સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોરારજી દેસાઈ/— તો ક્યાંક ખામી છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્યનો આગ્રહ હતો પ્રથમથી જ. કોઈનો ડર ન રાખવો જોઈએ, એવી પણ માન્યતા. એટલે જે સાચું લાગે તે કહું, સાચું જ કહું. એમ પણ માનું કે સામો માણસ કંઈક ખોટો હોય છે એટલે સત્ય સહન કરી શકતો નથી, અને મારામાં તેને કટુતા દેખાય છે. પછી અનુભવ ને આત્મનિરીક્ષણને અંતે મને એવી ખાતરી થઈ કે સત્ય જો મૃદુતાથી રજૂ ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત ઉપર જો તેનો ધક્કો લાગે, તો આપણામાં જ કાંઈક ખામી છે. ઊંડા ઊતરતાં મને એમ પણ લાગ્યું કે સત્ય જો નિર્વિકાર ભાવે રજૂ કર્યું હોય તો, સાંભળનાર તે પ્રમાણે વર્તે કે ન વર્તે, આપણી સચ્ચાઈ વિશે તો તેને શંકા ન રહે અને તેમાં કઠોરતાનો અનુભવ ન થાય. ઘણી વાર માણસ ભયથી ખોટું બોલે છે અને તેને કારણે જ સત્યથી ભડકે છે. તો, સામા માણસને આપણો ભય ન લાગવો જોઈએ. તે અમુક વાત કરશે કે અમુક રીતે વર્તશે, તો આપણે નારાજ થઈશું ને તેને જોઈતો લાભ નહીં મળે, એવું તેને થવું ન જોઈએ. આપણે બીજાથી ભય ન પામીએ, તેમ બીજાઓ આપણાથી ભય ન પામે, એવી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન હોવો જોઈએ. સત્યને પ્રિય થવાની જરૂર નથી, એ માન્યતા બદલાઈ ગઈ છે. સત્ય જો પ્રિય ન થાય તો ક્યાંક ખામી રહેલી છે, એમ સમજી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. હું જાગૃત રીતે પ્રયત્ન કરું છું; હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે. [‘કૉંગ્રેસ પત્રિકા’ માસિક : ૧૯૬૦]