સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/ક્ષાત્રધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રામચંદ્રજી વનવાસ માટે નીકળ્યા ત્યારે હથિયાર ધારણ ન કરવાનો નિશ્ચય કરેલો. સાધુની જેમ ૧૪ વરસ રહેવાનું હતું. રસ્તામાં એક આશ્રમ આગળ હાડકાંનો ઢગલો જોઈને પૂછ્યું કે, આ શું? ત્યારે આશ્રમવાસીઓએ જણાવ્યું કે, આ છે ઋષિઓનાં હાડકાં; રાક્ષસો આવીને અમને ઉપાડી જાય છે અને પછી હાડકાં અહીં નાખી જાય છે. આથી ક્રોધ અને આવેશમાં આવીને રામચંદ્રજી કહે : “આશ્રમવાસીઓ, તમે જાઓ; નિરાંતે જપ-તપ-ધ્યાન કરો; આવા રાક્ષસોને હું હણીશ.” અને સીતાજીને કહ્યું, “લાવો મારાં ધનુષ્યબાણ!” સીતાજીએ ધનુષ્યબાણ આપ્યાં ને હળવેકથી કહ્યું : “તમે તો સાધુની જેમ હથિયાર હાથમાં ન લેવાનું વ્રત લીધું છે ને?” રામચંદ્રજી આવેશથી બોલ્યા : “હું તને તજી શકું, લક્ષ્મણને તજી શકું, પણ આ આર્તત્રાણને બચાવવાનો મારો ક્ષત્રિયનો ધર્મ કદી ન તજી શકું.” [‘સ્વરાજધર્મ’ પખવાડિક : ૨૦૦૧]