સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/સચિંત અને સક્રિય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રણજિતરામ[મહેતા]એ ૧૯૦૫માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક થવા લગીનો જે પુરુષાર્થ કર્યો તે ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું એક ભવ્ય પ્રકરણ છે. નર્મદ પછી અને ગાંધીજી પૂર્વે જો કોઈ વ્યકિત ગુજરાતના પ્રજાજીવનના મહાપ્રશ્નોમાં—આથિર્ક, રાજકીય, સામાજિક પ્રશ્નોના પ્રાણસમા સાહિત્ય અને શિક્ષણના પ્રશ્નોમાં—સૌથી વધુ સચિંત અને સક્રિય હોય તો તે રણજિતરામ. પાંત્રીસ વર્ષની અતિકાચી વયે અકસ્માતથી રણજિતરામનું મૃત્યુ થયું. એથી, એમનું વ્યકિતત્વ જેમાં નિ:શેષપણે પ્રગટ થયું હોત એવો ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ તો વણલખ્યો જ રહ્યો. પંદરેક વર્ષના લેખનકાળમાં રણજિતરામે વીસેક સામયિકોમાં સોએક લખાણો કર્યાં છે. ‘રણજિતકૃતિ સંગ્રહ’ અને ‘રણજિતરામના નિબંધો’—રણજિતરામના આ બે ગ્રંથોનું મરણોત્તર પ્રકાશન થયું છે. એમાં એમનાં પચાસેક લખાણો પ્રજાને સુલભ છે. બે પ્રસિદ્ધ ગ્રંથોમાં નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ આદિ સ્વરૂપોમાં લખાણો છે. [‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ પુસ્તક]