સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/કાયદો નહિ, કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રાજવી કવિ ભર્તૃહરિએ ગર્વભેર ગાયું છે: “સુકવિતા યધસ્તિ રાજ્યેન કિમ્.” “કાવ્ય જો કરું, પછી શું રાજ્યની જરૂર?” આ એક રાજવીએ ગાયું છે. એટલું જ નહિ, રાજ્યની નિ:સારતા સમજી લેનાર અને એને ત્યજી દેનાર એક દિલ ને દિમાગવાળા રાજવીએ ગાયું છે. કારણ? રાજવી એના રાજ્યની સીમાઓમાં અને તે પણ એ જીવે ત્યાં લગી જ રાજ્ય કરે, પણ કવિ તો સર્વત્ર અને મૃત્યુ પછી પણ રાજ્ય કરે છે. રાજવી કાયદા દ્વારા એટલે કે સત્તા દ્વારા રાજ્ય કરે, પણ કવિ તો કવિતા દ્વારા એટલે કે પ્રેમ દ્વારા રાજ્ય કરે છે. રાજવી સુવર્ણના સિંહાસન પર બિરાજે, જ્યારે કવિ મનુષ્યોના હૃદયના સિંહાસન પર બિરાજે છે. અંગ્રેજી કવિ શેલીએ કહ્યું છે: “અમે કવિઓ જગતના અવિધિસરના વિધાનકર્તાઓ છીએ.” આ વિધાનોનો એક જ અર્થ છે કે જે કાયદાથી ન થાય તે કવિતાથી થાય. ૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં કાર્લાઈલ, રસ્કિન, આર્નલ્ડ અને ન્યુમેનના નિબંધોથી અને ખાસ તો ડિકિન્સની નવલકથાઓથી અંગ્રેજ સમાજમાં જેટલું પરિવર્તન થયું હશે એટલું ભાગ્યે જ કાયદાથી થયું હોય. અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે જેને ‘એકવ્યકિતજન્ય ક્રાંતિ’ (one-man revolution) કહી છે તે ડિકિન્સે કરી છે. ઇંગ્લેન્ડમાં કાયદો, કેળવણી અને કેદખાનું મુખ્યત્વે આ ત્રણ ક્ષેત્રમાં જે ક્રાંતિ અને પ્રગતિ થઈ તે એક ડિકિન્સને આભારી છે. ૨૦મી સદીમાં પણ શો-ગોર્લ્સવર્ધીનાં નાટકોએ અને એ. પી. હર્બર્ટ જેવાની નવલકથાઓએ કાયદાથી વિશેષ કામ આપ્યું છે. આપણે ત્યાં પણ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’થી અને ન્હાનાલાલ અને કંઈક અંશે કલાપીની કવિતાથી અસંખ્ય ગુજરાતીઓનો સંસાર રસ અને સંસ્કારથી હર્યોભર્યો થયો હશે. પશુમાંથી પરમેશ્વર થવાનો આ પૃથ્વી પર મનુષ્યનો જે પુરુષાર્થભર્યો ઉપક્રમ છે એમાં એને પ્રથમથી જ ધર્મ, કળા, સાહિત્ય વગેરે પાસેથી સહાયની અપેક્ષા રહી છે અને સાહિત્યકારોએ સૈકાઓથી પોતાનો ધર્મ સમજીને એ સહાય મનુષ્યને પ્રેમપૂર્વક આપી છે. જીવનનાં ગહન રહસ્યો પ્રગટ કરવાનું, સમજ અને સહાનુભૂતિ સર્જવાનું, મનુષ્યનો મહિમા ગાવાનું અને અંતે મનુષ્યમાં જે ઈશ્વરી અંશ છે એનું દર્શન કરાવવાનું કર્તવ્ય યુગેયુગે સાહિત્યકારોએ બજાવ્યું છે. કાયદાનું પાલન મનુષ્યને માટે ફરજિયાત છે. જ્યારે કવિતા દ્વારા હૃદયધર્મનું પાલન મરજિયાત છે અને માટે જ મનુષ્ય એ પાલન જ્યારે કરે છે ત્યારે પ્રેમપૂર્વક કરે છે. મનુષ્યો સાથે કવિનો કોઈ કોલકરાર નથી. કવિ બધું જ મનુષ્યની સ્વેચ્છા પર છોડી દે છે. કાયદો મનુષ્યના બાહ્યવર્તન પર કાબૂ ધરાવે છે. કવિતા સૂક્ષ્મ અસરો દ્વારા મનુષ્યનો આંતરવિકાસ કરે છે. કાયદાથી જે ન થાય તે કવિતાથી થાય એના બે રમૂજી બનાવો બન્યા છે. નગરો રચ્યા પછી પ્રકૃતિ સાથે પોતાનો પુરાણો સંબંધ સ્થાપવા દક્ષિણ જર્મનીમાં બાગ બાંધ્યા ને લીલોતરીની લીલીછમ જાજમો બિછાવી. મનુષ્યનાં નેત્રોને આનંદ આપવા આમ કર્યું હતું. પણ લોકો તો બસ એના પર જ ચાલે, એનું બધું સૌંદર્ય બરબાદ કરે. નગરપાલિકાએ દંડ દાખલ કર્યો, ચેતવણીનાં પાટિયાં ચોડ્યાં, કાયદા કર્યા. પણ કંઈ જ અસર નહિ. અંતે કવિતાની ચાર પંકિતઓ ચીતરી. એનો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે છે. Wanderer, hail! But as you pass Walk on the road, Not on the grass; So we may look And tell for true Which are the cows And which are you. (સહેલાણી, આવો! પણ ચાલો ત્યારે રસ્તા પર ચાલજો, ઘાસ પર નહિ. જેથી અમે જોઈ શકીએ અને કહી શકીએ કે માણસ કોણ છે ને ઢોર કોણ છે.) પહેલી પંકિતમાં કેટલો આદરસત્કાર છે, કેવું આમંત્રણ છે, સન્માન છે. પછી કેવી વિનમ્ર વિનંતી છે. અને અંતે કેવો કટાક્ષ છે કે બુદ્ધિ બરોબર સમજી જાય છે. અને શરીરના બીજા છેડા લગી, પગ લગી છાનોમાનો સંદેશો પહોંચી જાય છે. પછી પગ કદી ઘાસ પર પડતા નથી. ત્યાર પછી ૧૯૩૭માં આધુનિક અમેરિકામાં ન્યુયોર્કની ટપાલ કચેરી સામેના બાગમાં પણ આમ જ બન્યું. નગરપાલિકાના અધિકારીએ સૂચના મૂકી કે ઘાસથી દૂર રહો. પણ કોણ વાંચે? પછી કવિતાની બે પંકિતઓ મૂકી: Let no one say and say it to your shame That all was beauty here until you came. (કોઈને એમ કહેવા ન દેશો, નહિ તો લાજી મરશો કે તમે પધાર્યા તે પહેલાં અહીં બધું જ સુંદર હતું.) આ બન્ને કવિઓએ એ નગરોના નાગરિકશિક્ષણમાં આવી સામાન્ય કવિતાથી પણ મહાન અર્પણ કર્યું છે. આ બે નાની હકીકતો સ્પષ્ટ પુરવાર કરે છે કે જે કાયદાથી ન થાય તે કવિતાથી થાય. કાલાન્તરે પણ આ પૃથ્વી પરથી જો અસદ્ અલોપ થશે તો કોણ કરશે? મનુષ્ય પરમેશ્વર થાય તે પહેલાં એને પશુમાંથી મનુષ્ય કોણ કરશે? કાયદો નહિ, કવિતા.

[‘સાહિત્યચર્યા’ પુસ્તક: ૨૦૦૪]