સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/સહજ સાધુતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજકાલ સાધુઓનાં કૌભાંડો બહાર આવવા લાગ્યાં છે. લોકોને આંચકો લાગે છે, કારણ કે લોકો સાધુ પાસે ઊચી અપેક્ષા રાખતા હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે લોકો જ સાધુને બગાડે છે. વેપારીઓ સાધુઓને લોભદીક્ષા આપે છે, અંધશ્રદ્ધાળુ સ્ત્રીઓ મોહદીક્ષા આપે છે. મંડપની ભીડ એમને અહંકારદીક્ષા આપે છે. લોભ, મોહ અને અહંકારથી ઘેરાયેલા મહારાજશ્રી આત્મા-પરમાત્મા અને મોક્ષની વાતો કરે ત્યારે શ્રોતાઓ ડોલી ઊઠે છે. જે રીતે સેક્સ-વિસ્ફોટ થઈ રહ્યો છે તેની અસરો હવે સાધુ-સંસ્થાને પણ પજવી રહી છે. જાહેરાતોમાં નગ્નતા જ નગ્નતા! ટીવીના પડદે નગ્નતાની ભરમાર. સાધુ શું આંખ મીંચીને જીવે? દિવસે નિહાળેલી નગ્નતા, રાત પડે ત્યારે આળસ મરડીને સ્વપ્નમાં બેઠી થાય છે. સામાજિક પરિસ્થિતિ એવી છે કે હવે ભાગ્યે જ કોઈ સાધુ પોતાની કામેચ્છાને રોકી શકે. એક સાધુનો આશ્રમ જોયો. આશ્રમમાં નિશાળ અને છાત્રાલય છે. એક ગરીબ છોકરો આશ્રમે આવ્યો. એને સાધુએ પૂછ્યું: “તારા બાપનું નામ શું?” છોકરો માથું ખંજવાળવા લાગ્યો. સાધુએ પૂછ્યું: “તારી મા ક્યાં છે?’ છોકરાએ કહ્યું: “ગામમાં દારૂ ગાળતી છે, તે મારી મા થાય.” સાધુએ મને કહ્યું: “સ્વરાજ મળ્યાને પંચાવન વર્ષ વીતી ગયાં પછી મારા ગામના છોકરાની આ દશા? આપણે કઈ સંસ્કૃતિનાં વખાણ કરીએ છીએ? આપણે કેવો સમાજ રચી બેઠા છીએ? આપણા સાધુબાવાઓની ઇમ્પોર્ટેડ ગાડીઓ જુઓ! અમારી સાધુ જમાતના ભવાડા જુઓ!” એ આશ્રમમાં શિષ્યમંડળ નથી, દાનપેટી નથી. વૈરાગ્ય છે, પરંતુ વૈરાગ્યની સભાનતા નથી. સાધુતા સાથે જોડાયેલો કોઈ બાહ્યાચાર નથી. આવી સહજ સાધુતાથી શોભતા સાધુનું નામ છે: હરિદાનજી. એ આશ્રમ કરજણ તાલુકાના મેથી ગામે છે. (ફોન: ૦૯૫૨૬૬૬-૨૮૧૦૯૯).