સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજની વ્યાસ/નવયુગનો પ્રહરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્વાચીન સાહિત્યયુગના આ આદિપુરુષનું જીવન એટલે આંધી, તૂફાન અને ઝંઝાવાત. એનો જીવનમંત્ર એટલે પ્રેમ અને શૌર્ય. નર્મદને જીવનમાં કદી કશેય ચેન ન હતું. કશુંક નવું નવું કરવા, જે છે તેને બદલવા તે નિરંતર પ્રવૃત્ત હતો. અજંપાથી તે ભર્યોભર્યો હતો. સુરતમાં એક નાગર બ્રાહ્મણ કુટુંબમાં લાલશંકર દવેને ત્યાં તેનો જન્મ થયો. નામ પડ્યું એનું નર્મદાશંકર. નર્મદને મુખ્યત્વે તો મુંબઈમાં જ શિક્ષણ મળ્યું હતું. પાંચ વર્ષની વયે ભૂલેશ્વરમાં નાના મહેતાની નિશાળમાં એ દાખલ થયો હતો. શાળાકીય અભ્યાસ દરમિયાન સંસ્કૃત અને મરાઠી ભાષા પણ શીખ્યો. પછી તે સુરતમાં જ દુર્ગારામ મહેતાની શાળામાં દાખલ થયો. દુર્ગારામ મહેતાજી ગુજરાતના આરંભના સમાજસુધારકોમાંના એક હતા. નર્મદ ઉપર સુધારાના પ્રથમ સંસ્કારો આ રીતે દુર્ગારામ મહેતાજીના પડ્યા. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ નર્મદના જાહેર જીવનનો આરંભ થઈ ચૂક્યો. તેના ચારપાંચ મિત્રો તેને ઘેર વારંવાર મળતા. મૂછનો દોરો ફૂટે એવી સત્તર-અઢાર વર્ષની ઉંમરે તો એણે ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ નામની જુવાન માણસોની એક સંસ્થાની સ્થાપના કરી. તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા. પ્રમુખ તરીકે નર્મદ ‘મંડળી મળવાથી થતા લાભ’ વિષે એક નિબંધ વાંચે છે. બીજે વર્ષે એ વ્યાખ્યાન છપાવીને પ્રસિદ્ધ કરે છે. આ હતું—ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ગણનાપાત્ર ગદ્યલખાણ! આ મંડળીમાં વારાફરતી સૌએ નિબંધ વાંચવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત દર પંદર દિવસે બે વાર જાહેર સભા ભરી લોકોમાં સાહિત્યનો પ્રચાર કરવાનું પણ નક્કી કર્યું. બાદમાં નર્મદે એકાદ વર્ષ ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક પણ ચલાવ્યુ.ં ગદ્યના આરંભ બાદ નર્મદે થોકબંધ કાવ્યોની પણ રચના કરી. ‘કબીરવડ’, ‘યા હોમ કરીને પડો’, ‘આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત’ કે ‘જય જય ગરવી ગુજરાત’ વગેરે તેની સુપ્રસિદ્ધ રચનાઓ છે. બાર વર્ષના પરિશ્રમે ‘નર્મકોશ’ તૈયાર કર્યો. ગુજરાતી ભાષાનો એ પહેલો શબ્દકોશ. ૧૮૫૮ના નવેમ્બરની ૨૩મી તારીખે નર્મદે શાળાની નોકરીને તિલાંજલિ આપી. સાંજે ઘેર ગયો. કલમ સામું જોઈ તેની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. તે બોલ્યો, “હવે તારે ખોળે છું.” હવે શું કરવું? આવકનું કોઈ સાધન ન હતું. નર્મદને પોતાની વાક્છટામાં વિશ્વાસ હતો. હરદાસનો ધંધો આવડે તો તેમાંથી રોજી નીકળી રહે. હરદાસ એટલે કથાકાર. પણ તે માટે સંસ્કૃતના સારા જ્ઞાનની જરૂર હતી, એટલે પૂણે જઈ તેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૬૪માં નર્મદે વળી નવું પ્રયાણ કર્યું. તેણે સુરતથી ‘દાંડિયો’ નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું. સ્વતંત્ર અને નિર્ભય પત્રકારત્વના નમૂનારૂપ એ પત્ર હતું. ‘દાંડિયો’ એટલે રાત્રે લોકોને જાગ્રત રાખનાર ચોકીદાર. ‘દાંડિયો’ પત્ર સાચા અર્થમાં સમાજ અને સાહિત્યની ચોકીદારી કરતું. થોડા જ વખતમાં એ ઘણું લોકપ્રિય થઈ ગયું. ૧૮૬૫માં નર્મદે વ્યાકરણ લખ્યું. એ પછીના વર્ષે ‘મારી હકીકત’ નામની પોતાની આત્મકથા લખી. આ ઉપરાંત તેણે ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઇલિયડ’ ઇત્યાદિ ગ્રંથોના સાર લખ્યા; મહાપુરુષોનાં ચરિત્ર લખ્યાં. જૂના ગુજરાતી કવિઓનાં કાવ્યોનું સંશોધન કરીને તેનું સંપાદન કર્યું. ‘જગતના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસનો રાજ્યરંગ’ નામક ગ્રંથ લખ્યો, નાટકો લખ્યાં. નર્મદના જન્મનું વર્ષ ૧૮૩૩નું. એક જમાનો આથમતો હતો અને નવા જમાનાનો ઉદય થતો હતો. વરાળયંત્ર શોધાયાને હજી થોડાં જ વર્ષ થયાં હતાં. નવી કેળવણી આવી રહી હતી. નવાં છાપખાનાં શરૂ થઈ રહ્યાં હતાં. ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા સત્તાકાળ દરમિયાન જે અંધાધૂંધી વ્યાપી હતી તેનો અંત આવી ગયો હતો. પણ હજી રેલવે આવી ન હતી. વીજળી આવી ન હતી. યુનિવર્સિટી સ્થપાઈ ન હતી અને વિજ્ઞાનનાં પગરણ પણ ખાસ પડ્યાં ન હતાં. સમાજ પર વહેમની પકડ જબરદસ્ત હતી. આવા સમયે નર્મદે સમાજસુધારણા માટે જે પ્રયાસો કર્યા તે સમય કરતાં પહેલાંના હતા. સમાજમાં થતા અન્યાયો એની માનવતાથી ન સહેવાયા, તેથી સમાજસુધારાનો ઝંડો એણે ઉપાડ્યો હતો. દેશીઓનાં દુ:ખ, એમની ડગલે ને પગલે થતી માનહાનિના કારણભૂત એ પોતે જ ને એમના દુષ્ટ આચારો હતા, એમ તેને વસી ગયું હતું. તે જડ રૂઢિવાદ સામે ઝઝૂમ્યો અને વીર નર્મદનું લાડીલું બિરુદ પામ્યો. ૧૮૬૦ની વાત છે. ત્યારે વૈષ્ણવ જદુનાથ મહારાજ પોતે સમાજસુધારક હોવાનો દેખાવ કરતા. નર્મદે તેમના દંભનો પર્દાફાશ કરી નાખ્યો, તેમાં ભારે હિંમત બતાવી. મળતિયાઓ ઘણા હતા. સુધારા કરવામાં નર્મદની સાથે હોવાનો દાવો કરનારાઓમાં હિંમત હતી નહીં, એટલે જદુનાથ સાથે ચર્ચા કરવામાં સૌ ફરી ગયા. નર્મદ એકલો પડી ગયો. આમ છતાં એકલે હાથે તેણે ટક્કર લીધી અને સફળ પણ થયો. આવાં અનેક નવપ્રસ્થાનોથી ભર્યુંભર્યું નર્મદનું જીવન છે. અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી ગણાયા છે. ૧૮૮૨માં નર્મદની આર્થિક સ્થિતિ અસહ્ય બની રહી હતી. નર્મદના મિત્રો તેમના યોગક્ષેમ વિશે ચિંતા કરતા હતા. તેમણે ગોકળદાસ તેજપાલ ધર્મશાળાને વ્યવસ્થિત કરવાનું કામ નર્મદને સોંપવા એના ટ્રસ્ટીઓને ખાનગીમાં વિનંતી કરી. એ મુજબ નર્મદ પર પત્ર આવ્યો. આગળથી નક્કી કર્યા પ્રમાણે, પત્ર આવ્યો ત્યારે એના મિત્રો હાજર હતા. કવિએ કાગળ ખોલ્યો, વાંચ્યો અને તેમની આંખ ભીની થઈ ગઈ. ઊડો નિ:શ્વાસ નાખીને એ બોલ્યા: “ચોવીસ વર્ષ લગી (નોકરી ન કરવાની) ખેંચી રાખેલી લગામ આજે હું હાથમાંથી મૂકી દઉં છું. પણ હવે આ મારા દુ:ખી જીવનનો અંત પાસે છે એ નક્કી માનજો. મારું હૃદય આ આઘાત સહન કરે એમ નથી...” એ વખતે જ તેની પત્ની ડાહીગૌરીએ ત્યાં એકત્ર થયેલા નર્મદના મિત્રોને કહ્યું, “તમે સૌ ભેગા મળીને આ શું કરવા માગો છો? મારા આ સિંહને તમે ફાંસલામાં નાખો છો? એને પરાધીન બનાવી એનો જીવનનિયમ કેમ તોડાવો છો?” નોકરી સ્વીકારતાં પોતાનો અંત પાસે હોવાની એમની આગાહી સાચી પડી. એમની તબિયત લથડતી ગઈ. ૫૩ વર્ષની નાની ઉંમરે એમણે આ દુનિયાનો ત્યાગ કર્યો. એ નાનકડા જીવનમાં નર્મદ યુગપુરુષ બની ગયો. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૪]