સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અઢી હજાર વરસ પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વરાજ્ય મળ્યું અને પરમેશ્વર ગાંધીજીને ઉઠાવી ગયા. પરમેશ્વરનો હેતુ જાણવો એ મનુષ્યને માટે મુશ્કેલ છે, તે છતાં ચિંતન દ્વારા એનું અનુમાન થઈ શકે છે. આપણા દેશને સંપૂર્ણ સ્વરાજ મળે, તેના કરતાં ઓછી ઈશ્વરની ઇચ્છા હોત તો તેણે ગાંધીજીને આપણી વચ્ચે રહેવા દીધા હોત. પણ દેશ બધી જાતની પરાધીનતાથી મુક્ત થઈ જાય, એવી જ એની ઇચ્છા લાગે છે. અંગ્રેજોના જવાથી બહારનું દબાણ ગયું. ગાંધીજીને ઉપાડી લઈને ઈશ્વરે આપણી બુદ્ધિને હચમચાવી નાખી. જાણે કે એ આપણને કહેતા ન હોય કે, હવે તમે લોકો બધી રીતે સ્વતંત્રા છો, સ્વતંત્રા બુદ્ધિથી વિચાર કરો અને સાચી રીતે સ્વતંત્રા બનો. મનુષ્ય ગમે તેટલો મહાન થાય, તો પણ શું એ આખા દેશને સ્વરાજ અપાવી શકે? મારી ઊંઘ જેમ મારે જ કરવી પડે છે, તેમ મારું સ્વરાજ પણ મારે જ મેળવવું જોઈએ. પરમેશ્વર હંમેશાં આપણે માટે મહાપુરુષો મોકલ્યા કરે, તો તેનાથી આપણી ઉન્નતિ જ થશે એવું નથી. ભગવાન વારંવાર અવતાર લેતા નથી, એ પણ એની કૃપા જ સમજવી જોઈએ. લોક કહે છે કે ગાંધીજીની પાછળ ચોપાસ અંધારું છવાઈ ગયું છે. હું કહું છું કે હવે તો અજવાળું થયું છે. આંખો ઉઘાડો તો સમજાશે. ગાંધીજી વારંવાર કહેતા કે, હું જે કહું છું તેની ઉપર તમે સ્વતંત્રા બુદ્ધિથી વિચાર કરો, અને એ ગળે ઊતરે તો જ તે પ્રમાણે ચાલો. પણ આપણે વિચારવાની તકલીફ લીધા વિના એમની પાછળ પાછળ ચાલ્યા કરતા હતા. એટલે પછી ઈશ્વરે નક્કી કર્યું કે હવે આ લોકોને વિચાર કરવાની તકલીફ આપવી પડશે.

*

પહેલાંના વખતમાં રાજકારણનું સ્વરૂપ આજના જેટલું વ્યાપક નહોતું. ત્યારની મોટી મોટી લડાઈઓ પણ લોકોને ખાસ સ્પર્શી શકતી નહોતી. અલ્લાઉદ્દીન દિલ્હીથી નીકળ્યો અને એણે દેવગિરિનું રાજ્ય જીતી લીધું. રસ્તામાં ક્યાંય લોકોએ એની સેનાનો વિરોધ ન કર્યો. એનું લશ્કર જે જે ગામ પાસેથી પસાર થતું ગયું ત્યાંના લોકોને બહુ બહુ તો એવું લાગ્યું હશે કે જાણે તીડનું ટોળું આવ્યું ને ચાલ્યું ગયું. દેવગિરિનું રાજ પલટાઈ ગયું, પણ લોકોના જીવનમાં કોઈ ખાસ ફેરફાર ન થયો. લોકો જે કરવેરા પેલાને ભરતા હતા, તે હવે આને ભરવા લાગ્યા — બસ, એટલો જ ફરક પડયો. એ વખતના રાજકારભારનાં પાપ-પુણ્ય લોકોને માથે નહોતાં. એની જવાબદારી એકલા રાજાઓની જ રહેતી. આજે એવી સ્થિતિ નથી. એટલા માટે જ ગાંધીજી જેવા સાધુચરિત પુરુષને રાજકારણમાં આવવું પડ્યું. કારણ કે આજનું રાજકારણ આપણા સમાજજીવનથી જુદું નથી રહ્યું. આજનો કાળ જ એવો છે કે દરેક માણસને રાજ્ય વિશે વિચાર કરવો પડે. રાજ્યને સાત્ત્વિક અને પવિત્રા બનાવવાની જવાબદારી દરેકની ઉપર છે.

*

બુદ્ધના જમાનામાં રાજકારભારની જવાબદારી પ્રજા ઉપર નહોતી, એટલે બુદ્ધના વિચાર વિશ્વોપયોગી હોવા છતાં આજ સુધી પટારામાં પડ્યા રહ્યા. શા હતા બુદ્ધના વિચાર? વેરથી વેર શમતું નથી, પ્રેમથી જ શમે છે. હિંસાથી હિંસા અટકતી નથી, અહિંસાથી જ અટકે છે. બાવળ વાવીએ તો એની ઉપર કેરી ન પાકે. કુદરતનો એ નિયમ છે. એને વિશે કોઈના દિલમાં શંકા નહોતી. પણ નૈતિક જીવનના એ નિયમમાં લોકોને શ્રદ્ધા બેઠી નહોતી. એ જમાનામાં રાજકારણનું સ્વરૂપ આજના જેટલું વ્યાપક નહોતું. ત્યારે હિંસાથી હાનિ તો થતી જ, પણ બહુ મોટી નહોતી થતી. આજની હિંસા વ્યાપક અને દરેકને અસર કરનારી હોવાથી બુદ્ધે પ્રબોધેલી અહિંસાનું મહત્ત્વ લોકોને ગળે ઊતરવા માંડયું છે. બુદ્ધની અહિંસાનો બોધ સમજવા માટે જગતનું વાતાવરણ આજે, અઢી હજાર વરસ પછી, અનુકૂળ થવા લાગ્યું છે. બુદ્ધની પછી ગાંધીજીને અહિંસાનું આંદોલન ચલાવવામાં જે થોડીઘણી સફળતા મળી, તેમાં માત્રા એમની જ કરામત હતી એવું નથી. આજના યુગની જ એ જરૂરિયાત છે.