સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીકુમાર પંડ્યા/અભિનેત્રીની સંવેદનયાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૧૬માં કલકત્તામાં જન્મેલાં વિખ્યાત બંગાળી અભિનેત્રી કાનનદેવી કાયદાકીય રીતે અવૈધ ગણાતા લગ્નબાહ્ય સંબંધનું સંતાન હતાં. કશા પણ છોછ વગર તેમણે પોતાની આત્મકથા (‘સર્વને મારા નમસ્કાર’ : અનુ. ચંદ્રકાન્ત મહેતા)માં આ વાત જણાવી દીધી છે. પોતાના પિતાનાં અપલક્ષણો હળવેકથી રજૂ કરી દીધા પછી એ પોતાની બાલ્યાવસ્થા કેવી કારમી ગરીબીમાં ગુજરેલી તેની વાત કરે છે. ત્યારે આપણને સ્વયં મનમાં ચમકારો થાય છે કે ઓહો, ફિલ્મજગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ (૧૯૭૬) મેળવનાર કાનનદેવી કેવા નિબિડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? આ વિસ્મયના દોરેદોરે ભાવક કાનનદેવીની જીવનકથામાં આગળ વધતો જાય છે. અને તેમાંથી એને મળે છે તેજ-છાયા, આનંદ-વેદનાના મનોહારી વણાટવાળી એક અભિનેત્રીના આંતરમનની સંવેદનયાત્રાના મુકામોની જાણકારી. પ્રસંગાલેખનના ભાવપલટાઓ વાચકને સતત વાચનમાં ઓતપ્રોત રાખે છે. પોતાના જીવનની વિગતોમાંથી મનુષ્યજીવનનાં કેટલાંક ચિરંતન સત્યો તારવી આપવાનો ઉપક્રમ કાનનદેવીએ રાખ્યો છે. આ નખશિખ સાહિત્યરસમંડિત પુસ્તકમાં કોઈ જ આપવડાઈભર્યા પ્રસંગો નથી. આખા પુસ્તકમાં કાનનદેવીએ એક વાર પણ બોલકું વાક્ય લખ્યું નથી. પુસ્તકમાં છાપભૂલો ઘણી છે. વળી, અનુવાદની કલિષ્ટતા મૂળ સામગ્રીની રસાળતાનો ભોગ લેનાર બની છે. આટલી ટીકા બાદ કરતાં કાનનદેવીની આ આત્મકથા એક અવિસ્મરણીય પુસ્તક બન્યું છે. [‘સર્વને મારા નમસ્કાર’ પુસ્તક]