સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/છેલ્લા અવશેષોમાંના એક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વચ્છ પણ ઇસ્ત્રી વગરનાં ખાદીનો ઝભ્ભો-બંડી અને પાયજામો પહેરેલા, ખભે આછા લીલા રંગનો થેલો ભરાવેલા, ગામઠી ચંપલવાળા, નીચું જોઈને ચાલતા સિત્તેર-એંસી વર્ષના કોઈ કાકા આણંદથી અમદાવાદની કે ગાંધીનગર જતી બસમાં ચડે અને જગ્યા ન હોય તો દાંડો ઝાલીને ઊભા ઊભા પ્રવાસ કરે એમને તમે જુઓ, તો સમજજો કે એ ચિખોદરાની આંખની હોસ્પિટલવાળા ડો. રમણીકલાલ દોશી—દોશીકાકા છે. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડો. દોશીકાકા આજે ૮૯-૯૦ની ઉંમરે ચાલ્યા જતા હોય તો અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ આંખના મોટા ડોક્ટર છે. એક વખત એમને અમે પૂછ્યું કે “કાકા, તમારી સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો?” કાકાએ કહ્યું, “જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક-બે વધારે હોય તો જીપમાં જાઉં છું. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.” કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, “રિઝર્વેશનના પૈસા બચે. સાદા બીજા વર્ગમાં બેસવાની જગ્યા ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં. મને બેઠાં બેઠાં સારી ઊઘ આવી જાય છે. સ્ટેશનથી રિક્ષા કે ટૅક્સી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. ચાલી નાખું છું.” ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ કરવાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખનાર અને જગ્યા આપવા તૈયાર કોઈક ને કોઈક તો નીકળે જ. દોશીકાકાનું નામ તો સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયા અને દોશીકાકા અમારે ઘરે પધાર્યા. કીર્તનભાઈએ એમની ક્ષયનિવારણ અને ચિખોદરાની આંખની હોસ્પિટલનો પરિચય આપ્યો. વાતવાતમાં કાકાએ કહ્યું, “કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હોસ્પિટલ જોવા આવો.” એક દિવસ અમે ચિખોદરા પહોંચીને હોસ્પિટલની મુલાકાત લીધી. હોસ્પિટલમાં સરસ અતિથિગૃહ હતું. નીરવ શાંત વાતાવરણ, વૃક્ષો, મોરના ટહુકા વગેરેને કારણે ઉપવન જેવું લાગતું હતું. અમને એક સરસ અનુભવ થયો. અમને એમ થયું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ સંસ્થાને સહાય કરવાની અપીલ કરવા જેવી છે. પછી બીજા કેટલાક સભ્યો પણ ચિખોદરા જઈ આવ્યા. કાકાની હોસ્પિટલ માટે ઘણી સારી રકમ એકત્ર થઈ. એ રકમ આપવાનો કાર્યક્રમ ચિખોદરામાં યોજાયો. ત્યાર પછી અમારા યુવક સંઘના ઉપક્રમે ચિખોદરાની હોસ્પિટલ દ્વારા વર્ષમાં ચાર-પાંચ વખત નેત્રયજ્ઞ યોજાવા લાગ્યા. મુંબઈથી અમે આઠ-દસ સભ્યો ચિખોદરા જઈએ અને ત્યાંથી નેત્રયજ્ઞના સ્થળે જઈએ. આ રીતે બાવીસ વર્ષ દરમિયાન અમારા સિત્તેરથી વધુ પ્રવાસ થયા હશે. પ્રવાસ દરમિયાન કાકાના અનુભવોની વાત નીકળે. કોઈ વાર ગાંધીજીની, કોઈ વાર રવિશંકર દાદાની, કોઈ વાર ગંગાબાની પ્રેરક વાતો જાણવા મળે. નજીકમાં કોઈ જોવા જેવી સંસ્થા હોય તે બતાવે. કાકાને ખેડા અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે. એમની સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિને કારણે કાકાનું કામ સૌ કોઈ કરવા તૈયાર. આથી જ કાકા નેત્રયજ્ઞોનું આયોજન કરે ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓની ટીમ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડી લે. પ્રત્યેક અઠવાડિયે એમના નેત્રયજ્ઞો ચાલતા જ હોય. ચિખોદરા હોસ્પિટલનો સ્ટાફ ખાટલા, ગાદલાં, અનાજ, ઓપરેશન થિયેટરની સામગ્રી વગેરે જવાબદારી બરાબર સંભાળે. શ્રી આર. કે. દેસાઈએ ‘કર્મયોગી શ્રી રમણીકભાઈ દોશી’ નામની પુસ્તિકા લખી છે જેમાં દોશીકાકાના જીવનની વિસ્તૃત રૂપરેખા આપી છે. દોશીકાકાનો જન્મ ૧૯૧૬ની બીજી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી રામજીભાઈ દોશી રાજકોટ રાજ્યના દીવાન હતા. તેઓ કાર્યદક્ષ, સત્યનિષ્ઠ, પ્રામાણિક, દૃઢસંકલ્પ, ધીરગંભીર સ્વભાવના અને પ્રગતિશીલ વિચાર ધરાવનાર હતા. એટલે રાજકોટના નરેશ લાખાજીરાજ પર એમનો ઘણો સારો પ્રભાવ હતો. તેઓ પોતે સુશિક્ષિત હતા એટલે સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવવાની દૃષ્ટિવાળા હતા. તેઓ એટલા પ્રામાણિક હતા કે રાજ્યના કારભાર માટેની પેન જુદી રાખતા અને અંગત વપરાશની જુદી રાખતા. રાજ્ય તરફથી મળેલ ટેલિફોન તેઓ અંગત કામ માટે વાપરતા નહિ. રામજીભાઈએ બે વાર લગ્ન કર્યાં હતાં અને એમને સાત દીકરા અને એક દીકરી એમ આઠ સંતાનો હતાં. રામજીભાઈએ પોતાના કેટલાક દીકરાને અભ્યાસ માટે કરાંચી મોકલ્યા હતા. એટલે દોશીકાકાએ પણ થોડો વખત કરાંચીમાં અભ્યાસ કર્યો હતો. એ દિવસોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરતા. રામજીભાઈના પાંચ દીકરા ડોક્ટર થયા હતા. દોશીકાકા અમદાવાદમાં એલ.સી.પી.એસ. થયા અને મુંબઈમાં ડી.ઓ.,એમ.એસ. થયા. એમણે કચ્છના ભચાઉમાં તથા પાનેલી, જામજોધપુર વગેરે સ્થળે દાક્તર તરીકે અને નડિયાદમાં તે વિષયોના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દોશીકાકાનાં ધર્મપત્ની ભાનુબહેન કાકાના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહે છે. જૂનાગઢનાં વતની, પરંતુ રંગુનમાં ઊછરેલાં ભાનુબહેન બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનાં માતપિતા સાથે જૂનાગઢ પાછાં ફર્યાં હતાં. ડો. દોશી સાથે એમનાં લગ્ન થયાં. દોશી દંપતીને સંતાન નહિ, પણ તેઓએ પોતાનાં ભાઈઓનાં સંતાનોને ઘરે રાખી પોતાનાં સંતાનની જેમ સારી રીતે ઉછેર્યાં. ભાનુબહેન શ્રીમંતાઈમાં ઊછર્યાં હતાં, પણ લગ્ન પછી એમણે કાકાની સાદાઈ, સેવા અને સમર્પણની ભાવનાને આત્મસાત કરી લીધી હતી. હોસ્પિટલમાં ભાનુબહેન રસોડાનું ધ્યાન રાખે. દોશીકાકા બહારગામ હોય તો ભાનુબહેન હોસ્પિટલનું પણ ધ્યાન રાખે. દોશીકાકાએ અમદાવાદમાં રિલીફ રોડ ઉપર એક ડોક્ટર મિત્રની ભાગીદારીમાં ‘હિંદ મિશન હોસ્પિટલ’ શરૂ કરેલી. આ હોસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈ દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા રવિશંકર દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં સેવા આપવા માટે દોશીકાકાને નિમંત્રણ મળ્યું હતું. આ વખતે દાદાની કામ કરવાની કુનેહનાં દોશીકાકાને દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા. દાદાએ દોશીકાકાને શહેરને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. દોશીકાકાની મફત નેત્રયજ્ઞોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હોસ્પિટલ ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ. કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. દોશીકાકા વહેલી સવારે ઊઠી સીધા સામાયિકમાં બેસી જાય. પછી દૂધ પીને હોસ્પિટલમાં ઓપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં જાય. સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાચન કરે. રાત્રે દોશીકાકા ઓફિસમાં ટેબલ પર માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊઘ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તરત ઉપાડે. પછી જો ઊઘ ઊડી જાય તો સામાયિકમાં બેસી જાય. દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વ- નિવારણના ક્ષેત્રે સંગીન કાર્ય કર્યું છે. ચિખોદરા હોસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા, તે માટે કેટલાયે સેવાભાવી આંખના ડોક્ટરોની સેવા મળવા લાગી. અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે, અઢી લાખથી વધુ મફત ઓપરેશનો થયાં છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાજર હોય જ. ચિખોદરાની હોસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઓપરેશન કરતા. હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ કોઈ ડોક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઓપરેશન કરે. કુદરતની મહેરબાની કેવી છે કે આ ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી. દર વરસે બિહારમાં અને રાજસ્થાનમાં ૮-૧૦ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે, તેમાં પણ કાકા સમયસર પહોંચી જાય. દવાખાનામાં રોજ સવારથી ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડોક્ટરો પણ હોય. પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે. તેથી એમને માટે ઘણી મોટી લાઇન થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે “કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી માટે આપણે પાંચ કે દસ રૂપિયાની ફી રાખીએ તો કેમ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણ આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે!” કાકાએ થોડી વાર પછી કહ્યું, “ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે.” એક વખત નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બન્ને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા પોતે રડી પડ્યા. ત્યાર પછી પોષણના અભાવે બાળકની આંખ ન જાય એ માટે કાકાએ બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામે ગામ જઈ વહેંચવાનો—અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો. દોશીકાકા એટલે આંખનું મોબાઈલ દવાખાનું. મેં કેટલીયે વાર જોયું છે કે અમે ચાલ્યા જતા હોઈએ ત્યાં સામેથી આવતો કોઈક માણસ કહે, “દોશીકાકા, રામ રામ.” કાકા ઓળખે નહિ, પણ વાત કરવા પ્રેમથી ઊભા રહે. ત્યાં આવનાર વ્યકિત કહે, “કાકા, મારી આંખ જોઈ આપોને, મોતિયો તો નથી આવતો ને?” કાકા એમ ન કહે કે, “ભાઈ, અત્યારે ટાઇમ નથી, દવાખાને બતાવવા આવજે.” તેઓ તરત થેલીમાંથી બૅટરી અને બિલોરી કાચ કાઢે. પેલાની બન્ને આંખ વારાફરતી પહોળી કરી, ટોર્ચ મારીને જુએ અને સંતોષકારક જવાબ આપે. આવું કામ કરવામાં કાકાને ક્યારેય મોડું ન થાય. આમ કાકાએ હજારો માણસની આંખ રસ્તામાં જ બરાબર ધ્યાનથી જોઈ આપી હશે. કોઈ વાર એવું બને કે આંખ જોયા પછી કાકા કહે, “ભાઈ, તમારી આંખ મશીનમાં જોવી પડશે. દવાખાને આવજો.” એક વખત અમે ગુજરાતના એક નગરમાં નવી થયેલી એક હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી અને ડોક્ટરો પણ સેવાભાવી હતા. જે માટે બીજી હોસ્પિટલમાં સો રૂપિયા ખર્ચ થાય તે માટે આ હોસ્પિટલમાં પચીસ જ થાય. હોસ્પિટલની મુલાકાત પછી અમે ઉતારે આવ્યા ત્યારે દોશીકાકાને અભિપ્રાય પૂછ્યો. એમણે કહ્યું, “હોસ્પિટલ ઘણી સારી છે અને મધ્યમવર્ગના લોકો માટે ઘણી રાહતરૂપ છે. આ વિસ્તારના ઘણા લોકોને એનો લાભ મળશે. પણ...” કાકા બોલતાં અટકી ગયા. અમે કહ્યું, “કાકા, પણ શું?” કાકાએ કહ્યું, “પણ મારે કરવાની હોય તો આવી હોસ્પિટલ ન કરતાં ગરીબ લોકો લાભ લઈ શકે એવી હોસ્પિટલ કરું. મારું ક્ષેત્ર જુદું છે. અમે સાવ છેવાડાના ગરીબ માણસોનો વિચાર કરીએ. આ હોસ્પિટલમાં સોને બદલે પચીસ રૂપિયા ચાર્જ છે. પરંતુ જેની પાસે પચીસ રૂપિયા ન હોય, અરે હોસ્પિટલ સુધી આવવાના બસભાડાના રૂપિયા નથી, એવા લોકો માટે કામ કરવું એ અમારું ક્ષેત્ર છે.” એક વખત કાકા મારે ત્યાં જમવા પધાર્યા હતા. ઉનાળાનો સમય હતો. કાકા સવારના જમવામાં પાંચ વાનગી લે એ અમને ખબર હતી. કેરીની મોસમ હતી એટલે જમવા બેઠા ત્યારે કાકાને પણ રસ પીરસ્યો હતો. બધા બેસી ગયા અને ‘સાથે રમીએ, સાથે જમીએ...’ એ પ્રાર્થના પછી જમવાનું ચાલુ કર્યું ત્યારે કાકાએ રસની વાટકી બહાર મૂકી. અમે પૂછ્યું, “કાકા, કેરીની બાધા છે?” એમણે કહ્યું, “ના, પણ કેરી ખાવી નથી.” “કેમ?” તો કહ્યું “પછી વાત!” અમે પાંચમી વાનગી તરીકે બીજી કોઈ વાનગી આપવાનું કહ્યું તો તે માટે પણ એમણે ના પાડી. કાકાએ રસ લીધો નહિ એટલે અમે પણ રસની વાટકી બહાર મૂકતાં હતા તો અમને આગ્રહપૂર્વક અટકાવ્યા. જમ્યા પછી અમે કાકાને કારણ પૂછ્યું તો એમણે કહ્યું, “મોટાં શહેરોમાં બધે કેરી ચાલુ થઈ ગઈ છે, પણ અમારાં ગામડાંમાં ગરીબ લોકોને ત્યાં હજુ ચાલુ નથી થઈ. કેરી થોડા દિવસમાં સસ્તી થશે અને એમને ત્યાં ચાલુ થશે, પછી હું પણ કેરી ખાઈશ.” દોશીકાકા દરેક વિષયમાં કરકસરપૂર્વક વિચાર કરે. બે જોડ ખાદીનાં કપડાં આખું વર્ષ ચલાવે. ફાટે તો સાંધી લે. સાંધેલું કપડું પહેરવામાં શરમ નહિ. દોશીકાકા પાસે એક ગરમ કોટ છે. છેલ્લાં બાવીસ વર્ષથી અમે જોતા આવ્યા છીએ કે શિયાળામાં બહારગામ જવું હોય તો કાકાએ આ એક જ કોટ પહેર્યો હોય. પણ જરૂર પડે, અનિવાર્ય હોય તો ગમે તેટલું મોટું ખર્ચ કરતાં કાકા અચકાય નહિ. દોશીકાકા વૈશાખ મહિનામાં ઓફિસમાં બપોરે એક દિવસ કામ કરતા હતા. ભયંકર ગરમી પડતી હતી. એ વખતે એક શ્રીમંત ભાઈ પોતાની એ. સી. કારમાંથી ઊતરીને કાકાને મળવા આવ્યા. એમણે કહ્યું, “કાકા, આવી ગરમીમાં તમે કેવી રીતે કામ કરી શકો છો?” કાકાએ કહ્યું, “હું ગરમીથી ટેવાઈ ગયો છું.” પેલા શ્રીમંતે કહ્યું, “કાકા, ઓફિસમાં મારા ખર્ચે એ. સી. નંખાવી આપું છું, એના વીજળીના બિલની જવાબદારી પણ મારી.” કાકાએ કહ્યું, “ભાઈ, તમારી દરખાસ્ત માટે આભાર. પણ એ. સી.વાળી ઓફિસ મને ન શોભે.” આરંભનાં વર્ષોમાં નેત્રયજ્ઞમાં ૭૦૦-૮૦૦ દર્દીઓ આવતા. કાકાની સુવાસ એવી કે દર્દીઓને જમાડવા માટે અનાજ વગેરે સામગ્રી ગામના શ્રેષ્ઠીઓ તરફથી મળતી. બળતણ માટે લાકડું દરેક ઘરેથી એક એક આવે. એટલે કશી મુશ્કેલી ન રહે. નેત્રયજ્ઞ એટલે આખા ગામનો ઉત્સવ. કાકા સવારના પાંચ વાગ્યાથી રાતના બાર સુધી કામ કરે. કોઈક વખત તો તેઓ એક દિવસમાં ૧૨૫થી વધુ ઓપરેશન કરે, છતાં થાકનું નામ નહિ. એક વખત અમારો નેત્રયજ્ઞ પંચમહાલમાં દેવગઢ બારિયા પાસે સાગતાળા નામના ગામમાં હતો. જંગલ વિસ્તાર પાસે આવેલું આ ગામ છે. અમારો ઉતારો જંગલ વિભાગના ગેસ્ટ હાઉસમાં હતો. નેત્રયજ્ઞ પછી બીજે દિવસે અમે મધ્ય પ્રદેશમાં અલિરાજપુર પાસે આવેલા લક્ષ્મણી તીર્થની જાત્રાએ ગયા. આખો રસ્તો ખરાબ. અમે પહોંચી, પૂજા કરી પાછા આવવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થયો. અંધારું થઈ ગયું હતું. એંસી કિલોમિટરનો રસ્તો વટાવતાં ઘણી વાર લાગી. રસ્તામાં થાકેલાં હોવાથી કોઈ ઝોલાં ખાતાં તો કોઈ વાતો કરતાં. એક કલાક પછી કાકાએ ગીત ઉપાડ્યું. બધાંએ કાકાનું ગીત ઝીલ્યું. પાંચ કલાક પછી અમે સાગતાળા આવ્યા. બીજે દિવસે કાકાએ કહ્યું, “તમને ખબર છે, કાલે આપણે કેટલું જોખમ ખેડ્યું? આ ભીલ વિસ્તાર છે. રાતના કોઈ વાહન આવે તો ભીલો જરૂર લૂંટી લે. આખે રસ્તે હું મનમાં ભક્તામર સ્તોત્ર બોલતો રહ્યો હતો. વચ્ચે ‘આંખો પવિત્ર રાખ’નું ગીત ઝિલાવ્યું કે જેથી તમને ડરનો વિચાર ન આવે.” દોશીકાકા અને ભાનુબહેન એક વખત અમેરિકા જવાનાં હતાં ત્યારે યુવક સંઘ તરફથી અમે વિદાયનમાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે મારાં પત્ની તારાબહેને કાકાને ખાદીની ગરમ શાલ ભેટ આપી, તો કાકાએ કહ્યું કે, “મારી પાસે એક શાલ છે અને એકથી વધારે ન રાખવાનો મારો નિયમ છે. એટલે તમારી શાલ હું તો જ સ્વીકારું કે મને જ્યારે યોગ્ય લાગે ત્યારે કોઈ વ્યકિતને હું આપી દઉં, એ માટે તમારી મંજૂરી હોય તો જ લઉં.” આ શરત મંજૂર રાખીને અમે કાકાને શાલ ભેટ આપી. અમેરિકા જતા હતા ત્યારે ભાનુબહેને કાકાને કહ્યું, “તમારાં ચંપલ ઘણાં ઘસાઈ ગયાં છે. અમેરિકામાં તૂટશે તો બહુ તકલીફ થશે. માટે તમે નવી જોડ લઈ લો.” પણ કાકા જૂનાં ચંપલ પહેરીને જવામાં મક્કમ હતા. તેમનો નિયમ હતો કે એક ચંપલ ઘસાઈને તૂટી જાય ત્યારે જ નવાં ચંપલ ખરીદવાં. એટલે કાકાએ કહ્યું, “ચંપલ તૂટી જશે તો ત્યાં ઉઘાડા પગે ચાલીશ. નહિ વાંધો આવે. બધે ગાડીમાં ફરવાનું છે. વળી ત્યાંનો ઉનાળો છે.” પાછા ફર્યા ત્યાં સુધી ચંપલને વાંધો આવ્યો નહિ. આવ્યા પછી જૂનાં ચંપલ ઘસાઈ ગયાં ત્યારે નવાં લીધાં. એક વખત અમે નેત્રયજ્ઞ પછી એક તીર્થની યાત્રાએ ગયા હતા. રાતનો મુકામ હતો. એક રૂમમાં હું, દોશીકાકા અને અમારા એક મિત્ર હતા. થાકેલા હતા એટલે હું અને દોશીકાકા સૂઈ ગયા અને મિત્રને પરવારતાં થોડી વાર હતી. સવારે વહેલા ઊઠી, સ્નાનાદિથી પરવારીને અમે તૈયાર થયા. બહાર જતાં દોશીકાકાએ કહ્યું, “મારાં ચંપલ ક્યાં ગયાં?” તો મિત્રે તરત એમનાં ચંપલ બતાવ્યાં. કાકાએ કહ્યું, “આ મારાં ચંપલ નથી.” મિત્રે ફોડ પાડતાં કહ્યું, “કાકા, રાતના મારા બૂટ પાલિશ કરતો હતો ત્યાં પછી વિચાર આવ્યો કે તમારા બન્નેનાં ચંપલને પણ પાલિશ કરી લઉં.” કાકાએ કહ્યું, “મને પૂછ્યા વગર તમે મારાં ચંપલને પાલિશ કર્યું તે બરાબર ન કહેવાય. પાલિશવાળાં ચંપલ મને શોભે નહિ. હવે પાલિશ કાઢી નાખો.” મિત્રે લૂગડા વડે પાલિશ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાલિશ બહુ ઓછી થઈ નહિ. ત્યાં બહાર જઈ કાકા મૂઠી ધૂળ ભરીને લાવ્યા અને ચંપલ પર નાખી એટલે ચંપલ કંઈક ‘બરાબર’ થયાં. સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં મુંબઈની રત્નવિધિ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિકલાંગો માટે એક કેમ્પનું આયોજન થયું હતું. એમાં દોશીકાકાને પણ નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે મંચ પર બેસવાનું દોશીકાકા ટાળે અને આગળની હારમાં બેસવાનું પણ ટાળે. દોશીકાકા થોડા પાછળ બેઠા હતા. આગળ આવવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તેઓ નિશ્ચિત સમયે નીકળીને ચિખોદરા પહોંચવા ઇચ્છે છે. સાયલાથી અમદાવાદ બસમાં અને અમદાવાદથી બસ બદલીને તેઓ આણંદ જવાના હતા. સભામાં એક સજ્જન પધાર્યા હતા, તેઓ કાર્યક્રમ પછી પોતાની ગાડીમાં આણંદ જવાના હતા. એટલે મેં તેમની સાથે ગાડીમાં જવાનું સૂચન કર્યું. પરંતુ દોશીકાકાએ કહ્યું, “મને એમ કોઈની ગાડીમાં જવાનું નહિ ફાવે. કોઈને મોડુંવહેલું થાય. બસ તરત મળી જાય છે એટલે મારે મોડું નહિ થાય.” અમે બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, “ભલે, જોઈશું.” પરંતુ કાર્યક્રમ પૂરો થયો ત્યારે દોશીકાકા તો નીકળી ગયા હતા. દોશીકાકાને શ્રીમંતો પ્રત્યે એલર્જી છે એવું નથી, પણ તેમને આમજનતા વચ્ચે આમજનતાના થઈને, જાણે કે કોઈ પોતાને ઓળખતું નથી એવા થઈને, રહેવું ગમે છે. મહેમાનોનું પ્રેમભર્યુર્ં સ્વાગત કરવું, તેમને અતિથિગૃહમાં ઉતારો આપી તેમના ભોજનાદિની સગવડ કરવી, તેમની સેવામાં કર્મચારીઓને જુદાં જુદાં કામ સોંપવાં, ગાડીમાં બેસાડીને તેઓને આસપાસ ફેરવવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં દોશી દંપતીના ઉત્સાહની આપણને પ્રતીતિ થાય. કાકા અને ભાનુબહેન અતિથિગૃહમાં આવી બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખે. કોઈ દિવસ એવો ન હોય કે માત્ર કાકા અને ભાનુબહેન—એમ બે જણે એકલાંએ સાથે ભોજન લીધું હોય. અતિથિ બારે માસ હોય અને તેમને ઉત્સાહથી જમાડે. મહેમાન વગર ખાવાનું ન ભાવે. ચિખોદરાની હોસ્પિટલને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મળેલી છે, એટલે દેશવિદેશથી મુલાકાતે આવનાર મહેમાનોની અવરજવર આખું વર્ષ રહે. છતાં નહિ થાક કે નહિ કચવાટનું નામનિશાન. શ્રી દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છે: “દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં. અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તે બરફ બની જતું. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો ધોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, કડવાશ નથી. નરી શીતળતા, ચંદ્રથી પણ વિશેષ શીતળતા.” દોશીકાકા એટલે ગાંધીયુગના છેલ્લા અવશેષોમાંના એક. એમની કેટલીક વાતો, ભવિષ્યમાં લોકો જલદી માનશે નહિ. જેમની પાસે પોતાની માલિકીનું ઘર નથી, જમીન નથી, મિલકત નથી, બેંકમાં ખાતું નથી એવા આ લોકસેવકે ભરયુવાનીમાં રવિશંકરદાદાના પ્રભાવ હેઠળ આવી સેવાનો ભેખ લીધો. તેઓ સાચા વૈષ્ણવજન છે. [‘પ્રબુદ્ધ જીવન’ માસિક: ૨૦૦૫]