સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુ ત્રેહાન/કયા અધિકાર છે? — કયા નથી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દરેક દેશના બંધારણમાં તેના નાગરિકોના કેટલાક પાયાના અધિકારો ગણાવવામાં આવ્યા હોય છે. તેનો ભંગ કરનારા કાયદા એ દેશની કોઈ પણ સરકાર કે સંસદ પણ ઘડી શકે નહીં. ઘડે તો તે બંધારણનો ભંગ થયો ગણાય, અને તેની સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં નાગરિકો દાદ માગી શકે. આવા પાયાના અધિકારોની સાથોસાથ કેટલાક દેશનાં બંધારણોમાં તેના નાગરિકોની પાયાની ફરજોનો પણ નિર્દેશ થયેલો હોય છે. ભારતના સંવિધાનના ભાગ ૪(ક)માં નાગરિકોની દસ પાયાની ફરજ નીચે મુજબ ગણાવેલી છે : ૧. બંધારણનું પાલન કરવું. ૨. સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને ચાહવા અને અનુસરવા. ૩. ભારતના સાર્વભૌમત્વનું સમર્થન અને રક્ષણ કરવું. ૪. દેશનું સંરક્ષણ કરવું અને સાદ પડે ત્યારે રાષ્ટ્રની સેવા બજાવવી. ૫. ધર્મની, ભાષાની અને પ્રદેશની વિવિધતાની ઉપર ઊઠીને ભાઈચારાની ભાવના ફેલાવવી; મહિલાઓના ગૌરવને માટે અપમાનજનક રિવાજોનો ત્યાગ કરવો. ૬. આપણી વિવિધતાભરી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું બહુમાન કરવું અને તેને સુરક્ષિત રાખવો. ૭. કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, તેને સુધારવું અને પ્રાણીમાત્ર માટે અનુકંપા રાખવી. ૮. વૈજ્ઞાનિક માનસ, માનવતા, કાર્યકારણની ખોજ તથા સુધારાની ભાવના વિકસાવવી. ૯. પ્રજાકીય માલમિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો સદંતર ત્યાગ કરવો. ૧૦. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિમાં ઉત્તમતા માટે મથવું, જેથી આપણું રાષ્ટ્ર સાધના અને સિદ્ધિની વધુ ને વધુ ઊંચી સપાટીએ સતત ચડતું રહે. નાગરિક તરીકે આપણને કેટલાક અધિકારો અવશ્ય છે, તેમ કેટલાક અધિકારો બિલકુલ નથી, એ પણ ખ્યાલમાં રાખવા જેવું છે. જે અધિકાર કોઈને નથી તેની કાંઈક આવી યાદી બનાવી શકાય : ૧. કોઈ પણ કાયદો તોડવાનો આપણને અધિકાર નથી. ૨. આપણે ચાહે તે કુળમાં જન્મ લીધો હોય, પણ કોઈ વિશેષ સગવડ માગવાનો આપણને અધિકાર નથી. ૩. કોઈ પણ વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે, અમુક જાતિ કે ધર્મની છે તે કારણે તેની સામે ભેદભાવ રાખવાનો આપણને અધિકાર નથી. ૪. કોઈની પણ સામે હિંસા કરવાનો આપણને અધિકાર નથી. ૫. લાંચ આપવાનો કે લેવાનો આપણને અધિકાર નથી. ૬. નશો કરીને એલફેલ વર્તન કરવાનો આપણને અધિકાર નથી. ૭. ગમે ત્યાં ગંદકી કરવાનો આપણને અધિકાર નથી. [‘આઉટલુક’ અઠવાડિક : ૨૦૦૨]