સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વાજસૂર વાળા/કુશળ વાર્તાકારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાઠી જાઉં ત્યારે જલાભાઈ મારી સાથે આવતા. એ એક કુશળ વાર્તાકાર હતા. શબ્દચિત્ર દોરવાની એમની શકિત આકર્ષક હતી. કાઠિયાવાડના ઇતિહાસના કોઈ કાળની એ વાત ઉપાડે, ત્યારે એ સમયનું વાતાવરણ ખડું કરવામાં એ બહુ સફળ નીવડતા. ગામડાનું વર્ણન આવે તો ગામની રચના, દરેક કોમનાં સ્ત્રી-પુરુષોના પોશાક અને અલંકારોનું નખશિખ વર્ણન, દરેક કોમના રિવાજો, એમની રહેણીકહેણી અને દરેકની નોખી બોલી એ વર્ણવી જાણતા. સોરઠી ઇતિહાસના કોઈ ચોક્કસ યુગમાં તમે જીવતા હો એવું વાતાવરણ એ ખડું કરી શકે. કોઈ વાર સામંતભાઈ ગઢવી હોય. એમના ભત્રીજા ગગુભાઈ પણ એક કુશળ વાર્તાકાર હતા અને ઝવેરચંદભાઈએ ‘રસધાર’ના બે ભાગ લખ્યા પછી ગગુભાઈના સંસર્ગમાં તેઓ આવ્યા અને ‘રસધાર’ના ત્રીજા ભાગથી ઝવેરચંદભાઈની શૈલીમાં પરિવર્તન થયું. પણ સામંતભાઈ ગઢવી જેવો વાર્તાકાર મેં બીજો હજી જોયો નથી. અલબત્ત, પિંગળશીભાઈ એમની યુવાવસ્થામાં સોરઠના અજોડ કથાકાર હતા એમ કહેવાય છે. અને એ તો એ સિવાય પણ બીજું ઘણું હતા. કવિ ન્હાનાલાલે એમને સોરઠના last minstrelના બિરુદથી નવાજ્યા છે, એમાં કશી અતિશયોકિત નથી. પણ સામંતજી ગઢવીનું વ્યકિતત્વ એમની કથાકારની શકિતને અનુકૂળ હતું. ઠાકોરસાહેબે (કલાપીએ) એમને બહુ સાંભળ્યા હતા. ‘હમીરજી ગોહિલ’માં જે ગઢવીનું ચિત્ર દોરાયું છે એ સામંતભાઈનું જ ચિત્ર છે. એટલી પ્રબળ છાપ એમણે ઠાકોરસાહેબ પર પાડેલી. એક બીજી ખાસિયત, જે બીજા ઘણા વાર્તાકારોથી એમને જુદા તારવી શકે છે એ, એમનો ઉચ્ચ પ્રકારનો રસ હતી. અમુક સપાટીથી એ કદી નીચે ઊતરતા નહીં. જેને low taste કહી શકાય એવું એક વાક્ય પણ કદી એમનાં વર્ણનોમાં આવી શકે નહીં. બીજા ઘણા વાર્તાકારોમાં આ ખામી મને લાગી છે. બીજી એક ખાસિયત એમનામાં એ હતી કે એ પોતાના પેદા કરેલા પ્રવાહમાં ખેંચાતા નહીં. સાંભળનારાઓનાં દિલમાં આવેગનાં ઘોડાપૂર તેઓ પેદા કરી શકે, પણ પોતે તો કાંઠે જ ઊભા હોય. એ પૂર એમને ખેંચી શકે નહીં. પાઘડી નીચે મૂકે, ગરદન પરથી માળા ઉતારી હાથમાં લે અને બે હથેળી વચ્ચે મસળતાં વાર્તા ચલાવે. [‘કલાપી: સ્મરણમૂર્તિ’ પુસ્તક: ૧૯૯૮]