સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાન્તિ ભટ્ટ/તોફાનને નોતરો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એક ખેડૂત ભગવાનને સતત પ્રાર્થના કરતો : અમને દર વર્ષે ખૂબ વરસાદ આપો જેથી સારી ખેતી થાય. ભગવાને આશિષ સાથે નિયમિત વર્ષા આપવા માંડી. દર વર્ષે માપસર વરસાદ થવા લાગ્યો. પણ પછી એ ખેતરમાં ઊગેલા ઘઉંનો સ્વાદ ઘટી ગયો. સતત વરસાદ અને સતત ખેતીથી જમીનમાં કસ ન રહ્યો. એ ઘઉંની રોટલી ફિક્કી ફસ લાગતી. તેમાં મધુરતા નહોતી. આખરે ખેડૂતે ભગવાનને કહેવું પડ્યું : ભગવાન, હવામાનમાં યથેચ્છ પરિવર્તન લાવો. વાવાઝોડું, હિમ કે દુષ્કાળ પણ વચવચમાં ચાલશે. આવા તોફાન અને દુષ્કાળ પછી ખેતર વાવ્યા વગર પડ્યું રહેતું. તેમાં કુદરતી ખાતર પેદા થતું. બીજે વર્ષે વરસાદ આવે ત્યારે ઘઉંમાં સ્વાદ આવતો. એ પ્રકારે જ જીવનમાં સ્વાદ લાવવો હોય તો આપણા જીવનમાં કંઈક તોફાન હોવું જોઈએ. તોફાન વગર કે પડકાર વગરની જિંદગી, સરળ ઋતુમાં પાકતા ફિક્કા અનાજ જેવી હોય છે. માનવનું સાચું સત્ત્વ દુઃખ અને સંઘર્ષમાં જલદીથી પેદા થાય છે. જ્યારે તોફાન આવવાનાં હોય ત્યારે વૃક્ષ તેનાં મૂળ ઊંડાં નાંખે છે. એ પ્રકારે માણસે જાતે જ જીવનમાં પરિવર્તન કરીને તોફાનને નોતરીને પોતાનાં મૂળ ઊંડાં નાખવાં જોઈએ.