સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજયશંકર ત્રિ. કામદાર/આશ્રમના આફતાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આરામ હરામ હૈ : એ સૂત્રાને ભાઈ પરીક્ષિતલાલ મજમુદારે જીવનમાં અખંડ બેંતાલીસ વરસ સુધી આચરી બતાવ્યું. ૧૯૨૩માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા પછી તરત જ એ જે કામે ચડયા તે ચડયા. એ બેંતાલીસ વરસમાં એમણે કોઈ રજા કે રવિવાર સુધ્ધાં ભોગવ્યાં નથી. સંકલ્પપૂર્વક તેઓ આજીવન એકાકી રહ્યા. હરિજન સમાજ એ જ એમનો સંસાર. હરિજન આશ્રમ (સાબરમતી)ની ઓરડી એ જ એમની ઑફિસ અને એ જ એમનું ઘર. આશ્રમની બહેનો ચલાવે એ જ એમનું રસોડું. મહિનામાં વીસ દિવસ તો પ્રવાસમાં હોય — ત્રીજા વર્ગમાં જ ફરવાનો આગ્રહ. ગામડાંમાં ચાલતાં ફરવાનું, હરિજનવાસોમાં જવાનું. વચ્ચે વચ્ચે આશ્રમમાં આવે ત્યારે કામના ઢગલા ચડી ગયા હોય, અનેક જાતના પ્રશ્નોમાં ધ્યાન આપવાનું હોય. છેવટના દિવસ સુધી કદી આરામ ભોગવ્યો નહિ — સિવાય કે અંગ્રેજ સરકારે જેલમાં ફરજિયાત આરામ આપ્યો તે. અંતે ઈશ્વરે આપ્યો. સ્નાતક થયા પછી તરત એમણે હરિજનસેવામાં જીવન અર્પણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પણ એવામાં નાગપુરનો ઝંડા-સત્યાગ્રહ ચાલતો હતો, એટલે તે સત્યાગ્રહથી જીવનની શરૂઆત કરી અને જેલમાં ગયા. ત્યાં પથ્થરો ફોડતાં હાથે ફોલ્લા પડતા. કામની વરદી પૂરી ન થાય એટલે આડાબેડી, દંડાબેડી પહેરાવે. છતાં હસતે મુખે સજાઓ ભોગવી, કામ પણ કર્યું. એ આકરી કસોટી જીવનભર ચાલુ રાખી. આમ હરિજનસેવાને મુખ્ય રાખી આખી જિંદગી સ્વરાજ્યના સૈનિક તરીકે કામ કરી, તેમણે આ સેવાસૂત્રાને જીવનમાં બરાબર આચરી બતાવ્યું :

ના હું ઇચ્છું સ્વર્ગ વા ઇહ રિદ્ધિ,
ના હું ઇચ્છું જન્મમૃત્યુથી મુક્તિ;
હું તો ઇચ્છું નમ્રભાવે, દયાળો!
સૌ પ્રાણીનાં દુખ્ખનો નાશ થાઓ.