સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિશોરલાલ મશરૂવાળા/કૂવો અને હવાડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પ્રાચીન કાળથી અનેક પ્રકારનાં રાજકીય તંત્રો અને વાદોનો માનવસમાજ અખતરા કરતો આવ્યો છે. એકહથ્થુ રાજ, પ્રજારાજ, રાજાશાહી, તાનાશાહી, બહુમતશાહી વગેરે અનેક પ્રકારનાં તંત્રોની ચર્ચાઓ ચાલ્યા જ કરે છે. આનો અર્થ એટલો જ કે મનુષ્યને સુખી થવા માટે કોઈ પ્રકારના રાજતંત્રનું અસ્તિત્વ આવશ્યક છે એમ સૌને લાગે છે ખરું; પણ તેનું આદર્શ બંધારણ હજુ તે ખોળી શક્યો નથી. વિચાર અને અખતરા કરતો આવ્યો છે, અનુભવ લેતો આવ્યો છે, પણ હજુ કોઈ અખતરો લાંબા વખત સુધી સંતોષકારક કામ આપનારો સાબિત થયો નથી. દુનિયાના આજના ડાહ્યા માણસો અને તેમને અનુસરનારા દેશો ત્રણ મુખ્ય વર્ગમાં વહેંચાયેલા છે એમ કહી શકાય: પ્રજાકીય બહુમતશાહી (ડેમોક્રેસી), લશ્કરી તાનાશાહી (ફાસિસ્ટ ડિક્ટેટરશિપ) અને મજૂરોની તાનાશાહી (સામ્યવાદી ડિક્ટેટરશિપ). આપણા પોતાના દેશ માટે પ્રજાકીય બહુમતશાહી બંધબેસતી થઈ શકે એવો આપણા દેશના બહુ મોટા ભાગના સુજ્ઞ પુરુષોનો મત છે. પણ એ મૂળ પાયો સ્વીકાર્યા બાદ પણ મતાધિકાર, ચૂંટણીઓ, રાજકીય પક્ષો વગેરેના પ્રશ્નો ઓછા ઝઘડા અને ખુનામરકી કરાવનારા તથા મૂંઝવનારા નથી. કાના, માત્ર, જોડણી, વ્યાકરણ, વિરામચિહ્ન વગેરેની એક પણ ભૂલ ન હોય, અને બહુ સુવાચ્ય અક્ષરે લખાણ લખ્યું હોય, છતાં કાયદો વસ્તુ જ એવી છે કે જેનો અપ્રામાણિક ઉપયોગ કરવાના માર્ગો નીકળી જ આવે છે. કાયદાની સ્થાપના દંડશકિત પર શ્રદ્ધા રાખનારાઓએ કરેલી હોય છે. અનેક રીતે એ દંડશકિત નબળી નીવડે છે. પણ એ બધી નબળાઈઓનું એકમાત્ર કારણ બતાવવું હોય તો તે શાસિત પ્રજાનું ચારિત્ર છે. ‘કૂવામાં હોય તેટલું હવાડામાં આવે’ એ કહેવત જાણીતી છે. ‘તેટલું’ની સાથે ‘તેવું’ પણ ઉમેરી શકાય. એટલે કે ‘કૂવામાં હોય તેટલું ને તેવું હવાડામાં આવે.’ કૂવા કરતાં હવાડામાં ઓછું આવે, એમ બને છે જ. તેના કરતાં વધારે ન આવી શકે એ દેખીતું છે. વળી, કૂવાનું પાણી ચોખ્ખું હોય પણ હવાડામાં બગડે એમ બને; પણ કૂવાનું દૂષિત હોય અને હવાડામાં ચોખ્ખું આવે એમ બને નહીં. માટે કૂવા ઉપરાંત હવાડાની ચોખ્ખાઈ પર ધ્યાન આપવાની જરૂર રહે ખરી. પણ કૂવો ખરાબ હોય અને હવાડો ચોખ્ખો રહે એમ બને નહીં. હવાડો એ શાસકવર્ગ છે. કૂવો એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદાઓ અને બંધારણ ઘડો, સમસ્ત પ્રજાના ચારિત્ર કરતાં શાસકવર્ગનું ચારિત્ર ઘણું ઊચું હોય એમ બનવાનું નહીં; અને પ્રજા પોતાના ચારિત્રથી જેટલા સુખસ્વાતંત્ર્યને લાયક હોય તેથી વધુ સુખસ્વાતંત્ર્ય ભોગવી શકશે નહીં. જે રાજ્યપ્રણાલિકામાં શાસકવર્ગ કેવળ દંડશકિત જ મેળવતો નથી, પણ સાથે ધન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે, તેમાં શાસકવર્ગનું ચારિત્ર પ્રજાના એકંદર ચારિત્ર કરતાં વધારે હીન બને એવી બધી અનુકૂળતાઓ હોય છે. અને છેવટે શાસકવર્ગ પેદા થાય છે શાસિતોમાંથી જ. એટલે શાસિત પ્રજાના હીનતર ભાગના હાથમાં શાસન રહે એવું ધીમે ધીમે પરિણામ આવે છે. સર્વે પ્રકારની રાજ્યપ્રણાલિકાઓ થોડા વખતમાં સડવા માંડે છે તેનું આ જ કારણ છે. આથી, પ્રજાના હિતચિંતકોએ તેમજ પ્રજાએ પણ સમજવું જોઈએ કે સુખસ્વાતંત્ર્યની પ્રાપ્તિ કેવળ રાજકીય બંધારણ અને કાયદાઓની સંભાળપૂર્વક રચના કે ઉદ્યોગો વગેરેની યોજનાઓ દ્વારા સિદ્ધ નથી થવાની, કેવળ શાસકવર્ગમાં થોડા સારા માણસો હોવાથીયે નથી થવાની, પણ સમસ્ત પ્રજાની ચારિત્રવૃદ્ધિ તથા શાસકવર્ગના ઘણા મોટા ભાગની ચારિત્રવૃદ્ધિ દ્વારા જ થશે. સારા કાયદાઓ અને યોજનાઓ મદદ કરી શકે, પણ તે કેવળ સાધનરૂપે; મૂળ કારણ બની શકે નહીં. જો પ્રજાને દુ:ખી કરવા માટે તે જ પ્રજાના માણસોની જરૂર પડે એમ હોય તો દુષ્ટમાં દુષ્ટ વિજેતા બળવાન ચારિત્રવાળી પ્રજાને લાંબો વખત સુધી રંજાડી શકે નહીં. અને સુખી કરવા માટેયે તે જ પ્રજાના માણસોની જરૂર રહેતી હોય (અને તે તો હંમેશાં રહે જ) તો ધર્માત્મા રાજા અને પ્રધાનમંડળ પણ ચારિત્રશૂન્ય પ્રજાને લાંબો વખત સુધી સુખી રાખી શકશે નહીં. પણ આપણે તપાસીશું તો જણાશે કે આપણે આથી ઊલટી શ્રદ્ધા પર કામ કરીએ છીએ. આપણે માનીએ છીએ કે સામાન્યવર્ગ બહુ ભારે ચારિત્રવાન ન હોય, પણ સારા પગારો વગેરે આપી શાસકવર્ગ માટે તેમાંથી આપણે સારા ચારિત્રવાન માણસો મેળવી શકીએ ખરા, અને તેમની મારફતે જનહિતની યોજનાઓ તથા કાયદાઓ ઘડી પ્રજાને સુખી કરી શકીએ. આ, મેલા પાણીમાં થોડું ચોખ્ખું પાણી મેળવી બધું પાણી સારું કરી શકાય એના જેવી શ્રદ્ધા છે. આમ બની તો શકતું નથી, પણ સર્વત્ર પ્રચલિત આ શ્રદ્ધાનું પરિણામ એ આવે છે કે શાસિતવર્ગ પોતાની બધી સુખસગવડો માટે રાજ્ય તરફ જ જુએ છે, ખામીઓ માટે તેનો જ વાંક કાઢે છે અને જુદા જુદા પક્ષોની ચળવળોના તથા તોફાન કરાવનારાઓના શિકાર બને છે. જાણે ચૂંટણીઓ અને સરઘસો, પરિષદો, સમિતિઓ, ભાષણો, હડતાલો અને રમખાણો જ પ્રજાકીય શાસનનાં અંગો હોય! આટલું છતાં પ્રજાઓમાં વ્યવસ્થિત જીવન ચાલે છે તેનું કારણ રાજ્યના કાયદા કે વ્યવસ્થાશકિત નથી, પણ આ બધી ધાંધલો છતાં પ્રજાના મધ્યમ વર્ગોમાં રહેલી નૈસગિર્ક વ્યવસ્થાપ્રિયતા અને શાંતિપ્રિયતા છે. [‘સમૂળી ક્રાન્તિ’ પુસ્તક]