સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વિવેચનમાં કટોકટી?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સિદ્ધાંતવિચાર

(૧) વિવેચનમાં કટોકટી?

ગુજરાતી વિવેચનમાં ક્યાં કોને કયા પ્રકારની કટોકટી વરતાય છે? બહુ ઓછા લોકોને આવી કશી ચિંતા હોય છે. જો તોદોરોવ જેવા આજે પણ એમ કહેતા હોય કે વિઘટન-પુનર્નિર્મિતિ, સંરચનાવાદ કે સંકેતશાસ્ત્રની ચર્ચા માત્ર યુનિવર્સિટી પૂરતી મર્યાદિત છે, મોટા ભાગની પ્રજાને આ બધા પ્રશ્નોમાં કશો જ રસ નથી, તો આપણી યુનિવર્સિટીઓમાં-કૉલેજોમાં સાહિત્યના ઘણાખરા શિક્ષકોને આવા પ્રશ્નો ક્યારેય નડયા ન હતા અને કદાચ નડવાના પણ નથી. આ વાતાવરણ પોતે જ એક કટોકટીનું સૂચક નથી? મિલાન કુંડેરા જેવા નવલકથાકારને તો ભય છે કે સરમુખત્યારશાહી જ નહીં પણ આપણી ટેકનોલોજીપ્રધાન સંસ્કૃતિ આપણને નર્યા વર્તમાનવાદી બનાવીને સમગ્ર ભૂતકાળ આપણી પાસેથી ઝૂંટવી લેવા માગે છે, આપણને વિસ્મૃતિના ભોગ બનાવીને એ અવસ્થાને નિર્દોષ, શિશુસહજ મનાવવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર સાહિત્યજગતની જ નહીં પણ સમગ્ર સાંસ્કૃતિક જીવનની કટોકટી તરફ આપણને ધકેલી રહી છે. આને પરિણામે સર્જાશે લાંબા ગાળાની સુષુપ્તાવસ્થા અને છેવટે મૃતાવસ્થા. આપણા સમગ્ર જીવનમાં સાહિત્ય – કળા વિશે જે પુનર્વિચાર થઈ રહ્યો છે તેને કારણે ઘણા ગંભીર પ્રશ્નો જન્મ્યા – જેનો થોડો ઘણો ચિતાર ‘સાહિત્યનો મૃત્યુઘંટ?’, ‘રૂપરચનાથી વિઘટન સુધી’ જેવા લેખોમાં આપ્યો છે એટલે તેનું પુનરાવર્તન નહીં કરું. કેટલાંક દેખીતાં કે વ્યાવહારિક કારણોસર રમાતા ખેલોમાંથી કટોકટીનાં કારણો મળે પણ એની ચર્ચા શાસ્ત્રીય ન ગણાય એટલે એ ટાળીએ. વિવેચનની કટોકટી માટે જાગતિક પરિવેશ, ભારતીય પરિવેશ અને છેવટે પ્રાદેશિક પરિવેશ સુધી આવી પહોંચવું જોઈએ. ભારતીય ભાષાઓનાં સામયિકોની, અને એ ભાષાઓની અપૂરતી જાણકારીને કારણે આ વચલી કડીની વાત નહીં કરી શકાય. સુરેશ જોષીના ‘કિંચિત્’માં એક લેખનું નામ છે ‘યોજકસ્તત્ર દુર્લભ’. એમને તો આ પરિસ્થિતિ ભારે આઘાતજનક અને નિરાશાજનક લાગી હતી. ત્યારે તો સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અનુઆધુનિક વિચારકોનો એક વર્ગ એ પરિસ્થિતિને ભારે આવકારદાયક લેખશે. માનવીનું જે કંઈ છે તે પરાભૌતિક તેજથી ઝળહળવું જોઈએ એવું માનનારા દાર્શનિક કવિ ડબલ્યુ. બી. યેટ્સની ખૂબ જ જાણીતી રચના ‘ધ સેકન્ડ કીંગ’માં આપણી વૈશ્વિક કટોકટીનું ચિત્ર અત્યન્ત સામર્થ્યપૂર્ણ પ્રતીકો દ્વારા આલેખાયું છે. તેનો આરંભ જુઓ –

Turning and turning in the widening gybe
The falcon cannot hear the falconer;
Things fall apart; the center cannot hold;
Mere anarchy is loosed upon the world,
The blood dimmed tide is tossed and everywhere
The ceremony of innocence is drowned;
The best lack all conviction, while the worst
Are full of passionate intensity.

સાહિત્યિક સંકુલતા-સમૃદ્ધિને સંકેતવ્યવસ્થામાં હ્રસ્વ કરી નાખવા માગતી અને કશા પ્રકારની વિશિષ્ટતામાં શ્રદ્ધા નહીં રાખવા માગતી અનુઆધુનિક વિવેચના મૂલ્યોના પ્રશ્નોને હવે દેશવટો આપવા માગે છે. પરિણામે કાવ્યાત્મક સત્ય, સૌંદર્યના પ્રશ્નોને બાજુ પર મૂકી દેવામાં આવે છે. ભાષાકીય સંરચનાઓને લગતી વિચારણાઓમાં મહત્ત્વનું પ્રદાન કરનાર તોદોરોવ તેમના છેલ્લા લેખમાં પ્રવર્તમાન સાહિત્યવિવેચનની અરાજકતાભરી ચર્ચા કર્યા પછી કહે છે: ‘Poetry is or is also - a search for truth and for values; there is no shame in acknowledging this and in seeking to understand how-in concrete terms it comes about.’ (‘Essays in Criticism’, એપ્રિલ-૧૯૮૮) સાહિત્યવિવેચનને જો માનવતાવાદી વિદ્યાશાખા તરીકે ન સ્વીકારો તો આપણી કટોકટી વધારે ફાલવા માંડે છે. પછી માનવીય અનુભૂતિ, કળાગત વાસ્તવિકતાઓને આકાર આપતી સર્જકપ્રતિભાનું હીનીકરણ, અવમૂલ્યન થવા માંડે છે. પણ કળાકૃતિના અસ્તિત્વનો જેના ઉપર આધાર છે એવાં બે મૂળભૂત ગૃહીતો - સર્જકપક્ષે રૂપસર્જન અને ભાવકપક્ષે રસાનુભવ - નો સ્વીકાર કર્યા વિના કોઈ સાહિત્યચિંતન શક્ય ન બને; ભલે ઝીરો ડિગ્રી રાઈટીંગવાળા આ વાતનો અસ્વીકાર કરે. આ ક્ષણે આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર ગુજરાતી સાહિત્યવિવેચનમાંથી મેળવીને ઊભા થતા ચિત્ર સાથે પાશ્ચાત્ય અનુઆધુનિક વિવેચનને સરખાવીએ તો શું પરિણામ આવે તેની વાત કરીએ. સાહિત્યકૃતિ કશીક વિશિષ્ટતા ધરાવે છે, એની સંરચનામાં કશીક અદ્વિતીયતા રહેલી છે એ વાત સાચી કે ખોટી? કાવ્યપદાર્થનું અસ્તિત્વ ક્યાંય પણ છે ખરું? બધી જ સાહિત્યકૃતિઓને સીધાસાદા કોડમાં રૂપાંતરિત કરી શકાય ખરી અને જો એમ થઈ શકતું હોય તો સાહિત્યકૃતિને હ્રસ્વ કરી એ આક્ષેપ સાચો કે ખોટો? અનુઆધુનિક વિવેચનમાં ખૂબ જ જાણીતી બનેલી de-વાળી પ્રવૃત્તિઓથી આપણું અસ્તિત્વસભર વિશ્વ નર્યા હાડપિંજરમાં ફેરવાઈ જશે એ ભય વાસ્તવિક કે કાલ્પનિક? કૃતિના જગતમાં પ્રવેશીએ છીએ ત્યારે સર્જકના ભાવજગત સાથે કોઈ સંવાદ માનવીય અનુભૂતિના સ્તરે કરી શકીએ કે નહીં? અને છેલ્લે– સાહિત્યકૃતિ આપણા જગત વિશે કશું અર્થપૂર્ણ કહી શકે કે નહીં? ગયા વર્ષે સુરેશ જોષીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે રોલાં બાર્થના ‘ધ ડેથ ઑવ ધ ઑથર’ નિબંધની ચર્ચા કરવામાં આવી હતી (સરખાવો મિશેલ ફૂંકો કૃત ‘વોટ ઇઝ એન ઓથર નિબંધ’). આ નિબંધ દ્વારા એવું સૂચવાતું હતું કે અગાઉ લખાઈ ચૂકેલી ‘સંરચનાઓનું મિશ્રણ’ કરવાની જ શક્તિ લેખકમાં હોય છે; વિવેચને પછી બીજું કશું કરવાનું રહેતું નથી. લેખકે કયા કયા નિયમોનો, યુક્તિઓનો, સંકેતવ્યવસ્થાઓનો ઉપયોગ કર્યો છે તેની વિગતવાર તપાસ કરીને કૃતિને અને સર્જકને બ્રેકેટમાં મૂકી દો. આ નિબંધને એ પરિસંવાદમાં સાવ વાહિયાત - સુમન શાહના શબ્દોમાં ‘ઘાસપૂસ’ - ગણવામાં આવ્યો હતો. જો આ નિબંધને અર્થહીન ગણાવાયો હોય તો અનુઆધુનિક સંરચનાવાદી સાહિત્યવિવેચનનું ભાવિ ક્યાં, કેટલું? ઇતિહાસ અથવા પરંપરાનો, અર્થપૂર્ણ વિશ્વનો, વેરવિખેર સામગ્રી ઉપર કશુંક કરીને તેને એક ઘાટ આપવામાં આવે છે એ માન્યતાનો તથા આપણી બધી જ સંરચનાઓ પાછળ જવાબદાર માનવીય પરિબળોનો ઇન્કાર કરતા વાતાવરણમાં આ પરિબળોની દૃઢ સ્થાપના કરતા એક ગ્રંથ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન હરિવલ્લભ ભાયાણીએ એન. એ. સ્કોટના ગ્રંથની સમીક્ષાના અનુવાદ દ્વારા (જુઓ ‘જાનન્તિ યે કિમપિ’, સં. સુરેશ જોષી) અને હર્ષવદન ત્રિવેદીએ અન્ય સામગ્રી દ્વારા (જુઓ ‘ભાષાવિમર્શ’ : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૮૭) કર્યો છે. હાન્સ ગાડામેરના ‘ટ્રુથ ઍન્ડ મૅથડ’ ગ્રંથના હાર્દને પ્રકટ કરતા એક પરિચ્છેદનો અહીં નિર્દેશ કરીએ - ‘જે જગતમાં આપણે માનવી તરીકે જીવીએ છીએ તે જગતની સંવાદિતા માત્ર ઐતિહાસિક પરંપરા કે જીવનના પ્રાકૃતિક વ્યવસ્થાક્રમથી જ ઘડાતી નથી. આપણે એકબીજાને જે રીતે અનુભવીએ છીએ, જે રીતે ઐતિહાસિક પરંપરાઓને અનુભવીએ છીએ; આપણા અસ્તિત્વની અને જગતની પ્રાકૃતિક પ્રદત્તતા (givenness)ને જે રીતે અનુભવીએ છીએ, એ બધા વડે સાચું અર્થપૂર્ણ વિશ્વ ઘડાય છે. એ વિશ્વના વિરાટ અવરોધો પાછળ આપણે પુરાઈ ગયા નથી પણ એ વિશ્વ તો આપણે માટે ખુલ્લું છે.’ (X IV) આ બધા સન્દર્ભોમાં ગુજરાતી વિવેચન ક્યાં ઊભેલું છે? ગુજરાતી વિવેચન કયા પ્રશ્નોમાં કેવા પ્રકારનો રસ કઈ ભાષામાં લે છે? ત્રણ પેઢીની વિવેચના પર દૃષ્ટિપાત કરતાં એવા વસ્તુલક્ષી નિષ્કર્ષ પર આવી પહોંચાય કે ગુજરાતી વિવેચન આજે પણ કલ્પના, પ્રતિભા, અનુભૂતિ, કળાગત વાસ્તવ, ચૈતન્ય, કૃતિનાં ઘટકોની પરસ્પરઉપકારકતા અને સમગ્ર કૃતિ સાથે એ ઘટકોના સંવાદ-વગેરેને સૂચવતી ભાષામાં વાત કરી રહ્યું છે. સંરચનાવાદી વિવેચનાપદ્ધતિનો ઉપયોગ કરતી વિવેચનામાં પણ આવી કેટલીક વિભાવનાઓ નાનાંમોટાં છિદ્રોમાંથી પ્રવેશી જતી હોય તો શું માનવું? પહેલી પેઢીની વિવેચનામાં ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષીને ધ્યાનમાં રાખી એમના છેલ્લામાં છેલ્લા લેખોની વાત કરીશું. ઉમાશંકર જોશીના લેખ ‘સારું કાવ્ય એટલે?’ (‘એતદ્’, જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૮૭)ના બે પરિચ્છેદ જુઓ : ‘કાવ્યમય શબ્દનિર્મિતિ એ માત્ર માનવબોલી કે ભાષાની જ નીપજ નથી, પણ લેખનની અત્યન્ત સખતાઈથી કામ લેતી શિસ્તમાં પસાર થયેલી વસ્તુ છે. ઉચિત ભાવનિર્ણાયકો - નિર્દેશકો, કલ્પનો, પ્રતીકો, સ્વરવ્યંજન સામ્ય - પ્રાસાનુપ્રાસ અને સૌથી વિશેષ તો લય, રચનાની અવાજ-તરાહનો જ લય નહીં પણ તેની સાથેસાથ અવિનાભાવી ઊપસતી અર્થતરાહનો લય, હકીકતમાં સમગ્ર સંદર્ભમૂલક આકૃતિકરણની સંવાદિતા - એ બધાં દ્વારા સાધારણીભૂત ભાવમય કાવ્યચેતના શબ્દદેહ ધારણ કરે એ માટેનો એ પ્રયત્ન હોય છે. ‘સુકાવ્યના એટલે કે એની દ્વારા આકારિત થયેલા અંતસ્તત્ત્વ અંગે અથવા શબ્દો, કલ્પનો, લય અને એને એક સ્વતંત્રપણે ટકી રહે એવું શબ્દસંઘટન બનવામાં મદદરૂપ થનાર બધાં ઉપકરણો અંગે દોષદેખુ પજવતા સવાલો રહેવા ન પામે એમ, પરખશક્તિવાળા વાચકની ચેતનાને પોતાનામાં વિશ્રાન્તિ આપી રહે એટલી હદે જે સારું દેખાય તેવા કાવ્યના.’ આ પરિચ્છેદો દ્વારા સ્પષ્ટ સૂચવાઈ જાય છે કે આ વિવેચના કૃતિને એક અખંડ પુદ્ગળ તરીકે જુએ છે; કવિચેતના, પરંપરાસ્થાપનાની વાત ક્યારેક અંતિમવાદી લાગે એ રીતે હરિવલ્લભ ભાયાણી કરી રહ્યા છે. (જુઓ ‘સંસ્કૃત સાહિત્ય અને આપણે’ ‘ફાબર્સસભા ત્રૈમાસિક’ –જુલાઈ/સપ્ટેમ્બર, ૧૯૮૬) તેમને તો એટલી હદે શ્રદ્ધા છે કે ભારતીય પરંપરાને પુનઃપ્રાપ્ત કરવાથી ‘(તે) આપણને (અને સમગ્ર જગતને પણ) વર્તમાન અસ્તિત્વની કટોકટીમાંથી, મૂલ્યહ્રાસમાંથી, અર્થહીનતા કે વ્યર્થતાની માનસિક અવસ્થામાંથી ઊગારી શકે.’ આ વિચારણા અત્યન્ત વિવાદાસ્પદ, આત્યંતિક હોવા છતાં તેનો પ્રતિકાર થયો નથી. તેમણે પોતાના મતના સમર્થનમાં જે વિચારકોને ટાંક્યા છે તેઓ માનવીય ચેતના અને અર્થવત્તાને વિસ્તારતાં સાધનોની હિમાયત કરે છે. બીજા શબ્દોમાં માનવીને અને તેની રચનાઓને માત્ર સંકેતવ્યવસ્થાના ભાગ રૂપે જોવાને બદલે માનવચેતનાનાં આવિષ્કરણો તરીકે જોવાની ભલામણ છે. સોસ્યુરના ભાષાસિદ્ધાન્તમાંથી વિકસેલી આધુનિક અને અનુઆધુનિક સંરચનાનાં ભયસ્થાનોનો નિર્દેશ કોલિન ફોકના ‘સોસ્યુરીઅન થિયરી ઍન્ડ અબોલીશન ઑવ્ રિઅલિટી’ લેખમાં કરવામાં આવ્યો છે. ફોક અંતે કહે છે: ‘સોસ્યુરનો સિદ્ધાન્ત આપણા જીવનમાંથી સદેહતા, પારગામિતા, આત્મત્વ (એટલે કે પોતાની જાત), અંતઃસ્ફુરણ, સર્જકતા, ગૃહીત થતો ભાષાબાહ્ય અર્થ, પાઠનો નિર્ણીત કરી શકાતો અર્થ, કવિતા, ઐતિહાસિક સંદર્ભ અને સત્ય – એ બધાંને રદબાતલ કરે છે.’ (‘એતદ્ ‘ – જુલાઈ/સપ્ટેમ્બર, ૧૯૮૭). આધુનિક-અનુઆધુનિક અભિગમોનો અવારનવાર પરિચય કરાવનાર સુરેશ જોષી ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ વિશેના પરિસંવાદમાં પરંપરાગત વિભાવનાઓનો સ્વીકાર કરે છે: ‘મારી જીવન વિશેની માન્યતાઓ કે દર્શન અલગ છે. પણ કૃતિના આનંદાનુભવમાં તે ક્યાંય વચ્ચે આવે છે? સાહિત્યમાં જ એવી શક્તિ છે જે સંસ્કૃતિના સીમાડાઓ ઓળંગી જાય છે!’ ‘પ્રજા જો રેઢિયાળ માન્યતાઓના બોજા હેઠળ કચડાતી હોય કે એનો આત્મા દોદળો થઈ ગયો હોય તો એને ઊભા કરવાનું કામ કવિ કે સર્જક કરશે.’ ‘કૃતિનાં જે ઘટકો છે, જે રચનાપ્રક્રિયા વડે એક બીજા સાથે ગુંથાય છે અને એના વડે જે બને છે એ ભાગની વાત કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. જે વાસ્તવિકતા હતી તે આ હતી તેમ જ્યાં સુધી બતાવ્યા કરીશું અને રચનાપ્રક્રિયાની વિગતોથી દૂર જઈશું ત્યાં સુધી આપણું વિવેચન એકાંગી રહેશે.’ (‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’  : સં. નીતિન મહેતા) આ અવતરણો દ્વારા રૂપરચના, સર્જકની ઉપસ્થિતિ અને તેની કેન્દ્રવર્તી સત્તા જેવી પરંપરાગત વિભાવનાઓનો સ્વીકાર સૂચવાય છે. સુરેશ જોષીની સાથે સાથે રસિક શાહ તેમના છેલ્લા લેખ ‘રસકીય સંવિત્તિ’માં રસકીય અનુભૂતિનો, પ્રત્યક્ષીકરણના મહત્ત્વનો સ્વીકાર કરે છે તો જયંત પારેખ ‘નવલિકામાં ભાષા’ લેખમાં રૂપરચનાવાદનાં ગૃહીતોનો પૂરેપૂરો સ્વીકાર કરે છે. શું કરીશું વિવેચનની આ પરંપરાવાદી ભાષાનું અને તેના અભિગમોનું? બીજી પેઢીના વિવેચકોમાંથી પહેલાં સિતાંશુ યશશ્ચન્દ્રનો લેખ ‘અપરાધની ઉત્તરે-મેઘદૂતની જ્ઞાનમીમાંસા તરફ’(‘એતદ્’ – એપ્રિલ/જૂન, ૧૯૮૭) જોઈએ. એમનાં કેટલાંક વિધાન આ રહ્યાં : ‘પેલો ચિત્રકાર બાહ્ય ભૂમિદૃશ્યને ઢાંકે છે તો આ કવિ પોતાના મેઘના આચ્છાદનથી કોઈ ચિત્તપ્રદેશને સૂચક રીતે આવરી તો નથી લેતો ને?’ ‘મેઘદૂતના કવિ રૂપે જ નહીં, પણ સમગ્રતયા એક બળકટ અને કુશળ સર્જક લેખે કાલિદાસ મનુષ્યપરિસ્થિતિને અને અસ્તિત્વ માત્રને ઓળખવાની મથામણ કઈ રીતે કરે છે? એમાં એ કવિ કેવા માણસો કઈ જીવનરીતિની પડખે, અંતતોગત્વા ઊભો રહે છે?’ ‘કાવ્યમાં પહેલા સૌથીયે વધારે શ્લોકોમાં જે કવિકર્મ થયું છે, જે આલેખાયું છે તે શું છે? કાવ્યની સમગ્રતા સાથે એનો શો સંબંધ?...કાલિદાસ સૌન્દર્યનિર્માણ કઈ રીતે કરે છે એ સમજવા માટે એના કાવ્યની અખંડિતતાને ને સમગ્રતાને પહેલાં પામવી જોઈએ.’ ‘મેઘદૂતના મૂળમાં જ્ઞાન નથી, કામ છે, ચૈતન્ય છે. ‘મેઘદૂત’ માણસની પ્રાણશક્તિનું કાવ્ય છે, એક વાઇટલ પોએમ છે.’ સમગ્રતા, સૌન્દર્યનિર્માણ, કવિકર્મની વિભાવનાઓ શું સૂચવી જાય છે? સાથે જ, આખો લેખ વાંચતાં આપણા મન ઉપર કઈ છાપ પડે છે? ‘મેઘદૂત’ વાંચીને સિતાંશુ યશશ્ચન્દ્રને એ કૃતિમાં સાકારિત થયેલી અનુભૂતિની એક આગવી અનુભૂતિ થઈ. એક ચૈતન્ય સામે બીજું ચૈતન્ય. આ બે ચૈતન્યના સન્નિકર્ષમાંથી જન્મતું અભિજ્ઞાન કૃતિના અત્યાર સુધી નહીં આલોકિત થયેલા પ્રદેશને પહેલી વાર આલોકિત કરી બતાવે છે; આ વિવેચનની ભાષા અસ્તિત્વની અને એની સાથે થતા અભિજ્ઞાનની વાત કરે છે. એ વાત દ્વારા કાવ્યાત્મક સત્યના પ્રશ્નો પણ ઊભા કરે છે. સંરચનાવાદી વ્યવસ્થાના કોઈ નિયમો ‘મેઘદૂત’ના હાર્દને આ રીતે પ્રગટ કરી શક્યા હોત ખરા? હવે આનાથી જુદા જ પ્રકારની ભાષા ઉચ્ચારતા ચન્દ્રકાન્ત ટોપીવાળાનો લેખ ‘કવિતા અને સંવ્યય’ લઈએ. થર્મોડાયનેમિક્સ કે કાર્નિવલવાળી ભૂમિકાને બાજુ પર રાખીને કેટલાંક વિધાનો જોઈએ : ‘અન્ય કલાઓની જેમ સાહિત્યની કલા પણ એક દૂરત્વ સર્જવા માગે છે અને એ દૂરત્વ સર્જવા માટે ભાષાની વ્યવસ્થા ઉપર એ પોતાની અલાયદી વ્યવસ્થા લાદવા પ્રયત્ન કરે છે.’ ‘આથી જ તો કવિતાનો ઇતિહાસ એ સતત પ્રણાલીઓને સ્થાપિત કે વિસ્થાપિત કરવાનો ઇતિહાસ છે!’ આગવી વ્યવસ્થા દ્વારા કશીક વિશિષ્ટતાનો સ્વીકાર થાય છે અને સાથે સાથે ઐતિહાસિક પરંપરાઓનાં પ્રસ્થાનબિંદુઓનો પણ પ્રત્યક્ષ સ્વીકાર છે. આ વિવેચક ‘અન્યાધાન’ શીર્ષક હેઠળ જે ગણાવે છે તે જુઓ – ‘પ્રસ્તુતના સન્દર્ભમાં અપ્રસ્તુતનું ગ્રહણ, અન્ય તરફ સહેતુક સંક્રમણ, પ્રતીક-કલ્પન સુધી એનું વિઘટન અને વિસ્તરણ.’ આ પરિભાષા અને વિભાવના શું સૂચવે છે? પ્રતીક-કલ્પનની ચર્ચા તમને પુરાકલ્પન, મીથ સુધી લઈ જશે . વળી પોતાની વાતને હંમેશાં મૂર્ત પદ્ધતિથી રજૂ કરવાની એક અનુકરણીય પ્રણાલીવાળા ચન્દ્રકાન્ત ટોપીવાળા રાજેન્દ્ર શુકલની કવિતાની જે ચર્ચા કરે છે તે જુઓ. વિવેચક ક્યાંય પણ કૃતિની બહાર જતા નથી. તેમણે સંવ્યય અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની જે યાદી બનાવી છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કૃતિનિષ્ઠ વિવેચનની સૈદ્ધાન્તિક ભૂમિકાનો સ્વીકાર છે; અહીં ભાષાકર્મની વાતને પ્રાધાન્ય આપીને તથા ભાષાવિજ્ઞાનની ખપ પૂરતી મદદ લઈને પોતાની વાતને વધારે વસ્તુલક્ષી બનાવવાનો પ્રયત્ન છે અને સાથે સાથે કૃતિની સમૃદ્ધિનો અને વિવેચનાની મર્યાદાનો નમ્ર સ્વીકાર છે. સુમન શાહે ‘સંરચના અને સંરચન’માં અનુઆધુનિક ચિંતકોની ભૂમિકાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે. પૂર્વાર્ધને બાજુ પર રાખીને ગુજરાતી કૃતિઓની ચર્ચા કરતા ઉત્તરાર્ધને ધ્યાનમાં લેતાં આટલાં ગૃહીતો સ્પષ્ટ થાય છે : ૧. ‘સર્જકતાને કારણે સામગ્રી કળામાં રૂપાંતરિત થતી હોય છે.’ (૧૭૨) આ સર્જકતાની વિભાવના પણ તેમણે સ્પષ્ટ કરી આપી છે-‘શબ્દને જીવંતતા નવ્ય અર્થ આપવાનું કર્મ એટલે સર્જકતા.’ રૂપરચનાની ભાષાનો, શબ્દશક્તિનો અને તેના પગલે પગલે અર્થઘટનની પ્રવૃત્તિનો અહીં સ્વીકાર છે. ૨. ‘મૂળમાં તો ભાષા આ વસ્તુજગત સાથેના આપણા સંબંધને ધારણ કરતી એક વ્યવસ્થિતિ જ છે.’ આ વાત સાચી પણ સંરચનાવાદનો ઉદ્ભવ જેની વિચારણામાંથી થયો છે એ સોસ્યુરે આ ગૃહિત સ્વીકાર્યું છે ખરું? સોસ્યુરના વિચારોનો એક નિષ્કર્ષ આ રહ્યો- ‘કોઈ ભાષાબાહ્ય પરિણામ સાથે કે વાસ્તવગત ‘ઉપસ્થિતિ’ની સાથે ભાષાને કશો પણ બુદ્ધિગમ્ય સંબંધ હોવાનું સ્વીકારી ન શકાય.’ (એતદ્ - જુલાઈ/સપ્ટેમ્બર, ૧૯૮૭) બીજા શબ્દોમાં સુમન શાહ ઉત્તરાર્ધમાં જે ભૂમિકા સ્વીકારે છે તેને પૂર્વાર્ધમાં ચર્ચેલા ચિંતકો સ્વીકારવા માગતા નથી. ૩. ‘(ન્હાનાલાલની) ઘણી રચનાઓ રસાનુભવ કરાવવામાં નિષ્ફળ જાય છે.’ ન્હાનાલાલના સંદર્ભે આ વિધાન સાચું કે ખોટું એ પ્રશ્ન બાજુ પર રાખો. રસાનુભવનો સ્વીકાર તો થયો, વ્યવહારાનુભવથી તેની ભિન્નતા સ્વીકારાઈ. સાહિત્યતત્ત્વમાં શ્રદ્ધા રાખતા કોઈ પણ વિવેચકે આ વાત તો સ્વીકારવી જ પડે, પૂર્વાર્ધવાળા ચિંતકો સ્વીકારે કે ન સ્વીકારે. ૪. ‘ભાષાના વ્યાકરણ સાથેનો કાવ્યભાષાનો કે કવિની શૈલીનો ભેદ ધ્યાનનો વિષય બનતાં, વિવેચના હવે માત્ર વર્ણનાત્મક છે. અર્થઘટન કે મૂલ્યાંકનના મુદ્દાઓને તેણે ભાવકની અંગત ભૂમિકાના ગણ્યા છે.’ (૧૮૬) ૫. ‘વિશેષણપ્રાયુર્યને કારણે ‘એમનું કાવ્યસર્જન સંવેદનો, ભાવનાઓ કે મૂલ્યોના મૂર્તીકરણને વિશે દોદળું રહ્યું છે.’ આ વિધાનોમાંનું પહેલું વિધાન અતિવ્યાપ્તિયુક્ત અને ગર્ભિત અર્થમાં આદેશાત્મક છે. પણ એ મુદ્દો બાજુ પર રાખો. આ બંને વિધાન સાચાં હોઈ શકે પણ એક જ નિબંધમાં સાચાં હોઈ શકે? કારણ કે આગળ જતાં તો સુમન શાહ ‘કલાનુભવ અને રસતત્ત્વ જેવાં નિરપેક્ષ મૂલ્યોને વરેલા વિવેચકોને’ આવકારે છે. (૧૯૭) ૬. ‘કાવ્યરચયિતાનો પૂર્વપરિચય હાથ પરની કૃતિને સમજવામાં મદદ કરે છે અથવા તો કાવ્યભોક્તાની પરિમાર્જિત રુચિ જ એના દલેદલને ખોલી શકે છે એમ કહેનારું સિદ્ધાન્તવિવેચન દેખાતી રીતે જ કૃતિની સર્વોપરિતાને લેખે લગાડતું નથી. કૃતિનાં તમામ તત્ત્વોની સ્વાયત્ત સંબંધ ભૂમિકાને એ ભ્રાન્તિપૂર્વક અવગણે છે. સંરચનાવાદી દર્શને સમ્બન્ધ ભૂમિકાની સ્વાયત્ત અને કેન્દ્રવર્તી સત્તાનો અનર્ગળ મહિમા કર્યો છે.’ કૃતિની સર્વોપરિતાનો ખ્યાલ કૃતિનિષ્ઠ વિવેચન તરફ લઈ જાય. તમામ સંબંધોવાળી સ્વાયત્ત ભૂમિકાનો ખ્યાલ ‘અખંડ પુદ્ગળ’ની ભૂમિકા તરફ લઈ જાય. પણ કેન્દ્રવર્તી સત્તાનો સ્વીકાર સંરચનાવાદ કરે છે ખરો? રાધેશ્યામ શર્મા ઉમાશંકર જોશીની ‘છેલ્લું છાણું’ વાર્તાના આસ્વાદમાં વૈયક્તિક પ્રતિભા પુરસ્કારે છે તે પણ આની સાથે સરખાવવા જેવું છે. પરિસ્થિતિ એવી જણાય છે કે કૃતિને અથવા સર્જકને પામવાની- સમજવાની આપણી મથામણો જે સ્વરૂપની છે તેની સાથે સંરચનાવાદને – ખાસ તો અનુઆધુનિક સંરચનાવાદને સંબંધ નથી. હવે જો આવો સંબંધ ટકાવવો, દૃઢાવવો, વિસ્તારવો હોય તો પછી વિવેંચનમાં જે ભાષા આપણે પ્રયોજીએ છીએ તે ન ચાલે, એનું આમૂલ પરિવર્તન કરવું પડે; જે કરવાની તૈયારી આપણામાંથી બહુ ઓછાની હશે. જો કોઈ એમ કહે કે આ વિવેચના પરંપરાવાદી છે, આધુનિક અનુઆધુનિક યુગમાં આવું બહુ ન ચાલે, તો વળી કટોકટી ઘેરી બને. આવે વખતે આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સાહિત્યવિવેચન અથવા સૌન્દર્યશાસ્ત્ર સ્થૂળ અર્થમાં વિજ્ઞાન નથી. અહીં તો પરસ્પરવિરોધી વિભાવનાઓ, અભિગમો, પદ્ધતિઓને પણ સ્થાન છે. ત્રીજી પેઢીની વિવેચનાની ભાષા પણ આ જ મુદ્દા પર ભાર મૂકે છે. અજિત ઠાકોર ‘લઘરો’ની સમીક્ષામાં ‘કથનરીતિ વડે કથયિતવ્યના રૂપાંતરણ’ની ‘રૂપનિર્માણની જવાબદારી’ની વાત કરે ને ‘કવિની સંવિત્તિ’, ‘કવિનું દર્શન’ પણ ચર્ચે છે. મોહન પરમાર ‘ઇચ્છાવર’ની સમીક્ષામાં રૂપરચનાવાદનાં ગૃહીતોનો અલંકરણ પૂરતો ઉપયોગ કરીને સામગ્રીલક્ષી ચર્ચા કરે છે; પણ આવા કશા અલંકરણ વિના રમેશ દવે ‘કિલ્લો’ની સમીક્ષામાં વધુ વ્યવસ્થિત રીતે સામગ્રીલક્ષી ચર્ચા કરીને કૃતિની ભાષાને તપાસવાનો પ્રયાસ કરે છે. જોસેફ મેકવાનની કૃતિઓને આંખો મીંચીને આખું ગુજરાત વધાવતું હોય ત્યારે એમની કૃતિની મર્યાદાઓ તટસ્થતાથી, માર્મિકતાથી સ્પષ્ટપણે જાહેર કરવી જોઈએ – આવી એક જવાબદારી મણિલાલ પટેલ ‘વ્હાલનાં વલખાં’ની સમીક્ષા દ્વારા પાર પાડે છે, એ સમીક્ષાની ભાષા પણ રૂપરચનાવાદી છે. આ ભાષાનો ઉપયોગ તેઓ ‘ખડકી’ની સમીક્ષામાં કોઈક કારણસર કરી શક્યા નથી. સનત્ ભટ્ટ ‘કલ્પતરુ’ની સમીક્ષામાં રૂપરચનાવાદી અભિગમ પ્રયોજીને કાળયોજના, શૈલી, ઘટનાવિન્યાસની વિશિષ્ટ તરાહની સાભિપ્રાયતા ખૂબ જ સૂઝ સાથે ચર્ચે છે. ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા’ના કિશોર જાદવનો અભિગમ તો સંપૂર્ણપણે રૂપરચનાવાદી છે. તેમનો એક લાક્ષણિક પરિછેદ જુઓ : ‘કોઈ એક કળાકૃતિને તેનું અંતર્ગત સૌન્દર્ય ધરાવતો એક કળાપદાર્થ આપણે લેખીએ છીએ કે જેની પ્રકૃતિનું પૃથક્કીય પરીક્ષણ કરી શકાય. તેનો અર્થ એવો થતો નથી કે કૃતિની ગણના તેના સર્જકવ્યક્તિત્વના યા તો તેના સમયના કોઈ સનાતન સત્યના પ્રક્ષેપણ તરીકે જ કરવી, બલકે કૃતિનું કે ‘કૃતિ’ લેખે જ, તેનાં સર્વ ઘટક અંશોના અસરકારક સંયોજન તરીકે, તેની પોતીકી સંશ્લિષ્ટતા સહિતની ‘પૃથક્’ અખિલાઈના બળે તે સ્વયંપર્યાપ્તતા સિદ્ધ કરે છે તે લેખે ચકાસણી કરવી ઘટે.’ સંરચનાવાદના આક્રમણ સામે રૂપરચનાવાદનાં શસ્ત્રો પશ્ચિમમાં હવે બુઠ્ઠાં થઈ ગયાં છે, પણ આપણી તપાસમાં ગુજરાતી વિવેચનનો નકશો કંઈક જુદો લાગ્યો છે. એકલદોકલ અપવાદને બાદ કરતાં સરવાળે તો આપણી ભાષા રૂપરચનાવાદી છે. આને પછાત મનોદશા ગણવી કે આ અભિગમ પ્રત્યેની અનન્ય પ્રતીતિ? બીજી બાજુ, પશ્ચિમમાં પરંપરાગત સાહિત્યવિવેચનને તથા સંરચનાવાદને વિકસાવવામાં અન્ય વિદ્યાશાખાઓના વિદ્વાનો મહત્ત્વનો, પાઠ ભજવે છે, આવો પાઠ ભજવવાની હજુ આપણે ત્યાં શરૂઆત થઈ નથી; જ્યાં થઈ છે ત્યાં સાવ પ્રાથમિક કક્ષાની. આના અભાવે આપણું જ્ઞાન અપૂર્ણ જ રહે છે. અત્યારે સર્જનાત્મક સાહિત્યમાં કટોકટી વરતાઈ રહ્યાનું ઘણા સ્વીકારશે. આ પરિસ્થિતિ સામે આપણો પ્રતિભાવ કેવો હતો એનો ઉત્તર ભાવિ વિવેચનાએ આપવો પડશે. સાહિત્યતત્ત્વને પારખ્યા વિના જ જે સર્જકભક્તિ પ્રગટી રહી છે તેનાં પરિણામો કલ્પી લેવાં જોઈએ. વળી બ. ક. ઠાકોરની જેમ ગુણ અને દોષ કોને કહેવા તેનું જાણે શાસ્ત્ર જ નથી એવું શા માટે ઉચ્ચારવું પડે છે? ઉત્તમ સાહિત્યકૃતિઓના પરિચય પછી જે પ્રકારનું વ્યક્તિત્વ પાંગરવું જોઈએ તે કેમ નથી પાંગરતું? ગુજરાતી વિવેચનની હજુ ઘેરી કટોકટી શોધવા માગનારે તત્ત્વજ્ઞાનની મદદ લઈને આ વિવેચનની ભાષા તપાસવી જોઈએ. આ ભાષામાં પ્રયોજાતાં સંશ્લેષણાત્મક, વિશ્લેષણાત્મક, મૂલ્યવાચક, તુલનાત્મક, ઐતિહાસિક વાક્યોનો ઉપયોગ કઈ ભૂમિકાએ થાય છે તેનો ઉત્તર મેળવવો જોઈએ. વિવેચનની પાછળ રહેલી વૈચારિક ભૂમિકાઓ કયા પ્રકારની છે તેનો અભ્યાસ કરીને કેટલાક નિષ્કર્ષો ઉપર આવવું પડે. નહીંતર તો સામે તમસ છે અને તમસો મા જ્યોતિર્ગમયની વાત કહેનાર - સાંભળનાર કોઈ નથી.

ડિસેમ્બર, ૧૯૮૭
‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૧ થી ૧૦