સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખેતીની જમીનની બરબાદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦ ઇંચ લાંબી, ૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ જાડી ઇંટો વડે આપણી બધી ઇમારતો બંધાય છે અને હજાર નંગના રૂ. ૯૦૦થી ૧,૭૦૦ સુધીના ભાવે તે વેચાય છે. ખેતી માટેની ઉત્તમ જમીનની માટીમાંથી ઇંટો બને છે અને પછી તે જમીનમાં કશું જ નીપજતું નથી. દર વરસે ભારતને ૧૫૦ અબજ ઇંટની જરૂર પડે છે અને પરિણામે દર વરસે ૩૪,૦૦૦ એકર જેટલી ખેતીની ઉત્તમ જમીન બરબાદ થાય છે. અને છતાં ખેડૂતો જરાય ખચકાટ વગર પોતાની જમીન ઇંટના ભઠ્ઠાવાળાને વાપરવા આપે છે. કારણ કે તેનું સારું એવું ભાડું મળે છે; ઘણી વાર તો ખેડૂત એ જમીનમાં વાવેતર કરીને મેળવી શકે તેના કરતાં પણ વધારે. દેશના અંદાજે ૬૦,૦૦૦ ભઠ્ઠામાં બળતણ તરીકે હલકી જાતના કોલસા અને તેથીય સસ્તો રબરનો ભંગાર વપરાય છે. પરિણામે ભઠ્ઠાની આસપાસનાં ખેતરો પર વરસના સાત-આઠ મહિના સુધી રોજ સવારે ઝાકળ પડતું નથી પણ કાળી મેશ વરસે છે. તેમાંથી ક્ષય ફેલાય છે, ખાસ કરીને ભઠ્ઠા-મજૂરોનાં બાળકોમાં. [‘ડાઉન ટુ અર્થ’ પખવાડિક: ૨૦૦૫]