સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/હરિનાં દર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડયું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા,
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ — અળગા રે ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ! ક્ય્હારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.