સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વલ્લભભાઈ પટેલ/બરફમાં રહેલો જ્વાળામુખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંદુસ્તાનનું દુ:ખ આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે, સિપાઈગીરીના અભાવનું છે.

*

લોઢું ગરમ જોઈએ, પણ હથોડાએ તો ઠંડા જ રહેવું જોઈએ. હથોડો ગરમ થઈ જાય તો પોતાનો જ હાથો બાળે.

*

હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું. આખું હિંદુસ્તાન મારું ગામ છે, અઢારે વરણ મારાં ભાઈભાંડુ છે.

*

બાળપણમાં આપણું ગંદું આપણી મા સાફ કરતી. એ જ રીતે હરિજનો આપણી માતાનું કામ કરે છે.

*

તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો? એ સ્ત્રીઓ કોણ છે? તમારી મા, બહેન, પત્ની. તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવાં રહ્યાં છો.

*

લાયક ઉંમરનાં છોકરા-છોકરીઓ પોતાની ઇચ્છામાં આવે ત્યાં લગ્ન કરે ત્યાં મા-બાપ આડે આવે તે અત્યાચાર ગણાય.

*

લાંબો વખત આરામ લઈને એકલું શરીર સાચવ સાચવ કર્યા કરવું, તેના કરતાં કામ કરતાં કરતાં થોડાં વરસ વહેલાં મરી જવાય તોય શું ખોટું?

*

નબળાનું રક્ષણ કરવું, એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનું રક્ષણ કરી શકે છે, પણ જો નબળાનું રક્ષણ રાજ્ય ન કરે તો બીજું કોણ કરે?

*

વિરુદ્ધ વિચારનો પક્ષ જેમ નાનો હોય, તેમ તે પક્ષને વધારે વિનયથી સાંભળવાની જરૂર છે.

*

ઘણા માને છે કે મેં જે કર્યું તે મહાત્માજીથી ન થાત. પણ મારામાં મહાત્માજીનો એક હજારમો અંશ પણ હોત, તો મેં જે કંઈ કર્યું છે તેનાથી દશ ગણું કરી દેખાડત.

*

આપણે જે બોલીએ, તેમાં બળ હોવું જોઈએ. ખાલી નિંદા કરવાથી કાંઈ વળે નહીં. કેવળ નિંદાથી હાર્યો હોય એવા દુશ્મનનો એક્કે દાખલો જગતમાં નથી. નિંદાથી તો સામાવાળો નફ્ફટ થાય.

*

જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, ટાઢ-તડકા વેઠે, મારકણા બળદ સાથે કામ લે, તેને ડર કોનો? [‘સરદારવાણી’ પુસ્તકમાંથી સંકલન: મહેશ દવે]