સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી!

From Ekatra Foundation
Jump to navigation Jump to search

દુઃખી ને દર્દીઓ કોઈ, ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા
તમારાં કર્ણ-નેત્રોની ઉઘાડી રાખજો બારી.
અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા
કિરણને આવવા સારુ, ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના, છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની ન્હાની ઉઘાડી રાખજો બારી.


[‘રા’ કવાટ’ નાટક]