સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/એક કલાક અધ્યયન માટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાંધીજીના જમાનાથી મારી એવી ફરિયાદ રહી છે કે ઉત્તમ કામમાં લાગેલા આપણા સેવકો પણ વિચારોનું અધ્યયન ઓછું કરે છે. કાર્યકરોને હું પૂછતો કે, ‘હરિજન’માં ગાંધીજીનો ફલાણો લેખ આવ્યો છે, તે વાંચ્યો? તો જવાબ મળતો કે, ના રે ના; વાંચવાથી શું ફેર પડવાનો હતો? એમાં લખી લખીને એમ જ લખ્યું હશે ને કે હરિજનોની સેવા કરો, સૂતર કાંતો વગેરે. એ તો અમે કરીએ જ છીએ ને? મતલબ કે તેઓ એવા જ ખ્યાલમાં રહેતા હતા કે પોતે ગાંધીજીને આખા ને આખા પી ગયા છે, માટે હવે કશું વાંચવાની એમને જરૂર નથી! ત્યારે હું એમને કહેતો કે, કામ કરવાની સાથોસાથ વાંચવાની, ચિંતન કરવાની ટેવ રાખવી જોઈએ. જેટલું આપણું અધ્યયન ચાલશે, તેટલું ઊંડાણ આપણા કામમાં આવશે. તુલસીદાસ, કબીર, જ્ઞાનદેવ આટલાં બધાં વરસ પછી પણ આજે કોને આધારે જીવતા છે? જે ગ્રંથો એમણે આપ્યા, તેનું અધ્યયન-ચિંતન કરનારા તેમજ તે મુજબ પોતાના જીવનને ઘડનારા સેંકડો સાધકો નીકળ્યા, એમને આધારે તેઓ જીવંત છે. આજે આપણે દુનિયાના ચોકમાં ઊભા છીએ. ચારેકોરથી વિચારોનો મારો ચાલી રહ્યો છે — સારા વિચારોનો તેમ કુવિચારોનો પણ. આ બધાની વચ્ચે આપણા વિચારો મુજબ આપણે કામ કરતા રહેવાનું છે અને આપણા વિચારને પરિશુદ્ધ કરતાં કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં અધ્યયન વગર તો આપણે માર ખાઈશું. અનેક વિષયોનું અધ્યયન આપણે કરવાનું છે. વળી અધ્યયનમાં જેમ અનેક ગ્રંથો વાંચવાની વાત છે, તેમ એક જ ગ્રંથ અનેક વાર વાંચવાની વાત પણ આવે છે. જે ગ્રંથમાંથી જીવનને પોષણ મળતું હોય, તે ફરી ફરીને વાંચીને કસી લેવાનો છે. શંકરાચાર્યે એક નાનકડા શ્લોકમાં અધ્યયનનું ગણિત બતાવ્યું છે : જેટલું અધ્યયન કરીએ, તેનાથી સો ગણું મનન કરવાનું છે. જુઓને — આપણને જમતાં કેટલી વાર લાગે છે? અડધો કલાક, અને એ ખાધેલું પચાવતાં કેટલો વખત લાગે છે? ચાર— પાંચ કલાક. તેમ અધ્યયન માટે રોજ એક કલાક પૂરતો છે. નહીં તો બહુ ખાઈ લીધું ને પચાવ્યું નહીં, તો જે હાલત શરીરની થાય છે તેવી જ બુદ્ધિની થશે. જેમ અન્ન વિના દેહ ટકતો નથી, તેમ જ્ઞાન વિના આત્મા પુષ્ટ થતો નથી. એટલા માટે રોજેરોજ જ્ઞાન મેળવવાની યોજના હોવી જોઈએ. આપણે જેમ ખાધા વિના રહેતા નથી, તેમ આધ્યાત્મિક અન્ન-સેવન વગર આપણો એક પણ દિવસ ન જવો જોઈએ. દરરોજ એક કલાક અધ્યયન માટે અલગ કાઢીએ, અને ત્યારે બધાં કામથી અળગા થઈને અધ્યયનમાં જાતને પરોવી દઈએ. ત્યારે કામ-બામ કાંઈ નહીં. બસ — અધ્યયન, મનન, ચિંતન. આમ કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે, ઉત્સાહ મળે છે અને કામ કરવાની શક્તિ પણ વધે છે.