સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/સતયુગમાં બધું સારું જ હતું?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સતયુગમાં બધું સારું હતું ને હવે કળિયુગમાં લોકો બહુ બગડી ગયા છે, એમ વિચારવાની આપણને ટેવ પડી ગઈ છે. પરંતુ હકીકતમાં બધું એવું નથી. એક કાળે ભરસભામાં દ્રૌપદી જેવી રાણીનાં ચીર ખેંચાયાં હતાં. પણ આજે કોઈ ભંગીની સ્ત્રીનાંય ચીર ખેંચી જુઓ તો! આજે સમાજ એ સાંખી લેશે કે? શાંતનુ રાજા એંસી વર્ષની ઉંમરે એક માછીની કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા, અને એ પરણી શકે તે માટે એના ૩૦ વરસના ભરજુવાન દીકરાએ ગાદી તો છોડી, પણ આજીવન અપરિણિત રહેવાની પ્રતિજ્ઞાયે લીધી. દીકરાને જિંદગીભર કુંવારો રાખીને ઘરડો બાપ પરણવા તૈયાર થયો હશે, એ જમાનો કેવો હશે! આજે કોઈ એંસી વરસનો ડોસો જાન જોડે તો? એટલે જમાનો બહુ બગડી ગયો છે, એમ કહેવા જેવું નથી. એ તો આજે આપણને દૂરના ડુંગરા રળિયામણા લાગે. [‘મહારાજની વાતો’ પુસ્તક]