સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/પ્રશંસા-જળનો છંટકાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેટલાંક કામો એવાં હોય છે જેની કદી કોઈ પ્રશંસા જ નથી કરતું. એવા કેટલા માણસો હશે જેમણે સફાઈ કામદારના કામની પ્રશંસા કરી હશે? દરરોજ રસ્તા વાળવાના, દરરોજ ગંદકી સાફ કરવાની અને ઉપરથી દરરોજ મુકાદમોના ઠપકા જ સાંભળવાના! આવી જ સ્થિતિ કુટુંબમાં સ્ત્રીની હોય છે. અમારા એક મુરબ્બી ઘણી વાર હસીને કહે છે કે, પુરુષને આખી જિંદગીમાં માત્ર એક જ વાર સુવાવડ આવતી હોત તો ખબર પડી જાત! સહન કરનાર અને કુટુંબના ભલા માટે જ જીવનાર, બીજાને જમાડીને જમનાર અને કુટુંબના બીજા સભ્યોને બધી જ સગવડ કરી આપ્યા પછી વધીઘટી સગવડ સંકોચથી ભોગવનાર, જિંદગીભર એકધારાં નીરસ કામો અત્યંત રસપૂર્વક કરનાર અને છતાં એ કામો માટે પણ — રસોઈમાં મીઠું તો વધારે નહીં પડી ગયું હોયને? ઘરમાં કચરો તો નહીં રહી ગયો હોયને? સ્કૂલે કે ઑફિસે જવાનું કોઈને મોડું તો નહીં થાયને? એવો — કદાચ ફફડાટ અનુભવનાર, સેવાને માટે જ જાણે જન્મ ધારણ કર્યો હોય એવી ભારતીય સ્ત્રીની પ્રશંસા કેટલાં કુટુંબોમાં થતી હશે? પત્નીને સારી સાડી લઈ આપનાર, પિતા કે માતાને જાત્રએ મોકલનાર પુત્ર પોતે જાણે કેવુંય મોટું કામ કરી નાંખ્યું હોય એવો પોરસ અનુભવે છે; પરંતુ નિરંતર પ્રેમપૂર્વક સેવા કરનાર સ્ત્રીની આંગળીના નખ જેટલું પણ એ કામનું વજન થઈ શકતું નથી. પ્રેમનો જોકે કોઈ બદલો હોઈ શકતો નથી, પરંતુ પોતાના તરફથી આભાર તો માણસ પ્રગટ કરી શકે છે અને એ માટે ‘આભાર’ બોલવાની કોઈ જરૂર નથી હોતી. આભાર માણસના કામ અને વર્તનમાંથી પ્રગટ થાય છે, પ્રશંસાનાં બે વેણમાંથી પ્રગટ થાય છે. અને એવાં બે વેણ, આપણે માની પણ ન શકીએ એવી જીવનશક્તિનું સામી વ્યક્તિમાં સિંચન કરી શકે છે. બાળકના જીવનો તો જાણે વિકાસ જ મોટેરાંઓની પ્રશંસા પર અવલંબિત હોય છે. પુખ્ત ઉંમરના માણસો પ્રશંસા અને નિંદાથી અલિપ્ત રહીને જીવી શકે છે, પરંતુ બાળક એવી રીતે વર્તી શકતું નથી. નાનકડી વેલ જેવી એની સ્થિતિ હોય છે એને તમારે ટેકો આપવો પડે છે. યોગ્ય પ્રશંસાના વાતાવરણમાં ઊછરેલા બાળકમાં એને સદાય નિંદા, ઉપહાસ ને ટીકાઓ વચ્ચે ઊછરેલ બાળકમાં બહુ મોટો તફાવત હોય છે. ઘણી વાર તો બાળકને જે કાંઈ મળે છે એ જ મોટી ઉંમરે એ સમાજને પાછું આપે છે. સારા સમાજની ખેવના રાખનારે બાળકોના ઉછેરની ખેવના રાખવી જોઈએ. અને સારા ઉછેર માટે યોગ્ય પ્રશંસા ખૂબ જ જરૂરી હોય છે. આપણી ફરિયાદો પાર વિનાની છે, સરકાર સામે, સમાજ સામે, કુટુંબજીવન સામે ફરિયાદોની મોટી યાદી આપણી પાસે હોય છે. પરંતુ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે સારો સમાજ, સારું કુટુંબજીવન, સારું લગ્નજીવન એ કોઈ બજારમાં વેચાતી રેડીમેઈડ ચીજો નથી. સારા મકાનની જેમ એનું પણ આપણે ચણતર કરવું પડે છે. એટલું જ નહીં એ ચણતર લગભગ દરરોજ, જીવનની પ્રત્યેક ક્ષણે કરવું પડે છે. સારો બગીચો બનાવવા માટે ઘાસ અને જાળાંઝાંખરાં આપણે દૂર કરીએ છીએ. જીવનનો બગીચો ખીલવવા માટે પણ બીજાના અવગુણોને બાજુ પર રાખી દઈને એમના ગુણોને પ્રશંસાના જળનો થોડો છંટકાવ કરી લેવો જોઈએ. [‘સંદેશ’ દૈનિક : ૧૯૯૯]