સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવન્ત મહેતા/વિજ્ઞાન-સાહસકથાનો સર્જક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફ્રાન્સનું નાન્તે શહેર : ઓગણીસમી સદીના પ્રથમાર્ધમાં ત્યાં એક અત્યંત કલ્પનાશીલ છોકરો વસતો હતો. કલ્પનાશીલ તો એવો કે કશું જ એને જેમનું તેમ દેખાય જ નહીં. પહાડ જુએ તો અંદર ગુફાઓની અને એમની અંદર વસેલી નગરીઓની કલ્પના કરે. વન જુએ તો એનાં ગાઢ વૃક્ષો વચ્ચે ચાલતાં કોઈ કારખાનાની કલ્પના કરે. દરિયો જુએ તો એને તળિયે વસતા માનવસમૂહોની કલ્પના કરે! એક દહાડો એની શાળાના શિક્ષકે નિબંધ લખવા કહ્યું. ‘હું મોટો થઈને શું કરવા માગું છું’, એવો એ નિબંધનો વિષય હતો. કોઈકે લખ્યું કે, હું રાજા બનીને રાજ કરવા માગું છું. કોઈકે લખ્યું કે, હું સેનાપતિ બનીને યુદ્ધો જીતવા માગું છું. કોઈ વકીલ, દાક્તર, ધર્મગુરુ, ખલાસી કે કરોડપતિ થવા માગતા હતા. પણ આપણા આ ભેજાબાજે શું લખ્યું તે એના જ શબ્દોમાં જોઈએ : “હું અજનબી દુનિયામાં સાહસની સફરે જવા માગું છું-એવી દુનિયામાં કે જ્યાં તાડનાં લાંબાં પાંદડાં હવામાં વીંઝાતાં હોય, જ્યાં લાલ અને લીલાં પંખી ટહુકા કરતાં હોય, જ્યાં ભેદભર્યાં વનોમાં માણસથી પણ ઊંચાં ઘાસ લહેરાતાં હોય. જ્યાં માનવીએ કદી નહીં દીઠેલી ગુફાઓ પોતાનાં જડબાં ફાડીને બેઠી હોય, જેમાં અટપટા છૂપા માર્ગો હોય અને જેમાં પડઘાનાં સંગીત બજતાં હોય…” આ છોકરાનું નામ જુલે ગેબ્રીએલ વર્ન. (કોઈક એના નામનો ઉચ્ચાર ‘ઝુલ’ કરે છે. ગુજરાતીમાં એના નામનો ઉચ્ચાર ‘જુલે વર્ન’ રૂઢ બન્યો છે, એથી આપણે અહીં એ ઉચ્ચાર સ્વીકારીને ચાલીશું.) ૮ ફેબ્રુઆરી, ૧૮૨૮ને દિવસે જન્મેલા જુલેને સાહસનો અને સફરનો એવો તો ગાંડો શોખ લાગ્યો હતો કે બારેક વર્ષની ઉંમરે એ ઘેરથી ભાગી નીકળેલો! એની ઇચ્છા કોઈક જહાજ પર નોકરીએ રહીને દુનિયા ઘૂમવાની હતી. કલ્પનામાં તો એ ઘણી વાર આવી ભાગંભાગ કરતો જ રહ્યો. નવરો પડે કે તરત અજબગજબની વાર્તાઓ લખે. આડેધડ ચિત્રો દોરે. પણ કેવાં ચિત્રો? ઘોડા વગરની ગાડીનાં અને આકાશમાં ઊડતી આગગાડીનાં અને દેશવિદેશની સફર કરનાર બલૂનનાં અને એવાં એવાં. ૧૮૪૭માં અઢાર વર્ષની ઉંમરે જુલેએ પૅરિસનો રાહ પકડ્યો. ત્યારે પૅરિસનાં ‘સલોન’ વિખ્યાત હતાં. બૌદ્ધિક ચર્ચાઓ અને સર્જનાત્મક આપલેની ભૂમિકા આ સલોન ભજવતાં. જુલેના કાકા પૅરિસના અગ્રણી નાગરિક હતા. એમણે જુલેને ‘સલોન’માં ઓળખાણો કરાવી આપી. એમાં મુખ્યત્વે લેખકો અને કવિઓ મળતા. પૅરિસમાં બીજું પણ ઘણું ઘણું હતું. ઢગલાબંધ છાપાં, કોડીબંધ માસિકપત્રો, ચોપડીઓ તો થોકેથોક છપાય. રાતભર નાટકશાળાઓ ચાલે. લેખકો, કવિઓ, નટો અને કલાકારોથી આખી નગરી ઊભરાય. જુલેએ નક્કી કર્યું કે જીવવું તો પૅરિસમાં અને એ પણ નાટ્યલેખક બનીને. પોતાની પ્રિય નગરીમાં એ ભટકવા લાગ્યો. એની આ રઝળપાટ દરમિયાન એક એવી ઘટના બની ગઈ કે એની આખી જંદિગી જ પલટાઈ ગઈ. એક રાતે જુવાન જુલે સંગીતનો જલસો સાંભળવા ગયો હતો. પણ એના સાહસરસિયા જીવને સંગીતમાં રસ ન પડ્યો. કાર્યક્રમની અધવચ્ચેથી ઊઠીને એ ચાલતો થયો. પોતાની રસભરી, અવનવી અને ઉટપટાંગ કલ્પનાઓમાં રમતો જુલે ઊંધું ઘાલીને સંગીતશાળાનો દાદરો ઊતરી રહ્યો હતો, ત્યાં તો અચાનક લૂગડાંના એક મોટા પોટલા સાથે અથડાઈ પડ્યો. સંગીતશાળાના દાદરા પર આ કયા ધોબીના બચ્ચાએ લૂગડાંનું પોટલું મૂક્યું હશે, એમ વિમાસતા જુલેએ નજર ઊંચી કરી. જરા ધારીને જોયું તો, આ તો પોટલું નહીં પણ પોટલા જેવો પહોળો પહોળો એક ગોળમટોળ માણસ જણાયો. જુલેએ અથડાઈ પડવા બદલ તેની માફી માગવા માંડી. પેલા પોટલાએ કહ્યું, “દોસ્ત! માફી માગવાની જરૂર નથી. તમે પોતાની કલ્પનાઓની દુનિયામાં ખોવાઈને દાદરો ઊતરતા હતા, એટલે અથડાઈ પડ્યા. ખેર! મને કાંઈ થયું નથી. ઊલટાની તમને મારી રાક્ષસી ફાંદ વડે ઈજા ન થઈ હોય તો જ નવાઈ! હા, હા, હા… પણ જુવાન, મને એક બીજો જ વિચાર આવે છે.” “કયો વિચાર?” જુલેએ પૂછ્યું. “વિચાર એવો છે કે-જે માણસ આટલો કલ્પનાવિવશ છે તે લેખક બને તો કેટલું સુંદર સર્જન કરી શકે!” જુલેએ બીતાં બીતાં અને સસંકોચ જણાવ્યું, “સાહેબ! હું લેખક જ છું.” “એમ? તો તો લાવો તમારું લખાણ! મને વાંચવા આપો. કાલે સાંજે મને ફરી મળો.” “આપ..?” “હો હો હો… મારી ઓળખ આપવાનું તો હું વીસરી જ ગયો. મારું નામ એલેક્ઝાંડર ડુમા.” આટલું કહીને, આગામી સાંજના મિલન માટેની સલોનનું નામ-સરનામું જણાવીને ડુમા દાદર ચડી ગયા. જુલે એમની ધીંગી પીઠ જોઈ જ રહ્યો. પોતે આજે ફ્રાન્સના એક વિરાટ સર્જકને મળ્યો છે, એના અહોભાવથી જ જુલે પુલકિત બની ગયો. ‘થ્રી મસ્કેટિયર્સ’ જેવી અનેક અદ્ભુત ઐતિહાસિક સાહસકથાઓના ડુમા અજોડ સર્જક હતા. પૅરિસમાં ત્યારે એમના નામનો ડંકો વાગતો. ડુમાના ચરિત્રનું એક ઉમદા પાસું હતું ઊગતા સર્જકોને પ્રોત્સાહન આપવાનું. અનેક સર્જકો એલેક્ઝાંડર ડુમાની સર્જકમંડળીના સાથી હતા. વળતી સાંજે યુવાન જુલે લેખકમંડળીમાં પહોંચી ગયા. ડુમાએ અન્ય સાહિત્યકારો સાથે જુલેની ઓળખાણ કરાવી અને જે કાંઈ લખે તે પોતાને બતાવવા સૂચવ્યું. ડુમા માત્ર વિખ્યાત જ નહીં, ધનવાન પણ હતા. એક થિયેટરના માલિક હતા. એમણે જુલેને થિયેટરમાં કામે રાખી લીધા. જુલેને વિજ્ઞાનસાહિત્ય લખવું હતું, પરંતુ એ માટેની અભ્યાસસામગ્રી નહોતી. ભાઈસાહેબે પૅરિસના જાહેર પુસ્તકાલયનું શરણું શોધ્યું. વહેલી સવારથી રાતે પુસ્તકાલય બંધ થાય ત્યાં સુધી લાઇબ્રેરીનો આશરો. એમાં બે લાભ હતા-ઘણાંબધાં પુસ્તકો વાંચવા મળે, અને કાતિલ ઠંડી સામે રક્ષણ પણ મળે. ઘરમાં રહે તો તો તાપવા માટે બળતણ બાળવું પડે ને? પુસ્તકાલયમાં બેસીને જુલેએ પુષ્કળ વાચન કર્યું. હજારો પાનાં ભરીને વિજ્ઞાનવિષયક નોંધો કરી. એ નોંધો અને વિજ્ઞાનના એ જ્ઞાન વડે જ પછીથી એની કૃતિઓ રચાઈ. અગાઉ મહાન સમાજચંતિક કાર્લ માર્ક્સે પણ આમ જ, લંડનની ટાઢથી બચવા શહેરના પુસ્તકાલયનો આશ્રય લીધો હતો. દક્ષિણ ફ્રાન્સના એમિયન્સ ગામે એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જુલે ગયેલા. ત્યાં ઓનરાઇન મોરૅલ નામની એક યુવાન વિધવાના પ્રેમમાં પડી ગયા. બેઉએ લગ્ન કર્યાં. દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું માઇકલ. માઇકલ આગળ જતાં પિતાનો લેખક-સહાયક બન્યો. વર્નના અવસાન પછી એમની પડી રહેલી કે અધૂરી રહેલી ઘણી કૃતિઓ શોધીને તથા મઠારીને માઇકલે પ્રગટ કરાવી. વર્નને પોતાની પ્રથમ વિજ્ઞાન-સાહસકથા લખવાની તક ૧૮૬૨માં મળી ગઈ. માનવીની આકાશમાં ઊડવાની ઝંખનાનું એક પરિણામ ૧૮મી સદીમાં ફ્રાન્સમાં જ જોવાયું હતું. ત્યાં હવા ભરેલા બલૂન વડે ઊડવાના સફળ પ્રયોગ થયા હતા. પછી એવા ગુબ્બારાને વધારે ટકાઉ, નિયંત્રિત, ઝડપી અને પોસાય તેવા બનાવવાની દિશામાં પુષ્કળ પ્રયાસો અને સંશોધનો ચાલતાં હતાં. જુલે વર્ને પણ તે વિષયની વ્યાપક નોંધો રાખી હતી. એટલામાં ફેલિક્સ નાદર નામનો મિત્ર જુલેને મળ્યો. કહે કે, મેં ‘જાયન્ટ’ નામનો ગુબ્બારો બનાવ્યો છે. એની વાટે યુરોપની મુસાફરી કરવા ધારું છું. એ પ્રવાસનો ખર્ચ કાઢવા માટે અખબારોમાં કશુંક છપાવવું છે. તમે કશુંક લખી આપો ને! આ સૂચને જુલે વર્નના મસ્તકમાં ઝબકારો કરી દીધો. એમને થયું કે ગુબ્બારો યુરોપ પર ઊડે એમાં ખાસ નવાઈ નહીં. પરંતુ અજાણ્યા અંધારિયા લાગતા આફ્રિકા ઉપર એ ઊડે તો કેવી કેવી મુશ્કેલીઓ સર્જાય? કેવાં જોખમો આવે? કેવાં સાહસ કરવાં પડે? આ દિવસોમાં મંગો પાર્ક, ડો. લિવિંગ્સ્ટન, સ્ટેનલી, વગેરેનાં આફ્રિકી સાહસો તાજાં હતાં. વિશાળ વિક્ટોરિયા સરોવરની શોધ હમણાં જ જાહેર થઈ હતી. એ પાર્શ્વભૂમાં, આફ્રિકા પરની ગુબ્બારાયાત્રાની કથા લોકોને ખૂબ ગમે. આથી એમણે આવી એક લાંબી કથા લખી નાખી. આ નવલકથા ‘ગુબ્બારામાં પાંચ સપ્તાહ’ની હસ્તપ્રત લઈને વર્ન પ્રકાશકોનાં પગથિયાં ઘસવા લાગ્યા. કાંઈ કેટલાય પ્રકાશકોને વંચાવી. પીટર હેઝેલ નામના પ્રકાશકે આખરે એ કૃતિ કેટલાક સુધારા પછી છાપવાની તૈયારી બતાવી. એણે વાચકોનાં દિલ જીતી લીધાં. કથા એટલી બધી લોકપ્રિય નીવડી કે તરત જ એનું અંગ્રેજી ભાષાંતર થયું, અને આટલાંટિકની બેય બાજુએ તેનું ધૂમ વેચાણ થયું. પ્રકાશક હેઝેલે વર્નનું મૂલ્ય સમજી લીધું હતું. એણે વર્ન સાથે એક કરાર કર્યો. એ કરાર અનુસાર, વર્ન જે કાંઈ લખે તે એમણે હેઝેલને પ્રગટ કરવા આપી દેવાનું હતું. બદલામાં હેઝેલ એમને પ્રતિવર્ષ ૧૦,૦૦૦ ફ્રાન્ક આપે. ૧૮૬૩ પછીનાં લગભગ ૨૦ વર્ષ સુધી દરરોજ સવારના ૫-૦૦થી ૧૦-૦૦ વાગ્યા સુધી વર્ને લખ્યે રાખ્યું. અનેક અવનવી વિજ્ઞાન-સાહસકથાઓ રચી. આશરે ૪૦ વર્ષ સુધી વર્ન પ્રતિવર્ષ ઓછામાં ઓછી એક અને ક્યારેક વધારે નવલકથાઓ હેઝેલને (અને જગતને) આપતા રહ્યા. ૧૮૬૪માં વર્ને એમની ઉત્તમ કૃતિઓમાંની એક ‘પૃથ્વીના કેન્દ્રનો પ્રવાસ’ ‘(જર્ની ટુ ધી સેન્ટર ઓફ ધી અર્થ’) આપી. આપણે આ કૃતિને મૂળશંકર મો. ભટ્ટના સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ ‘પાતાળપ્રવેશ’ દ્વારા ઓળખીએ છીએ. ૧૮૬૫માં વર્ને ‘પૃથ્વીથી ચંદ્ર’ ‘(ફ્રોમ ધી અર્થ ટુ ધી મૂન’) લખી. આ કથામાં જુલે વર્ને યાનને ચન્દ્ર સુધી પહોંચાડવા માટે એને એક વિશાળ તોપમાંથી છોડવાની કલ્પના કરેલી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી યાન છૂટી શકે એ માટે એમણે કલાકે ૨૫,૦૦૦ માઇલની ગતિની પણ કલ્પના કરેલી. એક સદી પછી એમની આ કલ્પનાઓ તદ્દન યથાર્થ પુરવાર થઈ. ૧૯૬૯માં અમરેકિનોએ ચન્દ્ર પર ઉતરાણ માટે ‘એપોલો-૧૧’ નામક યાન છોડ્યું ત્યારે વર્નના જ પથને અને પદ્ધતિને અનુસરવામાં આવ્યાં હતાં. વર્ને પોતાની વાર્તાના યાનને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કેપ કેનેવર્લ ખાતેથી છૂટતું નિરૂપેલું. એપોલો-૧૧ લગભગ આ જ જગાએથી છોડવામાં આવ્યું. જુલે વર્ને પોતાના યાનને પરત આવવાના સ્થળ તરીકે પાસિફિક મહાસાગરનું જે સ્થળ દર્શાવેલું એનાથી એપોલો-૧૧ માત્ર ત્રણ કિલોમિટર દૂર મહાસાગરમાં ખાબક્યું! સફળતાને વરેલા વર્ને ૧૮૬૮માં ‘સેઇન્ટ મિશેલ’ નામનું એક જહાજ ખરીદ્યું. સફરે નીકળી પડ્યા. બચપણથી જે દરિયાઈ સફરોની ઝંખના સેવી હતી તે પોતાના આગવા જહાજ દ્વારા પૂર્ણ કરવાની તક એમને ચાળીસ વર્ષની ઉંમરે મળી ગઈ. સબમરીન દ્વારા સાહસ-પ્રવાસની એક નવલકથા આ જહાજી પ્રવાસ દરમિયાન જ એમણે લખવા માંડી. એ પછીથી ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્ઝ અંડર ધી સી’ (સમુદ્ર સપાટી હેઠળ ૨૦,૦૦૦ દરિયાઈ માઇલની દરિયાઈ સફર) નામે પ્રગટ થઈ. ૧૮૬૯માં પ્રગટ થયેલી આ નવલકથાને ઘણા લોકો વર્નની શ્રેષ્ઠ કૃતિ માને છે. એનો કથાનાયક કૅપ્ટન નેમો પૂર્વજીવનનો એક હિન્દી રાજવી છે, જે ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજો સામે લડેલો અને જે વિશ્વભરમાં મોટી સત્તાઓ દ્વારા ગરીબ દેશોની લૂંટ અને ગુલામી વિરુદ્ધ લડવા નીકળ્યો છે. કૅપ્ટન નેમો સારા વિજ્ઞાની પણ છે, અને એમણે ‘નોટિલસ’ નામક અત્યંત શક્તિશાળી સબમરીન બનાવી છે. આ સબમરીન વડે તેઓ લૂંટખોર રાજ્યોનાં જહાજોને ભાંગે છે અને ડુબાડે છે. વળી, વિશ્વભરમાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરવાની પણ કૅપ્ટન નેમોની જેહાદ છે. ૧૮૭૨માં એમની વિજ્ઞાન-પ્રવાસ-સાહસની અન્ય સુવિખ્યાત કથા ‘અરાઉન્ડ ધી વર્લ્ડ ઇન એઇટી ડેઝ’ ‘(એંશી દિવસમાં પૃથ્વી-પ્રદક્ષિણા’) પ્રગટ થઈ. વાર્તા પ્રથમ તો પૅરિસના એક પત્રમાં દૈનિક હપતે છપાઈ. દરરોજ એનો થોડો થોડો ભાગ પ્રસિદ્ધ થતો. એમાં ૮૦ દિવસમાં દુનિયાની સફર પૂરી કરવાની શરત લગાવીને નીકળેલા એક બ્રિટિશ સાહસી ફિલિયાસ ફોગની વાત છે. આ કથામાં દુનિયાને એટલો બધો રસ પડ્યો કે પૅરિસના આ છાપામાં શું છપાય છે, તે દુનિયાનાં બીજાં છાપાંઓમાં બીજે દિવસે સમાચાર તરીકે છપાતું! ફિલિયાસ ફોગ આજે ક્યાં પહોંચ્યો તેના તાર દેશવિદેશમાં મોકલાતા હતા! ન્યૂ યોર્કના એક છાપાને તો ફોગની આ સફરમાં એટલો રસ પડી ગયો કે એણે ખરેખર દુનિયાની સફરે નીકળવા માટે સાહસિકોને ઓફર કરી. અને દુનિયાના પત્રકારત્વના ઇતિહાસનું આ પણ એક રોમાંચક પ્રકરણ છે કે આ પ્રવાસ માટે એક યુવતી તૈયાર થઈ. એ પત્રકાર યુવતીનું નામ નેબી બ્લાય. એણે માત્ર ૭૨ દિવસમાં દુનિયાની સફર ખેડીને ફિલિયાસ ફોગનો વર્ન-કલ્પિત વિક્રમ તોડી પાડ્યો. વર્ન પોતાનું એકાદ જહાજ લઈને દરિયાઈ સફરે નીકળી પડતા. જહાજ પર લખતા. અનેક દેશોની એ મુલાકાત લેતા. એની આ બધી દરિયાઈ યાત્રાઓ દરમિયાન ભત્રીજો ગૅસ્ટન એમની સાથે રહેતો. ગૅસ્ટન વર્નને વહાલો હતો. આ ગૅસ્ટન ૧૮૮૫માં અચાનક પોતાના મસ્તક પરનો કાબૂ ગુમાવી બેઠો. તેથી એના પિતાના ઘરમાં એને ગોંધી રાખવામાં આવતો. પરંતુ અચાનક એ છટક્યો. કોણ જાણે ક્યાંથી એક ભરી રિવોલ્વર એના હાથમાં આવી ગઈ. એની ડાગળીમાં શો ચસકો થયો, ખબર નહી; પરંતુ એ તો જુલે વર્ન કાકાને ઘેર જઈ પહોંચ્યો. જઈને કહે કે તમે જહાજોમાં બેસીને એકલા ઘૂમ્યા કરો છો, તો મનેય જહાજ ખરીદવાના પૈસા આપો. આ ગાંડિયાની માગણીનો વર્ને ઇન્કાર કર્યો. ગૅસ્ટને એમના પર ગોળીબાર કરવાની કોશિશ કરી. એમાં તો કાકો-ભત્રીજો બથ્થંબથ્થા આવી ગયા. એ ધમાચકડીમાં બે ગોળીઓ છૂટી. એક વર્નના ઘૂંટણની નીચે નળા પર વાગી. આ ઘટનાએ તેના એક પગને જંદિગીભરને માટે જાહલ બનાવી દીધો. હવે તે ટેકણલાકડી વગર ચાલી ન શકતા. પગ જાહલ બન્યા પછી વર્ન પોતાને નિવાસસ્થાને વધારે સ્થિર થયા હતા. જીવનભરમાં સો ઉપરાંત નવલકથાઓ લખી હતી. પરિણામે શરીર ખૂબ ઘસાઈ ગયું હતું. અંધ બન્યા એટલું જાણે પૂરતું ન હોય તેમ બહેરા પણ બન્યા. છેલ્લે છેલ્લે એ અંધ અને બહેરા લેખક માત્ર બોલી શકતા અને સંતાનો એ લખી લેતાં. વર્નનાં કુલ પુસ્તકોની યાદી તો લાંબી છે. એમનાં ફ્રેન્ચ અને અંગ્રેજી (અનુવાદિત) ૧૫૩ પુસ્તકોની યાદી બનાવી શકાઈ છે. એ પણ આખરી નથી. [‘જુલે વર્નની કથાસૃષ્ટિ’ પુસ્તિકા : ૧૯૯૬]