સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/“આ જ મારો મુર્શિદ!”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


છેક ૧૮૮૮ની સાલમાં હું દાદાભાઈ [નવરોજી]ને ચરણે બેઠો, પણ મને એ મારાથી કેટલાયે દૂર જણાયા. હું એમનો પુત્ર થઈ શકત. [પણ] શિષ્ય એ પુત્રથી અધિક નિકટતાનો નાતો છે. શિષ્ય થવું એ નવો જન્મ લેવા જેવું છે. એ સ્વેચ્છાથી કરેલું આત્મસમર્પણ છે. ગોખલેની વાત નિરાળી જ હતી. એમને હું મળેલો — જાણે કોઈ પુરાતન મિત્રને મળવાનું થયું હોય, અથવા તો એથીયે વધુ સાર્થ શબ્દોમાં કહું તો જાણે ઘણા વખતથી વિખૂટાં પડેલ મા-દીકરો મળ્યાં હોય! તત્કાળ એમણે મારું હૃદયમંદિર સર કર્યું. રાજદ્વારી કાર્યકર્તા વિશેના મારા આદર્શનો એ સંપૂર્ણ નમૂનો હતા: સ્ફટિક જેવા નિર્મળ, ગાય જેવા ગરીબ, સિંહ જેવા શૂર અને ખોડ ગણાય એટલી હદ સુધી ઉદાર. જ્યારે મેં તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક જ ધ્વનિ ઊઠ્યો: “આ જ મારો મુશિર્દ!” [‘સત્યના પ્રયોગો’ પુસ્તક : ૧૯૨૭]