સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ લ. પંડ્યા/તાક્યું તીર મારનારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગુજરાતી ભાષાનો સર્વોત્તમ કવિ પ્રેમાનંદ છે, અને એ થઈ ગયો તે સેંકડામાં આપણા બધા મોટા કવિઓ ઘણું કરીને થઈ ગયા છે. આ તરફ શામળ ભટ્ટ વાર્તારૂપે પોતાના સમયનાં સંસારચિત્ર આપવાનો સંપ્રદાય પહેલવહેલો જ પ્રાકૃત ભાષાઓમાં દાખલ કરતો હતો; તો પેલી તરફ અખો ભગત, લોકોના મનને સોના સરખા વહાલા જે પરાપૂર્વના વહેમ, તેને હથોડો લઈને તોડવા મંડી ગયો હતો. વલ્લભ પોતાના મર્દાની સૂરથી વીરરસને લાયકની ભાષા બહુચરાજીની ભકિતમાં ગજવી રહ્યો હતો. તે વખતે ખેડાનું એક નાનું રત્ન કોમળ શૃંગારના ઝબકારા મારી રહ્યું હતું. એ પાંચે કવિઓ વિક્રમના અઢારમા સેંકડામાં થઈ ગયા છે. પ્રેમાનંદની કવિત્વશકિત અસાધારણ હતી. એ જે વિષય ઉપર લખે છે તેનું આબેહૂબ ચિત્ર વાંચનારની નજર આગળ ઊભું કરવાનું એ કદી ચૂકતો નથી. રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી નથી, અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશમાત્ર પણ રસભંગ થતો નથી. આવી રીતે એ કાવ્યસિદ્ધિ કરે છે, તેનું મુખ્ય કારણ એ છે કે એને જનસ્વભાવનું બહુ જ ઊડું જ્ઞાન છે. ક્યાં કેટલો અને કેવો રસ મૂકવો એ પ્રેમાનંદ બરાબર સમજતો હતો. એની ભાષા શુદ્ધ અને પ્રૌઢ, શૈલી સીધી અને સંક્ષિપ્ત તથા પદબંધન સરળ, ઘટ્ટ અને કોમળ છે. આ બધા ગુણોને લીધે એ કવિ ઘણો જનપ્રિય છે. એનાં ઘણાંખરાં કાવ્ય તો એક રીતે ગુજરાતમાં પૂજાય છે એમ કહીએ તોપણ ચાલે. હજારોને ‘સુદામાચરિત્ર’ શનિવારે, અને ‘હૂંડી’ રવિવારે ગાઈ જવાનો નિયમ છે. ગામેગામ ચૈત્ર માસમાં એનું ‘ઓખાહરણ’ તો ઊછળી જ રહે છે, જુવાન કે વૃદ્ધનાં અંત:કરણ વિહ્વળ કરી નાંખે છે, અને વ્યાસની એ કાવ્યથી રોજી ચાલે છે. શ્રાદ્ધના દહાડામાં જ્યાંત્યાં નરસિંહ મહેતાના બાપનું ‘શ્રાદ્ધ’ વંચાય છે, અને લોકો અડધી રાત આનંદમાં કાઢે છે. સુરત કે જ્યાંના લોકોએ એ કવિનો રસ વિશેષ ઝીલ્યો હોય એમ માલૂમ પડે છે ત્યાં દરેક સ્ત્રીની અઘરણી વખતે સાસરે ને પિયર ‘મોસાળું’ ગવડાવવું એ તો એક આચારનો જ ભાગ થઈ પડ્યો છે. ચોમાસાના દહાડામાં ત્યાં એક પણ ગામડું એવું નહિ માલૂમ પડે કે જ્યાં પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ વંચાતો નહિ હોય. ધન્ય છે પ્રેમાનંદને કે જેના કાવ્યસમુદ્રમાં પર્વેપર્વે સ્નાન કરવાને આટલા બધા જીવ ધાઈને આવે છે અને શુદ્ધ, કોમળ, તથા ભકિતમાન થઈને સંસારમાં પાછા વળે છે. ‘મામેરું’ એ ભકિતમાર્ગનું કાવ્ય છે. એનો ઉદ્દેશ નરસિંહ મહેતાનો દૃઢ વિશ્વાસ અને ભગવાનનું ભક્તાધીનપણું દર્શાવવાનો છે. કાવ્ય-વસ્તુ ઘણી નાની છે. મહેતાજીની પુત્રી કુંવરબાઈનું અઘરણી આવ્યું તે વેળા આ દેશની રીત પ્રમાણે મોસાળું તો કરવું જ જોઈએ, અને મહેતાજી પાસે ફૂટી બદામ પણ સંઘરામાં ક્યાંથી હોય? એ સમયે ભગવાન વાણિયાને રૂપે ભરસભામાં આવી મોસાળું કરી ગયા અને ભક્તની લાજ રાખી. જનવાર્તામાંથી આટલો પાયો લઈને તે ઉપર પ્રેમાનંદ કવિએ આ રસિક કાવ્ય રચ્યું છે. ભક્તચરિત્ર ઘણું કરીને નીરસ, અને કવિતાના શોખીનને કંટાળાભરેલાં લાગે છે. પણ પ્રેમાનંદના પ્રતાપે આ વિષય તેટલો જ સરસ અને મનોહર થઈ રહ્યો છે. એ કથામાં એક રસબીજ રહેલું છે તે આ કવીશ્વરની દૃષ્ટિએ પડ્યું, અને તેનું સિંચન કરી એણે તુરત એક સુંદર વૃક્ષ બનાવી દીધું. જગત-ભગતની રીત એકબીજાથી કેવળ ઊલટી છે; અને એ ઊલટાપણું જ કુશળ કવિના હાથમાં એક નવીન રસનું સાધન છે. એ કાવ્યનો નાયક નરસિંહ મહેતા છે. એ ભક્તરાજની નખશિખ મૂતિર્ કાવ્યમાં બંધાય છે. કુંવરબાઈનું રાંકડાપણું, એની માત્ર રૂપરેષા જ પાડી છે તેમાંથી પણ જણાઈ આવે છે. શ્રીરંગ મહેતો, જે ઘરસંસારી કામમાં સ્ત્રીનો જ દોરાયો દોરાય છે, તે હિંદુ કુટુંબ અને વિશેષ કરીને નાગર કુટુંબના ઉપરીનો ખરેખરો નમૂનો છે. સાસરામાં વહુને સાસુનણંદ શી રીતે હંમેશાં મેણાંઓઠાં માર્યા કરે છે તેનું આમાં બરાબર ચિત્ર આપ્યું છે. નાગરાણીઓની વાગ્વિદગ્ધતા અને નાગરોનો મજાકી સ્વભાવ આ કાવ્યમાં બરાબર વર્ણવ્યો છે. સઘળી કથા વાંચનારની આગળ આવીને મૂતિર્માન ઊભી રહે છે. આપણે વાંચતા નથી પણ જાણે જોઈએ છીએ એમ થાય છે, અને એક દેખાવની ઉપર બીજો દેખાવ ઝપાટાબંધ આવતો જાય છે તેથી એ કાવ્યના અંત સુધી આપણે એકચિત્ત થઈ રહીએ છીએ. જો કોઈ ચિતારો હોય તો એ ઉપરથી તે ઘણાં સરસ ચિત્ર કાઢી શકે: નરસિંહ મહેતાની વહેલનું વર્ણન, બધી ન્યાત ભરાયેલી છે ત્યાં નરસિંહ મહેતા દશવીસ વેરાગીઓની સાથે થાળ ગાવા મંડી જાય છે તે, પહેરામણીની વખતે વડસાસુ રિસાઈ જાય છે અને તેને ખીરોદક આપી મનાવી લાવે છે તે, વગેરે. મોસાળાની વખતે ભેગી થયેલી સ્ત્રીઓનું જે વર્ણન આપ્યું છે તે ખરેખરું લાલિત્યનું આનંદમય ચિત્ર છે. એમાં હાસ્ય, શાંત, કરુણ અને અદ્ભુત એ રસ અનુક્રમે ઓછાવત્તા આવેલા છે. ઘણો ભાગ હાસ્ય અથવા મસ્ત આનંદનો છે. કરુણરસ થોડો જ છે, પણ છે ત્યાં બહુ સરસ છે. તે છતાં કાવ્યનું સાધારણ અંગ આનંદનું જ છે; અને સીમંતના હર્ષના દિવસોમાં એને ગાવાનો જે સંપ્રદાય પડ્યો છે તે ખરેખર એક ઊચી રસિકતાનું જ ચિહ્ન છે. [‘નવલગ્રંથાવલિ’ પુસ્તક]