સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/બા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાનું નામ સંતોકબહેન. બાનું પિયર શેલણા (તા. સાવરકુંડલા). અમે રાજગોર બ્રાહ્મણ. કાઠીના ગોર. બા ભણ્યાં નહોતાં. વાંચતાંય ઘણી મોટી ઉંમરે શીખેલાં. આ પછી પણ લખતાં તો ખપ પૂરતું જ આવડતું. પણ ભાષા પર બાનું અસાધારણ પ્રભુત્વ. મેઘાણીની પાત્રસૃષ્ટિનું કોઈ પાત્ર—કાઠિયાણી, ગરાસણી કે ચારણ્યનું પાત્ર—બોલતું હોય એવી બાની સ્વાભાવિક ભાષા હતી. ભાષાની જેમ જ હાસ્ય પર પણ બાનો અસાધારણ કાબૂ. ‘હાસ્ય નિષ્પન્ન કરવાની સો યુકિતઓ હોય તો પ્રેમાનંદને એકસો એકની ખબર હતી’; એમ ઉમાશંકર જોશીએ પ્રેમાનંદ માટે કહ્યું છે તે હું બા માટે કહી શકું. સૌરાષ્ટ્રનાં ઓઠાં ‘(ઓઠું’ વિનોદી ટુચકા જેવું લોકસાહિત્યનું એક સ્વરૂપ છે.) તો એમને કેટલાં બધાં આવડતાં! બા જાજરમાન સ્ત્રી હતાં. બાના પ્રતાપી વ્યકિતત્વની તુલનામાં બાપુજીનું વ્યકિતત્વ નરમ. બા પોતાની દરેક વાતમાં એકદમ આગ્રહી—બાપુજી સાવ અનાગ્રહી. બાનું વહાલ ધોધની જેમ વરસતું—બોલકુંય ખરું. જશોદામાતા બાલકૃષ્ણને જે રીતે વહાલ કરે છે, લાડ લડાવે છે એનું પ્રેમાનંદે કરેલું કાવ્યમય વર્ણન વાંચવાનું બન્યું ત્યારે મને થયું હતું કે પ્રેમાનંદે નક્કી બા જેવી કોઈ માતાને જોઈ હશે અને જશોદાના વહાલની વીગતો એની પાસેથી ઝીલી હશે. બાપુજી સાથે કેવળ આદરનો સંબંધ. પણ બાને ગળે બાઝવાનો, બા સાથે ઝઘડો કરવાનો, બાથી રિસાવાનો, રિસાયા પછી બા મનાવે એની રાહ જોવાનો—બધો જ સંબંધ બા સાથે. પ્રેમની જીવતીજાગતી મૂર્તિ જેવાં બા કડક પણ એવાં જ. બા વિશે હું કોઈની સાથે વાત કરતો હોઉં ત્યારે બાની હાજરીમાં કહેતો: “અમારી બા ચા જેવાં છે: એકદમ કડક—એકદમ મીઠાં.” સૌરાષ્ટ્રની ચા ખોપરી હલાવી દે એવી કડક હોય અને સીધી લોહીમાં ઊતરી જાય એવી મીઠાશવાળી હોય. એકલી મીઠાશ બાળકને બગાડી મૂકે અને એકલી કડકાઈ બાળકના હૃદયને સૂકવી દે. બા લાડ પૂરેપૂરાં લડાવે, બને ત્યાં સુધી અમારી ઇચ્છા પૂરી કરે, પણ ખોટી જીદ આગળ ક્યારેય નમતું ન જોખે. હું બા આગળ ધમપછાડા કરતો હોઉં, ગારમાં આળોટતો હોઉં એવાં દૃશ્યો આજે પણ એકદમ ક્લોઝ અપમાં દેખાય છે. નાના ભાઈ (આમ તો મારાથી પાંચ વરસે મોટા)ના સ્વભાવમાં જીદનું નામ ન મળે. બહેન પણ એકદમ શાંત. એટલે તોફાન કરવાનું—જીદ કરવાનું બધું મારે ફાળે આવેલું. ને મેં મારું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવેલું પણ ખરું. અમારું ભાઈબહેનોનું સીધું ઘડતર બા થકી જ થયેલું. બા વાર્તાઓ કહે, વિનોદી ટુચકા કહે, સૂત્રાત્મક વાક્યો અને ડહાપણભરી કહેવતો કહે, એમાં જીવનના મર્મો પ્રગટ થતા રહે. બાને વાંચતાં નહોતું આવડતું, પણ અમારી પાસે કશુંક ને કશુંક વંચાવ્યા કરે. મેં સતત ત્રણચાર વરસ બાને ‘ગીતા’ અને ‘વાલ્મીકિ રામાયણ’ (ગુજરાતી ભાષાંતર) વાંચી સંભળાવેલાં. સવારની નિશાળ પૂરી કરીને હું આવું, જમું પછી અમારો સત્સંગ શરૂ થાય. બા સાંભળે, એના પર મનન પણ કરે ને ફરી એની વાતો પોતાની રીતે કરે. બા મારી પાસે ધાર્મિક પુસ્તકો જ વંચાવે એવું નહિ; મારાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનાં કાવ્યો, વાર્તાઓ, અવનવી માહિતી આપતા પાઠો—બધું જ આમાં આવે. મને યાદ છે કે બકોર પટેલની ચોપડીઓ નાના ભાઈ ગામના પુસ્તકાલયમાંથી લઈ આવેલા એનું અમે સમૂહવાચન કરેલું. બાની સ્મૃતિ બહુ તેજ. કોઈ પણ વાર્તા એક વાર સાંભળે એટલે એનું કથાવસ્તુ પાકું યાદ રહી જાય. પછી એનું પુનર્કથન પોતાની શૈલીમાં કરે. બકોર પટેલની અનેક વાતોના રેફરન્સ એમની વાતોમાં આવે ને હાસ્યની છોળો ઊડે. અમારી આર્થિક સ્થિતિ તો ઘણી નબળી હતી, પણ જે માગવા આવે એની સ્થિતિ તો કેવીય હશે એવું વિચારીને બા આંગણે આવેલા માગણને ક્યારેય એમ ને એમ જવા ન દે. ભગવાને આપેલા રોટલામાં સૌનો ભાગ—એવા ભાવથી આપે. આમ પણ સામાન્ય વર્ગના લોકો સાથે બહુ વિવેકથી વર્તે. “આપણામાં જેવો ભગવાન છે એવો જ એમનામાં છે,” એવું અમને કહે પણ ખરાં. ફળિયામાં આવતા ધોબીઓ અને લગ્નપ્રસંગે ઢોલ વગાડવા આવતા ઢોલીઓમાંથી જે બાપુજીથી નાના હોય એમને અમારે કાકા કહેવાના અને મોટા હોય એમને બાપા કહેવાના. પરંપરાગત સંસ્કારોને કારણે હરિજનોને અડે નહિ કે અમને અડવા દે નહિ, પણ બાપુજીથી મોટા હરિજનોની બા લાજ પણ કાઢતાં. બા વિજ્ઞાન નહોતાં ભણ્યાં, પણ ‘ગીતા’શ્રવણ પછી વાસી અન્ન નહિ ખાવાનું—નહિ ખવરાવવાનું એવો પાકો નિયમ કરેલો. રાત્રે વાળુ લેવા આવનારી બાઈને પણ રાતે રાંધેલું જ આપવાનું. સવારે શિરામણ માટે તાજા રોટલા જ ઘડવાના. બાને રાંધવાની સહેજે આળસ નહિ. બપોરે રસોઈ થઈ ગયા પછી કોઈ અતિથિ આવી ચડે કે કોઈ સાધુ પધારે તો ફરી ચૂલો સંધુરકવામાં (પેટાવવામાં) વાર નહિ. બાને કથા-વાર્તા અને ભજનભાવમાં ઉત્કટ રસ. અમારી આંબલી શેરીમાં રહેતાં ધનબાઈફઈ જ્ઞાતિએ બારોટ હતાં. ‘સૌરાષ્ટ્રની રસધાર’ પ્રકારની અનેક વાર્તાઓ એમને આવડતી. રાત્રે ફળિયામાં ખાટલા ઢાળી ધનબાઈફઈ વાર્તા માંડે. બા અને શેરીની બીજી સ્ત્રીઓ સાંભળે. બાલશ્રોતાઓમાં લગભગ હું એકલો જ હોઉં. બા એ વાર્તાઓનું પછી સરસ રીતે પુનર્કથન પણ કરે. નવરાત્રીમાં પ્રેમાનંદના અવતાર સમા હરિશંકરબાપાનાં આખ્યાનો શેરીમાં યોજાતાં. બા સાથે મેં એ આખ્યાનો બહુ રસપૂર્વક સાંભળ્યાં હતાં. આડોશપાડોશમાં ક્યાંય ભજન રાખ્યાં હોય તો બા અચૂક સાંભળવા જાય. ઘેર પણ ક્યારેક ક્યારેક ભજનો રખાય. મોટા થઈને સાહિત્યરચનાઓ તરીકે જેમનો આસ્વાદ મેં લીધેલો એ ગંગાસતી અને પાનબાઈનાં ભજનો નાનપણમાં બા પાસેથી સાંભળેલાં. [‘પરબ’ માસિક: ૨૦૦૫]