સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/અગસ્ત્ય પછી બીજા ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સાચું કહું? આ જુગતરામ અમારામાંથી ભાગી ગયેલા કવિ છે. તેઓ અમારામાંથી ભાગી ગયા અને થયા આત્મરચનાના કવિ. વેડછીનો વડલો જુગતરામભાઈની શ્રેષ્ઠ રચના છે. એમના માથે જીવનની રચના કરવાનું ઋષિકર્મ આવ્યું. અગસ્ત્ય પછી આ બીજા ઋષિ દક્ષિણાપથને મળ્યા. જુગતરામભાઈએ જે કામો કર્યાં છે તે પા-પા પગલી જેવાં છે, પણ તે વિરાટની પગલી છે. એ ધરુ છે. આવું થઈ શકે છે, એવી તે આપણને હૈયાધારણ આપે છે.