂપ અને પ્રત્યેક અર્થ પહેલપ્રથમ ભાષામાં ક્યારે પ્રયોજાયેલ મળે છે, અને પ્રસ્તુત શબ્દ કે અર્થ પ્રયોગલુપ્ત થઈ ગયો હોય તો ક્યારે થયો છે એની તથા એ સાથે સંબંધ ધરાવતી બીજી મહત્ત્વની બાબતોની આધારભૂત નોંધ શબ્દકોશમાં હોવી જેઈએ; એ સામગ્રીના પાયા ઉપર કોશમાંની વ્યાખ્યાઓ અને અર્થો અપાવા જોઈએ તથા જે અર્થો કાળક્રમે પહેલા હોય તેમને પહેલા મૂકવા જોઈએ. ટૂંકમાં, કોશમાંના પ્રત્યેક શબ્દની સાથે તે તે શબ્દાર્થની સાહિત્યાદિનાં અવતરણને આધારે રચાયેલી પ્રમાણભૂત જીવનકથા આવવી જોઈએ. અવતરણની શક્ય તેટલી વ્યાપક શોધ અને સંગ્રહ તથા કોશમાં તેનો શાસ્ત્રીય ક્રમબદ્ધ વિનિયોગ એ અતિહાસિક કોશની પહેલી અનિવાર્ય શરત છે. આ પ્રકારના કોશમાં વ્યુત્પત્તિ પણ આવશ્યક છે. કોઈપણ શબ્દ જે તે ભાષાનો ભાગ બને ત્યાં સુધીને, એ શબ્દના રૂપનો ઇતિહાસ તે વ્યુત્પત્તિ છે, અને શબ્દ તથા અર્થને ભાષાગત ઇતિહાસ આલેખવા માટે વાસ્તવિક ભૂમિકા તે પૂરી પાડે છે. અર્થવિમર્શ અને વ્યુત્પત્તિચર્ચા કેટલીક વાર સાથોસાથ જ થઈ શકે છે.

આ માટે ભાષાનાં બને એટલાં વધારે લખાણો શબ્દાર્થપ્રયોગની દૃષ્ટિએ તપાસવાં જોઈએ. કોઈપણ ભાષાનો અથવા તેના સાહિત્યને આરંભ ક્યારે ગણવો એ ગાણિતિક ચોક્કસાઈથી કહી શકાય એવી વાત નથી, એટલે એમાં અંદાજી ગણતરીએ ચાલ્યા વિના ઉપાય નથી. ઓક્સફર્ડના કોશ માટે અંગ્રેજી ભાષાનો ઐતિહાસિક પ્રારંભ બારમી સદીની અધવચથી ગણવામાં આવ્યો હતો; એ સમયે પ્રયોગલુપ્ત બન્યો હોય એવો કોઈ શબ્દ કોશમાં લેવામાં આવ્યો નથી, પણ એ સમયના પહેલાં તેમ જ પછી પણ પ્રયોજિત હોય એ બધા શબ્દો લેવાયા છે. શબ્દાર્થપ્રયોગનાં અવતરણ માટે સોળમી સદીની અધવચ સુધીનું સર્વ તથા ત્યાર પછીનું બને તેટલું ( ખાસ કરીને મહત્ત્વના લેખકોનું તથા વિશિષ્ટ વિષયોનું) સાહિત્ય તે માટે તપાસવામાં આવ્યું છે.

ગુજરાતીનો ઇતિહાસ લાંબો અને સમૃદ્ધ છે અને તેની લિખિત સાહિત્યસંપત્તિ વિપુલ છે. ગુજરાતીને માટે હું માનું છું કે આચાર્ય હેમચન્દ્રનું ‘સિદ્ધહૈમ' વ્યાકરણ રચાયું ત્યારથી એટલે કે લગભગ ઈ સ.૧૧૨૫થી માંડીને દયારામના અવસાનકાળ (ઈ. સ. ૧૮૫૩) સુધીનું બને તેટલું સાહિત્ય આ દૃષ્ટિએ તપાસવું જોઈએ તથા ત્યારપછીના વિશિષ્ટ લેખકો અને વિષયોના, ચૂંટેલા ગ્રન્થોમાંથી અવતરણો એકત્ર કરવાં જોઈએ.

હવેના સમયમાં કોશરચના એ કોઈ એક માણસનું કામ નથી. જ્હોન્સન, વેબ્સ્ટર કે નર્મદે એકલે હાથે કોશ ‘લખેલો’ એ જમાનો વીતી ગયો છે. ગુજરાતીના છેલ્લા બે ઉત્તમ કોશો-વિદ્યાપીઠનો 'સાથે જોડણીકોશ’ અને ‘ભગવદ્ગોમંડલ' એ વ્યક્તિની નહિ, પણ સંસ્થાની કે વિદ્યાવિભાગની રચનાઓ છે. આધુનિક કોશરચનાશાસ્ત્રનાં પ્રયોજનો અને ઉદ્દેશો અનેક નિષ્ણાત કાર્યકર્તાઓ અને 'વાચકે 'ને સુયોજિત સહકાર માગી લે છે. ઑક્સફર્ડના અંગ્રેજી મહાકોશના પહેલા ભાગની સને ૧૮૮૮માં બહાર પડેલી પ્રસ્તાવનામાં મુખ્ય સંપાદકે નોંધ્યું છે કે એ સમય સુધીમાં કોશના કામ માટે ૧૩૦૦ ‘વાચકો'નો સહકાર મેળવી શકાયો હતો ! કોઈ પણુ વિકસતી ભાષાનું શબ્દભંડોળ એવી રીતે વૃદ્ધિ પામતું જાય છે કે જુદાં જુદાં શાસ્ત્રોના શબ્દોના સાચા અને સ્પષ્ટ અર્થો આપવા માટે તે તે શાસ્ત્રોના નિષ્ણાતોની સેવાઓ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. પરંતુ શાસ્ત્રોના પારિભાષિક શબ્દો પણ સામાન્ય વપરાશના શબ્દોના અર્થસંકોચથી કે બીજી સાદૃશ્યમૂલક. પ્રક્રિયાઓથી નિષ્પન્ન થાય છે, એટલે એ સર્વ શબ્દાર્થોને યોગ્ય સન્દર્ભ અને ક્રમમાં મૂકવા માટે સાહિત્ય, ભાષા અને સાંસ્કૃતિક ઇતિહાસના જાણકારોની પાછી જરૂર પડે છે.

ભૂમિકારૂપ કામો

ગુજરાતી ભાષા પાસે છેલ્લાં લગભગ એક હજાર વર્ષમાં રચાયેલો લિખિત સાહિત્યનો વારસો અવિચ્છિન્ન અને અવિકલ રૂપમાં છે. આધુનિક યુગમાં આવતાં કોઈ પણ ભાષાને ગૌરવરૂપ થઈ પડે એવી ગદ્યસાહિત્ય અને ગદ્યકારોની તેજસ્વી પરંપરા આપણી પાસે છે. આપણા વિદ્યમાન સાહિત્યને આધારે ગુજરાતી મહાકોશના કામને આરંભ કરવાને અનુકૂળ સંયોગો પેદા થાય ત્યાર પહેલાં કેટલાંક ભૂમિકારૂપ કામ કરવાં જોઈએ. જૂના ગ્રન્થોની શાસ્ત્રીય વાચનાઓનાં તથા તે તે ગ્રથના અથવા વિશિષ્ટ યુગોના અને કવિઓના શબ્દકોશની રચનાનાં તેમ જ વિશિષ્ટ શબ્દો કે શબ્દસમૂહોના કાલાનુક્રમિક અધ્યયનનાં કામોનો સમાવેશ આમાં થવો જોઈએ. ભાષાની અર્થાભિવ્યક્તિને ખીલવવામાં જેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે બધા સાહિત્યકારે, કવિઓ, ગદ્યકારે અને ચિન્તકોની આધારભૂત શબ્દસૂચિઓ થઈ શકે. ગુજરાતમાં ખાસ કરીને મધ્યકાળમાં સંસ્કૃતની એક પ્રાદેશિક શૈલી અસ્તિત્વમાં આવી હતી, જેને કેટલીક વાર ‘જૈન સંસ્કૃત' નામથી ઓળખાવવામાં આવે છે. એ પ્રકારના સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યના સેંકડો શબ્દપ્રયોગોના વાસ્તવિક અર્થો ઉકેલવામાં જૂનું ગુજરાતી સાહિત્ય સહાયભૂત થાય છે તેમ જૂના ગુજરાતી શબ્દોના અર્થો નિશ્ચિત કરવામાં એ પ્રાદેશિક સંસ્કૃત ઉપયોગી થાય છે, અને એથી ‘જૈન સંસ્કૃત 'ના ગ્રન્થના કેશો એક તરફ સંસ્કૃત અને બીજી તરફ ગુજરાતીને અર્થવિકાસ સમજવા માટે અગત્યના છે. ગુજરાતની જુદી જુદી પ્રાદેશિક બોલીઓની તથા જાતિઓ, જ્ઞાતિઓ તેમ જ વિવિધ વ્યવસાયો અને હુન્નરોની પૂરી શબ્દાવલિઓ હજી થઈ નથી. જુદા જુદા ધંધાદારીઓની ગુપ્ત બોલી—'પારસી 'ઓનો સંગ્રહ પણ આવશ્યક છે. ગુજરાતીના કોશ માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભગિની ભાષાઓના અભ્યાસીએ આપણી પાસે હોય તેમ ફારસી, અરબી, તુર્કી, પોર્ટુગીઝ, ડચ તથા મુખ્ય દ્રાવિડી ભાષાઓના અને ગુજરાત તથા આસપાસના પ્રદેશોના આદિવાસીઓની બોલીઓના જાણકારો પણ હોય. એ સર્વના એકત્ર પુરુષાર્થ અને સહકારથી ગુજરાતી મહાકોશના કાર્ય તરફ ગતિ થઈ શકે. ગુજરાતીના અધ્યાપકોની આ માટેનાં કામેામાં ફાળો આપવાની પહેલી ફરજ છે, એટલું જ નહિ, એમ કરવાની તેમની વિશિષ્ટ યોગ્યતા પણ છે. મહાવિદ્યાલયોમાં શિક્ષણ અને સંશોધનનું કામ કરતા ગુજરાતના સો કરતાં વધુ અધ્યાપકો છે. તેઓ પોતાની રુચિ અનુસાર આ દિશામાં કંઈ ને કંઈ કામ કરતા રહેવાનો નિશ્ચય કરે તો ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાવા જોઈતા ગુજરાતી ભાષાના મહાકોશની ભૂમિકા થોડાંક વર્ષોમાં બંધાય એમાં શંકા નથી.

[‘સંસ્કૃતિ,' જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૬૨]


  1. *લોકભારતી, સણોસરા ખાતે, તા. ૨-૩ નવેમ્બર ૧૯૬૧ના રોજ મળેલા, ગુજરાતીના અધ્યાપકસંધના ૧૪મા સંમેલનના પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન.
  2. * શ્રીધરસેનકૃત એક સંસ્કૃત કોશનું નામ ‘વિશ્વલોચનકોશ’ છે તે કેટલું સમુચિત અને કવિત્વમય છે!
  3. * શરૂઆતના બધા કોશોમાં પ્રસ્તાવના ઘણુંખરું અંગ્રેજીમાં અને કોઈ વાર અંગ્રેજી અને ગુજરાતી એમ બેય ભાષામાં હોય છે. માત્ર નર્મ કોશ' એમાં અપવાદ છે; એમાં માત્ર ગુજરાતી ‘મુખમુદ્રા' છે.
  4. * જોડણીકોશ' અને ‘ભગવદ્ગોમંડલ'ના લગભગ સમસામયિક એવા કેટલાક કોશોનો અહીં ઉલ્લેખ કરું : ત્રિવેદી હરિશંકર દલપતરામકૃત 'શબ્દાર્થમાલા' (સાદરા, ૧૯૩૭) પર્યાયોનું જ્ઞાન કરાવવા માટે 'અમરકેશ'ની પદ્ધતિએ ગુજરાતી પદ્યમાં રચાયેલો કોશ છે. મૂળવંતરાય ત્રિપાઠી અને નીતિરાય વોરાકૃત 'ગજવે ધૂમતો ગુજરાતી શબ્દકોશ’ (જૂનાગઢ, ૧૯૪૦) રમણલાલ અમૃતલાલ દેસાઈકૃત 'અજોડ અંત્યાક્ષરી સાથે શબ્દકોશ (વડોદરા, ૧૯૪૫), કેશવરામ કા. શાસ્ત્રીકૃત 'લઘુકોશ' (અમદાવાદ, ૧૯૫૦) અને ‘ગુજરાતી ભાષાનો અનુપ્રાસ શબ્દકોશ, ખંડ ૧, એકાક્ષરી દ્વિઅક્ષરી શબ્દો' (અમદાવાદ, ૧૯૫૧) તથા એ જ લેખકનો ‘પાયાનો ગુજરાતી કોશ’ (સૂરત, ૧૯૫૬) અને ઉપેન્દ્ર ભટ્ટ અને રતિલાલ નાયકકૃત 'નાનો કોશ ' (પહેલી આવૃત્તિ, અમદાવાદ, ૧૯૫૬) નોંધ માગી લે છે. બીજા અનેક શાળોપયોગી કોશો-દ્વિભાષી, ત્રિભાષી તેમ જ એકભાષી-પ્રગટ -થયેલા છે, પણ એ સર્વની યાદી કરવાનું બની શક્યું નથી.

****