સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અપહરણ થયેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંદુસ્તાનના ભાગલા પડ્યા તે કાળે ૧૯૪૬-૪૭માં દેશના જુદા જુદા ભાગોમાં કોમી રમખાણો થયાં તેમાં બીજી કોમની સ્ત્રીઓનાં અપહરણ પંજાબમાં મોટા પાયા પર થયેલાં : પાકિસ્તાની પંજાબમાં હિંદુ-શીખ સ્ત્રીઓનાં અને ભારતીય પંજાબમાં મુસલમાન સ્ત્રીઓનાં. પાકિસ્તાની પંજાબમાં ૨૫,૦૦૦ શીખ તથા હિંદુ ઓરતોને મુસલમાનો ઉઠાવી ગયેલા, તો પૂર્વ પંજાબમાં ૧૨,૦૦૦ મુસલમાન ઓરતોને ઉઠાવી જવામાં આવેલી. આવી રીતે બેય બાજુ અપહરણ થયેલી સામી કોમની બહેનોને પોતપોતાના પ્રદેશમાંથી શોધીને તેને તેના મૂળ વતનમાં પાછી મોકલવાના કરાર ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે ૧૯૪૭ની આખરમાં થયા, પછી તે માટેનાં તંત્રો બેય દેશમાં ગોઠવાયેલાં. તેનું કામ ચાલુ થયા પછી જાણવા મળ્યું કે અપહરણ કરાયેલી કેટલીક હિંદુ-શીખ સ્ત્રીઓનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરીને મુસલમાનોએ તેમની સાથે શાદી કરી લીધેલી. એવી કેટલીક સ્ત્રીઓ પોતાના મૂળ કુટુંબમાં પાછી ફરવા તૈયાર નહોતી થતી, કારણ કે એમને ડર હતો કે પોતે ભ્રષ્ટ થઈ છે એટલે હિંદુ-શીખ કુટુંબમાં હવે તેમનો સ્વીકાર નહીં થાય. સમાજે તેમનો આદરપૂર્વક સ્વીકાર કરવો જોઈએ અને બળજબરીથી વટલાયેલી બહેનોને તથા તેમનાં બાળકોને હિંદુ કે શીખ ગણીને જ ચાલવું જોઈએ, એવો આગ્રહ ગાંધીજી પોતાનાં પ્રાર્થના-પ્રવચનોમાં કરતા રહેતા. પાકિસ્તાનમાંથી અપહરણ કરીને ભારત લાવવામાં આવેલી મુસ્લિમ સ્ત્રીઓનું વલણ આ બાબતમાં જુદું રહેતું. પોતે ભ્રષ્ટ થઈ છે, કલંકિત થઈ છે, તેવી કોઈ લાગણી તે અનુભવતી નહોતી. [કમળાબહેન પટેલના પુસ્તક ‘મૂળ સોતાં ઉખડેલાં’માંથી સંકલિત માહિતી]