સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગઝલના જામમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આધુનિક ગુજરાતના એક ઉત્તમ ગઝલકાર અમૃત ‘ઘાયલ’નું નામ સ્મરણીય રહેશે. ૧૯૨૦ પછી ગુજરાતમાં ‘શયદા’થી ગઝલે જે પોતાનું આગવું વ્યક્તિત્વ ને કાઠું જમાવ્યું તેમાં અમૃત ‘ઘાયલ’નું પ્રદાન પણ મહત્ત્વનું છે. સરધાર(જિ. રાજકોટ)માં ૩૦ સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ તેમનો જન્મ. રાજકોટની આફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી. તે પછી ૧૯૭૩ સુધી સરકારી બાંધકામખાતામાં વિભાગીય હિસાબનીસ તરીકે સાવરકુંડલા, ભુજ, આદિપુર અને અમદાવાદમાં નોકરી કરી નિવૃત્ત. નિવૃત્ત જીવન રાજકોટમાં ગાળ્યું. ગુજરાતને ગઝલરસનું પાન કરાવનારા સમર્થ ગઝલકારોમાં અમૃત ‘ઘાયલ’ અગ્રેસર છે. ‘ઘાયલે’ ગઝલલેખનનો પ્રારંભ કરેલો ૧૯૩૯માં. પોતાના આગમનની છડી પોકારતાં તેમણે લખેલું :

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર!
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ બામુલાહિજા હુશિયાર!

તે પછી તો તેમની પાસેથી ‘શૂળ અને સમણાં’ (૧૯૫૪), ‘રંગ’ (૧૯૬૦), ‘રૂપ’ (૧૯૬૭), ‘ઝાંય’ (૧૯૮૨), ‘અગ્નિ’ (૧૯૮૨), ‘ગઝલ નામે સુખ’ (૧૯૮૪) તથા છેલ્લે ૧૯૯૪માં તેમની સમગ્ર કવિતાનો સંચય ‘આઠોં જામ ખુમારી’ મળ્યા. તેમને તેમની ઉત્કૃષ્ટ ગઝલસર્જકતા માટે ૧૯૯૩નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. ૨૦૦૨માં તેમનું ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડથી પણ સન્માન થયું. ‘ઘાયલ’ની ગઝલમાં ખમીર ને ખુમારી છે. તેઓ પોતાની લાક્ષણિકતા દાખવતાં કહે છે :

‘ઘાયલ’, સાંભળી મને ડોલી ઊઠે ન કાં સભા?
મારા ગઝલના જામમાં જિંદગીનો ખુમાર છે.
આ મારી શાયરી યે સંજીવની છે, ‘ઘાયલ’,
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું!
તેઓ લખે છે :
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
— કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી!

‘ઘાયલ’ કેવળ ‘મયખાના’ના આદમી જ રહ્યા નહોતા; તેમને વાસ્તવિકતાના કઠોર અંદાજનીયે જાણ હતી. તેમણે દંભી ને ડોળઘાલુઓની વાત પણ વેધકતાથી ગઝલમાં કરી છે :

ચઢી આવે યદિ ભૂખ્યો કોઈ હાંકી ક્હાડે છે,
નથી કંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે;
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે,
અહીં માણસને મારી લોક, ઈશ્વરને જિવાડે છે!

આવી મર્મવાણી સંભળાવનારા ‘ઘાયલ’ પોતાની ગઝલોનાં બે મૂળ બતાવે છે : ‘મીઠાં સમણાં, વસમાં શૂળ’.