સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્યામ સાધુ/સુન્દરમ્્ની રમણીય બાલકાવ્યસૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતી બાળસાહિત્ય અને ગુજરાતનાં બાળકો ભાગ્યશાળી છે કે તેને ઉત્તમ બાળગીતો અને તેના રચનારાઓ મળ્યાં છે. બાળગીતનો સર્જક કેવો હોવો જોઈએ?—એ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે તેનું હૈયું ભાવનાસભર હોવું જોઈએ, તેની પાસે બાળકનું વિસ્મય હોવું જોઈએ અને લયયુક્ત શબ્દોની પસંદગીની સૂઝ હોવી જોઈએ. અહીં એકનામેરી બે કવિઓ સહજ યાદ આવે: એક ત્રિભુવન વ્યાસ ને બીજા ત્રિભુવનદાસ લુહાર એટલે કે આપણા સુન્દરમ્. આ બેઉ કવિઓએ આપણાં બાળકોને ન્યાલ કરી દીધાં છે. સુન્દરમ્ની ‘રંગ રંગ વાદળિયાં’ની મેઘધનુષી રમણીય—તેજેમઢી કાવ્યસૃષ્ટિમાં અનેકોએ સ્નાન કર્યું છે. ‘રંગ રંગ વાદળિયાં’ની સૃષ્ટિમાં ભાવના છે, કલ્પના છે, ભકિત છે, પ્રાર્થના છે. બાળકોને પામતાં પામતાં માનવને પામવાની મથામણરૂપે બાળકોની નજરે સૃષ્ટિને જોઈ, સુન્દરમ્એ અનવદ્ય બાળકાવ્યો પણ આપ્યાં છે. કયા સુન્દરમ્ મોટા? ‘મેરે પિયા’ના કે ‘રંગ રંગ વાદળિયાં’ના?—ઉત્તર કઠિન છે. તેમની આ વિશાળ બાળકાવ્યસૃષ્ટિ ચાર ભાગમાં વ્યક્ત થઈ છે: ‘રંગ રંગ વાદળિયાં’, ‘ચક ચક ચકલાં’, ‘આ આવ્યાં પતંગિયાં’ અને ‘ગાતો ગાતો જાય કનૈયો’. ‘સમગ્ર બાળકવિતા’ના આ ચાર ભાગની સૃષ્ટિનું વૈવિધ્ય એક સૌંદર્યલોક રચે છે. અહીં વિષયવૈવિધ્ય, લયવૈવિધ્ય, કલ્પનાવૈવિધ્ય અને બાળભોગ્ય ભાષા છતાંય ભાષાભિવ્યકિતનું વૈવિધ્ય છે. તેમની આ કાવ્યકૃતિઓથી ગુજરાતી બાળકવિતા બહુમૂલ્યા બની છે. તેમનાં બાળકાવ્યોની એવી તો કરામત છે કે તે બાળકોને તરત જ કંઠસ્થ થઈ જાય છે! એક બાજુથી જો બાળકવિતાનાં મૂળ શોધવા જઈએ તો તેનું પગેરું લોકસાહિત્યમાં મળી જાય. વળી બીજી બાજુએ અનેક કવિઓએ આ કાવ્યક્ષેત્રમાં પોતાની કાવ્યગાગરથી સિંચન કર્યું છે. આપણને ઉપર્યુક્ત બે કવિઓ ઉપરાંત ન્હાનાલાલ, મેઘાણી, મકરન્દ, દેશળજી પરમાર, ચં. ચી. મહેતા, ઉમાશંકર જોશી, ‘સ્નેહરશ્મિ’, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ, હરિકૃષ્ણ પાઠક એમ અનેકો પાસેથી ઉત્તમ બાળકાવ્યો મળ્યાં છે; પણ તેમાંય સુન્દરમ્નાં બાળકાવ્યો અલગ ભાત પાડે છે. ‘સમગ્ર બાલકવિતા’ દ્વારા એક ધોધમાર પ્રવાહ તેમણે વહેવડાવ્યો છે. ‘રંગ રંગ વાદળિયાં’ના કેટલાંક કાવ્યો તો એવાં છે કે તે માત્ર સુન્દરમ્નાં ન રહેતાં સમસ્ત ગુજરાતની સંપત્તિ બની ગયાં છે. એમ જ લાગે કે આ તો લોકસાહિત્યના વારસારૂપ કાવ્યપ્રસાદી છે. એવો પ્રશ્ન જરૂર થાય કે તેમની બાળકવિતા શાથી આટલી બાળપ્રિય થઈ શકી? કદાચ બાળચિત્તની તરંગલીલા ને કલ્પનાશીલતા, બાળકનું વિસ્મય અને રમતિયાળપણું, કુદરત સાથેની બાળકની દોસ્તી અને આસપાસની જડચેતન સૃષ્ટિ સાથેની સ્વાભાવિક આત્મીયતા—આ બધું સુન્દરમ્માં એકત્ર થઈને અવનવી રીતે પ્રગટતું લાગે છે. સુન્દરમ્નાં કાવ્યોમાં ક્યારેક એવું પણ થયું છે કે ભાવના બાળભોગ્ય હોય, તો ક્યાંક ભાષા થોડી મોટેરાંની હોય. ને તોય તે ભાવનાનું નિરૂપણ એવા લયમાં થયું હોય કે બાળકને એ અર્થ ન પહોંચે ને છતાંય ગીત પહોંચ્યું હોય. બાળક તે ગણગણતું હોય! એકદમ નાનાં બાળકોથી માંડી કિશોરાવસ્થાએ પહોંચેલાં બાળકો—સર્વને માટે તેમણે કાવ્યો રચ્યાં છે. અહીં મોટે ભાગે કવિ બાળક બની વાત કરે છે; તો ક્યારેક કવિ કવિ રહીને પણ બાળકની વાત કરે છે. સુન્દરમ્નાં કાવ્યો હોય ને પ્રભુપ્રેમ, શ્રીમાતાજી, શ્રી અરવિંદ ન હોય એવું બને જ નહીં! અલબત્ત, આવી કેટલીક રચનાઓમાં બાળમનનો પ્રવેશ કદાચ દુષ્કર બને. પણ ભાવસૃષ્ટિમાં તે જરૂર તણાય. લય, ભાવ કે ભાષાના સંદર્ભે કેટલાંક તો એવાં કાવ્યરત્નો અહીં છે જે સદાય ચિત્તમાં ઝળહળ્યાં કરે: “એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી?” “દરિયાને તીર એક રેતીની ઓટલી”; “હાં રે અમે ગ્યાં’તાં”; “સૂંડલા ભરી ભરી લેજો”; “ચીં ચીં ચકલાં આવે ને જાય”; “કોઈ રમતું આવે, કોઈ ભમતું આવે”; “આજ દિવાળી કાલ દિવાળી”; “એક નાના સરવરની પાળે”; “ચલ સોનલ, જઈએ સ્હેલગાહે”; “ઓ રે પતંગિયા, તું કહેને આ પાંખ તને કોણે દીધી?” વગેરે. તો ‘મુન્ની મારકણી’, ‘તાગડધિન્ના’ જેવાં કાવ્યો તો સુન્દરમ્ જ આપી શકે. આ થઈ સુન્દરમ્ની કાવ્યસૃષ્ટિની ઝાંખી. આવાં અનેક અન્ય રત્નો માટે તો જવું પડે સુન્દરમ્ની ‘સમગ્ર બાલકવિતા’ના ચાર ભાગ પાસે. આ કાવ્યો એ ગુજરાતનાં બાળકોને મળેલી સુન્દરમ્ની અણમોલ ભેટ છે. [‘પરબ’ માસિક: ૨૦૦૫]